ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુનર્લેખન


પુનર્લેખન(Revision) : હાથ પરના લખાણને સંમાર્જિત કરવા માટે ફરી ફરીને જોવા-તપાસવાની પ્રક્રિયાનો અહીં નિર્દેશ છે. આ પ્રક્રિયા મૂળભૂત બે પ્રકારની છે. લોપનપ્રક્રિયા (Subtraction proccess) અને વર્ધનપ્રક્રિયા Additive process). લોપનપ્રક્રિયામાં વસ્તુસામગ્રીનો સંક્ષેપ, એનો પરિહાર કે એની પરિષ્કૃતિ અપેક્ષિત છે; જ્યારે વર્ધનપ્રક્રિયામાં લખી ચુકાયું છે એમાં વધુ નવી સામગ્રી ઉમેરવામાં આવે છે. અથવા લખી ચુકાયું છે એનું વિસ્તરણ કરવામાં આવે છે. પુનર્લેખનની પ્રક્રિયા લેખકને એની સર્જનાત્મક અને વિવેચનાત્મક શક્તિઓ સાથે સાંકળે છે અને એ દ્વારા એ પોતાની કૃતિથી એક અંતર કેળવી કૃતિના પ્રભાવ અંગેનો વિવેક કરી શકે છે. લેખકો જુદી જુદી રીતે વારંવાર પુનર્લેખન કરતા હોય છે. ક્યારેક એકના એક કાવ્યનો ૪૦ વાર મુસદ્દો તૈયાર કરાયો હોય એવું પણ નોંધાયું છે. ચં.ટો.