ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કરુણહાસ્ય નાટક


કરુણહાસ્ય નાટક (Tragi-comedy) : સુખાન્તિકા અને કરુણાન્તિકાનાં તત્ત્વોનાં સમન્વયથી રચાયેલું નાટક. સામાન્ય રીતે આ પ્રકારનાં નાટકોમાં દુઃખદ અંત તરફ ચાલતી ક્રિયાને ઘટનાના વળાંક દ્વારા સુખદ અંતની દિશામાં લઈ જવામાં આવે છે. ‘મર્ચન્ટ ઓવ વેનિસ’ શેક્સપિયરનું આ પ્રકારનું નાટક છે. આ વિભાવનાનાં મૂળ છેક યુરિપિડિસના સમયથી નખાયેલાં છે. પ્રેક્ષકો દ્વારા ખલનાયકને શિક્ષા અને નાયકને ન્યાય આપવાની રખાતી અપેક્ષાએ ઘણા નાટ્યકારોને બે અંત (Double Ending)ની પ્રવિધિ અપનાવવા પ્રેર્યા હતા. યુરોપમાં એલિઝાબેથન અને જેકોબિયન સમયમાં જીવનને કરુણહાસ્ય (Tragi-Comedy) તરીકે ઓળખાવતા દર્શનનો પ્રભાવ જેમ ત્યારના નાટક ઉપર તેમ એબ્સર્ડ નાટકની વિભાવના ઉપર પણ પડ્યો. આમ કરુણહાસ્યની આ વિભાવનાનો ઘોર નાટ્ય, અસંબદ્ધ નાટ્ય વગેરે સાથે પણ સંબંધ છે. પ.ના.