ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોજીવનકથા


મનોગત એકોક્તિ/આત્મસંભાષણ (Interior Monologue) : પાત્રના ચિત્તમાં સતત ચાલતું સંભાષણ. કથાનિરૂપણની આ એક વિશિષ્ટ પદ્ધતિ છે, જે અનુસાર પાત્રના ચિત્તમાં પસાર થતા વિચારો, તેની લાગણીઓ વગેરેનાં ચિત્રણ દ્વારા કથા સિદ્ધ કરવામાં આવે છે. ફ્રેન્ચ નવલકથાકાર ડ્યૂઆર્ડિન દ્વારા આ પદ્ધતિ ૧૮૮૮માં પહેલીવાર અખત્યાર થઈ. જેમ્ઝ જોય્સ દ્વારા ‘યુલિસિઝ’ નવલકથામાં તેનો સફળ વિનિયોગ થયો છે. ‘યુલિસિઝ’ નવલકથાના અંતે લગભગ ચાલીસ પૃષ્ઠ લાંબી મનોગત એકોક્તિ કૃતિના એક પાત્ર મૉલિ બ્લૂમ દ્વારા રજૂ થાય છે. આ સમગ્ર એકોક્તિમાં એક પણ વિરામચિહ્ન નથી. આ પ્રકારની એક યા વધુ એકોક્તિ દ્વારા નવલકથા રચવાની પ્રવિધિ ચેતનાપ્રવાહ (Stream of consciousness) તરીકે ઓળખાય છે. નાટ્યાત્મક એકોક્તિ(Dramatic Monologue) અને મનોગત એકોક્તિ વચ્ચે તફાવત છે. પહેલો પ્રકાર તે કલ્પિત પાત્ર દ્વારા કલ્પિત શ્રોતા (audience)ને કરાયેલું સંભાષણ છે. જ્યારે મનોગત એકોક્તિ એ સંબોધનરીતિનો છેદ ઉડાડતો એકોક્તિ-પ્રકાર છે. પ.ના.