ગામવટો/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 19:00, 13 December 2023 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

ગામવટો

મણિલાલ હ. પટેલના ૧૮ નિબંધસંગ્રહોમાંથી ચૂંટેલા કુલ ૨૫ નિબંધો અહીં સમાવિષ્ટ છે. લલિતનિબંધ, ચરિત્રનિબંધ, પ્રવાસનિબંધ, ચિંતનાત્મકનિબંધ એમ વિવિધ શૈલીમાં લખાયેલા આ નિબંધો પ્રકૃતિરાગ, અતીતરાગ, ગ્રામચેતના અને ક્યાક ક્યાક જડભરત, યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યેનો આક્રોશ તીવ્રસ્વરે પ્રગટ કરે છે. એમાં પાદર, ફળિયું, વઢાઈ ગયેલાં ખેતરો, ઉદાસ પાવાગઢ, જંગલો, પહાડો, નદી-ધોધ-રણ-દરિયા, તારાભર્યું આકાશ ને સીમ-વગડાની રાત્રિઓ, ઋતુઓ અને વૃક્ષો વગેરેની કાવ્યાત્મક ગદ્યમાં પ્રગટતી સૃષ્ટિ કૈંક અંશે ઉદાસી અને વિષાદના રંગે રંગાયેલી છે. પ્રકૃતિખચિત રમણીય સૃષ્ટિ, ચિત્રાત્મક ભાષા, ઈન્દ્રિયગ્રાહ્ય કલ્પનો, દૃશ્યાવલીઓ અને ક્યાક ક્યાક દેખા દેતી વિચારકણિકાઓ આ નિબંધોનો વિશેષ છે.

— અનંત રાઠોડ