ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુરાકથા વિવેચન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુરાકથા વિવેચન (Myth Criticism) : સાહિત્યકૃતિની રૂપરચના એક પ્રકારે પુરાકથા-રચના જ છે એવો મત ધરાવતો અભિગમ. સાહિત્યનો પુરાકથા સાથે સહજાત સંબંધ છે અને પુરાકથા રચના એ માનવ-ચેતનાની એક સાહજિક વૃત્તિ છે એ પુરાકથા-વિવેચનનો કેન્દ્રવર્તી ખ્યાલ છે. પુરાકથા-વિવેચનનું પદ્ધતિશાસ્ત્ર રૂપાત્મક છે, જેનાં મૂળ નવ્ય વિવેચનમાં છે, જ્યારે એની પ્રકૃતિ અર્થઘટનાત્મક છે. પુરાકથા-વિવેચન મૂલ્યાંકન નહીં પણ કૃતિના અર્થઘટન-વિશ્લેષણ પર ભાર મૂકે છે. ભાષાવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા વિષયોમાં થયેલી ક્રાન્તિના પરિણામે પુરાકથા-વિવેચનનો વિશેષ વિકાસ થયો છે. લૅવિ સ્ત્રાઉસ, સુઝાન લૅન્ગર, રિચર્ડ ચેય્સ, નૉર્થ્રપ ફ્રાઇ, મૉડ બૉડકિન વગેરે આ અભિગમના પુરસ્કર્તાઓ છે. હ.ત્રિ.