દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૬. ઈશ્વર છે તે વિષે


૮૬. ઈશ્વર છે તે વિષે

મનહર છંદ


પવન પ્રગટ નહીં પેખવામાં આવે પણ,
ઝાડોને હલાવે તેથી પવન જણાય છે;
નદી મધ્યે નીરતણું નિરખી નવીન પૂર,
દૂર વરસાદ થયો, દિલમાં મનાય છે;
દૂર દિસે દેવતા તે દૃષ્ટિએ દેખાય નહિ,
ધૂમાડો દેખીને દૂર દેવતા ધરાય છે;
તેમ કરતાર તણાં કામ દલપતરામ,
દેખી કરતાર છે એવું કહી શકાય છે.

છપ્પો

એક તરખલું આજ, હાથમાં લીધું હરખી,
જગકર્ત્તાની જુક્તિ, નજરથી તેમાં નીરખી;
નસો નળી નવરંગ, ગાંઠ તેમાં ગંઠાઈ,
સરખું વચે સળંગ, સરસ તેમાં સાફાઈ;
નરથી એવું નવ બની શકે, કરે ક્રોડ કારીગરી,
અદ્‌ભુત એમાં દલપત કહે, હિકમત તે હરિએ કરી.