જાળિયું/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <br> {{Heading|કૃતિ-પરિચય|અનુનય}} {{Poem2Open}} જાળિયું, (પ્રથમ આવૃત્તિ: ૧૯૯૪, પાર્શ્વ પ્રકાશન) કવિ, સંપાદક, વિવેચક, નિબંધકાર, નવલકથાકાર હર્ષદ ત્રિવેદીનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. અનુઆધુનિક વાર્તાન...")
(No difference)

Revision as of 12:58, 29 April 2024


કૃતિ-પરિચય

અનુનય

જાળિયું, (પ્રથમ આવૃત્તિ: ૧૯૯૪, પાર્શ્વ પ્રકાશન) કવિ, સંપાદક, વિવેચક, નિબંધકાર, નવલકથાકાર હર્ષદ ત્રિવેદીનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. અનુઆધુનિક વાર્તાના આ નોંધપાત્ર સંગ્રહની દસેય વાર્તાઓ વિષય વૈવિધ્ય અને રચનારીતિની સજગતાને લીધે તેના લેખકને એક સશક્ત વાર્તાકાર તરીકે સ્થાપિત કરે છે. એમને તળપદ અને શહેરી જીવન નિરૂપાવામાં એકસરખી હથોટી છે. પાત્રોનાં અંતરમન અને બાહ્ય વાસ્તવિકતા અહીં સચોટપણે રજૂ થયાં છે. જાળિયું વાર્તામાં વડીલોની નિંભરતાને લીધે એક કિશોર અને કિશોરીના મનમાં આકાર લઈ રહેલા ધૂંધળા વિજાતીય આકર્ષણની વેડાઈ ગયેલી લાગણી હોય કે આઢમાં જિંદગીના સાત-આઠ દાયકા વટાવી ચૂકેલાં લક્ષ્મીમા દ્વારા વ્યક્ત થતું લગ્નેત્તર સંબંધ અંગે ગ્રામસમાજમાં ક્વચિત જ જોવા મળતું નીતિ નિરપેક્ષ વલણ હોય. પરુંમાં નિરૂપાયેલું નાયકનું વિકૃત માનસ કે સાહેબ અને કમળપૂજામાં આલેખેલાં વરવાં સામાજિક વાસ્તવ, અપૈયોમાં ગુજરાતી સાહિત્યમાં પહેલીવાર જ વ્યક્ત થયેલી બાળમાનસને રૂંધતા સામાજિકતા હોય કે નિયતિમાં વાર્તા કહેવા માટે બેભાન નાયકની કથક તરીકે થયેલી પસંદગીમાં વ્યક્ત થતી વિશેષ સર્જકતા હોય, લેખકની કલમ આ બધામાં સાહજિક રીતે વિહાર કરે છે. અહીં કિશોરાવસ્થામાં થયેલો સ્વપ્નદોષનું નિરૂપણ હોય કે આધેડ પુરુષને થતી નપુસંકતાની લાગણી કે એક બહેનપણીને બીજી બહેનપણી તરફ થતું એકપક્ષીય સજાતીય લાગણીનું ગૂંગળામણનું વર્ણન, અહીં બધે ગદ્યકાર અને કવિ હર્ષદ ત્રિવેદી એકબીજા સાથે ખભેખભા મિલાવીને પ્રવર્તે છે અને વાચકને ધન્ય કરી દે છે. ત્રીસેક વરસ પહેલાં લખાયેલી આ વાર્તાઓ એના લેખકની લસલસતી સર્જકતાને લીધે આજે પણ એટલી તાજગીનો અનુભવ કરાવે છે.

—કિરીટ દૂધાત