જયદેવ શુક્લની કવિતા/અંધારું ધસી પડે છે

અંધારું ધસી પડે છે


બારી પાસેના એકલિયામાં
મારી જોડે આવી સૂતાં
ધૂળવાળાં, બચુકડાં પગલાં.
પારિજાતની સુગન્ધ ભેળાં લોહીમાં ઊછળ્યાં
રાક્ષસ, પરી, રાજકુમાર,
વાંદરો ને મગર,
‘એક હતી બીકણ સસલી...’
‘પછી... પછી શું થયું પપ્પા?’
‘જૂઈ જેવી પાંખોવાળી પરી
જકુને પોતાના હીરાના મહેલમાં લઈ ગઈ...
ત્યાં એની રૂપેરી પાંખો...’
‘મને ઊંઘમાં પણ સંભળાય
એમ મોટ્ટેથી કહેજો હં...
હું ઊડતો... ઊ..ડતો...ક્યાં...’
‘પછી એક વાર ખ્રાં...ખ્રાંં કરતો વાઘ આવ્યો...
કહે ‘ખાઉં...ખાઉં...’
‘ના...ના... મારા પપ્પાને નહિ ખાવા દઉં’ કહેતાં
રડતો રડતો
તું મને વળગી પડે છે...

આંસુ લૂછવા
ઊંચકાયેલા હાથ પર
અંધારું ધસી પડે છે...