કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૫. માણસ

Revision as of 09:02, 19 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. માણસ|}} <poem> કરવતથી વહેરેલાં ઝેરણીથી ઝેરેલાં, કાનસથી છોલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૫. માણસ


કરવતથી વહેરેલાં
ઝેરણીથી ઝેરેલાં,
કાનસથી છોલેલાં,
તોય અમે લાગણીનાં માણસ.

બોમ બોમ બીડેલાં પંખાળાં સાંબેલાં,
તોપ તોપ ઝીંકેલાં, આગ આગ આંબેલાં,
ધણધણ ધુમાડાના
બહેરા ઘોંઘાટ તણી ઘાણીમાં પીલેલાં :
તોય અમે લાવણીનાં માણસ.

ખેતરનાં ડૂંડાંમાં
લાલ લાલ ગંજેરી,
શ્યામ શ્યામ સોનેરી,
ભડકે ભરખાયલ છે : દાણા દૂણાયલ છે :
ઊગવાના ઓરતામાં વણસેલાં કણસેલાં —
તોય અમે વાવણીનાં માણસ.

ભૂખરાં ને જાંબુડિયાં… દૂધિયાં પિરોજાં,
દીઠા ને અણદીઠા દરિયાનાં મોજાં,
માતેલાં મસ્તાનાં ઘૂઘરિયાં સોજાં :
કાંઠેથી મઝધારે
સરગમને સથવારે,
તોય અમે આવણી ને જાવણીનાં માણસ.
ચડતી ને ઊતરતી ભાંજણીનાં માણસ.
કરવતથી…
(આચમન, પૃ. ૩૭)