ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/લિરિક – બલવંતરાય ઠાકોર, 1869: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
|}
|}
{{dhr|2em}}
{{dhr|2em}}
{{સ-મ|'''{{larger|લિરિક}}'''}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|લિરિક}}'''}}}}
{{dhr|1em}}
{{dhr|1em}}



Revision as of 16:27, 16 March 2023


7 BALVANTRAI.jpg
બલવંતરાય ઠાકોર
(૨૩.૧૦.૧૮૬૯ – ૨.૧.૧૯૫૨)
લિરિક
 

કવિતામાંના જાતિવિશેષોને માટે નામ પાડવામાં અને દરેક જાતિ માટે વ્યાખ્યા બાંધવામાં મોટી મુશ્કેલી આ નડે છે કે એવી દરેક જાતિનો માનવ સાહિત્યમાં ઉદય થયો ત્યારથી આજ સુધીના ઐતિહાસિક કાલમાં તેનો વિકાસ થતો આવેલો છે, અને આ વિકાસ દરમિયાન એક સમયે અને એક પ્રજામાં જે લક્ષણ પ્રધાન ગણાયાં હોય છે, તે આખા ઇતિહાસમાં કે બધી પ્રજાઓમાં એક સરખાં પ્રધાન રહેલાં હોતાં નથી, ત્યારે નામ વિશે તો આપણે રૂઢિપાલક અને સ્થિતિરક્ષક રહ્યા છીએ, એટલે આદિકાલમાં પડી ગયેલા નામને જ લગભગ દરેક જાતિના આખા ઇતિહાસવિકાસમાં વળગી રહ્યા છીએ. પ્રાચીન ગ્રીક પ્રજામાં જ્યારે અમુક જાતિનાં કાવ્યોને માટે લિરિક નામ રૂઢ થયું, ત્યારે એ કાવ્યો સંગીતકાવ્યો હતાં, ‘લાયર’ (lyre) નામે (વીણા જેવાં) તંતુવાદ્યના વાદન સાથે ગવાતાં હતાં, અને એવા ગાનને માટે રચાતાં હતાં, એટલું જ નહીં પણ પદ્યરચના, વિષય, અને શૈલીમાં તેમ ઉપયોગ અને પ્રસંગમાં અમુક વિશિષ્ટતાઓ હોય એવાં કાવ્યો વા ગીતોને જ લિરિક ગણવામાં આવતાં હતાં; લાયર સાથે ગવાતાં કે ગાઈ શકાય એવાં બધાં ગીતો કે કાવ્યોને એ નામ અપાતું નહોતું. લાયર શબ્દ ઉપરથી ઊપજેલા લિરિક શબ્દમાં જોે કે લાયર-લગ્ન ગેયતા એ એક ગુણનો જ નિર્દેશ હતો, તે પણ પ્રાચીન ગ્રીક ભાષામાં એ શબ્દનો પ્રયોગ ઉપર ટૂંકામાં જણાવેલી બીજી વિશિષ્ટતાઓમાંની પણ ઘણીખરી જેમાં હોય એવી કવિતાઓ માટે થતો હતો. પછી પ્રજાઓના અન્યોન્ય સંસર્ગ વધતાં કવિતાકલાના ભોગી આગળ એકથી વધારે ભાષાના એકથી વધારે યુગના એકથી વધારે પ્રજાના વાઙ્મયસમૂહો આવતા ગયા, ત્યારે પરિભાષામાં અને શાસ્ત્રીય શુદ્ધિમાં સૌથી વધારે ખેડાયલી પ્રાચીન ગ્રીક ભાષાનાં (લિરિક, એપિક, ઓડ, બ્યુકૉલિક, આઇડિલ, એપિગ્રામ, ટ્રૅજેડી, મોના વગેરે) આ બીજા કવિતાસમૂહોમાંની પણ એ દરેકને મળતી જાતિઓને અપાતાં ગયાં, જો કે એ ગ્રીક નામોનો આ પ્રમાણે ક્ષેત્રવિસ્તાર લક્ષણતાદાત્મ્યથી નહીં પણ લક્ષણસામ્યથી જ કરવામાં આવ્યો. અને ક્ષેત્ર (denotation ડીનોટેશન) આમ વધતું ગયું, તેમ તેમ મૂલ શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા બાંધવાનું કામ વધુ ને વધુ અઘરું થતું ગયું. લાયર કે કોઈ પણ વાદ્ય સાથે ગવાય એવો નિયમ નહીં; ગેય એમ પણ નહીં; પદ્યરચના, પ્રસંગ અને ઉપયોગ અને ભાષાશૈલીમાં પશુ પ્રજા અને ભાષા અને યુગયુગ પ્રમાણે દરેક સ્વતંત્ર કાવ્યસમૂહના પોતાના ઇતિહાસવિકાસ પ્રમાણે-વિવિધતાઓ; અને તોપણ પ્રાચીન ગ્રીક લિરિકના જેવું લિરિક ગણાય, અને એ નામે ઓળખાય; ઇતિહાસ પ્રવાહથી વસ્તુસ્થિતિ આ પ્રકારની થઈ જતાં, મૂલ દાખલાઓ સાથે મુખ્ય સામ્ય વિષયમાં અને તે નિરૂપવાની પદ્ધતિ એટલે કવિના દૃષ્ટિબિંદુમાં જ રહ્યાં. લિરિક જાતિના કાવ્યસમૂહના ઐતિહાસિક દર્શનમાં એ જાતિવિશેષના પ્રધાન લક્ષણ વા જાતિઘટક આત્મા તરીકે આ બે જ વિશિષ્ટતાઓ-વિષય અને કર્તાનું દૃષ્ટિબિંદુ-સર્વસામાન્ય રહી. વળી લિરિકમાં અમુક વિષયો જોઈએ, અમુક પ્રકારના વિષય હોય તો જ કાવ્ય લિરિક ગણાય, એ ધર્મ મુકાબલે સ્થૂલ, એટલે ક્રમે ક્રમે વિશેષ ભાર કર્તાનું દૃષ્ટિબિન્દુ એ સૂક્ષ્મ ધર્મ ઉપર આવતો ગયો. અને તોપણ, ધર્મ જેમ સૂક્ષ્મ તેમ તેની અમુક દાખલામાં પ્રધાનતા વિશે મતભેદને અવકાશ વધારે, એટલે વિષયવિશિષ્ટતાનો ધર્મ, સ્થૂલતાને લીધે જ વધારે અસંદિગ્ધ હોવાથી, અથચ લિરિક તરીકે સ્વીકારાઈ ગયેલી શિષ્ટ અને જૂની અને પ્રસિદ્ધ કૃતિઓમાંથી કેટલીકમાં પછીના કાલને મુખ્ય વિશિષ્ટતા કાવ્યવિષયની જ લાગે છે એવા ઐતિહાસિક કારણથી, એ બીજો ધર્મ પણ લિરિક કાવ્યજાતિવિશેષના આપણા વ્યાપક સમીક્ષણમાં ગૌણ ગણી શકાય એવો નથી. બીજી એક મુશ્કેલી પણ ધ્યાનમાં લેવાની છે. વિચારને મુકાબલે ભાષા સ્થૂલ છે, રંક છે, અસ્ફુટ છે. બે એકમેકથી જુદા પદાર્થને માટે ભાષામાં ઘણીવાર એક જ શબ્દ હોય છે, એક જ શબ્દ શક્ય છે. અને વિશાલ અર્થને માટે તે શબ્દને સામાન્ય શબ્દ તરીકે તો સંકુચિત અર્થને માટે તે જ શબ્દ પારિભાષિક શબ્દ ગણીને, નામને એક અર્થમાં તો નામ ઉપરથી જ ઘડેલાં વિશેષણ કે ક્રિયાપદને બીજા અર્થમાં વાપરીને, અથવા એવી કોઈ બીજી યુક્તિ વડે, ભાષાઓ પોતાનીગરીબાઈ જેમતેમ ઢાંકે છે અને વ્યવહાર રેડવે છે. (ઉપર નામ પાડવાની બાબતમાં માણસજાતની સ્થિતિરક્ષકતા વિશે ઇશારો આવી ગયો છે, તેનું એક મૂલ આ ભાષાદારિદ્ર છે.) એક જ શબ્દ અનેક અર્થમાં કેવી રીતે વપરાય છે તેનો એક ભારે દાખલો વિચારો:

(વસંતતિલકા)

હે ભૂપ, હું તુજ અસંખ્ય ગુલામમાંની
છૂં એક, છૂં જ અબલા, મતિભાગ્યહીણી:
હૂં તો અશક્ત, પણ છે સુર તો શસક્ત,
સર્વોપરિ સુરપતિ વળિ સર્વશક્ત,
તે ધર્મ, દંડધર, જેથી ધ્રુજે સુરો યે,
1અન્યાય-ન્યાયપરિચ્છેદ રચી રહ્યો જે.
O king, I am but one amid thy throng
Of servants; I an weak; bnt God is strong,
God, and that king that standeth over God,
LAW: Who makes Gods and unmakes; by whose rod
We live, dividing th’ Unjust from the Just:1

પ્રાચીન ગ્રીસના નામાંકિત નાટકકાર યુરીપિડીસની આ વિચારમાલા તપાસો. રાજાથી મોટા દેવ; દેવોમાં મોટામાં મોટો દેવાધિદેવ ધર્મ, જેના દંડથી દેવો પણ ધ્રૂજે, જેનો દંડ દેવોને ય તે ઊંચે ચડાવે કે ઢોળી પાડે, જેના વડે જ ન્યાય-અન્યાયનો આખોે પરિચ્છેદ; જે પરિચ્છેદ વડે તો મનુષ્યોનો, દેવોનો, અને આખા વિશ્વનો વ્યવહાર ચાલ્યો છે, ચાલે છે, ચાલી શકે... ધર્મ, ન્યાયાન્યાય, અને આચારદુરાચારની આ ભાવના ઊંચામાં ઊંચી, સર્વવ્યાપક, અને મૌલિક. પરન્તુ એ ને એ શબ્દો પાછા એથી નીચા અને સંકુચિત અને એક જ દેશકાલ રાષ્ટ્ર અને માનવસંઘની મર્યાદામાં જકડાયલા અર્થને માટે પણ વાપરવા પડે છે, અને વપરાય છે. એક ધર્મ દેવોથી પણ મોટા, દેવાનેય દંડનાર; પણ દેવોનો અંશ ઊતરે રાજામાં; તે રાજા વડે જે કાયદા, ધર્મ, ન્યાયાન્યાય, નીતિઅનીતિનાં સ્થાપન અને પાલન, – જે સ્થાપનપાલન વડે તો સંસાર ચાલે અને મનુષ્ય મનુષત્વ ખીલવી શકે અને દેવત્વ પ્રાપ્ત કરી શકે, તે બીજા સંકુચિત મનુષ્યપ્રણીત પદાર્થને માટે પણ એ જ ‘ધર્મ’, ‘ન્યાય’, ‘અન્યાય,’ ‘નીતિ’, ‘અનીતિ, શબ્દો, તથા દરેકમાંથી ઉપજાવાતાં શબ્દકુલો આપણે વાપરીએ છીએ. આપણી સ્મૃતિઓ આપણાં ધર્મશાસ્ત્રો જે વસ્તુદ્વંદ્વનું પ્રતિપાદન છે, તે એક તો પહેલા સનાતન સર્વમાન્ય ધર્મ, ન્યાયાન્યાય, આચારાનાચાર, અને બીજો કેવલ હિન્દી રાષ્ટ્ર અને સમાજમાંનો ધર્મ ન્યાય સદાચાર વગેરે. એક જ નામ આપણે અમુક વ્યક્તિ અને તેના પ્રપિતામહ બંનેને માટે વાપરીએ છીએ. અહિંસા તે સનાતન ધર્મ. બ્રાહ્મણનો વધ ગમે તે અપરાધની સજા લેખે પણ ના થાય, અથવા ગૌહત્યા માટે મનુષ્પહત્યા કરતાં યે ઉગ્ર સજા કરવી ઘટે, એ હિન્દુ સ્મૃતિપ્રોક્ત ધર્મના દાખલા. પહેલો ધર્મ ધર્મ લેખે સર્વમાન્ય; બીજો હિન્દુસમાજ અને હિન્દુરાષ્ટ્રમાં જ ધર્મ લેખે માન્ય, હિન્દુ વર્તુલની બહાર બધે અધર્મ લેખે અમાન્ય. કેટલીક વાર ઉત્કટ દાખલા વડે વક્તવ્ય જેટલું સ્પષ્ટ થઈ શકે છે, તેટલું બીજી કોઈ રીતે નથી થતું. લિરિક લિરિકલ (lyric નામ ઉપરથી વિશેષણ), એમાં પણ આવી ગૂંચ, સાવધ ન રહીએ તો, નડે એમ છે. કવિતાને વર્ણવતાં કહી શકાય, – simple, sensuous, rhythmical, radiant, impassioned, profound હોય, તે ઉત્તમ કવિતા. ‘સિમ્પલ’ એટલે સરળ જ નહીં, સુસ્પષ્ટ-જોતામાં આંખે ઊડીને વળગે એવી; ‘સેન્સ્યુ-અસ’ એટલે ઇંન્દ્રિગ્રાહ્ય ખરી પણ ઇંદ્રિગ્રાહ્ય વિષયોમાંથી ઉત્તમોત્તમ ઉમદામાં ઉમદા વિષયો વડે નિર્મેલી-કલ્પનામય, મૂર્ત (sculpturesque સ્કલ્પ્ચરસ્ક), ચિત્રમય (picturesque પિક્ચરસ્ક), રંગીન (variegated વેરિયગેટેડ) વાસ્તવિક (concrete કૉન્ક્રીટ); ‘હ્રિધ્મિકલ’ એટલે જેનો શબ્દપ્રવાહ મધુર હોય, અથચ જેની આખી સંકલનામાં માપસૌષ્ઠવ (harmony હાર્મની) હોય એવી; ‘રેડિઅંટ’ એટલે તેજોમય, પ્રસાદસમ્પન્ન; ‘ઇમ્પૅશંડ’ એટલે હૃદયવેધી; અને ‘પ્રોફાઉડ’ એટલે સ્થાયી છાપ પાડે એવી, જે ભવ્યતા વા ગંભીરતાથી જ બની શકે છે. સુસ્પષ્ટ, કલ્પનોત્થ, મધુર-સુષ્ઠુ, તજોેમય, હૃદયવેધી, ભવ્યગંભીર2 હોય તે ઉત્તમ કવિતા: તે જ કવિતાનું નામ ગૌરવ દીપાવતી કવિતા.3 જાણીતા વિવેચક હૅઝલિટ લખે છે, કવિતા કલ્પના અને ચિદ્રસોની વાણી છે. કવિ કીટ્સના ગુરુમિત્ર લે હંટ લખે છે, કવિતા સત્ય સૌંદર્ય અને શક્તિના બદ્ધરાગનો ઉદ્ગાર છે, જેમાં વાક્યો, કલ્પના અને લાલિત્યથી લસી રહે છે, અને વાણી વિવિધતામાં એકતા સાધતી પ્રમાણમાધુર્યમાં વહે છે. ભક્તકવિ કૅબલ કહે છે, કવિતા ઊભરાતી ઊર્મિ અને કલ્પનાનો ફુવારો છે. કલાભક્ત રસ્કિન કહે છે કવિતા ઉદાત્ત ભાવોનાં ઉમદા ઉત્થાન કલ્પનાને ઉત્તેજીને સૂચવે છે. રા. રા. નરસિંહરાવ દીવટિયા જે સાધારણ પંક્તિના લેખકને પ્રમાણભૂત ગણીને ટાંકે છે તે વૉટ્સ ડંટન લખે છે, કવિતા બુદ્ધિનો મૂર્ત અને કલામય ઉદ્ગાર છે, લાગણીની અને લયવાહી ભાષામાં.4 પ્રતિષ્ઠિત અંગ્રેજી લેખકોમાંથી જ બીજાં ઘણાં ઘણાં અવતરણો આપી શકાય. કવિતા વિશેના પંદર-સોળમા સૈકાથી માંડીને આજ સુધીનાં વિવરણો વર્ણનો અને વ્યાખ્યાવાક્યોમાં લાગણી, ઊર્મિ, ચિદ્રસ, ભાવ, હૃદયપ્રવૃત્તિ અને સ્થિતિ, ઉરના આંદોલનો અને વિકારો, ક્ષોભ જાુસ્સા અને રુચિગ્રાહ (Sentiment સેંટિમેંટ), શ્રોતા અને વાંચનારના હૈયા ઉપર અસર, એ વિશિષ્ટતાઓ વત્તીઓછી આવ્યા જ કરે છે. અતિમાનનીય પર્યેષકોમાંના કેટલાયે આ વિશિષ્ટતાને કવિતાના પ્રધાન વા જાતિઘટક ધર્મોમાં પણ ગણે છે. વર્તમાન યુગમાં વિચારની અન્તર્મુખતા અને વ્યક્તિના વ્યક્તિત્વનું ગૌરવ વધેલાં છે, તે સાથે રૂપ અને (રૂપલગ્ન રૂપોત્પાદક) કલાનાં મૌલિક તત્ત્વોની પર્યેષણામાં આ તત્ત્વ ઉપર પ્રાચીન ગ્રીક અને પ્રાચીન આર્ય પ્રજા કરતાં આપણી દૃષ્ટિ વધારે ઠરે, એ કુદરતી અગર સમજાય એવું તો છે જ. પરન્તુ આવી વિચારમાલાની ખેંચથી તણાઈ જઈએ, તો તો આપણે બીજાં એટલાં જ કે વધારે સત્ત્વવાળાં તત્ત્વોને વિસ્મરીને એક વ્યાપ્તિમાં જઈને પડીએ, અને તે આ કે-તે તે કૃતિ કવિતા નથી, જે જે ઊર્મિપ્રધાન નહીં; લિરિકલ (ઊર્મિપ્રધાન) હોય તે જ કવિતા: જેમાં હૃદયતત્ત્વ પ્રધાન સર્વોપરિ ના હોય તેને કવિતા – કવિતા! – કેમ જ કહેવાય! કવિતામાં ઊર્મિતત્ત્વ હોવું જોઈએ; ઊર્મિશૂન્ય તે કવિતા નહીં; કવિતા હૃદયનો વ્યાપાર અને હૃદયને સ્પર્શવાની શક્તિવાળી હોવી જોઈએ; આની કોઈ ના પાડતું નથી. પરન્તુ ઊર્મિવત્ હોવું અને ઊર્મિમય કે ઊર્મિપ્રધાન હોવું એ બે વચ્ચે ઘણો ફેર છે. કાલિદાસે પોતાના મહાકાવ્યના આરંભમાં આપેલું રઘુઓનું વર્ણન જુઓ:

क सूर्यप्रभवो वंश: कलाल्पविषया मति:-
तितीर्षुर्दुस्तरं मोहादुडुपेनास्मि सागरं ।।
मंद: + + +
+ + + +
हेम्न: संलक्ष्यते ह्वग्नौ विशुद्धि: श्यामिकापि वा ।।

આ નવ શ્લોક ઊર્મિપ્રધાન છે નહીં; ઊર્મિવત્ છે. રઘુઓના લોકોત્તર જેવા ગુણો-ઉદાત્ત આર્યત્વની ભાવનાના એ ઉજ્જ્વલ આદર્શો-માટે કવિનો ભક્તિભાવ, અને એવા ઉત્તમોત્તમ મહાવિષયને વળગીને કવિપદ મેળવવાનો અભિલાષ, એ ઊર્મિદ્વય વડે આ શ્લોકો ઊર્મિવત્ છે; એ ગુણોનું નામસ્મરણ જ એવું છે કે આર્ય સંસ્કૃતિનાં બાલકોમાં તે ભક્તિભાવ નહીં તો ય બહુમાનયુક્ત સમભાવી જિજ્ઞાસા ઉત્પન્ન કરવા સમર્થ છે. વળી કવિની વિનમ્રતા હૃદયંગમ છે, એ અર્થમાં પણ આ શ્લોકો ઊર્મિવત્ છે, તથા શ્રોતાને કાવ્યપ્રવાહને માટે ઉત્સુક કરવામાં સફલ છે; પરન્તુ વર્ણનપ્રૌઢિ જ આ પંક્તિઓમાં પ્રધાન ગુણ છે, નહીં કે કોઈ ઊર્મિ. લિરિક શબ્દ ઊર્મિપ્રધાન જાતિનું કાવ્ય એવા પારિભાષિક અર્થમાં વાપરીએ, તો એ શબ્દમાંથી થયેલા ‘લિરિક’ વિશેષણનો ઊર્મિપ્રધાન એ જ અર્થ ઘટે. પણ લિરિકલ વિશેષણ ઊર્મિવત્ એ વધારે વિશાળ અર્થમાં પણ વપરાય છે, અને કવિતા લિરિકલ હોવી જોઈએ, લિરિકલ નહીં તે કવિતા નથી, એવાં અસ્તિ-નાસ્તિ વાક્યો ઉચ્ચારવામાં આવે છે, ત્યારે લિરિકલ શબ્દ તેના પારિભાષિક અને સાચા અર્થમાં નહીં પરન્તુ ઊર્મિવત્ એ વધારે સામાન્ય અર્થમાં લેવાનો હોય છે. લિરિકલના આ બે એક બીજાને મળતા હતાં જુદાજુદા અર્થ વચ્ચે ભ્રમ અને આખી વિષય-વ્યવસ્થામાં ગોટો અનેક વેળા ઉત્પન્ન થાય છે. એક જ શબ્દ અને શબ્દગુચ્છને વળગી રહીને આખું વિવેચન લખવા જતાં, લખાણ બીજગણિતનાં સંજ્ઞાગ્રથિત પ્રતિપાદનો જેવું નીરસ બની જાય, એટલે લેખકો પોતાના આશય ખીલવતાં પર્યાયશબ્દોનો છૂટથી ઉપયોગ કરે છે. લાગણી, ભાવ, જુસ્સો, ઉષ્મા, વેગ, તરંગ, ક્ષોભ, ચિદ્રસ, બદ્ધરાગ, ધોધ, ઉન્માદ, ઉરતોફાન, આદિ શબ્દો યથેચ્છ વાપરે છે; પોતાના આશયનો એક અંશ કોઈ સ્થળે અમુક રીતે તો બીજો અંશ અન્ય સ્થલે જુદી રીતે જણાવતા દલીલજાલ ગૂંથે છે; અને લખતાં લખતાં કલમ જ આગળ વધી જાય છે, ઘોડો સવારને ય વચ્ચેવચ્ચે તાણી જાય છે, વાંચનાર પણ ઘણે ભાગે કોઈક અંશ પદ્ધતિ કે દૃષ્ટાન્તથી મોહિત થાય છે, તથા ડગલે ડગલે વકીલ સાક્ષીની ઉલટતપાસણી કરે, તેમ લેખકની અને લખાણની પૂર્વાપર સાંકળ તપાસી તપાસીને પોતાનો સ્વતંત્ર મત બાંધનારા વાંચનારા વિરલ જ હોય છે. જાણીતા કવિ ડિં્રકવોટર5 પોતાના સુંદર નિબન્ધમાં લિરિક તે કવિતા, કવિતાનું કાવ્યત્વ તેના લિરિકત્વને લીધે, એ પ્રમાણે વ્યાપ્તિ સ્થાપવા જાય છે ખરા, પરન્તુ એમાં તે ઓછામાં ઓછાં બે સ્થળે લથડે છે, અને એમના દલીલપ્રવાહ નૈયાયિક હેત્વાભાસોમાં જઈ પડે છે, એ મુદ્દાની હકીકત, લેખકની મનોહર કવિત્વમય શૈલીને લીધે, તેમ ઉત્તમ દાખલાઓની રસિક ગૂંથણારૂપ એમના દલીલ વિધાનને લીધે, કોઈક જ વાંચનાર પકડી શકે છે. એ જાણીતો નિબન્ધ ecstasy (એકસ્ટસી) વગર કવિતા નહીં,6 એ મતના વિવરણ જેવો છે, અને સંભાળથી વાંચે નહીં તેને એમ જ લાગી જાય, કે કવિ-લેખક લિરિકલ (ઊર્મિપ્રધાન) તે જ કવિતા, એ વ્યાપ્તિને સિદ્ધ કરી આપે છે. પરંતુ (1) કર્તા ‘એકસ્ટસી’નો અર્થ: ‘a coincidence of unfettered imaginative ecstasy with superb mental poise” એવો કરે છે. કર્તાને જાત અનુભવ છે કે કવિતા-લિરિકલ કવિતા પણ-આખા માનસની અસાધારણ અવર્ણનીય જેવી સ્થિતિનું દર્શન છે, જેમાં હૃદયના ઊછાળાની સાથે વિવેકબુદ્ધિનું કડક સામ્રાજ્ય પ્રવર્તે છે, અને કલ્પનાનાં તેજ વિષયને પારદર્શક બનાવે છે એટલે કે ઊર્મિ કલ્પના અને બુદ્ધિ ત્રણેના ઉત્તમ સંયોગની કવિતાને માટે આવશ્યકતા પોતે જ સ્વીકારી લે છે. હવે આ જો સાચું તો એમની દલીલોથી પણ, ઊર્મિપ્રધાન તે જ કવિતા એ મત અગ્રાહ્યા બને છે, અને કવિતા ઊર્મિવત્ તો હોવી જોઈએ, એટલું જ સિદ્ધ થઈ શકે છે. ત્રિતય કિંવા ચતુરંગ7 સંયોગમાંના કોઈ પણ એક તત્ત્વને જરા પણ પ્રાધાન્ય અપાય, તેને મુકાબલે બીજાં તત્ત્વો જરા પણ દબાય એવો સાર ખેંચીએ, તો દલીલ હેત્વાભાસ બની જાય છે. (2) નિબંધનું બીજું મોટું સ્ખલન મિલ્ટન કૃત પૅડાઈસ લૉસ્ટ એ મહાકાવ્યતી ચર્ચામાં છે. કર્તા કહે છે, એ મહાકાવ્યમાંની કવિતા તો એકસ્ટસીનો જ ફુવારો છે; પણ (એકસ્ટસીનો પોતે ઉપર પ્રમાણે કરેલો અર્થ વીસરી જઈને ઉમેરે છે.) મિલ્ટન મહાપુરુષ, અને એનો બુદ્ધિપ્રભાવ પણ અતિ વિરલ, એટલે એકસ્ટસી રૂપ emotional energy સાથે મિલ્ટનના moral અને intellectual energy પણ વણાઈ જતાં અદ્ભુત સંયોગ બની આવ્યો છે, બાકી કવિતા તરીકે તો પેરેડાઈસ લૉસ્ટ અને ચાર છ પંક્તિનું ઉત્તમ લિરિક બેય સમાન! લિરિકલ સિવાયનાં તત્ત્વોનો પ્રભાવ સ્વીકારતાં ય તે, એ તત્ત્વોને અલગ રાખીને કવિતાનું કાવ્યત્વ લિરિકલ તત્ત્વોમાં જ ગણવું, અને કવિતા તમામ લિરિકલ જ, એવી વ્યાપ્તિ આ પ્રમાણે સિદ્ધ કરવી, એ જાતની દલીલો-નૈયાયિકોના હેત્વાભાસોમાંથી કયામાં પડે એ જાણીતું જ છે, ત્યારે કવિતા (કાવ્યકૃતિઓ) જે બધી જ ઊર્મિવત્ તેમાં મુખ્ય જાતિઓ— દૃશ્ય કાવ્યો (નાટકો), અને શ્રાવ્ય કાવ્યો (નાટકો પેંઠે ભજવાય એવાં નહીં, સાંભળવા અને વાંચવાનાં). વળી આ શ્રાવ્ય કાવ્યોમાં મુખ્ય જાતિઓ— વર્ણન કાવ્યો (narrative નૅરેટિવ), અને ઊર્મિકાવ્યો (લિરિક). નાટકોમાં ઉદાત્ત ભાવે જેમાં પ્રધાન તે ટ્રૅજેડી (tragedy); બીજાં કૉમિડી (comedy) આદિ બીજાં નામો વડે ઓળખાય. વર્ણનકાવ્ય કવિતા એટલે ઊર્મિવત્ તો હોય જ; વળી તેમાં કેટલાક ભાગ ઊર્મિપ્રધાન પણ હોય; પરંતુ આખી કૃતિ ઊર્મિપ્રધાન નહીં તે વર્ણનકાવ્ય, આવાં કાવ્યોમાં જે લાંબાં તેમ ઉદાત્ત ભાવોથી સંકલિત હોય, તે જ મહાકાવ્ય (એપિક epic); બીજાં બીજાં નામો વડે ઓળખાય. એકલી લંબાઈને લીધે કોઈ પણ વર્ણનકાવ્ય મહાકાવ્યની ઉચ્ચ કોટિમાં ન આવી શકે; જેમ નાયકનાયિકાના મૃત્યુથી અન્ત આણ્યો હોય, એ એક લક્ષણથી જ નાટક ટ્રૅજેડીની માનનીય કોટિમાં ન આવે, અથવા તો ટ્રૅજેડી નામને લજવતું કંગાલ નાટક જ ગણાય. મતલબ કે નાટકોમાં ઉત્તમ કોટિનાં તે જ ટ્રૅજેડી, તેમ વર્ણનકાવ્યોમાં ઉત્તમ કોટિનાં તે જ એપિક. આ સર્વ વિષય, અહીં પ્રસ્તુત ન હોવાથી, આટલા સ્વલ્પ નિર્દેશ સાથે પડતા મૂકીને આગળ ચાલીએ. ઊર્મિકાવ્ય એટલે ઊર્મિપ્રધાન કાવ્યની પેટાજાતિઓ વિચારતાં કોની ઊર્મિઓ? કેવી ઊર્મિઓ? એ પ્રશ્નો આગળ આવે છે. જેમાં કર્તાની પોતાની ઊર્મિઓ પ્રધાન હોય, તે આત્મલક્ષ્મી ઊર્મિકાવ્ય.8 જેમાં બીજા-બીજાઓની ઊર્મિઓ પ્રધાન હોય તે અન્યલક્ષી અગર પાત્ર-લક્ષી ઊર્મિકાવ્ય આત્મલક્ષી કે પાત્રલક્ષી ઊર્મિઓ વૈયક્તિક હોય અગર ઘણાને એક સરખી કે એક સાથે સ્ફુરે એવી હોય; પ્રજાની કે આખી જનતાની ઊર્મિ તરીકે ગણાય, અને કાવ્ય મોટા સમુદાય વચ્ચે ઉચ્ચારતાં, આખું મંડળ, અથવા તો દેશવિદેશમાં વંચાતાં, ઘણા યે તેમાં ભળી શકે એવી પણ હોય. વિરલ માણસોના હૃદયમાં જ પડઘા પડે તે કરતાં ઘણાને પલાળે એવાં ઊર્મિ-આલેખનો જ ચ્હડે; લિરિકોની રસવત્તા, સાર્થકતા, અને પદવી ઘણાઘણાને પલાળવામાં અને નિર્મલ ઉન્નત ભાવો અને ભાવનાઓના અંશભાગી બનાવવામાં છે; કવિતાકલા વડે થતી જનસેવા અને સધાતી સંસ્કૃતિમાં ઊર્મિકાવ્યોનું સ્થાન ઊંચું તેમની આ શક્તિને લઈને છે; મહાકાવ્ય (એપિક) અને ટ્રેજડીના પૂરેપૂરા ભોગી બુદ્ધિશક્તિ અને કવિતાશૉખ અને સાહિત્યજ્ઞાન સારી રીતે ખીલેલાં હોય એવા શિષ્ટ એટલે કે થોડા માણસો જ થઈ શકે, ત્યારે ઊર્મિકાવ્યની ચોટ સૌને ય તે વાગી શકે: – વગેરે વિચારોમાંના તથ્યાંશને બુદ્ધિક્ષેત્રના કેન્દ્રમાં આણીને જોઈશું, તો તુરત ખાતરી થઈ જશે, જે આત્મલક્ષી પાત્રલક્ષી એ વિશેષણોથી સૂચવાતા ગુણો ઊર્મિકાવ્યોમાં હોય ખરા, તથાપિ એ વિશેષતાઓનું મહત્ત્વ એટલું ઓછું છે કે એ ઉપરથી આ જાતિવિશેષનું અગર તો પેટાજાતિઓનાં નામ પાડવામાં લાભ નથી.

‘લિરિક’, 1928
[સંપા. અનંતરાય રાવળ, 1942]