ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા

From Ekatra Wiki
Revision as of 04:46, 26 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Replaced content with "{{SetTitle}} {{Heading|{{color|red|શરતના ઘોડા}}<br>{{color|blue|યશવંત પંડ્યા}}}} <center>'''૧'''</center> (નીલકંઠ...")
Jump to navigation Jump to search
શરતના ઘોડા
યશવંત પંડ્યા


(નીલકંઠરાયના વડીલો એટલે એક એકને ટપ્પે મારે એવા અઠંગ મુસ્તદ્દીઓ. એમના દદાના દાદાએ એક પૈસેટકે ભર્યાભંડાર જેવા રજવાડામાં પૂરાં પચીસ વર્ષ લાગલગાટ દીવાનગીરી ભોગેલી. એમના વેલામાંથી ઝાઝા ભાગે કડવાં ફળો ઊતર્યાં હતાં. એમાં નીલકંઠરાયના દાદા અપવાદરૂપ હતા. એમની મીઠાબોલી જીભ હરેકને મહાત કરતી. ક્યારે અને શા કારણથી – એની કોઈને ખબર નહોતી; પણ રાજા જોડે તેઓ એક વાર શિકારે ગયેલા તે પાછા ફરતાં બે ગામડાંનો ભોગવટો લેતા આવેલા. નીલકંઠરાયનો વ્યક્તિગત વિચાર કરીએ તો એમની કોડીની કિંમત નહોતી. પરંતપ વારસામાં મળેલી રકમ અને આબરૂને અંગે એ પહોળી છાતીએ ફરતા હતા. નીલકંઠરાયને, જેવા સૌને હોય છે એવા ખુશામતિયાનો એક ઉમદા નમૂનો ચન્દન હતો. દિવસના ચાર કપ ચા અને આઠ પાનની ખાતર એ જોઈએ તેટલી ભાટાઈ કરી શકતો.)

નીલકંઠરાયઃ (પાનને ચૂનો ચોપડતાં) પણ ચન્દુ, પેલા ભોપાને તેં કાગળ તો લખ્યો છે ને?