ગુજરાતી ગઝલસંપદા/ ગૌરાંગ ઠાકર

From Ekatra Wiki
Revision as of 15:15, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ગૌરાંગ ઠાકર |}} <poem> જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે, મારામાં શું થયા પછી માણસ થવાય છે?<br> તાળી દીધા કરો આ હથેળી ભરાય છે, હાથોમાં મારા આપની રેખા લખાય છે.<br> સૂરજ આ સાંજનો મને એવું કહીને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગૌરાંગ ઠાકર

જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે,
મારામાં શું થયા પછી માણસ થવાય છે?

તાળી દીધા કરો આ હથેળી ભરાય છે,
હાથોમાં મારા આપની રેખા લખાય છે.

સૂરજ આ સાંજનો મને એવું કહીને જાય.
ઊંચાઈ પર તો ક્યાં અહીં કાયમ જીવાય છે!

એવું નથી કે જીવવા ખૂબ જ જોઈએ,
વંટોળથીય શ્વાસ તો સચવાઈ જાય છે.

તડકો ગયો ને છાંયડો નક્કામો થઈ ગયો,
એવી સરળ રીતે અહીં માણસ ભુલાય છે.

એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો,
બસ, ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે.