કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૩. નયણાં

Revision as of 12:03, 18 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. નયણાં|}} <poem> ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં— એમાં આસમાની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩. નયણાં


ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં—
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.
(સિંજારવ, પૃ. ૧૧૪)