નવલકથાપરિચયકોશ/લેખક-પરિચય

From Ekatra Wiki
Revision as of 15:08, 24 December 2023 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સંપાદક-પારિચય |}} frameless|center<br> <center> '''ડૉ. જયેશ ભોગાયતા''' </center> {{Poem2Open}} વિવેચક, વાર્તાકાર, કવિ, અને કથાસાહિત્યના મર્મી ડૉ. જયેશ ભોગાયતાનો જન્મ ૧૭-૦૪-૧૯૫૪ના રોજ ભાણવડ, જામખંભાળિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદક-પારિચય


JayeshBhogayata.jpg


ડૉ. જયેશ ભોગાયતા

વિવેચક, વાર્તાકાર, કવિ, અને કથાસાહિત્યના મર્મી ડૉ. જયેશ ભોગાયતાનો જન્મ ૧૭-૦૪-૧૯૫૪ના રોજ ભાણવડ, જામખંભાળિયામાં થયો. જામખંભાળિયા અને વેરાડમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, જામનગરમાં બી.એ. અને ભાષાસાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટમાં એમ.એ. (સુવર્ણચંદ્રક વિજેતા) કર્યું. ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિ. અમદાવાદમાં પ્રો. સુમન શાહના માર્ગદર્શન હેઠળ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ વિષયમાં શોધકાર્ય કર્યું. આર્ટ્સ કૉલેજ, શામળાજીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યાર બાદ એમ.એમ.ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, કાલોલમાં સેવા આપ્યા બાદ એમ.એસ.યુનિ.ના ગુજરાતી વિભાગમાં રીડર તરીકે જોડાયા. પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ તરીકે ૧૪ જૂન, ૨૦૧૪માં નિવૃત્ત થયા. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન યુ.જી.સી.ના મેજર રીસર્ચ પ્રોજેક્ટમાં સંશોધન કાર્ય કર્યું. ઉપરાંત યુ.જી.સી. દ્વારા સન્માનિત ‘પ્રોફેસર ઈમેરિટસ’નો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. (હાલમાં તેઓ ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલય વડે પ્રાપ્ત સિનીયર ફેલોશીપમાં સંશોધન કાર્ય કરે છે.) ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ.સ.૨૦૧૨) નામનો વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી એક કાવ્યસંગ્રહ ‘આપ ઓળખની વાર્તા’ (ઈ.સ.૨૦૧૩) મળે છે. જેને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર એનાયત થયો હતો. તેમના ગહન અભ્યાસને દર્શાવતો શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ ઈ.સ.૨૦૦૧માં પ્રગટ થયો. સપ્ટેમ્બર, ૨૦૦૫થી તેમણે ‘તથાપિ’ નામના ત્રૈમાસિકનું સંપાદન શરૂ કર્યું. વિવેચક તરીકે તેમની પ્રતિભાની ઓળખ આપતાં પુસ્તકો આ મુજબ છે: ‘અનુબંધ’ (ઈ.સ.૨૦૦૧), ‘કથાનુસંધાન’ (ઈ.સ.૨૦૦૪), ‘આવિર્ભાવ’ (ઈ.સ.૨૦૦૬) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અર્થવ્યક્તિ’ (ઈ.સ. ૨૦૦૮) ‘વાચનવ્યાપાર’ (ઈ.સ.૨૦૧૧) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અભિવ્યાપ્તિ’ (ઈ.સ.૨૦૧૯) ‘અનુસંધાન’ (ઈ.સ.૨૦૨૨). આ ઉપરાંત તેમની પાસેથી કેટલાંક નોંધપાત્ર સંપાદન પણ મળે છે. જે આ મુજબ છે: ‘સંક્રાંતિ: સર્જાતી ગુજરાતી ટૂંકીવાર્તાનું સંપાદન’ (ઈ.સ.૧૯૯૪), ‘સ્વરૂપસન્નિધાન’ (ઈ.સ.૧૯૯૯) સહસંપાદન, ‘કલામીમાંસાસન્નિધાન’ (ઈ.સ.૨૦૦૨) સહસંપાદન, ‘નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય’ ભાગ-૧,૨ (ઈ.સ.૨૦૦૫), ‘કિશોર જાદવની વાર્તાઓ’ (ઈ.સ.૨૦૧૦), રામચંદ્ર શુક્લ સંપાદિત ‘નવલિકા સંગ્રહ: પુસ્તક પહેલું અને બીજું’ની બીજી આવૃત્તિનું સંપાદન (ઈ.સ.૨૦૧૧) ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’ (ઈ.સ.૨૦૧૩), ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા’ ખંડ ૧ અને ૨ (ઈ.સ.૨૦૧૬), તથા ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકીવાર્તા’ (ઈ.સ.૨૦૧૭). પૂર્વ અને પશ્ચિમની મીમાંસાના સિદ્ધાંતોનો વિનિયોગ અને એ દ્વારા વાર્તાની કલાત્મકતા સિદ્ધ કરતાં તત્ત્વોની તપાસ એ તેમની ટૂંકી વાર્તાની વિવેચનની ધરી છે.