ચારણી સાહિત્ય/8.સોરઠી સાહિત્યનાં ઋતુ-ગીતો

8.સોરઠી સાહિત્યનાં ઋતુ-ગીતો

વિરહી લોક-પ્રેમિકોએ પોતાની વિપ્રલંભવેદના ગાવાની અતિ કલામય અને નૈસર્ગિક રીતિ ઋતુ-ગીતોને રૂપે ઉત્પન્ન કરી છે. પ્રત્યેક ઋતુની શોભા નિહાળવી, પ્રકૃતિના સૌંદર્ય વચ્ચે માનવીને મ્હાલતાં નીરખવાં, અથવા તો કુદરતની અમુક ઋતુની કઠોરતા વચ્ચે પણ પ્રેમીજનોને પોતાના સંયોગસુખનું કોમલ જગત સૃજતાં જોવા : અને એ બધું જોઈને પોતાની એકલદશાનું દર્દભર્યું સ્મરણ થયું : એ વિયોગના ભાવો વ્યક્ત કરવાને માટે ઘણી અનુકૂલ તથા પ્રેરક સામગ્રી છે. સોરઠી સાહિત્યમાં આવી સામગ્રી બે રીતે પેદા થઈ છે. એકની એક વિપ્રલંભવેદનાના બે પ્રવાહો બંધાયા છે : એક, સ્ત્રીઓને ગાવાના ‘મહિના’ નામથી ઓળખાતા રાસડા : બીજા ચારણી સાહિત્યના રચનારાઓએ રચેલા ‘બારમાસા’ નામે ઓળખાતા ઋતુ-વર્ણનના છંદો : બન્નેના પંથ નિરાળા છે. સ્ત્રીજનોના કંઠે શોભતા ‘મહિના’માં જાણે કે સ્વરો, શબ્દો અને ભાવોનાં પરસ્પર હળવાં ચુંબનો સંભળાય છે, જ્યારે છંદબદ્ધ ચારણી ‘બારમાસા’માં હળવાં ચુંબનો નહિ પણ જાણે કે ભાવ અને ભાષાનાં ગાઢ આલિંગનો વિલસે છે. બીજો એક તફાવત વધુ ખૂબીદાર છે : ‘મહિના’માં ઋતુ-સૌંદર્ય અથવા ઋતુ-પ્રકૃતિનું વર્ણન બહુ અલ્પ છે. એમાં તો ઋતુના સ્વરૂપનો આછો આછો કેવળ આભાસ જ છે. એમાં પ્રધાનપદે તો ઢાળોની વિવિધતા, અને સૂરોમાંથી જ ટપકતી કોમલતા દેખાય છે. દૃષ્ટાંતથી જોઈએ :

કારતક મહિને મેલી ચાલ્યા કંથ રે વા’લાજી!
આ પ્રીતલડી તોડીને ચાલ્યા પંથ મારા વા’લાજી!
માગશર મહિને મંદિર ખાવા ધાય રે વા’લાજી!
આ એકલડી દાસના દિન કેમ જાય મારા વા’લાજી!

આમાં કાર્તિક કે માગશર મહિનાની ઋતુ ક્યાંય ન મળે. પણ એના સ્વરો? સ્વરોમાંથી જ ઋતુ ખડી થાય. અક્કેક કડી એટલે ઊંડો નિ:શ્વાસ. કોઈ કોઈ સ્થળે વળી ઋતુ ક્યાંક ડોકિયું કરી જાય :

મા મહિનાની ટાઢ્યું મુજને વાય રે વા’લાજી!
આ હિમાળો હલક્યો ને કેમ રે’વાય મારા વા’લાજી!

પણ એ તો એક જ રાસડો : હવે નિરનિરાળા ઢાળના ‘મહિના’ની અક્કેક બબ્બે કડીઓ લઈ, આ નિર્જીવ શાહીના અક્ષરો પાછળ અણદીઠ અને અપ્રાપ્ય એવી જે સૂરાવલિ ગુંજે છે, તેની કલ્પના જ કરીએ :

માગશરે મારગડે રમતાં
ભેળાં બેસી ભોજનિયાં જમતાં
હવે હરિ કેમ નથી ગમતાં!
આવો હરિ, રાસ રમો, વા’લા!
શ્રાવણ તો સરવડિયે વરસે
નદીયુંમાં નીર ઘણાં ભરશે
વા’લો મારો કેમ કરી ઊતરશે
આવો, હરિ, રાસ રમો, વા’લા!
ફાગણે ફગફગતી રે હોળી
છૈયાં ભરે ગુલાબની ઝોળી
વા’લા વિના કોણ રમે હોળી
રમવા આવોને રે!

ભાદરવો ભલ ગાજિયો ને ગાજ્યા વરસે મેહ
હું રે ભીંજાઉં ઘર-આંગણે ને મારા પિયુ ભીંજાય પરદેશ
કે આણાં મોકલને, મોરાર!
વા’લા, આસોનાં અંજવાળિયાં રે
નાથ, આવો તો મારે મંદિર માળિયાં રે.

આવા કેટલાયે ઢાળોમાં સ્ત્રીહૃદયની વિરહ-ઊર્મિઓ વહેતી ગઈ છે. પ્રત્યેક ઢાળ જ આપણને પોતાની વિશિષ્ટતા વડે અંતરના ઊંડાણે જઈને સ્પર્શ કરે છે. કયો સૂર કયા મનોભાવની કળ દાબવાના પ્રયોજનથી સરજાયો હશે, તે પણ કોઈ સંગીતકલાના પારગામીને રસ પમાડે તેવો અભ્યાસનો ને સંશોધનનો વિષય છે. હવે ચારણી ‘બારમાસા’ને તપાસીએ. આ ‘બારમાસા’ બે વિભાગમાં વહેંચાયા છે : 1. રાધા-કૃષ્ણને નામ ઋતુ-વર્ણનમાં વિપ્રલંભ ગવાયો. 2. કોઈ મરનાર મિત્રની અથવા આશ્રયદાતાની સ્મૃતિ અર્થે મરશિયા ગવાય : એને આપણે ‘એલિજિ’-શોકગીત કહી શકીએ. પ્રથમ રાધા-કૃષ્ણના ‘બારમાસા’ લઈએ : ‘મહિના’ના રાસડા ‘કાર્તિક’થી શરૂ થાય છે, જ્યારે ચારણી ‘બારમાસા’ ‘આષાઢ’થી ઊપડે છે. વિપ્રલંભની તીવ્રતા દાખવવામાં વર્ષાઋતુની પ્રથમ પસંદગી થઈ એ સાચી રસજ્ઞતાનું સૂચક લેખાય. પ્રતાપી પગલાં માંડતાં એ છંદનો આરંભ આ રીતે થાય :

ઘર આષાઢ ઘડૂકિયા
મોરે કિયા મલાર
રાધા માધા સંભરે
જદુપતિ જગ-ભડથાર.
ખળખળ વાદળીમાં વચે
વીજળિયાં વ્રળકંત
રાધા માધા કંથ વણ
ખણ નવ રીયણ ખસંત.
આ બંન્ને દુહા : પછી —
વ્રજ વહીં આવણાં જી
કે વંસ વજામણાં
રાસ રમાવણાં જી
કે પ્યાસ બુઝાવણાં.

રંગ રાસ રત ખટ માસ રમણા પિયા પ્યાસ બુઝાવણા આષાઢ ઝરણાં ઝરે અંબર, તપે તન તરણી તણાં. વિરહણી નેણાં વહે વરણાં વિયણ વિરહી ગાવણાં; આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં

જીય વ્રજ્જ માધા આવણાં.

એ ગજગતિ છંદ : એટલે હાથીની ચાલ્યે પગલાં માંડતો છંદ : વ્રજ વહીં આવણાં જી...

કે રાસ રમાવણાં.

ધરતીમાં અષાઢ ધડૂક્યો : મોરે મલ્લાર ગાયા : રાધાને માધવ સાંભર્યા : વાદળાંનાં ઘમસાણ વચ્ચે વીજળી ઝબૂકી : અને એ જોઈ રાધાજી માધવ વગર ક્ષણભર નથી રહી શકતાં. માટે, હે વલ્લભ! વ્રજમાં આવો : વાંસળી બજાવો : પ્યાસ બુઝાવો : રાસ રમાડો : છ યે ઋતુના રંગીલા રાસો રમાડવા આવો : આષાઢનાં ઝરણાં આકાશમાંથી ઝરે છે : તરુણીઓનાં તન તપે છે : વિરહિણીઓનાં નયનોમાંથી વારિ વહે છે : માટ રાધાજી કહાવે છે કે હે નેહે બંધાયલા માધવ! વ્રજમાં આવો, એ જી! વ્રજમાં આવો! એ આ પ્રથમ માસના ઋતુ-ગીતનો અર્થ છે. પણ હજુ આંહીં ઋતુનાં લક્ષણો ઝીણવટથી નથી વર્ણવાયાં. એ ઝીણવટ તે પછીના મહિનાઓનાં વર્ણનમાં સુરેખ રીતે આલેખાઈ ગઈ છે:

અંબા મોરિયા જી
કે કેસુ કોરિયાં
ચિત્ત ચકોરિયાં જી
કે ફાગણ ફોરિયા.
ફોરિયા ફાગણ, પવન ફરહર, મહુ અંબા મોરિયા
ઘણ રાગ ગાવે, ફાગ ઘર ઘર, ઝટે પવ્વન જોરિયા
ગલાલ ઝોળી, રમત હોળી, રંગ ગોપ રમાવણા
આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં
જીય વ્રજ્જ માધા આવણાં.

આંબા મોર્યા : કેસૂડાં કોળ્યાં : ચિતડાં ચકોર બન્યાં : એવો ફાગણ ફોર્યો : પવન ફરુક્યા : ઘેર ઘેર ફાગ ગવાતા થયા : ગુલાલની ઝોળીઓ ભરાઈ : હોળીની રમત મંડાઈ : માટે ગોપજનોને રંગે રમાડવા વ્રજમાં આવો, જી આવો! એમ પ્રત્યેક ઋતુ પરત્વે માનવી તેમ જ નિસર્ગ, બન્નેનાં આચરણોની સપ્રમાણ મિલાવટમાં ભાષાની ભભક પુરાય છે. પરંતુ ‘એલિજિ’ (શોકગીત)નો પ્રદેશ તો આથી યે વધુ સુરમ્ય લાગે છે. વિદેહી મિત્ર વા આશ્રયદાતાનાં એ પ્રતિ માસમાંથી સ્ફુરેલાં સ્મરણો ભારી કાતિલ છે. જેવાં એ કાતિલ છે, તેવાં જ વેધક સ્વરે એ ગવાય છે. અને કુદરતની લીલા અતિ મસ્ત શબ્દો વાટે પ્રગટ સજીવન થઈ ઊભી રહે છે. દૃષ્ટાંત : કવિમિત્ર પોતાના પરલોકવાસી સ્નેહી અજુભાઈ નથુભાઈને માસે માસે સંભારે છે :

રાગ ઝકોળા તાત રસ
તાળ ઠણંકા તાલ
કાવા પાવા કેસરા
ઘર આવો અજમાલ.
વધ વધ ખટરત વર્ણવાં
અવધ કર્યે દન આજ
સેલ તણી પર સરળકે
રંગભીનો નથરાજ.
બાપૈયા મુખ બોલિયા
પિયુ! પિયુ! પરવેશ
અણ રત તું અજમાલરો
સંભરીયો અલણેશ.
ગરદે મોર ઝીંગોરિયા
મહેલ થરક્કે માઢ
વારખારી રત વર્ણવાં
આયો ઘઘુંબી આષાઢ.
એટલા દુહા : આષાઢના આગમનનું સૂચન : અને ‘આયો ઘઘૂંબી આષાઢ’ એ વાક્યની દોઢ્ય વાળીને કવિ-રસના એક નવીન, ઓજસ્વી ઢાળની અંદર ગુલાંટ ખાય છે :
આષાઢ ઘઘૂંબીય લુંબીય અંબર
વદ્દળ બેવળ ચોવળીયં
મહોલાર મહેલીય લાડગેહેલીય
નીર છલે ન ઝલે નળિયં.
અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર
અંબ નયાં સર ઉભરિયાં
અજમાલ નથુ તણ કુંવર આલણ
સોય તણી રત સંભરિયા
જીય! સોય તણી રત સંભરિયા!
એ જ મસ્તીભર્યા વેગમાં, બારેય મહિનાનાં સ્મરણો ચાલ્યાં આવે છે. અને વચ્ચે વચ્ચે
રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય
રંગ નીલાંબર શ્વેત રજે;
ફળ ફૂલ અપ્રબ્બળ કમ્મર ફેલીય
વેલીય નેક અનેક વજે.
એવી રંગની રમતો પણ આલેખાતી આવે છે. અને
મછ છીપ તણી રત જામત મોતીએ
ઠીક ઝળુમળ નંગ થિયા

એવાં આસો મહિનાં વિશિષ્ટ ઋતુ-લક્ષણો પણ કવિતામાં ગુંથાઈને વ્યવહાર-વિજ્ઞાનનું નાનું-શું શાસ્ત્ર પૂરું પાડે છે. એથી યે વધુ ઝીણવટની પ્રતીતિ આપતું એક બીજું ઋતુ-ગીત છે. જાંબુ નામે ગામડાનો નિવાસી ચારણ માલો જામ મરી ગયો, તેના મરશિયા એક માગણ મિત્રે ગાયા. આષાઢથી ઉપાડ્યા, અને શ્રાવણના ચિત્ર-દર્શનમાં તો વિલક્ષણ ભાવ પૂરી દીધો :

શવ પૂજા ઘસીયે ચંદણ
જપે જાપ વ્રપ જોય
કેસરરી આડ લલાટ કર
શ્રાવણરા દન સોય.

[શિવપૂજા કાજે ચંદન ઘસાય છે : વિપ્રો જપ કરે છે : અને લલાટે કેસરની આડ્યો તાણીને શ્રાવણ માસને લોકો સોહાવી રહ્યા છે :] એટલું વ્યવહાર-દર્શન કરાવવા માટે દુહાની એક પીંછી મારીને પછી કવિ જીવનના ખરા કાવ્ય ઉપર ઊતરે છે :

છલત શ્રાવણ મલત સામા, વલત નીલી વેલડી
બાપયા પ્રઘળા મોર બોલે, ધ્યાન રાખત ઢેલડી
પ્રસ નાર નાવત કરત પૂજા, ધ્યાન શંકર સેં ધરે
જસ લીયણ તણ રત માલજાયં, સતન-વીસળ સંભરે.

[શ્રાવણ છલકાય છે : નીલી વેલડીઓ વળે છે : મોર બોલે છે, ને ઢેલડી એનું ધ્યાન રાખે છે : પુરુષ-સ્ત્રીઓ પૂજા કરીને શંકરનું ધ્યાન ધરે છે : તેવી ઋતુમાં, હે જશ લેનાર માલ જામ! હે વીસળના પુત્ર! તું મને સાંભરે છે.] આવી જ સૌંદર્ય-વાટે આ મરશિયા ચાલ્યા જાય છે, પણ વચ્ચે વળી

ચોરસ દારૂ ફૂલ સરે
ગળે કસુંબા ગોસ
હેમંત-રત ટાઢી હવા
પ્રિયા ત્રિયા રંગ પોષ.

એવા ‘દારૂ’ અને ‘ગોસ’ સરખા ઉઘાડા શબ્દોથી અતિ પાર્થિવતામાં — કાંઈક હીન અભિરુચિમાં — કવિ ઊતરી જાય છે. ઉપભોગની પ્રથાઓ ઉપર વધુ જોર દેવા લાગે છે, પણ ફરી વાર વસંતના મહિનાઓ આવતાં રોહણ જાંબુ રાવણાં

ધજ ખાંડું ગળ ધ્રાખ,

પેટીરી મશરી પડે

શાખ ગળે વૈશાખ.

વૈશાખ મહિને વાહ વાયા અંબ આયા અઘ્ઘળા લેલૂંબ દાડમ તસા લીંબુ પાનવાડી પ્રઘ્ઘળા દો બીજ આખાતીજરે દન અતગ જળ ધર ઉભરે જસ લીયણ તણ રત માલજામં સતન-વીસળ સંભરે. એ રીતે કવિ કુદરતની સમૃદ્ધિ પર ખીલી ઊઠે છે. અંદર ઝડઝમક, પ્રકૃતિ-વર્ણન અને ભાવ-દર્શન સંભાળતો હોવા છતાં કવિ વ્યવહારની વાતોનો દોર ચૂકતો નથી તેથી જ —

તડ સૂકે વસમાં તરે
વાજાળાં ઘૃત વેઠ
વળે ફળે વન વેલડી
અયો વસમ્મો જેઠ.

— એ જેઠ માસના વર્ણનમાં ‘વાજાળાં ઘૃત વેઠ’ શબ્દોથી કવિ નોંધે છે કે જેઠ માસમાં ઘોડાંને ઘી પાવાની પ્રથા ચાલતી. આ આપણાં કંઠસ્થ ઋતુ-ગીતો : કંઠસ્થ લોકસાહિત્યનું આ એક મધુર પ્રકરણ છે. જીવનમાં રસ કેમ ઝીલાતો તેમ જ પોષાતો તેની જુક્તિઓ છે. આ ઋતુ-ગીતોનાં રચનારાં પણ કેવા અબોલ ને નમ્ર! ‘મહિના’ રચ્યા હશે કોઈ અજાણી સ્ત્રીઓએ અથવા તો પુરુષદેહધારી નારી-આત્માએ : અને ચારણ ‘બારમાસા’ના રચનાર તો એથી યે અધિક ઉપેક્ષિત! ‘વ્રજ્જ માધા આવણાં’નો રચનાર અપ્રસિદ્ધ ચારણ જીવણ રોહડિયો. ‘આષાઢ ઘઘૂંબીય’નો રચનાર મામૈયો મોતીસર. ‘સતન-વીસળ સંભરે’નો રચનાર એક મીર, કે જેને પોતાની થાળીમાં કોઈ કોળ ખાવા પણ ન આપે! એવી અધમ ગણાતી એ જાતિ. આવા તો અનેક ઋતુ-ગીત રચનારા થઈ ગયા ને હજુ થાય છે. મોતીસરની તો કોમ જ કાવ્યપ્રસાદથી વિભૂષિત : સદાય એની કવિતા અમી ઝરતી : એ આખી કોમની ઉત્પત્તિ જ કાવ્યને અંગે : એનાં બીજ જ કાવ્યના ઇતિહાસમાં રોપાયાં : કચ્છ દેશમાં લાખા ફુલાણીની એ વેળા : માવલ સાબાણી નામે એનો રાજ-કવિ : માવલે ઉદેપુરના રાણાના યશનો કાવ્ય-ગ્રંથ રચ્યો : પોતે નિરક્ષર, એટલે જીહ્વાગ્રે પોતે બોલતા જાય ને પોતાનો એક રજપૂત સ્નેહી લખતો જાય : લખતાં લખતાં આખો કાવ્ય-ગ્રંથ રજપૂતને કંઠે ચડી ગયો : માવલને ઉદેપુરથી રાણાનાં કહેણ આવે કે જો ગ્રંથ લઈ વાંચવા આવો, તો હું લાખપસાવ કરું : પણ માવલ એટલે દૂર જવાના વિચારે શિથિલ બની જતો : રજપૂતનું દિલ બગડ્યું : માવલને વેશે ઉદેપુર પહોંચી, કંઠસ્થ ગ્રંથ સંભળાવી લાખ પાસા લીધા. ઘેર આવ્યો. ઘર ફૂટ્યે ઘર જાય : કોઈ સાથીએ ભેદ ફોડી નાખ્યો : રાવ લાખાએ રજપૂતને માથે કચારીમાં બે તહોમત મેલ્યાં : એક તો દગો કરવાનું, ને બીજું યાચક બનવાનું. રાવે સજા ફરમાવી : સુંદર સજા : માવલ સાબાણીની પુત્રી સાથે પરણાવ્યો : તારાં વંશવારસો સદા ચારણની યશગાથા ગાજો, ને ચારણના આશ્રિત બની રહેજો, એવી પદવી દીધી : પોતાના કંઠ-હારમાંથી મોતીની એક સેર કાઢીને રજપૂતના ગળામાં નાખી : તારો વંશજ નહિ ચારણ, કે નહિ રજપૂત, પણ સદા ‘મોતીસર’ કહેવાજો! આજ પણ મોતીસરનો દીકરો પ્રાસાદિક કાવ્ય-રચના કરતો ફરે છે. [‘પ્રસ્થાન’, આષાઢ, સં. 1983 (સન 1927)]