તપસ્વી અને તરંગિણી/ત્રણ


ત્રીજો અંક

(રાજમાર્ગનો અંશ, એક બાજુએ તરંગિણીનું ઘર. અંદર તરંગિણી સ્થિર થઈને બેઠેલી છે. તેની વેશભૂષા કાળજી વિનાની છે, પીઠ તરફ ગવાક્ષ છે. આ દૃશ્યમાં રાજમાર્ગ અને ઘરનો અંદરનો ભાગ એક સાથે દેખાશે.)
(પડદો ઊપડ્યા પછી કેટલીક ક્ષણો નીરવ પસાર થાય છે.)
         (રાજમાર્ગ પર દાંડી પીટનારનો પ્રવેશ.)
દાંડી પીટનાર : (ઢોલ વગાડીને) મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો! મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો! આગામી મંગળવાર, શુક્લા દ્વાદશી તિથિએ, પુષ્ય નક્ષત્રમાં મહારાજ તેમના જામાતા ઋષ્યશૃંગનો યુવરાજપદે અભિષેક કરશે. આખા દેશમાં રાજ્યશ્રી યજ્ઞ થશે. મહારાજ લોમપાદ તેમના જામાતા ઋષ્યશૃંગનો યુવરાજ પદે અભિષેક કરશે. આગામી મંગળવાર, શુક્લા દ્વાદશી તિથિએ...
તરંગિણી : (અંદર–અસ્ફુટ ઊંચા સૂરમાં) લોમપાદના જામાતા! યુવરાજ!
(રાજમાર્ગ વળોટીને દાંડી પીટનાર ચાલ્યો જાય છે. નેપથ્યમાં જનતાનો હર્ષધ્વનિ. રાજમાર્ગમાં ગામડાની સ્રીઓનો પ્રવેશ.)
પહેલી સ્રી : કહેવું પડે ભાઈ, ત્રણ વીસું ઉમ્મર થઈ મારી પણ આવો હકાળ જોયો નથી.
બીજી સ્રી : કોઠારમાં ધાન માતું નથી.
ત્રીજી સ્રી : જુઓ ને, તળાવડાંમાં પાણી કેવાં લહેરાય છે.
પહેલી સ્રી : અને માંય મોટી મોટી માછલીઓ જ માછલીઓ.
બીજી સ્રી : અને પાળે પાળે પાલકભાજી અને શાક.
ત્રીજી સ્રી : મારી ઘયડી ગાય તે દહાડે પાછી વિયાઈ.
બીજી સ્રી : મારા વાંઝિયા જાંબાને આ વેળ જાંબાં આયાં.
પહેલી સ્રી : પેલી કુમુદડીની વાતની તો તને ખબર છે ને! કેટલી દવાઓ અને કેટલા દોરાધાગા કર્યાં. બધુંય ધૂળ પર લેંપણ. અને હવે ઈને જ જુઓ, તે દહાડે જોડકું આયું.
ત્રીજી સ્રી : મારા પતિ વાથી ચાલી પણ શકતા નહોતા. પણ હવે એ વાત તો યાદે નથી આવતી એવો પ્રતાપ છે! હવે તો એમના જેવો ઘર સંચનારો આખા ગામમાં કોઈ નથી.
બીજી સ્રી : મારી દીકરીની સગાઈ થતી’તી ને ટૂટી જતી’તી. જોષી કહે કે જનમદોષ, પણ જોયું ને મારી બાઈ, એવા રમતાં જમતાં ચપટી વગાડતામાં વિવા થઈ ગયા!
પહેલી સ્રી : પિત્તરોગથી મારા દીકરાની દશા થઈ’તી તે તો તેં જોઈ’તી. હવે તો તલાવની સામી તેર કાપે છે.
ત્રીજી સ્રી : બધું ભગવાનનું દાન.
બીજી સ્રી : બધું ઋષ્યશૃંગનું દાન.
પહેલી સ્રી : આપણી રાજકુંવરી ભાગ્યશાળી છે.
બીજી સ્રી : ધન્ય છે આપણો અંગ દેશ.
પહેલી સ્રી : ભગવાન, હવે અમારા પર કોપશો નહીં.
ત્રીજી સ્રી : ઋષ્યશૃંગ આપણને જીવતાં રાખે.
બીજી સ્રી : ઋષ્યશૃંગ જુવરાજ થશે, આનંદ આનંદ!
ત્રીજી સ્રી : ઋષ્યશૃંગ રાજ થશે, આનંદ આનંદ!
પહેલી સ્રી : આપણે સુખી થૈશું. ભગવાન, હવે અમારા પર કોપાશો નહીં. ઋષ્યશૃંગ અમારા પર દયા રાખો.
બીજી સ્રી : ચાલ, એક વાર તેમનાં દર્શન કરી આવીએ.
ત્રીજી સ્રી : દર્શન ના થાય તો કાંઈ નહીં, આઘેથી પ્રણામ કરશું.
પહેલી સ્રી : દર્શન આપશે, એ તો દયાળુ છે.
બીજી સ્રી : લ્યો, ચાલો હવે.
(સ્રીઓનું પ્રસ્થાન)
તરંગિણી : (અંદર, અસ્ફુટ ઊંચા સૂરમાં) તેઓ સુખમાં રહેશે તે દયાળું છે!
(રાજમાર્ગ પર ચંદ્રકેતુનો પ્રવેશ. ધીમે ધીમે તે તરંગિણીના ઘર સામે આવી ઊભો રહે છે. ગવાક્ષ ભણી દૃષ્ટિપાત કરે છે. ઊંડો નિસાસો નાખે છે. સાવધાનીથી ચારે બાજુએ જુએ છે. જરા આગળ જઈને ફરી પાછો આવે છે. વળી દૂર ચાલ્યો જાય છે. તે સમયે અંશુમાન વેગથી પ્રવેશ કરે છે. એકબીજાને જોઈ, ચમકી તેઓ ઊભા રહે છે)
ચંદ્રકેતુ : અરે, અંશુમાન!
અંશુમાન : ને ચંદ્રકેતુ!
ચંદ્રકેતુ : બહુ દિવસે મળ્યા.
અંશુમાન : બહુ દિવસે.
ચંદ્રકેતુ : કુશળ તો ખરો ને?
અંશુમાન : આજે અંગદેશમાં સૌ કુશળ છે.
ચંદ્રકેતુ : પણ કેમ તને ઉદ્વિગ્ન જોઉં છું?
અંશુમાન : તું ય પણ ખાસ પ્રફુલ્લિત દેખાતો નથી.
ચંદ્રકેતુ : ઝડપથી ક્યાં જતો હતો?
અંશુમાન : ક્યાં?... ખબર નથી... તું ક્યાં?
ચંદ્રકેતુ : અહીં જ. કયા રત્નની ખાણ આ ઘરમાં છે, તે તો તું જાણે જ છે.
અંશુમાન : આ ઘરમાં? (દૃષ્ટિ નાખી) તરંગિણી, પેલી પાપિષ્ઠા.
ચંદ્રકેતુ : તારી લાંબી જીભને વશમાં રાખ, અંશુમાન.
અંશુમાન : ચંદ્રકેતુ તને ખબર નથી. દિલનો દાઝયો બોલું છું.
ચંદ્રકેતુ : તું દિલનો દાઝયો? તું રાજમંત્રીનો પુત્ર અંશુમાન? ચંપા નગરનો યુવકુલમણિ? તો શું તું ય તરંગિણીના બાણોથી વિંધાયેલો છે?
અંશુમાન : જો ધરતી પર તરંગિણીનું અસ્તિત્વ જ ન હોત, તો મારે આજ ઉદ્‌ભ્રાન્ત થઈને ભટકવું ના પડત.
ચંદ્રકેતુ : (અંશુમાનની વાતની ગેરસમજથી–આવેગપૂર્વક) અંશુમાન, તેં તેને હમણાંની ક્યાંય જોઈ છે? મંદિરે, નદીતીરે, ઉદ્યાનમાં, નાટ્યશાળામાં, નિર્જનમાં કે વસ્તીમાં, અંદર કે મંડપમાં, દૂતાવાસમાં કે કવિસંમેલનમાં–તેં શું એને જોઈ છે? હું ચંપાનગરીમાં સતત તેને શોધતો ભમું છું, પરંતુ—
(દાંડી પીટનારનો પ્રવેશ)
દાંડી પીટનાર : (ઢોલ વગાડીને) મહારાજ લોમપાદનો ઢંઢેરો સાંભળો. ઋષ્યશૃંગના યુવરાજપદે થનારા અભિષેક પ્રસંગે મહારાજ પ્રજાને ધનદાન કરશે. બ્રાહ્મણોને દાન આપશે, સંગીતકારોને મલ્લોને, નટોને, પંડિતોને, કલાકારોને, પુરસ્કૃત કરશે. અર્ધો માસ ચાલનારા ઉત્સવને લીધે બધાં કામકાજ બંધ રહેશે. ઋષ્યશૃંગના યુવરાજપદે થનારા અભિષેક પ્રસંગે...
(રાજમાર્ગ વટાવીને દાંડીપીટનાર ચાલ્યો જાય છે, નેપથ્યમાં જનતાનો હર્ષધ્વનિ)
તરંગિણી : (અંદરે–અસ્ફુટ ઊંચા સૂરે)–ઉત્સવ! અર્ધો માસ ચાલનારો ઉત્સવ! યુવરાજ!
ૃઅંશુમાન : ઉત્સવ!... અસહ્ય!
ચંદ્રકેતુ : શું બોલ્યો? અસહ્ય?
ૃઅંશુમાન : ઋષ્યશૃંગ–કડવું ઝેર જેવું નામ!
ચંદ્રકેતુ : તેં વળી એક નવી વાત કરી!
ૃઅંશુમાન : જો ઋષ્યશૃંગનો જન્મ કદી થયો જ ના હોત! જો આજે પણ ઋષ્યશૃંગનું અસ્તિત્વ ભુંસાઈ જાય!
ચંદ્રકેતુ : આશ્ચર્ય! તેં તો મારા જ મનની વાત કહી દીધી. મને પણ લાગે છે કે મારા દુઃખનું મૂળ ઋષ્યશૃંગ છે. તરંગિણીએ તેમને ધ્યાનભ્રષ્ટ કર્યા–તેને વિરાટ કીર્તિ મળી–પણ તે પછી તે પોતે હવે સ્વસ્થ નથી. અંશુમાન, આ બે વચ્ચે કાર્યકારણ સંબંધ હોય એવું તને નથી લાગતું?
અંશમાન : ઋષ્યશૃંગ!... અને તરંગિણી!... અને મારા પિતા!... કુટિલ ષડયંત્ર! મૂર્ખ છું હું! અને તું–અલબા, નિર્જિતા, અસહાય! ના, હવે નિષ્ક્રિય રહેવું નહીં પાલવે, હવે કોઈ પસ્તાવો માત્ર નહીં ચાલે, હવે કંઈક ઉદ્યમ કરવો પડશે.
ચંદ્રકેતુ : શું થયું? મુનિએ તેને શાપ આપ્યો? કે વશીભૂત કરી દીધી? ચંપાનગરમાં કોઈ એવી કલ્પના પણ કરી શકે કે તરંગિણી જોવા પણ નહીં મળે! (તરંગિણીના ગવાક્ષ ભણી જોઈ) હું દરરોજ અહીં આવીને ઊભો રહું છું– તે કોઈ દિવસ જોવામાં આવતી નથી.
અંશુમાન : કેટલા વખતથી એને જોઈ નથી. આંખે મારી અનાવૃષ્ટિ છે. દુષ્કાળ છે મારા હૃદયમાં.
ચંદ્રકેતુ : ધૈર્ય-ધૈર્ય! હું આખો દિવસ અહીં ઊભો રહીશ. તડકો, ભૂખ, તરસ મને ડગાવી શકશે નહીં. તે જો થાય નિષ્ઠુર, તો હુંય થઈશ અવિચલ.
અંશુમાન : ઉદ્યમ–પુરુષાર્થ–પ્રયત્ન! ઋષ્યશૃંગ ત્રિલોકના અધીશ્વર ભલે થાય, પણ શાન્તા મારી છે!
(વેગથી અંશુમાનનું પ્રસ્થાન)
ચંદ્રકેતુ : કામદેવ. કામદેવ જેવો પીડા આપનાર કોણ છે? પણ અંશુમાનની આ અશાન્તિ કોને લીધે છે? કંઈ સમજાતું નથી. અંગદેશમાં રિદ્ધિ લાવ્યા છે ઋષ્યશૃંગ, પણ કોઈ કોઈ તેમને લીધે જ દુઃખી છે.
(તરંગિણીના ઘર આગળ ચંદ્રકેતુની પદચારણા, વચ્ચે વચ્ચે ગવાક્ષ ભણી દૃષ્ટિપાત, અંદરથી લોલાપાંગી બહાર આવતી દેખાય છે. ચંદ્રકેતુ વ્યગ્રતાથી તેના ભણી જાય છે.)
ચંદ્રકેતુ : લોલાપાંગી, આજે પણ આશા નથી!
લોલાપાંગી : આશા અમર છે. હું પણ પ્રયત્ન કરું છું.
ચંદ્રકેતું : તો આજ – આજ એકવાર-લોલાપાંગી, મારે તેને માત્ર એક વાર નજરે જોવી છે.
લોલાપાંગી : ધન્ય છે તારી નિષ્ઠા, ચંદ્રકેતુ. હું તારો જ વિચાર કરીને સતત પ્રયત્ન કરું છું. રોજ રોજ ધીરે ધીરે તેને સમજાવું છું. તરંગિણી જાણે કે પથ્થર થઈ ગઈ છે, પણ પાણીના પ્રહારથી પથ્થર પણ ઘસાય છે.
ચંદ્રકેતુ : ધન્ય છે તારો પ્રયત્ન, લોલાપાંગી, મારા પ્રત્યેની તારી અનુકંપાથી હું અભિભૂત છું. તું તો જાણે છે હું તારો હમેશનો અનુરાગી છું. મને તારા માટે માન છે. એ માનના પ્રતીક તરીકે આ વીંટી તને આપવા માગું છું.
(ચંદ્રકેતુ પોતાની આંગળીએથી કાઢીને લોલાપાંગીને વીંટી આપે છે)
લોલાપાંગી : કેટકેટલા ઉપહાર તું આપેે છે. જેને આપે છે તેને જ માટે બધા રાખી મૂકું છું. તેની ચેતના એક નેે એક દિવસ તો જરૂર પાછી આવશે.
ચંદ્રકેતુ : તું ગેરસમજ કરે છે. આ વીંટી તારે જ માટે છે.
લોલાપાંગી : મારે માટે. વૃદ્ધ અંગે આભૂષણ?
ચંદ્રકેતુ : શું બોલે છે? તું વૃદ્ધા? જો તું વાર્ધક્યે પણ આવી મનોરમા હોય તો યૌવને તો કોણ જાણે કેવી હોઈશ! આવ, તને પહેેરાવું.
(ચંદ્રકેતુ લોલાપાંગીની આંગળીએ વીંટી પહેરાવે છે.)
લોલાપાંગી : લાલ મણિ મને ગમે છે.
ચંદ્રકેતુ : તારી આંગળી પણ પદ્મકલિ છે. પદ્મકલિ પર રક્તમણિ જો, કેવી શોભે છે! (લોલાપાંગીનો હાથ જરા દબાવી) હવે જાઓ મારી દૂતી, મારુ પ્રિય કાર્ય સિદ્ધ કર. જઈને કહે, તેનું દર્શન નહીં થાય તો હું અનશન કરીને પ્રાણત્યાગ કરીશ.
લોલાપાંગી : હું એ પ્રમાણે જ કહીશ, પણ તું ઉપવાસ કરે તો મારાથી સહન નહીં થાય. હું તો મા છું. તું પેલા વૃક્ષની છાયામાં રાહ જો; હું દાસીની સાથે મિષ્ટાન્ન મોકલી આપું છું.
ચંદ્રકેતુ : આ ક્ષણે મિષ્ટાન્ન મારે ગળે ઊતરશે નહીં, મારું મન ખૂબ વ્યાકુળ છે. જ્યાં સુધી તું સમાચાર નહીં લાવે ત્યાં સુધી ધ્રૂજતો ધ્રૂજતો ઊભો રહીશ-સાંભળ, હું તેના હાથનો ઉમેદવાર છું, તે વાત તેને કહેવાનું ભૂલતી નહીં.
લોલાપાંગી : નહીં ભૂલું.
ચંદ્રકેતુ : તે મારી ધર્મપત્ની થશે તો હું મને ધન્ય માનીશ.
લોલાપાંગી : હું પ્રયત્ન કરીશ કે જેથી તું જ તેની આગળ આ શુભ પ્રસ્તાવ મૂકી શકે.
ચંદ્રકેતુ : લોલાપાંગી, હું તારો દાસાનુદાસ છું. મારા જીવનનો અત્યારે તું જ ભરોસો છે.
(લોલાપાંગી અંદર અદૃશ્ય થાય છે. ચંદ્રકેતુ બાજુએ ચાલ્યો જાય છે. હવે પછીનાં ભાગનુ દૃશ્ય ઘરની અંદર)
લોલાપાંગી : (પ્રવેશ કરીને)–તરંગિણી, તરણી, તરુ!
તરંગિણી : મા, ફરી પાછી!
લોલાપાંગી : હું માત્ર એક વાત કહેવા આવી છું.
તરંગિણી : તારે તો બીજી વાત જ નથી.
લોલાપાંગી : તરુ, આ તો કેવી તારી અમાનુષિક પ્રતિજ્ઞા છે!
તરંગિણી : મા હું થાકી ગઈ છું.
લોલાપાંગી : તું થાકી ગઈ છે? આ તો તારી ભર જુવાની છે–અત્યારથી જ?–અને હું અભાગણી–મારે થાકવાનો સમય જ નહીં, વિશ્રામ લેવાનો ઉપાય જ નહીં. તારા ઋભુ, દેવલ, અધિકર્ણની ટોળી મને એક ક્ષણ પણ શાન્તિ આપતી નથી.
તરંગિણી : સાંભળ્યું છે.
લોલાપાંગી : ટોળેટોળે તેઓ આવ્યા હતા–ટોળેટોળે પાછા ગયા.
તરંગિણી : તો તો હવે ઉપાધિ નથી.
લોલાપાંગી : ગ્રીક પંડિત કૃશસ્તોમ આવ્યા હતા, ચીન દેશના બન્ને અમાત્ય પણ. ગાંધાર દેશનો રાજકુમાર આવ્યો હતો. અહા કેવું રૂપ!
તરંગિણી : મા, રૂપ કોને કહેવાય તે તું જાણતી નથી.
લોલાપાંગી : યવદ્વીપના વણિકો ભેટ લાવ્યા હતા–મોતીઓની માળા–મધ્યમાં એક અષ્ટકોણી હીરામાં જાણે સૂર્યનો ઝળહળાટ.
તરંગિણી : તરી આંખોમાં લોભની ઝલક વધારે વધારે ઉગ્ર છે.
લોલાપાંગી : લોભ નથી, દીકરી—સ્નેહ, માતૃસ્નેહ. તારે મને જે કહેવું હોય તે કહે, પણ હું તો ઇચ્છું છું કે તારું મંગલ થાઓ. દીકરી, મોં ઊંચું કરીને જો, લક્ષ્મીને લાત ના મારીશ.
તરંગિણી : હવે બોલીશ નહીં. કેટલીય વાર સાંભળ્યું છે.
લોલાપાંગી : બધું સાંભળ્યું નથી હજી—મારી તકલીફની વાત બધી જાણતી નથી. ભગવાન સાક્ષી—મેં કેટલા કૌશલથી ભુલાવામાં રાખ્યા હતા એમને—દિવસ પછી દિવસ, માસ પછી માસ—કેટલાં છળ કરીને, કેટલું જુઠું બોલીને તેમનો ઉત્સાહ જીવતો રાખ્યો હતો. પણ એકે એકે બધા નિરાશ થઈને છોડી ગયા– હું એમને પકડી રાખી શકી નહીં.
તરંગિણી : તો પછી વિશ્રામમાં હવે શી અડચણ છે?
લોલાપાંગી : તું શું મારી મજાક ઉડાવે છે, તરુ? તને ખબર નથી મારુ મન કેટલું અશાન્ત છે? તરુ, તારી જોડે સરખામણીમાં બેસી શકે એવું કોઈ નથી. આજે તારો યશ વિશ્વવ્યાપી છે. તેં ઋષ્યશૃંગને જીત્યા છે, પણ નગરમાં બીજી રસવતીઓ નથી. એવું તો નથી.
તરંગિણી : (એકાએક જીવંત અવાજમાં) ના, મા, ના—મેં જીત્યા નથી.
લોલાપાંગી : શું કહે છે તું? જીત્યા નથી! તે દિવસની વાતનો વિચાર કરતાં આજેય મારાં રૂવાડાં ઊભાં થઈ જાય છે, જે દહાડે તું એ દુર્ઘર્ષ તપસ્વીને બંદી કરીને લઈ આવી નગરમાં! (હસી પડી) પહેરેગીર જેમ ચોરને લઈ આવે તેમ, ભરવાડ જેમ દોરડાથી ઘેટાને બાંધીને લઈ આવે તેમ—અને એટલે તો આ સુભાગ્ય છે આજ આખા દેશનું તારે જ લીધે.
તરંગિણી : ના, મા—હું કોઈ નથી. માત્ર સાધન, માત્ર ઉપાય.
લોલાપાંગી : આજ અંગદેશમાં ધનનો પ્રવાહ વહે છે—જાણે ભાદરવાની નદી—તેમાં શું તારો એકલીનો જ કોઈ ભાગ નહીં—તારો–જેને કારણે આ બધું બન્યું.
તરંગિણી : હું પણ એ જ વિચારું છું.
લોલાપાગી : (ઉત્સાહિત થઈને) તરુ, તરંગિણી—હું શું કહું—કહેતાં ય મારી છાતી ફાટી જાય છે. આ પેલે દહાડેય તારો પ્રસાદ ખાઈને જે જીવતી હતી, તે છોકરીઓય બે હાથે બધું લૂંટી રહી છે. મારી જ આંખો સામે! પેલી રતિમંજરી વામાક્ષી, અંજના, જબાલા—તારી જ સખીઓ—જેમને તું તે દહાડે સાથે લઈ ગઈ હતી, પણ ઋષ્યશૃંગની આગળ જવાની પણ જેમની હિંમત ચાલી નહોતી—તેઓ જ આજે રાણીની જેમ ગર્વિલી છે.
તરંગિણી : મારું મન કહે છે કે મારા જેવી ગર્વિલી બીજી કોઈ નથી.
લોલાપાંગી : હતી ત્યારે—પરંતુ અત્યારે? તરુ, યુવકો તને ધીરે ધીરે ભૂલતા જાય છે, તારી મશ્કરીઓ કરે છે તારી ઠમકાવાળી સખીઓ. ખબર છે, વામાક્ષીના મુખની સ્તુતિ કરતાં આમતેમથી વીણીને સનંદે દશ શ્લોક લખ્યા છે. અને પેલી યવદ્વીપની મોતીઓની માળા રતિમંજરીના ગળમાં ઝૂલે છે. તરંગિણી, મારે આ જોવાના દહાડા આવ્યા! હું હજી શા માટે જીવું છું!
તરંગિણી : તું એ મોતીની માળાને કોઈ રીતે ભૂલીશ નહીં? તારી પાસે તો ઘણી છે.
લોલાપાંગી : મારું કશું નથી. બધું જ તારું છે. પણ ધન કોઈને કોઈ દહાડો ય વધારે લાગ્યું છે? અને જ્યાં માત્ર જાવક જ છે અને આવક નથી, ત્યાં રાજભંડારને પણ ખાલી થતાં કેટલા દિવસ? તરંગિણી, હું તારી મા, તારા મોં સામે જોઈને જ જીવું છું હું. તારા સિવાય સંસારમાં મારું કોઈ નથી. તું મારી આંખનું રતન છે. મારાં સુખ શાન્તિ ઈચ્છા આશા બધું જ તું છે. તું જો મારી અવહેલના કરીશ તો પછી મારે મરવું જ સારું. (આંખે પાલવ દબાવી રુદન).
તરંગિણી : મા રહેવા દો. હજુ કેટલું દુઃખ આપીશ?
લોલાપાંગી : હા ભગવાન! હું તને દુઃખ આપું છું! (રુદન)
તરંગિણી : મેં તને કહ્યું નહીં કે મારે કશુંય જોઈતું નથી? મેં તને બધુંય આપી દીધું છે. પેલી દશ હજાર સ્વર્ણમુદ્રાઓ, રથ, પલંગ, આસન, વસન અને બીજું કૈં કેટલું યાદે આવતું નથી–જે કૈં મારું હતું, જે રાજમંત્રીએ આપ્યું હતું, તે બધુંય. તારે હજી વધારે જોઈએ છે?
લોલાપાંગી : નાદાન છોકરી–તો શું હું મારી ચિંતા કરું છું! કંઈ નહીં તો હું તો દેશાવરમાં જતી રહીશ. જોગણ થઈને રસ્તે રસ્તે ભીખ માગીશ– તે પછી જે દિવસે પરલોકનો સાદ પડશે, ચિન્તામણિનું સ્મરણ કરીને આંખ મીંચીશ. પણ તું-તારું શું થશે? તું જો આ રીતે વિ-મના થઈને રહીશ તો પછી તારી શી દશા થશે? તું શું કદી તારો વિચાર કરતી નથી?
તરંગિણી : મા આખો વખત વિચાર કરું છું.
લોલાપાંગી : શો વિચાર કરે છે, કહે જો મને. તને ધર્મની ખબર છે– બ્રાહ્મણનો ધર્મ જેમ વેદપાઠ, તેમ આપણો ધર્મ છે પરિચર્યા-સેવા. આપણે વારાંગના છીએ–જંગલી વનચર નથી–આપણે રાજાનાં આશ્રિત છીએ. દેવરાજનાં પણ પ્રિયપાત્ર. જેમ શરણાગતને પાછો વળતાં ક્ષત્રિયનો ધર્મનાશ થાય છે, તેમ પ્રાર્થીને પાછો વાળવામાં આપણો. બેટા, યાદ રાખ, ધર્મ સૌની ઉપર છે–આપણાં સુખ દુઃખ, ઇચ્છા અનિચ્છા બધાંની ઉપર ધર્મ છે. ધર્મ છે એટલે જ સૂર્ય તપે છે, અગ્નિ તાપ આપે છે, પાણી એટલે જ શીતલ છે. તરંગિણી, આ તું જે પોતાને સંતાડી રાખે છે, જાણે સંસારમાં કોઈ કર્તવ્ય નથી-તે તારો દંભ છે–સ્વાર્થ પરકતા છે–પાપ છે. કહે જો, હું મા થઈને કેવી રીતે આ અનાચાર સહન કરું? આ ઇહલોક નષ્ટ કરીશ તોય તારો પરલોક તો છે.
તરંગિણી : મા, હું પાપપુણ્ય જાણતી નથી, ઇહલોક પરલોક જાણતી નથી; હું કોણ છું તે ય જાણતી નથી અત્યારે.
લોલાપાંગી : આ શું બોલે છે! તું અંગદેશની લાડકી તરંગિણી છે. ચંપાનગરમાં એવો કયો યુવક છે જે તારી આંગળીને ઇશારે દોેડ્યો ન આવે?
તરંગિણી : મારું મન કહે છે કે મારા જેવી દુખિયારી બીજી કોઈ નથી.
લોલાપાંગી : વિકાર, મનનો વિકાર છે તારો! તારે શું જોઈએ છે તે મને કહીશ? કોણ જોઈએ તારે? તરુણ છે તારું જીવન, દેહ તારો છે આગનું પાત્ર. તારે પોતાને પણ કોઈ વાસના નથી?
તરંગિણી : (એકાએક) મા, મારા પિતા કોણ હતા તે તું જાણે છે?
લોલાપાંગી : (કોમળ સ્વરે) જાણું છું, બેટી. પણ તેમની વાત શા માટે?
તરંગિણી : તેં તો મને ક્યારેય પિતાની વાત કરી નથી. તેઓ કેવા હતા? તું ક્યારે તેમની સહચરી હતી?
લોલાપાંગી : તે વખતે મારા યૌવનની શરૂઆત જ હતી. તેઓ ઉદાર, અપરિણીત અને ઇર્ષ્યાળુ હતા. હું બીજા પુરુષનો સંસર્ગ કરું તો તે ગુસ્સે થતા. તેમનો અન્યાય સમજવા છતાં હું તેમની આસક્તિમાંથી મુક્ત થઈ શકતી નહોતી; ઘણા સમય સુધી ફક્ત તેમની સાથે જ મારો સંબંધ હતો.
તરંગિણી : તે પછી?
લોલાપાંગી : તું જ્યારે નાની હતી, તેઓ વેપાર અર્થે વિદેશ ગયા અને પાછા ફર્યા નહીં.
તરંગિણી : તું શું તેમની અનુરાગિણી હતી? તેઓ પાછા ન આવતાં દુઃખી થઈ હતી?
લોલાપાંગી : પછી સાંભળ્યું હતું–તેઓ વેપાર માટે ગયા નહોતા; લગ્ન કરીને કોશલ દેશમાં જતા રહ્યા હતા. મેં પણ તેમને મનમાંથી કાઢી નાખ્યા.
તરંગિણી : કાઢી નાખ્યા?
લોલાપાંગી : નીકળી ગયા–જાય જ. અનુરાગ, અભિમાન, મનોવેદના–આ બધી વસ્તુઓમાં કોઈ સાર નથી. કપૂરની જેમ ઊડી જવાનો તેમનો સ્વભાવ છે.
તરંગિણી : તારી સાથે તેમનું કદી મળવાનું થયું નહીં?
લોલાપાંગી : ફરી થયું નથી. યાદ પણ નથી,
તરંગિણી : યાદ પણ નથી?
લોલાપાંગી : વારાંગનાઓ સ્મૃતિ સાથે વિલાસ કરતી નથી, તરુ. સ્વકર્મમાં જેમની નિષ્ઠા હોય છે, તેઓ બધું ભૂલી જાય છે.
તરંગિણી : પરંતુ–પહેલવહેલું જ્યારે મળવાનું થયું ત્યારે તેઓ મુગ્ધ હતા? કેવી નજરે જોતા તારા ભણી? તને યાદ આવે છે? ક્યારેય તને કહ્યું હતું–‘તું છદ્મવેશી દેવ છે, તું મૂર્તિમંત આનંદ છે?’ તને યાદ છે?
લોલાપાંગી : વાક્ય, અસાર વાક્ય! દેહ જ્યારે કામનાથી તપ્ત હોય છે ત્યારે જીભ શું બોલતી નથી?
તરંગિણી : તેઓ બોલ્યા હતા? તેમની આંખ સાથે તારી આંખ મળી ત્યારે તું ધ્રૂજી ઊઠી હતી? ત્યારે તને શું મનમાં થયું હતું કે તું કોઈ અન્ય છે?
લોલાપાંગી : કેવી નવાઈની વાત! હું કેમ અન્ય કોઈ થઈ જાઉ? અને થાઉં તોય મને શો લાભ?
તરંગિણી : (માના મોં તરફ નિબિડ ભાવે જોઈને) મને જાણે લાગે છે કે તારા ચહેરાની નીચે બીજો ચહેરો સંતાયેલો છે. મારા પિતાએ તે જ જોયો હતો.
લોલાપાંગી : ત્યારે હું તરુણી હતી, તરુ.
તરંગિણી : ત્યારે પણ તારે એક બીજો ચહેરો હતો. તું તે જાણતી નથી.
લોલાપાંગી : વિકાર, મનનો વિકાર છે! તરુ, તું સંયત થા.સર્વનાશી મિથ્યાત્વના હાથમાં સપડાઈશ નહીં. હું સરળ માણસ છું–મારી પાસે સાચી વાત સાંભળ. આપણે સૌ પોતપોતાનાં કર્મો લઈને સંસારમાં આવીએ છીએ અને કર્મો સમાપ્ત થતાં ચાલ્યાં જઈએ છીએ. એકનું કર્મ બીજાને શોભતું નથી. આ છે બ્રહ્માનું અનુશાસન (ક્ષણેક ચૂપ રહી–એકાએક) તરુ, તને એક પ્રશ્ન પૂછું છું. તને શું કુલવધૂ થવાની ઇચ્છા છે?
તરંગિણી : (તુચ્છતાના સ્વરે) કુલવધૂ! દરરોજ રાતે એક જ પુરુષ!
લોલાપાંગી : (મનમાં મનમાં રાજી થઈને–સાવધાનીથી) તેથી તને અધર્મ નહીં થાય, દ્રોણ હતા તો બ્રાહ્મણ, પછી ક્ષત્રિય થયા. તેવી રીતે વારાંગના પણ ઇચ્છે તો કુલસ્રી થઈ શકે, કુલસ્રી વારાંગના થઈ શકે. શાસ્રનો નિષેધ નથી. તું શું મા થવા ઇચ્છતી નથી?
તરંગિણી : જાણતી નથી, વિચાર કરી જોયો નથી,
લોલાપાંગી : તે પણ ઇચ્છતી નથી? માતા કે પ્રેયસી, સતી કે ગણિકા, ઉર્વશી કે લક્ષ્મી–કોઈ પણ તારા મનમાં બેસતું નથી?
તરંગિણી : મા, હું જાણે કે ખોવાઈ ગઈ છું, હું જાણે મને શોધી શકતી નથી.
લોલાપાંગી : સહેલો ઉપાય છે તું લગ્ન કર. શાન્તિ પામીશ–સંતાન પામીશ–પૂર્ણતા પામીશ.
તરંગિણી : મા, તું મને શું ધારે છે? સ્વામી, ગૃહસ્થી–આ બધું લઈને શું હું તૃપ્ત થઈ જઈશ–હું છું સ્રોતસ્વિની તરંગિણી. મા, ઉભરાઉં છું, મારું હૃદય છલકાય છે. મારે ક્યાંય આશ્રય નથી.
લોલાપાંગી : (રાજી થઈને) એટલે જ તરુ, એટલે–જ તને એક ગૂઢ વાત કહું છું, તે સાંભળ. બધી સ્રીઓ પત્ની થઈ શકે, સતી થઈ શક્તી નથી. બહુચારિણી થઈ શકે છે, વારાંગના થઈ શકતી નથી. એક પુરુષમાં આસક્ત રહેવાથી જ સતી થવાતું નથી, બહુચારિણી પણ સતી થઈ શકે છે, પણ બધી જ બહુચારિણીઓ સાચી વારાંગના હોતી નથી. સતી કે વારાંગના–બન્ને માટે થવું પડે ગુણવતી, પ્રાણપૂર્ણા. બન્ને માટે અસામાન્ય પ્રતિભા જોઈએ. તારી પાસે તે પ્રતિભા છે–તું જ્યોતિર્મયી સતી થઈ શકે અથવા વારાંગનાઓનો મુકુટમણિ થઈ શકે. તારે માટે અન્ય કોઈ રસ્તો નથી.
તરંગિણી : અન્ય રસ્તો નથી?
લોલાપાંગી : અન્ય રસ્તો નથી. તરુ, તું જ નક્કી કર-કયે રસ્તે જવું છે તારા બધા પ્રાર્થીઓ જતા રહ્યા નથી. એક જણ બાકી છે. તે માત્ર પ્રાર્થી જ નથી, પાણિપ્રાર્થી છે. ચંદ્રકેતુ તારો અનન્ય ઉપાસક છે. તેનું ધૈર્ય અટલ છે, તેની પ્રતિજ્ઞા અટૂટ છે. દરરોજ નિષ્ફળ થઈને પાછો જાય છે, દરરોજ નવા ઉદ્યમથી પાછો આવે છે! તેને જ–માત્ર તેને જ–લોભાવી શકી નહીં રતિમંજરી કે વામાક્ષી કે અંજના. તરંગિણી, તે તારો પતિ થવાને અયોગ્ય નથી,
તરંગિણી : ચંદ્રકેતુ! (હસી પડી) હું જગતમાં સેંકડો ચંદ્રકેતુઓને જેટલી વામાક્ષીઓ છે તેમની વચ્ચે વહેચી દઈ શકું એમ છું.
લોલાપાંગી : એ અભિમાનમાં તું પોતાના જીવન વેડફી નાખીશ? તું શું એમ માને છેકે હજી તું કિશોરી છે? તારું યૌવન હવે કેટલા દિવસ–તે પછી? કોણ તારા મોં સામું જોવાનું હતું? હું તને કહું છું–ચંદ્રકેતુ તારી છેલ્લી તક છે. કાં તો તેની જોડે લગ્ન કર, નહીં તો પૂર્વજીવનમાં પાછી આવ.
તરંગિણી : મારી છેલ્લી તક ચંદ્રકેતુ! (હસી પડે છે.)
લોલાપાંગી : તરુ, સાવધાન! દર્પહારી મધુસૂદન જાગે છે.
તરંગિણી : મા મારો દર્પ ચૂર્ણ થઈ ગયો છે. હવે મને બીક નથી.
લોલાપાંગી : (ક્ષણવાર તરંગિણી તરફ જોઈ રહી) તરુ, શું બોલે છે તું? તારી વાત હું સમજી શકતી નથી, તને ક્યાં દુઃખે છે, મને કહે.
તરંગિણી : તો ચંદ્રકેતુ મારો–પાણિપ્રાર્થી છે?
લોલાપાંગી : (ઉત્સાહિત થઈ) તે દરરોજ આવે છે–આજ પણ આવ્યો છે–આ ક્ષણે બહાર રાહ જુએ છે. જ્યાં સુધી તારાં દર્શન નહીં થાય ત્યાં સુધી પાણી સુધ્ધાં નહીં પીએ.
તરંગિણી : પ્રતિજ્ઞા પાળવી મુશ્કેલ થશે.
લોલાપાંગી : તરુ, તું આટલી બધી નિષ્ઠુર છે! તારામાં દયામાયા નથી? કંઈ નહીં તો તેને એક વાર મળવા પણ નહીં દે?... ઇચ્છા ના હોય તો લગ્ન ના કરીશ, પણ એક વાર તેને મળવા તો દે. મારી આ એક વાત રાખ!... કહે– તેને લઈ આવું?
તરંગિણી : (ક્ષણવાર કશોક વિચાર કરી) લઈ આવ. જોઉં તો તે મારા પ્રશ્નનો ઉત્તર જાણે છે કે નહીં
લોલાપાંગી : હમણાં જ–હમણાં જ લઈ આવું છું. ચંદ્રકેતુ! ચંદ્રકેતુ!
(જલદીથી બહાર જઈને લોલાપાંગી ચંદ્રકેતુને લઈને આવે છે)
ચંદ્રકેતુ : દેવી! આટલે દિવસે દયા કરી!
તરંગિણી : ચંદ્રકેતુ, હું તને એકબે પ્રશ્નો પૂછવા ચાહું છું.
લોલાપાંગી : તરંગિણી તને પ્રશ્ન કરશે. યોગ્ય ઉત્તર આપજે, ચંદ્રકેતુ.
તરંગિણી : ચંદ્રકેતુ, તું મને પ્રેમ કરે છે?
લોલાપાંગી : બોલ, બોલ ચંદ્રકેતુ! સંકોચ કરીશ નહીં.
ચંદ્રકેતુ : હું તારો સેવક છું. તારો દાસ છું. મને તારે ચરણે સ્થાન આપ.
તરંગિણી : ચરણમાં સ્થાન ઇચ્છે છે? બાહુમાં નહીં? હૃદયમાં નહીં?
ચંદ્રકેતુ : તું મારી હૃદયેશ્વરી છે. તું મારી આરાધ્ય છે.
તરંગિણી : તો પછી શા માટે મળવા ઇચ્છે છે? આપણે દેવતાની આરાધના કરીએ છીએ; તેમને તો આંખે જોતા નથી.
લોલાપાંગી : ચંદ્રકેતુ, સીધી વાત કર. ચોખ્ખેચોખ્ખી વાત કર.
ચંદ્રકેતુ : તરંગિણી, હું તને ધર્મપત્ની રૂપે પસંદ કરવા ઇચ્છું છું.
તરંગિણી : ધર્મપત્ની રૂપે પસંદ કરવા ઇચ્છે છે? (હસીને) ધર્મપત્ની કોને કહેવાય?
ચંદ્રકેતુ : તું થઈશ મારી ભાર્યા–સહધર્મચારિણી–ગૃહલક્ષ્મી. મારા સંતાનની તું જનની બનીશ. તારા પુત્ર થશે મારી સંપત્તિના ઉત્તરાધિકારી,
તરંગિણી : માત્ર એટલું જ.
ચંદ્રકેતુ : મારો પ્રણય, મારી શ્રદ્ધા, મારું સ્વાસ્થ, મારું વિત્ત–બધુંય તારું થશે. હું પ્રતિજ્ઞા કરું છું કે જો તું પુત્રવતી થઈશ તો હું બીજી પત્ની નહીં કરું.
તરંગિણી : જો પુત્રવતી ના બનું તો ?
ચંદ્રકેતુ : તો પણ નહીં.
તરંગિણી : જો નિઃસંતાન રહું તો?
ચંદ્રકેતુ : તો પણ નહીં. તું જ હોઈશ એક–અને સર્વમયી.
તરંગિણી : બદલામાં મારે શું આપવું પડશે?
ચંદ્રકેતુ : પ્રેેમ–પ્રેમ–પ્રેમ. બીજું કશુંય નહીં.
તરંગિણી : અર્થાત્‌ મને બીજાઓ સાથે ભાગમાં ભોગવી તને સંતોષ નથી. તું મને એકલો જ ભોગવવા માગે છે.
ચંદ્રકેતુ : લગ્નનું ધ્યેય સંભોગ નથી–ધર્માચરણ છે.
તરંગિણી : સંભોગ નથી? (હસીને) ચંદ્રકેતુ! તે શાસ્રો વાંચ્યાં છે! તારો પ્રસ્તાવ ઉત્તમ છે. પરંતુ હું તારી પત્ની નહીં બનું. હું કોઈ પુરુષની પત્ની નહીં બનું. તને ખબર નથી કે હું સ્વભાવસ્વૈરિણી છું?
ચંદ્રકેતુ : તો તું તારા સ્વાભાવિક રૂપમાં ફરી દેખા. બહુવલ્લભા બન. પણ મને તારી કરુણાથી વંચિત ના કર. કોઈ પણ ભાવે, કોઈ પણ રૂપે હું તને જ ઇચ્છું છું. તને ન જોઉં તો મારું મૃત્યુ થાય. તારા દૃષ્ટિપાતમાં મારું જીવન છે.
લોલાપાંગી : તરંગિણી, જોયું ને – કેવી અદ્‌ભુત નિષ્ઠા છે! આવી બીજે ક્યાં મળશે?
તરંગિણી : ચંદ્રકેતુ, મારા પ્રત્યે જ તારો આટલો બધો આગ્રહ કેમ છે તે કહી શકે? દેશમાં શું રૂપવતીઓની ખોટ છે? યુવતીઓની ખોટ છે?
ચંદ્રકેતુ : મારી નજરે તારા જેવી રૂપવતી બીજી કોઈ નથી.
તરંગિણી : ચંદ્રકેતુ, સાચું કહે–શું હું રૂપવતી છું? (ચંદ્રકેતુ પાસે આગળ આવી) જો ધારી ધારીને મારા ભણી જો. મને લાગે છે કે મારા ચહેરાની નીચે એક બીજો ચહેરો છુપાયેલો છે. તું જોઈ શકે છે? (લોલાપાંગી ચંદ્રકેતુને ઇશારો કરે છે) મને લાગે છે કે મારો એક બીજો ચહેરો હતો. હું તે ખોઈ બેઠી છું. હું શોધું છું–હું શોધું છું તે ચહેરો. તું તે પાછો આપી શકે? (લોલાપાંગી ચંદ્રેકતુને ઇશારો કરે છે) મને લાગે છે કે મારો એક બીજો ચહેરો હતો હું તે ખોઈ બેઠી છું. હું શોધું છું–હું શોધું છું તે ચહેરો. તું તે પાછો આપી શકે? (લોલાપાંગી ચંદ્રકેતુંને ફરી ઇશારો કરે છે.)
ચંદ્રકેતુ : તું સુંદરી છે. તું મનોહરિણી છે. તું નિરૂપમા છે.
તરંગિણી : ખરેખર? મારા રૂપનું વર્ણન કરી શકીશ?
ચંદ્રકેતુ : પંચશરનું ધનુ છે તારું લલાટ, પ્રત્યંચા છે તારી ભમર, પંચબાણ છે તારા કટાક્ષ, તેનાં ભાથાં તારી ગ્રીવા, તારાં સર્વ અંગો તેનાં શાસ્રો છે. તું શ્રી છે, તું દીપ્તિ છે, તું વિશ્વકર્માની આદિ સૃષ્ટિ છે.
તરંગિણી : (હસી પડીને) ચંદ્રકેતુ, તેં કવિતા વાંચી છે! તું વિદગ્ધ છે, તું સજ્જન છે, પણ હું જે ચહું છું તે તું આપી શકીશ? હું ઇચ્છું છું આનંદ–પ્રત્યેક ક્ષણે આનંદ. હું ઇચ્છું છું રોમાંચ – પ્રત્યેક ક્ષણે રોમાંચ. મારે જોઈએ તે દૃષ્ટિ જેના અજવાળામાં હું મને જોઈ શકું. જોઈ શકું મારો બીજો ચહેરો જે કોઈએ જોયો નથી, બીજા કોઈએ જોયો નથી. (જાણે તન્દ્રામાંથી જાગી ઉઠી હોય તેમ થોડી વાર પછી) મને ક્ષમા કર, મને ઠીક નથી. આવજે.
(તરંગિણી બીજા ઓરડામાં જતી રહે છે.)
ચંદ્રકેતુ : (લોલાપાંગી સાથે નજર મેળવી) જે ધાર્યું હતુ તે જ. તરંગિણી સ્વસ્થ નથી.
લોલાપાંગી : (બીકભર્યા અવાજમાં) સ્વસ્થ નથી? તેનો અર્થ?
ચંદ્રકેતુ : મને શું લાગ્યું ખબર છે? જાણે વચ્ચે વચ્ચે એના કંઠમાંથી બીજું કોઈ બોલતું ના હોય.
લોલાપાંગી : એના કંઠમાંથી બીજું કોઈ બોલતું હોય? કોઈ વ્યાધિ તો નથી? કે પછી પેલી ડાકણ રતિમંજરીનાં કરતૂત? તાંત્રિક પાસે મારી બેટી પર જાદુ તો નથી કરાવ્યું ને?
ચંદ્રકેતુ : કેવી વિવશ લાગતી હતી. જાણે તંદ્રામગ્ન. તો પણ આંખો તો કેવી ઉજ્જવળ હતી!
લોલાપાંગી : હું વૈદ્યને બોલાવું. હું જોષીને બોલાવું. સ્નાયુરોગમાં આહ્‌લાદિનીવાટિકા રામબાણ ઈલાજ છે. ભૂતેશ્વર વ્રત કરવાથી ભૂતની નજર ઊતરી જાય છે.
ચંદ્રકેતુ : પણ મને બીજું લાગે છે. મુનિએ તેને શાપ આપ્યો છે.
લોલાપાંગી : શાપ! કેવો સત્યાનાશ!
ચંદ્રકેતુ : ઋષ્યશૃંગના તપમાં ભંગ પડાવવામાં આવે, અને એને માટે કોઈને સજા ન થાય એમ બને?
લોલાપાંગી : પણ રાજપુરોહિત જે કહ્યું હતું, તે તો અક્ષરેઅક્ષર સાચું પડ્યું છે. આજે અંગદેશ જાણે લક્ષ્મીનું પીઠસ્થાન છે.
ચંદ્રકેતુ : જોષીઓ જાણીને જાણીને કેટલું જાણવાના હતા? એક જ ઘટનાનાં જુદાં જુદાં અનેક પરિણામો હોઈ શકે. કાર્તિકેયના જન્મ માટે જ્યારે મહાદેવને ચળાવવા પડ્યા ત્યારે તો પ્રજાપતિયે સમજ્યા નહોતા કે કંદર્પ ભસ્મીભૂત થઈ જશે. જે તપ વિના દેવો પણ થઈ શકતા નથી, તેમાં વિઘ્ન નાખવું એ શું સહેલું છે?
લોલાપાંગી : શાપની કેટલી અદ્‌ભુત વાતો સાંભળી છે કોઈ જાનવર થઈ જાય છે, કોઈ પથ્થર. પણ તપસ્વિનીનું કોઈ રૂપાન્તર તો થયું નથી.
ચંદ્રકેતુ : ભાવાન્તર થયું છે. તે હવે પોતાના વશમાં નથી. તે કોઈ અલક્ષ્ય પ્રભાવ વડે અભિભૂત છે, સમ્મોહિત છે. તેને માટે જવાબદાર ઋષ્યશૃંગ છે. એમાં મને જોઈ સંદેહ નથી.
લોલાપાંગી : તો ઉપાય?
ચંદ્રકેતુ : જેમણે શાપ આપ્યો છે તે જ એ પાછો ખેંચી શકે.
(રાજમાર્ગ પર ડાંડી પીટનારનો પ્રવેશ.)
ડાંડી પીટનાર : (ઢોલ વગાડીને) આજ પાછલે પહોરે ભાવી યુવરાજ ઋષ્યશૃંગ અરજદારોને મુલાકાત આપશે. સમય ત્રીજા પહોરથી માંડી સૂર્યાસ્ત સુધી. તેઓ અર્ધ્ય અને અભિનંદન સ્વીકારશે. શક્ય ઇચ્છાઓ પૂરી કરશે. આજ પાછલે પહોરે ભાવી યુવરાજ ઋષ્યશૃંગ...
(રાજમાર્ગ વટાવીને તે જતો રહે છે.)
લોલાપાંગી : તો આજે જ, હું આજે જ જઈને તેમને પગે પડીશ.
ચંદ્રકેતુ : હું પણ જવાનું વિચારું છું.
લોલાપાંગી : તો ચાલો આપણે બે સાથે જઈએ. હું તેમને પગે પડીને કહીશ ‘મારી કન્યાને આપ શાપમુક્ત કરો.’ તેમને દયા નહીં આવે?
ચંદ્રકેતુ : પણ કોને ખબર છે તેમનું ઋષિત્વ કેટલું બાકી રહ્યું છે? અત્યારે તો તે રાજાના જામાતા છે. શાપ વાળવાની ક્ષમતા જો તેઓ ખોઈ બેઠા હશે તો?
લોલાપાંગી : કંઈ નહીં તો યે યુવરાજ તો છે. દેવતાના મર્ત્ય પ્રતિનિધિ છે. ધર્મના રક્ષક છે. તેઓ તરંગિણીને આદેશ આપી શકશે. ફરજ પાડી શકશે. તેમના રાજ્યમાં કોઈ ધર્મત્યાગ કરવા તૈયાર થાય તો તેને રોકવાનું કર્તવ્ય તેમનું જ છે.
ચંદ્રકેતુ : એવું પણ બને કે તેમનું તપોબલ હજી એકદમ નષ્ટ ન થઈ ગયું હોય. વરદાન આપવાની શક્તિ લુપ્ત ન થઈ હોય. આપણી વિનંતી સારી રીતે રજૂ કરવી જોઈએ. આવ આપણે એકાન્તમાં જઈને વિચાર કરીએ. તરંગિણી સાંભળી ન જાય.
લોલાપાંગી : આ બાજુએ ચાલ.
(ચંદ્રકેતુ અને લોલાપાંગીનું પ્રસ્થાન. કેટલીક ક્ષણો રંગમંચ ખાલી રહે છે. તે પછી ધીમે ડગલે તરંગિણી પ્રવેશ કરે છે. આ દરમ્યાન તેણે વેશપરિવર્તન કર્યું છે. હવે તેના શણગાર અને પ્રસાધન બરાબર અંક પ્રમાણે તેના હાથમાં એક સુવર્ણજડિત દર્પણ છે.)
તરંગિણી : દર્પણ, કહે, તે શું મારા કરતાં પણ સુંદર છે? તે શું મારા કરતાં દીઘાર્ંગી છે? અને તન્વી? તેના અધર વધારે લાલ છે? છાતી વધારે સુગંધિત છે? તેના બાહુમાં વધારે વિશાળ અભ્યર્થના છે? અંગેઅંગમાં લાસ્ય ઉભરાય છે?...રાજકુમારી શાન્તા! જામાતા! યુવરાજ! તમે શું તૃપ્ત છો? મારી લાજ, મારો ગર્વ, મારી યંત્રણા! હું રિક્ત છું, મારું બધું ચાલ્યું ગયું છે... (દર્પણમાં ગંભીર ભાવે જોઈને) શું આ તે જ ચહેરો છે, જે તમે જોયો હતો? ‘તાપસ તમે કોણ છો? કોઈ સ્વર્ગના દૂત છો? કોઈ છદ્મવેશી દેવતા છો?’ આ મુખ, આ દેહ, આ વસ્રો, આ અલંકાર. તમે શું મને જ જોઈ હતી? આ મને? ‘આનંદ વસે છે તમારાં નયનોમાં આનંદ વસે છે તમારાં ચરણોમાં.’ કાજલ, અલક્તક, લોધ્રરેણુ–હું શું તમારી ઋણી છું? વસ્રો, ભૂષણ, માલા, ચંદન–તમારી? પણ આ જ તો તમે જોયાં હતાં—આ ત્વચા, માંસ, રક્ત, મેદ–આ શરીરઃ હવે કેમ દૃષ્ટિપાત કરતા નથી? હું સ્વપ્નમાં જોઉં છું તમારી એ દૃષ્ટિ—જાગરણમાં જોઉં છું તમારી એ દૃષ્ટિ પણ તમે જે જોયું હતું તે હું કેમ જોતી નથી?... કે પછી મારી જ ભ્રમણા છે? કે પછી તમે જેને જોઈ હતી તે બીજી જ કોઈક છે? આવરણ નહીં, પ્રસાધન નહીં, ત્વચા રક્ત માંસ મેદ નહીં—તો પછી તે કોણ છે? કહે દર્પણ તે કોણ છે? એક ચહેરો એક જ ચહેરો ફૂટી આવે છે વારંવાર—બીજો ચહેરો નથી? આવ—બહાર આવ દર્પણના ઊંડાણમાંથી—બહાર આવ મારા તે ચહેરા! જુઠાબોલા! (દર્પણ ફેંકી દે છે.) તો શું મેં સ્વપ્ન જોયું હતું? બધો મારો મતિભ્રમ છે—તે જ આકાશ, તરુણ સૂર્ય, મારા હૃદયમાં તે જ સૂર્યોદય? ના, મતિભ્રમ નથી—નિષ્ઠુર વાસ્તવ છે. તેઓ આજે યુવરાજ છે—તેઓ આજે લોકપાલ છે. તમને શરમ નથી આવતી? રાજમાર્ગો ઉપર તમારું નામ ઝાંખું પડ્યું છે, રાજમહેલના પ્રકોષ્ટમાં તમે ધૂળેટાયા છો...‘હું તમને છાતીની અંદર સંતાડી રાખી શકીશ.’ પાપિષ્ઠા, કપટભાષિણી, તું ક્યાં રાખી શકી? બીજાના હાથમાં આપી દીધા. સોંપી દીધા શાન્તાના બાહુપાશમાં...પ્રિય, મારા પ્રિય, મારા પ્રિયતમ, કેમ હું તમને લઈને ચાલી ગઈ નહીં–દૂર બહુ દૂર—જ્યાં શાન્તા નથી, લોલાપાંગી નથી, ચંદ્રકેતુ નથી—જ્યાં તમારા નામનો કોઈ જયજયકાર કરતું નથી....પણ હું કરી શકીશ–હજી પણ તમે કરી શકીશ–હજી હું તરંગિણી છું! (દ્રુત ભંગિમાથી દર્પણ ઊંચકી લઈ) ‘સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધુમ હોમાનલ.’ કહે, દર્પણ, બધું સાચ્યું છે. જોઈ જો, મારું હાસ્ય. લઈજો મારા ગાત્રોની સગંધ. સાંભળ મારા કંકણનો રણકાર. હું તરંગિણી છું, તપસ્વીને લૂંટી લીધા હતા, અને આજ શું એક તુચ્છ જામાતાને જીતી નહીં શકું? (મોટેથી હસે છે.)

(પડદો ધીરે ધીરે પડે છે.)