કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૯. શબદ

૪૯. શબદ

આ શબ્દ હવે છૂટે તો સારું
          મૌન સુધીના મારગ માંડ મળ્યા છે –
                                       વાટ ખૂટે તો સારું.

          સંબોધનમાં સંબંધોમાં
                             માયાની માયામાં
          પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે,
                             એના પડછાયામાં
આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ હવે છૂટે તો સારું...

          ક્યાં અધવચ્ચે, ક્યાં મઝધારે
                   ક્યાં અનંતને આરે?
          ખુદને મૂકી પાછળ ચાલ્યા
                   પાછા ફરશું ક્યારે!
આ જીવતર જેવું જીવતર અટવાયું છે, જાળ તૂટે તો સારું.

આ શબદ હવે છૂટે તો સારું
                    મૌન સુધીના મારગ માંડ મળ્યા છે –
                                      વાટ ખૂટે તો સારું.

(અંતરનું એકાંત, પૃ. ૨૯૯)