જનાન્તિકે/ચોવીસ


ચોવીસ

સુરેશ જોષી

રાત્રિને જુદે જુદે પ્રહરે અંધકારનાં બદલાતાં જતાં રૂપ અને પોત જોયાં કરું છુ. બાળપણમાં કેવળ તાવની ઉષ્માથી લપેટાઈને નિર્જન ઓરડામાં સૂઈ રહેતા ત્યારે બંધ કરેલી આંખોની અંદર રૂંધાઈને જે અંધકાર ઘૂઘવતો હતો તેનું રૂપ કોઈ વાર આજે દેખાય છે; વાઘની ત્રાડના બખિયા ભરેલો અંધકાર પણ ક્યારેક ફરી નજરે ચઢે છે તો કોઈક વાર મોગરો, આંબાનો મોર અને લીમડાની મંજરીની સુવાસના ત્રણ તન્તુના ઝીણા શરબતી મલમલના વણાટવાળો અંધકાર પણ દેખાય છે. ટીસ્યુ પેપર જેવા અંધકારમાં બીજા દિવસના સૂર્યને લપેટીને કેપ્સ્યૂલની જેમ ગળી જવાનું મન થાય છે. બે શબ્દો વચ્ચે અંધકારનું પાતળું અસ્તર મૂકીને સીવી લેવાનું મન થાય છે. અંધકારના ખરલમાં ઘૂંટેલા મૌનની સહસ્ત્રપુટી ભસ્મનાં સવાર થતાં પહેલાં પડીકાં બાંધી લેવાનો લોભ જાગે છે. કાજળની આંખના અણિયાળાં સુધી લંબાયેલી તનુલેખા અને એમાં ભળી જતો કાળી પાંપણનો કાળો પડછાયો – આ બેના સંધિસ્થાને જે અંધકાર જન્મે છે તે એવો તો અસહાય હોય છે કે એને ક્યાં સંતાડવો તે સૂઝતું નથી. અશ્રુના સ્ફટિકની દાબડી સિવાય બીજે ક્યાં સંતાડીએ? ધૃતરાષ્ટ્રની આંખનો જરઠ બરડ અંધકાર ઘણના ઘા કરીને તોડીએ તો રાત્રિના પ્રહરો ગાજી ઊઠે.

સવારે આંખો ખોલતાં અંધકાર ચાલી ગયો તેથી છેતરાઈ ગયા જેવું લાગે છે. પણ તરત જ દિવસના વ્યવહારના શબ્દે શબ્દે, સ્પર્શે સ્પર્શે, આલિંગનમાં ખાલી રહી ગયેલા અવકાશમાં, શૂન્યમનસ્ક દૃષ્ટિના પોલાણમાં અંધકાર છતો થાય છે. મારા દરેક શબ્દોના માદળિયામાં આ અંધકારને ભરી રાખું છું જેથી કોઈથી નજરાઈ ન જવાય.