ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યપરક અર્ધાંગપક્ષાઘાત


કાવ્યપરક અર્ધાંગપક્ષાઘાત (Poetic hemiplegia) : આજના અનુવાદયુગમાં વિશ્વસાહિત્યની વચ્ચે વિવિધ સાહિત્યોની અભિજ્ઞતા અને વિવિધ તુલનાત્મક પરિમાણોનો ખ્યાલ મહત્ત્વનાં બન્યાં છે. પૂર્વ અને પશ્ચિમ બંને છેડાને એકસાથે સંવેદનમાં લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. આવે વખતે જો ફ્રેન્ચ કવિ રે’બોને જાણીએ ને વેદોને ન જાણીએ કે વેદોને જાણીએ અને રે’બોને ન જાણીએ તો એ કાવ્યપરક અર્ધાંગપક્ષાઘાત છે એમ કહેવાય. ચં.ટો.