ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિભાષા


પરિભાષા (Techincal Term) : શાસ્ત્રો કે વિજ્ઞાનોના વિકાસ સાથે નવી શોધ, નવી રસપ્રદ હકીકતો બહાર આવતાં એ નવી પરિભાષા અથવા જૂની પરિભાષાનો અર્થ વિસ્તાર માગે છે. પ્રત્યાયનની શીઘ્રતા અને સરલતા તેમજ વિષયની સમજના સર્વસમંત એક સર્વમાન્ય સ્તર માટે આવી પરિભાષા અનિવાર્ય છે. વિષયના સિદ્ધાન્તીકરણ, વિશ્લેષણ અને સમજૂતીમાં પૂરતી સ્પષ્ટતા અને પર્યાપ્ત ચોકસાઈ માટે આવી પરિભાષા ઓજાર તરીકે કાર્ય કરે છે. ક્યારેક ઉપરછલ્લી લાગતી કે દુર્ભાષા (Jangon) બનતી કે ડોળઘાલુ બનતી પરિભાષા વિષયને વધુ દુર્બોધ કરે છે; પણ એકંદરે વિચારોની મૌલિકતાને પુરસ્કારવામાં એ અગત્યનું ઉપકરણ છે. સાહિત્યક્ષેત્રે પણ સાહિત્યની સમજ માટે વિવેચનક્ષેત્રે આવી પરિભાષાઓ અનેક છે. ચં.ટો.