ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાઘવદાસ-૧ રાઘોદાસ


રાઘવદાસ-૧/રાઘોદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સામદાસના શિષ્ય. પ્રીતમના પુરોગામી. સંભવત: જ્ઞાતિએ લોહાણા. ‘અધ્યાત્મ રામાયણ’ (ર.ઈ.૧૭૨૨) અને ‘ભગવદ-ગીતા’ (ર.ઈ.૧૭૨૯)ના કર્તા. ગુજરાતીમાં પ્રથમ વખત ‘અધ્યાત્મ-રામાયણ’ની રચના તેમણે કરી એ દૃષ્ટિએ તેમની કૃતિ વિશિષ્ટ છે. આમ તો મુખ્યત્વે મૂળ કૃતિને સંક્ષેપમાં મૂકવાનું કવિનું વલણ દેખાય છે, પરંતુ રાવણના મૃત્યુ પછી તેની રાણીઓનાં વિલાપમાં રુદનગીત મૂકી કરુણને ઘેરો બનાવવામાં કે રામરાજ્યવર્ણનમાં કવિની મૌલિકતા દેખાય છે. તેમના પુત્ર હરિદાસે તેમની કૃતિઓ વ્યવસ્થિત કરી હતી અને તેથી પ્રતોમાં રચયિતા તરીકે એમનું નામ મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાત્રૈમાસિક, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાસ અને તત્સુત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]