ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સત્ય – જયંત ગાડીત

From Ekatra Wiki
Revision as of 16:21, 8 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સત્ય, જયંત ગાડીત, ૨૦૦૯
નવલકથા – રોમાંચક ઇતિહાસના ધોધ નીચે

આત્મકથા સત્યના પ્રયોગોના પૂર્ણાહુતિ પ્રકરણમાં, ૧૯૨૬માં, ગાંધીજીએ લખેલું કે, ‘હવેનું મારું જીવન એટલું બધું જાહેર છે કે કશું પ્રજા નથી જાણતી એવું ભાગ્યે જ હોય’ (પૃ. ૪૫૮, ૨૦૦૦ની આવૃત્તિ). અને એ પછી, વર્ષો સુધી ગાંધીજી વિશે (અને સ્વાતંત્ર્ય-આંદોલનના સમયખંડ વિશે) એટલું બધું લખાતું ગયું છે – ગાંધીજીની દિનવારી (ચંદુલાલ દલાલ, ૧૯૭૦) સુધ્ધાં – કે હવે ઇતિહાસની કોઈ ધૂંધળી રહેલી રેખામાં કે કોઈ ખૂટતી કડીમાં કોઈ લેખક પોતાની કલ્પનાનો અનુપ્રવેશ કરાવીને એને અખંડ વિશિષ્ટ રૂપ આપી શકે એવો અવકાશ જાણે કે રહેતો નથી. આવા સંજોગોમાં, આપણા એક પ્રશસ્ત નવલકથાકાર જયંત ગાડીતે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનની, એમાં ગાંધીજીની ક્રિયાશીલતાને કેન્દ્રમાં રાખતી ૧૧૦૦ પાનાંની આ બૃહત્ નવલકથા સત્ય(મરણોત્તર પ્રકાશન, ૨૦૦૯) લખીને ‘ગાંધી વિશે’ લખવાનું ને ગાંધી વિશે ‘નવલકથા’ લખવાનું એક પડકારરૂપ સાહસ કર્યું છે એ મોટી જિજ્ઞાસા જગાડનાર ઘટના છે. લેખકે કરેલા ભૂમિકારૂપ ઉદ્ગારોમાં આ નવલકથાનાં કેટલાંક સ્તર જણાઈ આવે છે. જયંત ગાડીતે એક પરિચય-આલેખ કર્યો હતો પોતાની આ નવલકથા વિશે૧, એમાંથી બેત્રણ બાબતો ઊપસી રહે છે. એમણે લખેલું કે, “સત્ય’ એ ચાર ભાગમાં લખાયેલી સ્વાતંત્ર્ય આંદોલનની કથા છે. એમાં ગાંધીજી કેન્દ્રમાં છે. [...] સત્ય શું, એ આ નવલકથાનો મુખ્ય વિષય (theme) છે. એટલે ગાંધીજીનું સત્ય એ એક જ સત્ય ન હતું પરંતુ બીજાં સત્યો પણ તે સમયે પ્રવર્તમાન હતાં.’ આમ, સત્ય અહીં કોઈ એક કે અંતિમ/પરમ સત્ય નહીં પણ વિચારસરણીઓ, દૃષ્ટિકોણો, પ્રતીતિઓ, આદિ રૂપે રચાયેલ વિવિધ (વર્ગોનાં, વ્યક્તિઓનાં) સત્યો છે ને એ સત્યોના, આંદોલનના સમયમાં ઊપસેલા સંઘર્ષ તરીકે લેખકે આ નવલકથા લખેલી છે. આ પહેલું, ઉપલું સ્તર. નવલકથાનું શીર્ષક ‘સત્ય’ છે ને એના ચારે ખંડનાં પેટાશીર્ષકો અનુક્રમે ‘પાવક અગ્નિ’, ‘જ્વાળા’, ‘ધૂંધવાતો અગ્નિ’ અને ‘દાવાનળ’ છે. અગ્નિનાં આ વિવિધ રૂપો-સંકેતો ગાંધીજીના વિરલ સત્ય (દર્શન)ને સૂચવે છે કે આંદોલન-અગ્નિનાં વિવિધ સોપાનોને જ સૂચવે છે? ‘આંદોલન’ અને ‘ગાંધી’ની વચ્ચે પ્રસરતું આ વચલું સ્તર છે. ત્રીજું સ્તર, જયંત ગાડીતે નવલકથાના પહેલા ખંડમાં લખેલી કેફિયતમાં પડેલું છે. જીવનના ઉત્તર તબક્કે (‘આજે જીવનને આરે આવી પહોેંચ્યો ત્યારે’) ગાંધીજી એમના ચિત્તનો કબજો લે છે. આ ગાંધીમયતા કંઈક તીવ્રતાપૂર્વક વ્યક્ત થઈ છે : ‘મને કેમ ફરીફરીને એ [ગાંધી] પોતાની તરફ ખેંચે છે? ક્યાંક શું પડ્યું છે મારામાં જે મને સતત ગાંધી તરફ ખેંચે છે? અને, કોઈ અન્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ નહીં, ‘ગાંધીસંસ્થાઓ [પણ] નહીં, માત્ર ગાંધી, ગાંધી ને ગાંધી. [...] અને મેં ગાંધીની શોધ આદરી [...] મેં મારા શબ્દોથી ઊભો કરવા માંડ્યો ગાંધી. માત્ર ગાંધી નહીં, મેં ઊભું કરવા માંડ્યું છે સત્ય. શું છે સત્ય? કોણ છે ગાંધી? ચાલો હવે મારી સાથે.’૨ આ અંદરનું સ્તર. આ બધું જોતાં તો ગાંધીજી જ કેન્દ્રમાં હોય. અલબત્ત, નવલકથાનું ધરાતલ છે સ્વાતંત્ર્ય આંદોલનનો સમયખંડ. એક વાત તો બહુ સ્પષ્ટ છે કે લેખકે આ નવલકથા લખવાના સંકલ્પ સાથે જ એક મહાપ્રયત્ન આદરેલો. આશરે ૧૨ વર્ષ સુધી એ, બીજાં બધાં જ સાહિત્યકાર્યો લગભગ૩ બાજુએ મૂકી દઈને આ નવલકથા લખવામાં એકાગ્ર થયેલા ને જીવનના અંત સુધી એમણે એમાં મન પરોવેલું રાખ્યું. ગાંધીજીનાં અને ગાંધીવિષયક અનેક પુસ્તકોમાંથી એ પસાર થયેલાં૪, એટલું જ નહીં, દાંડી આદિ ઘણાં સ્થળોની તેમજ ગાંધીસંલગ્ન ઘણી વ્યક્તિઓની મુલાકાતો લીધેલી. આવા સ્વાધ્યાયપૂર્વકના એક મોટા પ્રકલ્પ તરીકે હાથ ધરેલા નવલકથા પ્રયોગ તરીકે એ નોંધપાત્ર છે. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને ભારતમાં પ્રવેશે છે ત્યાંથી માંડીને ૧૯૪૬ના નોઆખલી હત્યાકાંડમાં ગાંધીજી અહિંસાની કપરી કસોટીનો અત્યંત વ્યથાભર્યો અનુભવ કરે છે ને ૧૯૪૭માં ભારતના ભાગલાથી લગભગ ભાંગી પડે છે ત્યાં સુધીનો સિલસિલાબંધ ઘટનાપટ આ કથામાં આલેખાયો છે. ગાંધીજીની હત્યાના આલેખન સુધી લેખક પહોંચવા માગતા હતા પણ કૅન્સરની બીમારીને કારણે એ આગળ લખી ન શક્યા. છેલ્લાં બેત્રણ પાનાં લેખકે બોલીને લખાવ્યાં હતાં (જુઓ : ખંડ-૧, નિવેદન : મંજુલા ગાડીત) એમાં વાક્યો અખંડ છે પણ વિગતોના કંઈક તૂટકછૂટક નિર્દેશો છે. ને એમાં ગાંધીજીના વિલયનો એક દૂરવર્તી સંકેત પડેલો છે.૫ નવલકથા ઊઘડે છે એક લાક્ષણિક દૃશ્યથી : ‘અંધકાર ભેદીને સૂર્યને પૃથ્વી પર આવવાને હજી થોડી વાર હતી ત્યારે ઇંગ્લેન્ડથી નીકળેલી એસ. અરબિયા સ્ટીમર ૧૯૧૫ની ૯મી જાન્યુઆરીએ અરબી સમુદ્રનાં સ્થિર જળને ધકેલતી મુંબઈના એપોલો બંદરની નજીક સરકી રહી છે. એમાં પોતાની પત્ની કસ્તૂરબાઈ સાથે મુસાફરી કરી રહેલા મોહનદાસ કરમચંદ ગાંધી...’ આમ તો આ વર્ણન વિગતોની ચોકસાઈભરેલું એક દૃશ્ય રચે છે. પણ બીજી નજરે એમાં, કથાનાયકના પ્રવેશની, રૂપકાત્મકતાને અવકાશ આપે એવી શબ્દસંયોજના જોઈ શકાશે. કોઈ વાચક એમાં એવો સંકેત વાંચી શકે કે આ સૂર્ય તે મહાત્મા ગાંધી! પણ બસ. પછી આખીય નવલકથામાં આવી, બીજા અર્થને અવકાશ આપે એવી કે વાગ્મિતાવાળી કોઈ અભિવ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. સીધી, વિગતલક્ષી; પ્રસંગોમાં, પરિસ્થિતિઓમાં, વ્યક્તિવલણોમાં, ચર્ચાઓમાં, આંદોલનના આઘાત-પ્રત્યાઘાતોમાં વિંટાઈને પ્રસરતી, મહદંશે વર્ણનાત્મક પદ્ધતિએ નવલકથા ચાલે છે. ત્રણ દાયકાનો ભારતનો એ વિશિષ્ટ સમયખંડ નિઃશેષ રીતે આલેખન પામ્યો છે એમાં સ્વાતંત્ર્ય-આંદોલનનાં લગભગ તમામ પરિમાણો ખૂલેલાં છે. અને, આ પ્રજાકીય અને રાજકીય આંદોલનનાં લગભગ તમામ પરિમાણો ખૂલેલાં છે. અને, આ પ્રજાકીય અને રાજકીય આંદોલન સહિત સત્ય અને અહિંસા સંદર્ભે ગાંધીચરિત્રનાં પણ ઘણાં પરિમાણો ખૂલેલાં છે. અલબત્ત, એ સિવાયનાં ગાંધીચરિત્રનાં કેટલાંક પરિમાણો વણખૂલ્યાં પણ રહ્યાં છે. નવલકથાનું છેલ્લું વાક્ય, આરંભનાં વાક્યોની લગોલગ આવી જઈને, વલયની ઉપલી રેખાએ અંતર્ધાન પામે છે : ‘હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ. મને કોઈ પરાજિત નહીં કરી શકે.’ કોઈ વિભૂતિમત્ તત્ત્વના આરોપણ વગર અહીં ગાંધીજી કથાનાયક રૂપે રચાતા રહે છે – ‘મોહનદાસ’ રૂપે. સ્વાતંત્ર્ય-આંદોલનના ધરાતલ પર ગાંધીચરિત્રના ઉઘાડનાં જે મહત્ત્વનાં બિંદુઓ ઊપસતાં રહે છે તે નવલકથાની સંકલના રચે છે : કોચરબનો સત્યાગ્રહ-આશ્રમ અને એમાં હરિજનપરિવારને પ્રવેશ આપતા ગાંધી; ચંપારણનો એમનો પહેલો અહિંસક સત્યાગ્રહ; પછી રાષ્ટ્રીય સ્તરે ઉપાડેલો રોલેટ સત્યાગ્રહ અને હિંસા થતાં એની મોકૂફી; ૧૯૨૧નું ખ્યાત અસહકાર-આંદોલન અને એમાં એમની પ્રભાવક ભૂમિકા; એમનો વ્યાપક સવિનય કાનૂનભંગ (સરકારી શાળા-કૉલેજ, નોકરી, પરદેશી કાપડ વગેરેનો બહિષ્કાર) ને ખાદીનું સ્થાપન; આ સત્યાગ્રહ બ્રિટિશ સરકારને પૂરી પકડમાં લઈ શક્યો હતો તે તબક્કે પણ, ચૌરીચૌરીની હિંસાને કારણે ગાંધીજીએ કરેલી એની ભૂમિકા ને એમાં ઊઘડેલું એમનું ‘વિશ્વવંદ્ય’ વ્યક્તિત્વ; સમગ્ર પ્રજાની જાગૃતિના અસરકારક ઉપાય તરીકે એમણે આદરેલાં દાંડીકૂચ અને મીઠાનો સત્યાગ્રહ (‘મોહનદાસે જંગી મેદની સામે મીઠાની મુઠ્ઠી ભરેલો હાથ ઊંચો કર્યો : બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં હું લૂણો લગાડું છું’ – ખંડ : ૩, પૃ. ૪૧૬); ગાંધી-ઇર્વિન મંત્રણા અને એ સમજૂતી-કરારમાં ઊપસતા પ્રખર પણ ઊજળા મુત્સદ્દી ગાંધી; અહિંસાના સંકલ્પ ને પ્રસાર છતાં વારેવારે ભડકી ઊઠતી હિંસા સામે યરવડામાં આમરણાંત ઉપવાસથી પશ્ચાત્તાપ કરતા ગાંધી; હિંસા ખાળવા તેમજ આત્મપ્રતીતિ પર જ સ્થિર રહેવા એમણે આરંભેલો વૈયક્તિક સત્યાગ્રહ અને ૧૯૪૨નું ‘હિંદ છોડો’ આંદોલન; કૉંગ્રેસની વચગાળાની સરકારમાં દૂરંદેશીવાળી વ્યવહારદક્ષતાથી નહેરુને વડાપ્રધાન બનાવી શકતા ને એ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવક ઠરતા ગાંધીજી (‘મોહનદાસ સત્તામાં ક્યાંય ન હતા ને છતાં એમની સત્તા સર્વત્ર હતી’) અને છેવટે, નોઆખલી આદિમાંના હિંદુ-મુસ્લિમ હત્યા-દાવાનળને ઠારવા અર્થે આ રાજકારણ ને રાષ્ટ્રકારણથી દૂર ને દૂર સરતા જતા, માનવીય કરુણામાં દ્રવતા, અહિંસામય મહાત્મા ગાંધી (ભાગલા અટકાવવા દૃઢસંકલ્પ મોહનદાસને જોઈ ‘વાઇસરૉય વિચારમાં પડી ગયા. સામે બેઠેલો વૃદ્ધ અહિંસાની સાક્ષાત્ મૂર્તિ છે’ – ૪ : ૨૫૮). સમયક્રમની સીધી, ચુસ્ત, વિગત-ચોકસાઈ-ખચિત રેખાઓ પર લેખકે ગાંધી-ચિત્રણ કર્યું છે. એમાં નવલકથાકારનો સ્પર્શ પામેલું ચરિત્ર ક્યાંકક્યાંક નીખરી આવેે છે. એવા ઊપસી આવેલા અંશોમાંના કેટલાક જોઈએ : એમણે રજૂ કરેલો અસહકારનો કાર્યક્રમ (૧૯૨૦) કૉંગ્રેસ સ્વીકારશે કે કેમ તે પ્રશ્ન હતો. મહાદેવભાઈ કહે છે કે, ઝીણા, માલવિયા, મોતીલાલ, એની બેસંટ બધાં વિરોધમાં છે. ગાંધીજી કહે છે : ‘મને લાગે છે કે ખડકોને હડસેલીને પાણી આગળ ધસી જવાનું.’ (૨ : ૧૨૩) યુક્તપ્રાંત (ઉત્તર પ્રદેશ)નાં ગામડાંનો પ્રજાસમુદાય ગાંધીજીને જોવા ઊમટે છે એના નિરૂપણમાં લોકનાયકની ચાહનાનું ગતિશીલ ચિત્ર છે : ‘યહ કોઈ દૂસરે લીડર જૈસા નહીં. બકરીકા દૂધ પીતા હૈ. દૂસરા કુછ નહીં. તું દેખના. કોઈ રુઆબ નહીં. અપને જૈસા કપડા પહનતા હૈ. દૂસરે લીડર જૈસા નહીં. [...] ‘કહાં જાત હો?’ ‘ગાંધી બબુઆ.’ ‘કહાં જાત હો?’ ‘ગાંધી બબુઆ.’ ‘કહાં જાત હો?’ ‘ગાંધી બબુઆ.’ (૩ઃ ૧૪૦-૪૧) ગાંધીજી આંબેડકરને મૂળભૂત વાત સમજાવે છે – રાજસત્તા તરફ જતા ૧૦%નો પ્રતિનિધિ નહીં, ‘છેક નીચલા થરના અસ્પૃશ્યોનો પ્રતિનિધિ થવા માગું છું’ ને પછી એમનો લાક્ષણિક પુણ્યપ્રકોપ : ‘અસ્પૃશ્યો બધા એક અને અખંડ હશે તો સનાતનીઓના કિલ્લાને સુરંગ ચાંપી હું ઉડાવી દઈશ.’ (૩ઃ૯૦) નોઆખલીનાં તોફાનોમાં મુસ્લિમોને છૂટો દોર આપનાર બંગાળના મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીને સ્પષ્ટ સંભળાવતા ખરા ગાંધી ઊપસી રહે છે : ‘શહીદસાહેબ, સૌ તમને ગુંડાઓના સરદાર શાથી કહે છે? તમારે માટે એક સારો શબ્દ કહેનાર કોઈ મળ્યું નથી’ (૪ : ૨૨૬) ગાંધી અને રોમાં રોલાંના મિલનનું દૃશ્યાલેખન સર્જનાત્મકતા પ્રગટાવે છે : ‘બહાર સર્વત્ર અંધકાર અને ધીમો વરસાદ હતો. એમના ઘરના વીજળીના દીવાનો ઝાંખો પ્રકાશ અંધકારમાં થોડો આગળ વધીને અટકી ગયેલો. ત્યાં એક ઝાંખો આકાર અંધકારમાંથી એમની આંખ સામે ઊપસી આવ્યો. સફેદ ગરમ શાલમાં વીંટાયેલા મોહનદાસ ઝપઝપ ચાલતા રોમાં રોલાંની સામે ઊભા રહ્યા. રોલાં જોતા હતા એક હસતું બોખું મોેં, સુકાયેલો ચહેરો, આંખો પર ખોખા જેવાં લાગતાં ચશ્માં અને નીચે સળી જેવા ખુલ્લા પગ. તરત એ સુકલકડી માણસ જરાય સંકોચ વગર પોતાને ગળે એક હાથ મૂકે છે. એનું આછા વાળવાળું બોડું માથું પોતાની છાતી પર મૂકે છે. રોમાં રોલાં પોતાના આખા શરીરમાં હૂંફ પ્રસરતી અનુભવે છે. ‘હું તમને મળવા કેટલો બેતાબ હતો!’ એ ધીમા વાક્યના સૂર રોલાંના કાનમાં મિષ્ટ સિમ્ફનીની જેમ ઊતરે છે.’ (૩ :૫૩) મૂળ સ્રોતોનો આધાર હશે (કયા સ્રોતમાંથી, કેટલો, કેવો શબ્દફેરે, તે તો ચકાસી શકાયું નથી) છતાં આ દૃષ્ટાંતોમાં આગવી રીતે કથાનાયક કોરાઈ આવે છે. આવાં બીજાં કેટલાંક દૃશ્યો / નિરૂપણો પણ નોંધી શકાય. ગાંધીજીનું અંતરંગ, જે આ નવલકથાની પરમ આવશ્યકતા હતી, એ ક્યાંકક્યાંક જ, પણ સ્પર્શે એ રીતે આલેખાયું છે. રોલેટ બિલ સામે સત્યાગ્રહ ઉપાડવા પૂર્વેનું એક દૃશ્ય ગાંધીજીના મનોગતને ઉઘાડે છે : ‘મોહનદાસ પોતાની કુટિરની બહાર ખાટલા પર સૂતા હતા. સામે સાબરમતીનો પ્રવાહ કોઈ અવાજ વગર ધીમે ધીમે વહી રહ્યો હતો. ઉપર આકાશ અસંખ્ય, તારાઓથી ઝગમગી ઊઠેલું. ક્યાંય સુધી આકાશના પથરાટને અનુભવતા મોહનદાસની આંખો મીંચાઈ ત્યારે તેમણે પોતાની સામે ધુમાડો પ્રસરતો જોયો. ધુમાડો આગળ હતો, ધુમાડો બાજુમાં હતો, ધુમાડો પાછળ હતો, ધુમાડો ઉપર હતો. ધુમાડો, ધુમાડો, ધુમાડો’ (૨ : ૧૪) ગાંધીજીના બધા સાથીઓને લાગતું હતું કે બ્રિટિશ શાસનને હચમચાવી નાખવાની એક તક સમાન સત્યાગ્રહ-આંદોલન ગાંધીજીએ ખોટું પાછું ખેંચ્યું. એક અમૂલ્ય તક વેડફી. ગાંધીજી આત્મમંથન કરતાંકરતાં નિર્ણય પર આવે છે : ‘એ અમૂલ્ય નથી. ફેંકી દે, ફેંકી દે, મોહનદાસ, ફેંકી દે. એના મોહમાં ન ખેંચાઈશ. એમાં સત્ત્વ નથી. એ જળ નથી. એ અમૃતમય જળ નથી. નર્યા પરપોટા ને ફીણ છે. ક્યાંથી આવેલો અવાજ? કોને સમજાવું એ અવાજનો બુલંદ રણકો? [...] મને ક્ષમા કરો મિત્રો, કાર્યકરો, ક્ષમા કરો. ભારતના પ્રજાજનો. [...] હું ઉલ્લંઘી નથી શકતો એ અવાજને. એ અવાજને અનુસરવું મારું જીવિત છે.’ (૨ : ૨૨૮-૨૯) અહિંસાની પોતાની પ્રતીતિ બીજાઓને પ્રતીત કરાવી શકતા નથી ત્યારે આત્મદર્શન કરતા ગાંધીજી આત્મનિંદા ને પશ્ચાત્તાપ કરે છે. એમાં જે વલોવાટ ને આર્દ્રતા ઊપસી છે એ સર્જનાત્મક નિરૂપણ પામી છે. આખી નવલકથામાં આવી થોડીક ક્ષણો વેરાયેલી છે : ‘મારી અહિંસાની સાધના ખોટી છે? મારો કોઈ પ્રભાવ નથી? [...] ધૂળ પડી મારા મહાત્મા હોવામાં! મુંબઈ. અમદાવાદ પછીનું મારું બીજું ઘર. [પણ] મુંબઈના લોકોના મનમાં હું કેટલું વસ્યો? મારું કાર્ય કેટલું વસ્યું? (૨ઃ૧૮૩) મેં અસહકારની હિલચાલ ઉત્પન્ન કરી. આજે જોઉં છું કે અહિંસાની ગંધ પણ જાણ્યા વગર લોકો એકબીજા સાથે અસહકાર કરવા લાગ્યા છે. એનું કારણ શું? એનું કારણ એ જ કે હું પોતે અહિંસક નથી. મારી તે શી અહિંસા? જો તે પરાકાષ્ઠાએ પહોંચેલી હોય તો જે હિંસા હું આજે જોઈ રહ્યો છું તે ન જોઉં. એટલે મારા ઉપવાસ એ પ્રાયશ્ચિત્ત છે, તપશ્ચર્યા છે.’ (૨ : ૩૦૮) (નોઆખલીમાં) ‘પણ મોહનદાસનું મન, પાસે પહોંચતાં કારણોને ઓળંગીનેય વધુ ઊંડાં કારણોની શોધમાં આથડતું. હું અપૂર્ણ છું. હું અપૂર્ણ છું. બધા અવરોધો ભેદીને મારે એમના હૃદય સુધી પહોંચવું છે. હું શું કરું? અનિષ્ટની સામે લડી ન શકે એ અહિંસા શું કામની?’ (૪ : ૨૪૬) ગાંધીચરિત્રની સાથે બીજાં ચરિત્રો પણ ક્યાંક, ઝીણા લસરકાઓથી ઊપસતાં રહ્યાં છે : કદાચ સૌથી સ્પર્શક્ષમ ચરિત્રો કસ્તૂરબાઈ, મહાદેવભાઈ અને સુભાષનાં છે. કસ્તૂરબાઈ ગાંધીજીને ક્યાંક ભાવનાથી ને ક્યાંક કર્તવ્યધર્મથી અનુસરે તો છે પણ એમનું સ્ત્રી-પત્ની-માતા તરીકેનું વ્યક્તિત્વ, ગાંધીપ્રભાવથી બહાર રહીને ઘણી વાર ઉપર તરી આવે છે એ, આગવી છાપ ધરાવે છે. ગાંધીજી આશ્રમમાં અંત્યજ પરિવારને લાવ્યા ને કસ્તૂરબાઈ, અનિચ્છાએ, રાજકોટ જવા તૈયાર થાય છે ત્યારે એમનો વેદનાભર્યો વિરોધ જુઓ : ‘દીકરો [હરિલાલ] ખોયો, હવે બૈરી ખુઓ.’ ને કસ્તૂરબાઈ ધ્રુસકેધ્રુસકે રડી પડી. [...] ‘જેલમાં મોકલી, બંગલામાંથી ઝૂંપડામાં લાવ્યા, ઘરેણાં કાઢી બાવી બનાવી ને હવે હરિજનની જોડે રાખો...’ [૧ : ૬૧] ગાંધીજી, ઓછો સાબુ વાપરી વધારે કપડાં ઊજળાં કરવા બાબતે કસ્તૂરબાઈને યશ આપતાં કહે છે : ‘તું અનેક બાબતોમાં મારી ગુરુ છો.’ ત્યારે એ કહે છે : ‘વખાણ કરીને બીજાને ભોળવી લેવાની તમારી કળામાં હું સપડાવાની નથી એ નક્કી માનજો. ભલે તમને અનેક શિષ્યો મળે, પણ મારી આશા ન રાખતા.’ ‘તું મારી શિષ્યાથી અનેકગણી વધારે છો.’ ‘હમણાં તો કહ્યું, તમારી આ યુક્તિમાં હું નથી ફસાવાની.’[૧ : ૧૪૯] વાઇસરૉયને મળવા ગાંધીજી મુંબઈ જવા નીકળે છે ત્યારે ‘કસ્તૂરબાઈનું મન ભારે હતું. હરિલાલનાં ચાર બાળકોની સંભાળ માથે ન હોત તો પોતે પતિની સાથે જઈ શકત [...] પણ કસ્તૂરબાઈએ મોહનદાસ પાસેથી એક વચન લઈ લીધેલું, ‘આ તબિયતે હવે થર્ડ ક્લાસમાં મુસાફરી નહીં કરવા દઉં.’ મોહનદાસે હસતાંહસતાં એ આગ્રહ સ્વીકાર્યો, ‘જેટલું શરીરને પંપાળવાનું કહીશ એટલું એ મને વધુ મોહમાં નાખશે. મારું પતન થશે એનું પાપ હવે તને લાગશે.’ કસ્તૂરબાઈ કહે છે, ‘ઘણાં પાપ તમે કરાવ્યાં છે. એટલે મનેય હક્ક છે તમને પાપ કરાવવાનો.’ [૨ : ૩૦] મહાદેવ દેસાઈ ગાંધીજીના ભક્ત ને શિષ્ય જેવા પણ ક્યારેક એ ગાંધીજી સામે સ્પષ્ટતાથી વિરોધ વ્યક્ત કરે છે એ ટૂંકાં અસરકારક વાક્યોમાં બતાવ્યું છે. મહાદેવ-દુર્ગા વચ્ચેની ક્યાંક સૂરતી લઢણની વાતચીતમાં જીવંતતા છે. પણ સૌથી વધારે સ્પર્શક્ષમ તો, આરંભે, મહાદેવભાઈના મૂળભૂત સૌંદર્યરાગી કવિહૃદયની એક સરસ રેખા અહીં આલેખાઈ છે એ છે. મુંબઈ છોડી એ અમદાવાદમાં વકીલાત કરવા આવે છે ત્યારે : ‘મુંબઈનો સમુદ્ર યાદ આવતો. [...] ક્યાંક દૂર સુધી લંબાયેલા સમુદ્રનાં ઘૂઘવતાં મોજાં કિનારે ફીણફીણ થઈ વેરાઈ જતાં એ જોઈ રહેતા. સાંજનો સૂર્યપ્રકાશ, ધીમેધીમે ક્ષિતિજ પર ડૂબતો સૂર્ય, સમુદ્રનું ક્રમશઃ શ્યામ બનતું જળ, એ બધાં પલટાતાં દૃશ્યો એમના મનની ઉદાસીને ઉલેચી નાખતાં. પણ અમદાવાદમાં દરિયો ક્યાંથી? આશ્વાસનરૂપ સાબરમતીનો કિનારો હતો. ચોમાસે લીલી ને ઉનાળે સૂકી સાબરમતીનો,[...] પાણી વગરનો પટ મહાદેવના ચિત્તને ન સમજાય એવા સૂનકારથી ભરી દેતો. રોમાન્ટિક કવિ કીટ્સની એમને પ્રિય પંક્તિઓ હોઠ પર આવી જતી! [૧ઃ ૧૧૧] સુભાષ ઘોષ ભારત છોડી, બહાર જઈ, જાપાન/ જર્મનીની મદદથી યુદ્ધ દ્વારા સ્વતંત્રતા લાવવાનો મહાજોખમી સંકલ્પ કરે છે, ત્યારે, જતાં પહેલાં, એ અનિશ્ચિત ભાવિમાં ધસતાં તેઓ ‘દેશની માટી’ છોડવાની જે વેદના અનુભવે છે તે વેદના રવીન્દ્રકવિતાની સ્મૃતિની ધારેધારે વ્યક્ત થઈ છે એમાં સુભાષના ચરિત્રનું એક વિશેષ પરિમાણ ખૂલે છે : ‘હે મારી સોનાની બંગમાતા, તને હું ચાહું છું. તારું આ આકાશ, તારો વાયુ હંમેશાં મારા પ્રાણની વાંસળી વગાડે છે’ [૪ : ૭૨]. ચુસ્ત ઇતિહાસ-સંદર્ભ ધરાવતી નવલકથામાં એક સર્જક જે અવકાશ રચી શકે એનું નાનકડું પણ મહત્ત્વનું આ દૃષ્ટાંત છે. વિગતવર્ણનના પહેલા સ્તરે રહેતી આ નવલકથા ક્યારેકક્યારેક, એ સ્તરને ભેદીને, સ્મરણીય બનતા પ્રસંગ-આલેખનમાં, જીવંત રસપ્રદ સંવાદોમાં ઊતરે છે ત્યારે સાહિત્યકૃતિ વાંચ્યાનો તોષ પણ વાચકને આપી શકે એવી બને છે : શાંતિનિકેતનની મુલાકાત (૧૯૧૫) વખતે, એક વાર ગાંધીજી સવારે રવીન્દ્રનાથ સાથે નાસ્તો કરવા બેઠા છે. મોહનદાસની સામે મગફળી, કેળાં ને લીંબુ છે, કવિની રકાબીમાં મેંદાની પૂરી અને રસગુલ્લાં છે : ‘મોહનદાસ મેંદાની પૂરી જોઈ તરત બોલી પડ્યા, ‘આ તો ઝેર છે.’ કવિની આંખો એમની એમ સ્થિર રહી. કોઈએ એમની જીભમાંથી છૂટતા મિષ્ટ સ્વાદને પડકાર્યો હતો. શું એ સ્વાદ નકામો છે? એ સ્વાદમાંથી ઇન્દ્રિયોને મળતો આનંદ અનુચિત છે? કવિનું હૃદય ‘ના, ના’, પોકારી ઊઠ્યું. આ ચોપાસ પથરાયેલો મારી ઇન્દ્રિયોને પુલકિત કરતો આનંદ શું ઝેર છે? [...] કવિના મોઢા પર હળવું સ્મિત આવ્યું, ‘ભલે ઝેર હોય, એનો પણ આનંદ છે.’ અને મેંદાની પૂરી [એમણે] રસથી મોઢામાં મૂકી.’ [૧ : ૪૩] પાત્રો (વ્યક્તિઓ) વચ્ચેના સંવાદો, બહુ ઓછી જગાએ, રસપ્રદ ને જીવંત છે. એવાં એકબે જોઈએ : ગાંધી-ઇર્વિન મંત્રણા ચાલતી હતી (૧૯૩૧) એ દરમ્યાન એક વાર વલ્લભભાઈ સાથે થયેલી વાતચીત : ‘મેં તો વાઇસરૉયને કહ્યું છે, જમીનના મુદ્દામાં હું વલ્લભભાઈ કહેશે એમ ચાલીશ.’ – મોહનદાસ ‘એટલે શૂળીએ મને જ ચડાવવાનો!’ – વલ્લભભાઈ ‘અંધેરી નગરીની વાર્તામાં નથી? આખરે જાડા નરને જ. મારું તો શું ગજું?’ ‘કરો તમારે કરવું હોય તે. એક વાત કહી દઉં : સમજૂતી સધાઈ જાય તો પથરા ખાવા ખેડા જિલ્લામાં મારી સાથે આવવું પડશે.’ ‘ગુજરાતમાં તમારા થકી તો હું ઊજળો છું.’ ‘તમારી આવી ચતુરાઈમાં જ મારા જેવો પાટીદાર ભોળવાઈ જાય છે.’ [૩ :૧૮] [મંત્રણા પૂરા થયા પછી] ‘લૉર્ડ ઇર્વિને છૂટા પડતાં પહેલાં ચા મંગાવી. મોહનદાસ માટે લીંબુપાણી અને મીઠું આવ્યાં. વાઇસરૉયે મીઠા તરફ આંગળી ચીંધી, ‘મિ. ગાંધી, અહીં તમને બિનજકાતી મીઠું નહીં મળે.’ મોહનદાસે ધીમે રહીને થેલીમાંથી મીઠાની પડીકી બહાર કાઢી. ‘આ બિનજકાતી છે. તમારે મને એક ગરીબ માણસને નાતે વાપરવાની છૂટ આપવી પડશે.’ લૉર્ડ ઇર્વિને સ્મિત કરતાં દાઢી પર હાથ પસવાર્યો. ‘મિ. ગાંધી, તમે આટલા ચતુર હશો એ નહોતો જાણતો’ [૩ : ૨૩] ઇતિહાસમાં પથરાતી આ કથા ક્યાંક નવલકથાની અસરકારકતાનો અનુભવ પણ આપે છે. દાંડી અને ધારાસણાના સત્યાગ્રહનું આલેખન વધુ કથાત્મક, એથી વધુ અસર કરનારું બન્યું છે (જુઓ : ૨ : ૪૦૬-૪૩૫) નોઆખલી હત્યાકાંડનું ધ્રુજાવી દેનારું વર્ણન અને કરુણા દ્રવતા ઉપચારો પણ નવલકથાનો અનુભવ આપનારા બન્યા છે (૪ : ૨૨૪-૨૫૦). વળી, ભગતસિંહનાં કાર્યશીલતા અને સમર્પણ આલેખતું પ્રકરણ (૨ : ૨૪૨-૨૮૧) તેમજ સુભાષના રોમાંચક મહાપ્રયાણને આલેખતું પ્રકરણ (૪ : ૬૮-૧૧૦) ઘણાં પ્રભાવક બન્યાં છે. અલબત્ત, સમયરેખાની સંકલનાને તોડીને એ પ્રકરણો વચ્ચે પ્રવેશ્યાં છે૬, ને સમગ્ર કથાની દૃષ્ટિએ જોતાં એ પ્રકરણો પ્રસ્તારી બનીને અસંતુલન પણ ઊભું કરે છે. ૧૧૦૦ પાનાંમાંથી પસાર થનાર, આ ‘નવલકથા’ના વાચક માટે આવા કેટલાક રણદ્વીપો છે. જયંત ગાડીત જેવા સર્જક આવાં રસપ્રદ પરિમાણોવાળી નવલકથા સાદ્યંત આલેખી શક્યા હોત. પરંતુ, બાર વર્ષોના સતત સ્વાધ્યાયે, તથા એ બહોળા ગાંધી-સંદર્ભોમાંથી જે અનેક નોંધો એમણે કદાચ કરી હશે એણે, એમના મનને સ્વાતંત્ર્ય-આંદોલનના પ્રસંગબહુલ ઇતિહાસથી ખચી દીધું જણાય છે. એ કારણે, સર્જકના પસંદગીકૌશલને તેમજ કથાલેખકના સંકલનકૌશલનને માટે ઓછા અવકાશો બચ્યા છે. એની અસર, વ્યાપકપણે તો, જેને ‘નવલકથાની ભાષા’ કહીએ, એના ઉપર પડતી રહી છે. કેટલુંક, આસ્વાદ આપ્યા વિનાનું પ્રસ્તારી થઈ ગયું છે તો કેટલુંક, આલેખન-શક્યતાઓનો તાગ મેળવ્યા વિનાનું અપર્યાપ્ત રહી ગયું છે. શાંતિનિકેતનમાં ગાંધીજી શિક્ષકો-વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન પ્રેરે છે. [૧ : ૪૨-૪૫] : રસોઈ જાતે કરવી, વાસણ માંજવાં, સાફસૂફી કરવી વગેરે. મોહનદાસ તથા કસ્તૂરબાઈ પણ આમાં જોડાયેલાં રહે છે – એ બધાનું વર્ણન છે પણ એનો જીવંત સંચાર આપતું આલેખન નથી. તરત બીજો સંદર્ભ યાદ આવે, કે, સત્યના પ્રયોગોમાં શાંતિનિકેતન-નિવાસનું નિરૂપણ છે, એમાં એક વાક્ય છે : ‘વાસણ માંજનાર ટુકડીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ સતાર વગાડતા’ (પૃ. ૩૫૨). આ ખરું શાંતિનિકેતન – ગાંધીરવીન્દ્રસંયોગ! નવલકથા તો આથીયે વિશેષ પરિમાણ ઉપસાવી શકી હોત... વ્યક્તિઓ વચ્ચેની વાતો-વાતચીતો (પાત્ર-સંવાદો) પણ મોટેભાગે વિગત-લક્ષી રહે છે, પરિસ્થિતિનો કે વ્યક્તિત્વનો સંસ્પર્શ એમાં ભાગ્યે, ક્યાંક જ અનુભવાય છે. ગાંધીજી ઝીણા વચ્ચેની પ્રલંબ (૧૮ દિવસ ચાલેલી) મુલાકાત [ભાગ : ૪] સંવાદરીતિએ ચાલે છે પણ એ મુદ્દાઓ ભરેલો અહેવાલ બની રહે છે, એનું કોઈ પ્રવાહી કથારૂપ ઊપસતું નથી. જાણે કે ચર્ચાના એકધારા રણમાં આપણાં આંખ-મન થાકતાં -રઝળતાં રહે છે, વ્યક્તિ/પ્રસંગનો ઇતિહાસ આલેખાય છે, વ્યક્તિત્વનો (નવલ)વિશેષ પમાતો નથી. એના કરતાં તો, આ જ નવલકથામાં, નહેરુની ઝીણા વિશેની પ્રતિક્રિયાના માત્ર એક ઉદ્ગારમાં જ ઝીણાનું (ને નહેરુનું પણ) વ્યક્તિત્વપોત ઊપસી રહે છે : નહેરુ કહે છે ‘જે માણસે કાયદાનાં પુસ્તકો સિવાય બીજું એકે વાંચવા જેવું પુસ્તક વાંચ્યું નથી, એને મળવાનો શો અર્થ?’ [૪ : ૨૧૪] સંવાદોમાં ક્યાંક એમણે, ચરિત્રાદિ સ્રોતોમાંથી લેવાને બદલે, આગવી, કલ્પિત સંવાદ-રચના કરી હોય એવી છાપ પડે છે ખરી (એનું આગવાપણું ચકાસવાનું થઈ શક્યું નથી), પરંતુ એમાં ક્યાંકક્યાંક જ નર્મવૃત્તિ, માર્મિકતા, પ્રભાવકતાના તણખા જોવા મળે છે – મોટાભાગના સંવાદો તથ્યરચનામાં અટવાયા છે. સ્વાતંત્ર્યઆંદોલન દરમ્યાનના ગાંધીજીના ઘણા રચનાત્મક કાર્યક્રમો – આશ્રમજીવન, સ્વાવલંબન, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, આદિની ઝીણી ઝીણી વિગતો, જાણે કશું જ ચૂક્યા વિના, નવલકથામાં સમાવેશ પામતી, ઠલવાતી રહી છે. ને વર્ણનમાં ગોઠવાતી રહી છે. જેમકે – ‘મોહનદાસ જ્યાં જ્યાં ગયા ત્યાં [...] અસ્પૃશ્યતા વિશે જુદી જુદી વાતો એમનાં પ્રવચનોમાંથી નીકળતી’ [૨ : ૩૩૩] પણ પછી આ વાતો ૧, ૨, ૩, એમ ૧૧ લગી, ક્રમસર, મુદ્દાસર મુકાઈ ગઈ છે! ગાંધીજીનું કોઈ ખરેખરું પ્રવચન કે પ્રવચનાંશો – આ વાતોને વધુ જીવંતપણે વ્યક્ત કરી શક્યાં હોત. કેવળ મુદ્દાઓ તો નવલકથાની પ્રવાહિતાની, ભાષાની સામે આવીને ઊભા રહી જાય છે. આવું જ, ગાંધીજી જ્યારે રોમાં રોલાંને મળવા જાય છે ને ત્યાં પાંચેક દિવસ રોકાઈ જાય છે એ દરમ્યાન આસપાસનાં ગામોમાં જે વાતો કરે છે એપણ સળંગ મુદ્દાઓ વિકસાવતી પ્રશ્નોત્તરી રૂપે વ્યક્ત થયું છે [૩ : ૫૪-૫૮] અને એ પણ પ્રશ્ન-ઉત્તર-સ્વાદ આપવાને બદલે વિગત-વિચારના વિસ્તારનો અનુભવ કરાવે છે. ત્યાં પણ ગાંધીજીનું કોઈ ખરેખરું (કે આધારો પરથી કલ્પેલું) વક્તવ્ય મૂકીને કથાને પ્રવાહિત રાખી શકાઈ હોત તો વ્યક્તિત્વની ઉષ્માનો અનુભવ મળ્યો હોત. ગાંધીજીનાં (અનેક હતાં એમાંથી કેટલાંક) પ્રવચનોનો, પત્રકારી લખાણોનો, એમના અને અન્યોના પત્રોનો ઉચિત સ્થાનોએ, થોડોઘણો પણ, વિનિયોગ કેટલો રસપ્રદ ને વાતાવરણ-સર્જક બની રહ્યો હોત! (એવાં ઘણાં પત્ર-સંકલનોમાંથી લેખક પસાર થયેલા છે જ, એ એમની સંદર્ભસૂચિ બતાવે છે) ‘નવજીવન’ સાપ્તાહિક ગાંધીજીના તંત્રીપદે સપ્ટેમ્બર ૧૯૧૯થી અમદાવાદમાંથી પ્રગટ થવા લાગ્યું, કેમકે ગાંધીજી ‘અંગ્રેજી ન વાંચી શકતા સામાન્ય લોકો સુધી પહોંચવા’ માગતા હતા અને ‘જોતજોતામાં’ તો ‘નવજીવન’ ગુજરાતને ગામડેગામડે પહોંચ્યું. [જુઓ ૨ : ૭૪]. આવા કેવળ નિર્દેશો છે પણ એના આવા વ્યાપક ને વેગીલા પ્રસારને ‘નવજીવન’માંના કોઈ પ્રેરક સરળ ગાંધી-લખાણના પ્રત્યક્ષીકરણ દ્વારા મૂર્ત થતો બતાવ્યો નથી. નવલકથામાં પત્રોનો સૌથી વધારે ગતિસંચારક (ડાય્નેમિક) ઉપયોગ થઈ શકે. ગાંધીજીએ અનેકોને લખેલા (ને મેળવેલા) પત્રો, વલ્લભભાઈ પટેલના અને અન્યોના પત્રોમાંથી કેટલાકનો વિનિયોગ પણ કેટકેટલી વૈયક્તિક વિશેષતાઓ અને એમ વ્યક્તિ-પરિણામો ખોલી શકે! આ નવલકથામાં થોડાક પત્રો/પત્રાંશો છે એ ઘણું ખરું તો ગાંધીજીએ વાઇસરૉયો વગેરેને લખેલા, વિચારો-દલીલોને, કૉંગ્રેસની ને પ્રજાની માગણીઓને રજૂ કરતા પત્રો છે. એમના સરલાદેવીને લખેલા પત્રોમાંથી કેટલુંક (સ્રોત-આધારિત કે પ્રતીતિકર સર્જક-કલ્પના-આધારિત) આ નવલકથામાં ઊતરી શક્યું હોત, તો કેવો રોમાંચક સંવેદના-આલેખ સાંપડ્યો હોત! કેમકે, અહીં એવા નિર્દેશો તો છે જ. જુઓ : મોહનદાસ અને સરલાદેવી ‘પત્રોથી સતત પરસ્પરના સહવાસમાં રહ્યાં. પરસ્પરના હૃદયને ખોલતાં રહ્યાં. ક્યારેક સામેથી પત્રોનો ધોધ વરસતો. મોહનદાસ પણ બેચેનીપૂર્વક પત્રની રાહ જોતા. તરત સામે પ્રત્યુત્તર વાળતા. ‘મારી પ્રિય સરલાદેવી’ એવું સંબોધન કરતા અને પત્રને અંતે ‘તમારો સ્મૃતિકાર’ એવું લિખિતંગ કરતા.’ [૨ : ૮૯] પ્રસંગો-પરિસ્થિતિઓના ઊંડાણમાં જવાની, કથાભાષા દ્વારા એનો સાક્ષાત્કાર કરાવવાની ને એને અસરકારક કરવાની તકો ઇતિહાસરેખાઓ નીચે ડૂબતી રહી છે. જલિયાંવાલા બાગના હત્યાકાંડનું, વાચકની સંવેદનાને હલાવી દેનારું આલેખન અહીં મળતું નથી. ગાંધીજીનાં પ્રતિભાવો-પ્રતિક્રિયાઓ જેવાં ચૌરીચૌરી હત્યાકાંડ વિશે રજૂ થયેલાં છે એવાં જલિયાંવાલા અંગે નથી એનું આશ્ચર્ય થાય છે. એક પ્રશ્ન એ પણ થાય છે આ નવલકથા વિશે કે, આ નવલકથા મહાઘટનાની (સ્વાતંત્ર્ય-આંદોલનની) છે કે મહાનાયકની (‘મારે ઊભો કરવો છે ગાંધી’)? નવલકથામાંથી પસાર થતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે આ કથા સમગ્ર – અખિલ – ગાંધીચરિત્ર પર નહીં પણ સ્વાતંત્ર્ય-આંદોલનની ફ્રેમમાં આવ્યા એટલા જ ગાંધી પર કેન્દ્રિત થઈ છે. આ કારણે, કેફિયતમાં વ્યક્ત થયેલી લેખકની તીવ્રતમ ગાંધીમયતા છતાં ગાંધીજીનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં અહીં આલેખાયા વિના રહી ગયાં છે : ગાંધીજીનું લેખકરૂપ – પત્રકાર, વિચારક, આત્મકથાકાર, પત્રલેખક ગાંધી – અહીં, એ સમયસંદર્ભોમાં પણ, ઊપસવા પામ્યું નથી. ‘સર્વોદય’ના – ‘Unto This Last’ના ગાંધી અહીં નથી ને એટલે જ, ૧૯૩૬માં પરિષદપ્રમુખ તરીકે, એમણે સાહિત્યકારોને જનતા માટે સાહિત્યસર્જન કરવા અપીલ કરેલી એ ખંડ પણ નથી. સ્વાતંત્ર્ય-આંદોલનમાં પણ સક્રિય એવા કળાકારો, સાહિત્યકારો, ચિંતકો, વિચારકો સાથેના ગાંધીજીના જીવંત સંપર્ક-સંવાદની કોઈ વાત અહીં નથી. એ તો ઠીક, પણ ૧૯૩૦માં, યરવડા જેલમાંથી, આશ્રમનાં વ્રતોનું રહસ્ય સમજાવતા પત્રો એમણે દર મંગળવારે લખેલા ને પછી એ મંગળ પ્રભાત નામે પ્રગટ થયા એની કોઈ વાત અહીં નથી. આવું તો ઘણું યાદ આવવાનું. ચારે તરફ પથરાયેલી રાજકીય-રાષ્ટ્રીય ઘટનાઓમાં, એ ક્રિયાશીલતામાં ગાંધીજી જેટલા કંડારાયા તેટલું જ. પરિણામે, ગાંધીજીના બહુપરિણામી વ્યક્તિ-ચરિત્રનો અહીં પૂરો સાક્ષાત્કાર મળતો નથી. મહાઘટના-લક્ષિતા જ સર્વોપરિ રહી ગઈ છે. શરૂઆતમાં મેં નિર્દેશ કર્યો છે એમ, ખૂબ જ જાણીતા ને નિકટના ભૂતકાળનું નવલકથા-આલેખન (પુનઃકથન નહીં) સર્જક સામેનો એક પડકાર હોય છે. નવલકથાના પહેલા ખંડના આરંભે, જાગૃત ગાડીતે કરેલો ઇતિહાસ સાહિત્ય ‘સત્ય’ નામનો લેખ, આ સંદર્ભે, બેત્રણ મહત્ત્વના જિજ્ઞાસાપ્રશ્નો મૂકી આપે છે : એમણે લખ્યું છે કે જ્યારે લેખકે (જયંત ગાડીતે) ગાંધી વિશે નવલકથા લખવાનો વિચાર રજૂ કર્યો ત્યારે ‘તે સામે મારા બે પ્રશ્નો રહેતા. એક તો એ કે જેમના વિશે ઝીણવટભર્યું લખાણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય તેવા વ્યક્તિ અને સમયગાળા વિશે ‘નવલકથા’ [fiction] કઈ રીતે શક્ય બને?’ અને ‘આ પ્રકારના નિરૂપણમાં, ચોક્કસપણે બની ગયેલી ઘટનાઓને અલગઅલગ સ્રોતોના ઝીણવટભર્યા અભ્યાસ પછી રજૂ કરવાની હોય તો તેમાં ‘સર્જનાત્મકતા’નો પ્રવેશ કેટલો શક્ય બને?’ આગળ જતાં તે લખે છે કે, ‘એક વાચકે આ કૃતિ પાસે કેવી રીતે આવવું? આ કૃતિ એક નવલકથા છે[ખરી], કે બને છે[ખરી]? કે એક ખાસ પ્રકારનું ‘સર્જનાત્મક ઇતિહાસલેખન’ છે?’ અનેક સ્રોતોમાં ઘૂંટાઈને નિઃરંધ્ર બનેલો ઇતિહાસ જ્યારે નવલકથાવિષય હોય ત્યારે આવા પ્રશ્નો સામે આવવાના, ને તે વખતે સાહિત્યના વાચકનું વિસ્મય એ હોય કે એક સાહિત્યસર્જક (‘સર્જનાત્મક ઇતિહાસ’-કાર નહીં) એ પડકારને કઈ રીતે ઝીલે છે? એટલે મારી દૃષ્ટિએ તો, ‘નવલકથા કઈ રીતે શક્ય બને?’ તથા ‘સર્જનાત્મકતાનો પ્રવેશ કેટલો શક્ય?’ એનો એક સ્પષ્ટ જવાબ એ હોય કે, જો સર્જક કથાનાયકના અંતરંગમાં ઊતરી શકે તો ‘નવલકથા’ અને ‘સર્જનાત્મકતા’ શક્ય બની જ શકે. પ્રતીતિકરતા સાચવી હોય (એ પણ સર્જકનું જ લક્ષણ) તો પાત્રના અંતરંગમાં ઊતરવામાં ઇતિહાસ વ્યવધાનરૂપ બનતો નથી. આ નવલકથામાં એ શક્યતા તાગવાની દિશામાં લેખક કેટલે સુધી જઈ શક્યા છે? ઐતિહાસિક વિગતોનો અને બાહ્ય સમયસંચલનોનો ભાર લેખકે એટલો બધો અનુભવ્યો છે કે એ ભાર છેવટે વાચકનેય ઉપાડવાનો આવ્યો છે – વાચક એ ખ્યાત ઇતિહાસના પ્રલંબ પથ પર મુકાઈ ગયો છે. વાચકેવાચકે આ ‘ઇતિહાસ’ની તો પૂર્વજાણકારી ઓછી વત્તી હોવાની, અને એથી ઇતિહાસ-રસની માત્રા ઓછીવત્તી થવાની. પરંતુ સર્જનાત્મક કૃતિનો રસ તો અખંડપણે એક વિશિષ્ટ અ-પરિચિતમાં, એવા વિસ્મયમાં, વિસ્તરવામાંથી જ પ્રાપ્ત થવાનો. એટલે અંતરંગનો જ એમાં મહિમા હોય. હા, ગાંધીનું અંતરંગ. આ નવલકથાને જે એક અત્યંત મહત્ત્વનું સર્જનાત્મક પરિમાણ આપી શકે એમ હતું તે અંતરંગ અગાઉ ઉલ્લેખેલાં કેટલાંક મંથનો, પશ્ચાત્તાપો, આંતરવેદનાઓમાં ઊઘડ્યું છે તેટલું જ. (અલબત્ત, એ કેટલાંક બતાવે છે કે લેખક એ દિશા વધુ ઉઘાડી શક્યા, સાક્ષાત્ કરાવી શક્યા હોત.) ગાંધીજીએ અંગત પરિવાર-જીવનની, સત્યો-અસત્યોની, હિંસા-અહિંસાની, વ્યક્તિસંબંધોની અનેકાનેક બાહ્ય સંઘર્ષ-પળોએ જે અનુભવ્યું હશે એ મનના ઊંડાણમાં, મનો-ગતમાં, બાહ્ય ઘટનાઓના એમણે આપેલા ચિતારની સમાન્તરે પણ લેખક જઈ શક્યા હોત, ને એ કલ્પનાપ્રવણ અભિવ્યક્તિને રસ્તે વાચકો પણે એમાં પ્રવેશી શક્યા હોત. જાત સાથેના – બે સેલ્ફ વચ્ચેના – આંતરસંવાદોની, અન્યો સાથેના કાલ્પનિક (પણ આધારકેન્દ્રી ને પ્રતીતિકર) સંવાદોની, ક્યારેક સ્વપ્નદૃશ્યોની – એમ કેટકેટલી કથાપ્રયુક્તિઓનો વિનિયોગ થઈ શક્યો હોત ને એમાંથી ઇતિહાસના જડ-કઠણ ખડકોની વચ્ચેથી પણ આંતરઝરણને કથા-પ્રવાહિત કરી શકાયું હોત. ઇતિહાસ સ્વયં ગમે તેટલો રોમાંચક હોય, ને ગાંધીજીનો (તેમ સ્વાતંત્ર્ય-આંદોલન સમયનો) ઇતિહાસ તો ઘણો રોમાંચક હતો જ, તેમ છતાં એનું સર્જનાત્મક પરિમાણ ખોલતો નવલકૃતિનો આનંદ તો એથી પણ ચડિયાતી રોમાંચકતાવાળો બન્યો હોત એમાં શંકા નથી. ગાંધીજીનો અહિંસા-વિચાર ઘણો ઊંડો ને સંકુલ હતો અને એને એમણે બ્રહ્મચર્ય સાથે જોડેલો એ પણ એક વિલક્ષણ પણ માર્મિક બાબત હતી – એનાં મર્મોનો તાગ કાઢવાની, એને ઉઘાડી આપવાની પણ લેખકને ઉત્તમ તક સાંપડેલી હતી. પિતાના મૃત્યુ સમયનો, કામસુખ સાથે જોડાયેલો ગાંધીજીનો અપરાધભાવ; અને એ પછી એમની દૃઢ થતી, અહિંસા-બ્રહ્મચર્ય અંગેની, પ્રતીતિઓ – છેક સુધી એમના મનમાં આંદોલિત થતાં રહ્યાં હશે. એનો સર્જનાત્મક આલેખ આપી શકાયો હોત. ગાંધીજીના સ્ત્રી-સંબંધો – બ્રહ્મચર્ય અંગેના એમનાં પ્રયોગો – લેખકની સર્જનાત્મકતાને અવકાશ આપી શકનાર એક બહુ મહત્ત્વની બાબત હતી. આ નવલકથામાં લેખક, એ ઇલાકામાં થોડુંક પ્રવેશીપ્રવેશીને જાણે અટકી ગયા છે. જુઓ : ‘વહેલી સવારે સરલાદેવીના ખંડમાંથી નીકળતા બંગાળી ભજનના સૂરો મોહનદાસને ભીંજવતા, ચિત્તને ભેદી ઊંડે સુધી ક્યાંક પ્રવેશી જતા.’ [૨ : ૮૭] ‘ભજન’ના આ ‘સૂર’ ‘ચિત્તને ભેદીને... પ્રવેશી જતા’ એ ભક્તિસંગીતનો પ્રભાવ ન હતો, પણ ગાંધીજીનો અનુભવ એ સૂરથી થતા સ્ત્રીખેંચાણનો હતો. નવલકથાનો સંદર્ભ પણ એ જ બતાવે છે. ગાંધીજી તરત પેલી એમની જાણીતી અપરાધવૃત્તિ અનુભવે છે : ‘સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે...’ [...] મોહનદાસ આંખો મીંચીને નરસિંહના પદનું વારેવારે રટણ કરતા... મોહનદાસે જોયું કે સરલાદેવી સાથેનો સહવાસ પોતાને ઉન્મત્ત બનાવે છે’ [૨ : ૮૭] આ, અને પછી પેલો પત્રોનો સંદર્ભ. એ બધું વર્ણવાતું રહે છે : ‘મોહનદાસ પણ જીવનના પચાસ વર્ષે થયેલા જાતીય આકર્ષણના પ્રચંડ ઝંઝાવાતમાંથી પસાર થયા. પોતાની બધી શક્તિથી બહાર આવ્યા. ‘હે ઇશ્વર, એ સ્ત્રીના રૂપમાં તેં મને ઠીક તાવ્યો.’ [૨ : ૮૯] પરંતુ એ તાવણીને – એ મંથન અને આત્મસંઘર્ષને – લેખકે વાચા આપી નથી. એ ‘પ્રચંડ ઝંઝાવાત’ એમના મનમાં કેવો જાગ્યો હશે એનું આલેખન કર્યું નથી. આ આખીય માર્મિક ઊંડાણવાળી ઘટના થોડાક નિર્દેશોમાં સમેટાઈ રહી છે – ગાંધીનું અંતરંગ આલેખવા માટે થોભવાને બદલે એક પછી એક બનતા પ્રસંગો – બાહ્ય ઘટનાઓ – તરફ લેખક વળી જાય છે. ગાંધીજીનું એક વ્યક્તિ તરીકેનું આંતરસંવેદન ને એક વિચારક તરીકેનું દર્શન –એમાંથી કશું મૂર્તતા કે સ્પર્શક્ષમતા ઉપસાવતું નથી. ચોવીસ વર્ષનાં યુવાન ડૉક્ટર સુશીલા નાયર સાથેનો પ્રસંગ બહુ લાક્ષણિક છે : ‘મોહનદાસ નિર્વસ્ત્ર ન્હાવા બેસતા ત્યારે સુશીલા એમના આખા શરીરને પથરો ઘસતી, ભીના રૂમાલથી રગડીરગડીને શરીર લૂછતી. મોહનદાસ આ આગ સાથે ખેલવાનું પસંદ કરતા. પોતાના મનને ક્યાં સુધી વિકારમુક્ત રાખી શકાય છે એની કસોટી કરતા.’ [૩ઃ ૨૧૨] પરંતુ, આ પછી, એમના મન પર ઝિલાતી એની અસરો અકથ – વણઆલેખાયેલી – રહી છે. વિકારમુક્ત રહેવાનો આંતરિક સંઘર્ષ અને એની સાથે જોડાયેલી એમની સંવેદના આ પ્રયોગનો સાક્ષાત્કાર આપી શક્યાં હોત. પણ તરત જ કેવળ વિગત આવે છે : ‘એક દિવસ રાત્રે એમને વીર્યસ્ખલન થઈ ગયું [...] મોહનદાસ ચોંકી ગયા. મારું મન નિર્વિકાર નથી.’ [એ જ, ૨૧૨] એમણે અખતરો બંધ કર્યો. એની સામે, સુશીલા નાયરનો જવાબ એક મહત્ત્વનો દૃષ્ટિકોણ રજૂ કરે છે : ‘બાપુ, એક ડૉક્ટર માટે સ્ત્રી કે પુરુષ બંને સરખાં જ છે. અમારા વિજ્ઞાનનું એ જીવિત છે. સ્ત્રી કે પુરુષના શરીરભાવ વગર માત્ર રોગને સ્પર્શ કરે તે સાચો ડૉક્ટર.’ [એ જ, ૨૧૨] તો, આની સામે ગાંધીજીનું કોઈ આંતરિક દર્શન કે દૃષ્ટિકોણ શક્ય નહોતાં? ‘મોહનદાસ મૌન થઈ ગયા.’ [એ જ, ૨૧૨] – એટલો જ પ્રતિભાવ અહીં મુકાયો છે પણ મૌન થઈ ગયા પછી એ કેવા આંતરિક મંથનમાં સરી પડ્યા હશે – એ સર્જકશોધ અહીં એક ખૂબ મજબૂત પરિમાણ રચી શકી હોત. ખેર. જે રૂપે છે તે રૂપે આ નવલકથાની ઉપયુક્તતા, અને અલબત્ત એનું પ્રદાન શું ગણાશે? આટલો સઘન બૃહત્ પટ કોઈ ઇતિહાસ રૂપે કે પછી ગાંધી-ચરિત્ર(બાયોગ્રાફી) રૂપે નહીં પણ નવલકથા રૂપે આલેખવાનું લેખકે સ્વીકાર્યું – નવલકથાકાર તરીકેની એમની લાંબી, ને પ્રશંસા પામેલી કારકિર્દી હતી. સર્જક તરીકેના એ અનુભવની સાથે એમણે ઉત્તર-જીવનના આ સંકલ્પને જોડ્યો ને જ્યાં જરૂર પડી (હશે) ત્યાં નવલકથાકાર તરીકેની મોકળાશનો કંઈક લાભ પણ લીધો. બહોળા સ્રોતસંદર્ભોમાંથી પસાર થઈને પોતાની આ નવલકથાને અધિકૃતતા આપવાની પ્રામાણિકતા દાખવી – એક સંકલ્પપૂર્વક તેમજ સમય તથા ગાંધીજી સાથેના તાદાત્મ્યપૂર્વક. સમયખંડને, એ રીતે, જીવતો કરવા તે મથ્યા એનું એક મૂલ્ય ગણાશે. એ બધું બરાબર, પણ નવલકથાના સર્જનાત્મક રૂપને વધુ ને વધુ ઉઘાડનારી, એને મોકળાશ આપનારી કથાપ્રયુક્તિઓેને તેમજ સર્જનાત્મક કૃતિના વિશેષને રચનારી કથાભાષાને પ્રાધાન્ય આપવાનું, આ વાસ્તવગ્રાહી લેખકથી, બહુ જ ઓછું થઈ શક્યું. લેખક, જાણે કે, પેલા રોમાંચક ઇતિહાસના ધોધ નીચે જ ઊભા રહ્યા. અપાર ધીરજથી ને નિસબતપૂર્વક આલેખેલી આ કથામાં, જે ગાંધીજી એમના ચિત્તના ઊંડાણમાં ઊતરી ગયા હતા એ ગાંધીજીના ચિત્તના ઊંડાણમાં નિઃશેષપણે ઊતરવાનું છોડીને લેખક મહદંશે તો સમયનો જ ઝીણો, લગભગ નિઃશેષ બનતો, થકવનારો આલેખ આપવા શા માટે ઢળતા ગયા હશે એ મારો એમની સામેનો મને મૂંઝવનારો પ્રશ્ન છે. સત્યોના સંઘર્ષો આલેખવાનું પસંદ કરીને એમણે આંદોલનને પોતાનો દૃષ્ટિકોણ આપવાનું કર્યું પણ એ દૃષ્ટિકોણ આખરે તો, વાસ્તવની ધરાતલ પર ઇતિહાસના જ કંઈક કથાગતિવાળા નિરૂપણ તરફ જતો ગયો! જોકે આપણા આ સમયમાં, ગાંધીજી પછીની ત્રીજી-ચોથી પેઢી સુધીના વાચકોનું ગાંધીજી તરફ ધ્યાન વળશે; નવલકથા રૂપે આવેલી એ સમયની આ ગાથામાંથી ધીરજ રાખીને પણ પસાર થનારને એક સતત વલોટવાટવાળા મહા-આંદોલનનો, એક વિરલ સમયખંડનો અનુભવ મળશે એ પ્રાપ્તિનું મૂલ્ય પણ ઓછું નથી. પરંતુ તેમ છતાં, – તે છતાંય, – નવલકથામાંથી ખસવાનું મન ન થાય એવી આસ્વાદ્યતાના ઊંડા, અંદરના સ્તરે લઈ જતી કૃતિ માટેની એક તરસ, દરેક વાચકને ઓછીવત્તી પણ રહી જવાની – એ વાત, આપણા આ એક મોટા સર્જકના સંદર્ભે, ઉદાસ પણ કરી જાય છે.

સંદર્ભનોંધો : ૧. સદ્ગત જયંતભાઈએ નવલકથાની ભૂમિકા રૂપે ને દરેક ખંડના વિષયસાર રૂપે ૭-૮ પાનાં લખેલાં. એ હસ્તલિખિત લખાણની નકલો કેટલાકને આપી/મોકલાવી હશે એમ એક મને પણ આપેલી. (ત્યાં સુધી આ નવલકથા પ્રકાશનાર્થે પણ નહોતી ગઈ). આ પાનાંમાંથી કેટલાક પૅરેગ્રાફ શ્રી મંજુલા ગાડીતના, પહેલા ભાગને આરંભે મુકાયેલા નિવેદનમાં, ‘લેખકના પોતાના જ શબ્દોમાં જોઈએ’ એવી નોંધ સાથે મુકાયા છે. બીજા-ત્રીજા-ચોથા ખંડનાં આરંભિક પાનાંમાં ‘સમયની રેતમાં કાળની કથા સાથે...’ એવા શીર્ષકથી મૂકેલાં લખાણોમાં જયંતભાઈના પેલા હસ્તલિખિત લખાણમાંના જ પ્રસ્તુત અંશો (પૂરેપૂરા) મુકાયા છે પણ એ લખાણો હેઠળ લેખકનું નામ નથી! વળી એમાં, ‘જયંતભાઈએ દર્શાવ્યું છે કે...’ પ્રકારના નિર્દેશો પણ પ્રવેશ્યા છે, એથી વાચકને મૂંઝવણ થવાની કે તો શું આ લખાણ લેખકનું જ નથી? તો આ કોનું લખાણ છે? પ્રકાશકે કે પરિવારજનોએ ત્યાં નામ-નિર્દેશ કે સ્પષ્ટતા કરવાં જોઈતાં હતાં. ૨. આ સમીક્ષામાં, નવલકથામાંથી લીધેલા ઉદ્ધરણઅંશો મેં બધે જ માન્ય જોડણીમાં ફેરવીને લીધા છે. જયંત ગાડીતે એક ‘ઉ-ઈ’વાળી ઊંઝા જોડણીમાં આ નવલકથા લખી છે. એ જોડણીમાં લખેલું લખાણ કોઈને વાંચવે અગવડભર્યું લાગી શકે. વળી એમણે હ્રસ્વ ‘ઇ’, દીર્ઘ ‘ઊ’ ઉપરાંત મૂર્ધન્ય ‘ષ’ અને જોડાક્ષરવાળા ‘દ્’નો પણ પરિહાર કરેલો છે, એથી ‘ઘોશ, વીશ્ણુ, રાશ્ટ્રીય, સીધ્ધાંત, બધ્ધ’ એવી જોડણી વાંચવાવારો આવે છે, એથી આ સમીક્ષાલેખના વાચનમાં પણ જોડણીનાં આવાં બે સ્તરો વાચન-વ્યવધાન કરી શકે – એ કારણે, મૂળ સાથે એટલીક છૂટ, સદ્ગત લેખકની ક્ષમાયાચનાપૂર્વક, લીધી છે. ૩. આ દરમ્યાન એમણે એક નવલકથા એક અસ્વપ્ન સુખી જીવન (૨૦૦૪) આપેલી ને આપદ્ધર્મથી બેચાર વિવેચનલેખો કરેલા એ જ. ૪. ચોથા ખંડને અંતે મૂકેલી ગુજરાતી, અંગ્રેજી, હિંદી સંદર્ભગ્રંથોની બૃહત્ સૂચિ એ બતાવી આપે છે. ૫. ચોથા ખંડનાં છેલ્લાં ત્રણેક પાનાં (૨૫૭-૫૯) એમણે બોલીને ઉતરાવેલાં જણાય છે. એમાં વાક્યો સળંગ છે પણ વિગતો કંઈક તૂટક અને પૂરા સ્પષ્ટ ન બનતા અર્થો અને સમયસંદર્ભો વાળી છે. ચી. ના. પટેલે ગુજરાતી વિશ્વકોશના ૬ઠ્ઠા ભાગ (અમદાવાદ, ૧૯૯૪)માં ગાંધી વિશે, સ્પષ્ટ વિગત/વર્ષના નિર્દેશો સાથેનું અધિકૃત અધિકરણ લખ્યું છે એને સામે રાખીને, મેં સત્ય નવલકથાનાં આ છેલ્લાં પાનાંની વિગતોના અર્થસંદર્ભો મેળવી લેવાનું કર્યું છે. (ચી. ના. પટેલનાં અવતરણો ને પૃષ્ઠનિર્દેશો ગોળ કૌંસમાં મૂક્યાં છે.). જુઓ :

      (૧) ભાગલાનો અસ્વીકાર કરતો ગાંધીજીનો ઠરાવ કૉંગ્રેસ કારોબારીએ સર્વાનુમતે ઉડાવી દીધો. ‘આ એમની મોટી નિરાશા હતી. એમણે તરત બિહારનો રસ્તો પકડ્યો [૪ : ૨૫૮] ફરી ‘કૉંગ્રેસ કારોબારીએ [કટોકટીની સ્થિતિમાં] ગાંધીજીને દિલ્હી બોલાવ્યા... ન છૂટકે, મરજી વિરુદ્ધ, કારોબારીમાં એ [ભાગલાના]  ઠરાવ પર એમણે સહી કરી [૪ : ૨૫૯] (‘૧૯૪૭ની ૮મી મેએ ગાંધીજી પાછા કલકત્તા ગયા. ’ – વિશ્વકોશ-૬ : ૨૬૦)
      (૨) ‘દિલ્હીમાં ઢોલનગારાં વાગવા માંડ્યાં’ [૪ : ૨૫૯] આ નિર્દેશ સ્વાતંત્ર્ય દિન અંગે હશે? જુઓ : (‘જ્યારે આખો દેશ સ્વતંત્રતાનો ઉત્સવ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજીએ ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ કરીને ઊજવ્યો.’ – વિશ્વકોશ-૬ : ૨૬૧)
    ‘એ વખતે મોહનદાસ કલકત્તામાં કોમી રમખાણો અટકાવવા આમરણાંત ઉપવાસ પર ઊતર્યા’ [૪ : ૨૫૯] સરખાવો : (‘ઑગસ્ટની ૩૧મી [૧૯૪૭]એ ઉશ્કેરાયેલા હિંદુ યુવાનોનું ટોળું હૈદરી મેન્શન પર ધસી આવ્યું. તે પછી સપ્ટેમ્બરની પહેલીએ પણ હિંદુ યુવાનોએ તોફાન કર્યું એથી તે જ દિવસે સાંજે ગાંધીજીએ કલક્તામાં અનિશ્ચિત મુદ્દતનો ઉપવાસ શરૂ કર્યો.’ – વિશ્વકોશ-૬ : ૨૬૧)

(૩) ‘ત્યાંનાં [કલકત્તાનાં] રમખાણો શમાવ્યાં. દિલ્હીમાં સતત રમખાણો થયાં. ત્યાં આવીને ૨૦ દિવસના ઉપવાસ કર્યા. [૪ : ૨૫૯] સરખાવો : (‘ગાંધીજી સમજી ગયા કે દિલ્હીમાં પાછી શાંતિ ન સ્થપાય ત્યાં સુધી પોતે પંજાબ જવાનો વિચાર ન જ કરવો જોઈએ.’ (વિશ્વકોશ-૬ : ૨૬૨) પછી એ ત્યાં જ રહ્યા અને ‘દિલ્હીમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે સંપૂર્ણ શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો નિર્ણય જાહેર કર્યો અને (૧૯૪૭) જાન્યુઆરીની ૧૩મીથી એમણે ઉપવાસ શરૂ કર્યા’ : વિશ્વકોશ-૬ : ૨૬૩)

    (૪) ઉપરના સંદર્ભ ૫(૩)માં આવતા વાક્ય પછી તરત જ આવે છે : ‘મોહનદાસ આખરે દાવાનળમાં હોમાઈ ગયા’ [૪ : ૨૫૯] ને પછી તરત પેલો ઉદ્ગાર : ‘ભલે હું નિષ્ફળ ગયો પણ [...] હું મોહનદાસ કરમચંદ ગાંધી ભારતની ધરતી પર પાછો આવીશ.’) એમાં ગાંધીજીના અવસાનનો સંકેત હોઈ શકે. – લેખકના મનમાં ગાંધીજીના અવસાન સુધી નવલકથા લઈ જવાનો નિર્ધાર હતો. એ અજ્ઞાતચિત્તનો નિર્ધાર આ રીતે, તૂટક રીતે, વ્યક્ત થયો હોય એમ મને લાગે છે. (અલબત્ત, ‘દાવાનળમાં હોમાઈ ગયા’ એ વાક્યને રૂપકાત્મક અભિવ્યક્તિ ગણવી કે કેમ એ પણ કોઈ વિચારી શકે.)

૬. નવલકથાનું સંકલનસૂત્ર બરાબર સમયના ક્રમે ચાલે છે. ખંડ :૧ ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના ઘટનાક્રમો સુધી; ખંડ : ૨ ૧૯૧૯થી ૧૯૩૦ સુધી; ખંડ : ૩ ૧૯૩૨-૧૯૩૯ સુધી ને ખંડ : ૪ ૧૯૩૯ થી ૧૯૪૮ સુધી. પ્રકરણો ને પેટાપ્રકરણો એ જ સૂત્ર-અનુસાર ચાલે છે. પરંતુ ખંડ : ૨નાં પહેલાં ૩ પેટાપ્રકરણો ૧૯૨૨ના માર્ચની ૧૦મી સુધી ચાલે છે; પેટાપ્રકરણ ૪ એપ્રિલ ૧૯૨૯થી ૨૩ માર્ચ ૧૯૩૧ [ભગતસિંહ વગેરેને ફાંસી સુધી] ચાલે છે ને વળી પેટાપ્રકરણ ૫ માર્ચ ૧૯૨૪થી શરૂ થાય છે – એટલે કે પેટાપ્રકરણ ૩ના અંત સાથેના અનુસંધાન સાધે છે. આમ ભગતસિંહની કથા, સળંગ સમયસૂત્ર તોડીને વચ્ચે મુકાઈ છે.

     એવું જ સુભાષના મહાપ્રયાણને આલેખતું, ખંડ : ૪નું પ્રકરણ પણ સળંગ સમયસૂત્રને તોડીને વચ્ચે મુકાયું છે. ત્યાં તો પ્રકરણો સાથે જ વર્ષનિર્દેશો છે : પ્રકરણ ૧ (૧૯૩૯-૪૦), ૨ (૧૯૪૦-૪૧), ૩ (૧૯૪૨), ૪ [સુભાષકથા] (૧૯૪૦-૪૫), ૫ (૧૯૪૨-૪૪), ૬ (૧૯૪૪-૪૫), ૭ (૧૯૪૬...) અલબત્ત, સુભાષ-પ્રકરણ, આટલું વિગતે, મૂકવા માટે લેખક સામે કોઈ બીજો વિકલ્પ હતો? તેમ છતાં, સળંગ કથાપ્રવાહમાં આ પ્રકરણ જે રીતે પથરાઈ ગયું છે તે સંકલનાનો પ્રશ્ન ઊભો તો કરેે છે.

● ‘પરબ’, જુલાઈ ૨૦૧૦