પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨.

From Ekatra Wiki
Revision as of 12:29, 18 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું ભાષણ | બીજી ગુજરાતી સાહિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવનું ભાષણ

બીજી ગુજરાતી સાહિત્ય પરિષદ
મુંબાઈ સપ્મટે્બરઃ ૧૯૦૭


સ્વ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
((ઈ.સ. ૧૮૫૯–ઈ.સ. ૧૯૩૮))


કેશવલાલભાઈ મુખ્યતઃ એમના સંસ્કૃત ગ્રન્થોના અનુવાદોથી ગુજરાતને પરિચિત છે. અને એ ક્ષેત્રમાં એમનું કાર્ય ઘણું વિશાળ છે. મૂળ સંસ્કૃત કૃતિઓ – નાટકો અને કાવ્યોની સર્વાંગ સરસતા ગુજરાતીમાં ઉતારવામાં તેઓની સફળતા જેવીતેવી નથી. કેટલેક સ્થળે તો મૂળ સરસતાને તેમણે બઢાવી પણ છે. વળી તે સાથે જ એ કૃતિઓને લગતી ઐતિહાસિક માહિતી પણ તેઓ અથાગ પરિશ્રમ કરીને મેળવતા. ભાસ, કાલિદાસ, જયદેવ, વિશાખદત્ત વગેરેની કૃતિઓના અનુવાદો સાથે એમના ઐતિહાસિક સંશોધનનો પરિચય આપણને થાય છે. તે સાથે પ્રાચીન ગુજરાતીના એક અખંડ અભ્યાસી તરીકે પણ એમનું નામ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોંધાયેલું રહેશે. ભાલણે કરેલો કાદમ્બરીનો પ્રદ્યબદ્ધ અનુવાદ એમણે ગુજરાતને આપ્યો છે. દુર્ભાગ્યે એ ગ્રન્થને ઉત્તર ભાગ એવા જ સંશોધિત સ્પરૂપમાં એમની ઇચ્છા છતાં એ ગુજરાતને નથી આપી શક્યા પણ પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્યો અને રત્નદાસનું હરિશ્ચન્દ્રાખ્યાન એમણે ગુજરાતને આપ્યું છે. આ બધા ગ્રંથોના સંપાદનમાં એમનો ભાષાશાસ્ત્રનો પરિચય આપણી નજરે પડે છે. અને એ હકીકત ગુજરાતથી અજાણી નથી કે ઈ.સ. ૧૯૧૫માં Wilson Philological Lectures આપવાનું નિમંત્રણ યુનિવર્સિટીએ એમને આપ્યું હતું. એમની તબિયત નાદુરસ્ત હતી. એમણે નરસિંહરાવભાઈનું નામ સૂચવ્યું એને એ ભાષણો નરસિંહરાવે આપ્યાં. પ્રેમાનંદના સાહિત્યનો એમનો અભ્યાસ અને પ્રેમાનન્દ પરત્વેનાં એમનાં વિધાનો ગુજરાતને પરિચિત છે. આવા કેશવલાલભાઈ બીજી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ અલંકૃત કરે છે અને પરિષદનું ગૌરવ પૂર્વવત્ દીપતું રહે છે.

ઉપોદ્‌ઘાત

સાહિત્યરસિક મહિલાઓ અને ગૃહસ્થો! તમે જે મહાન પદનો ભાર બંધુપ્રેમથી મારે શિર મૂકો છો તે, રુચિ–અરુચિનો, સ્વીકાર–અસ્વીકારનો અને ઇચ્છા–અનિચ્છાનો પ્રશ્ન બાજુ ઉપર મૂકી नमः सर्वकार्यप्रतिपत्तिहेतवे कर्तव्यधर्माय એ મહાસૂત્રને માન આપી, ધારણ કરવા ઉદ્યુક્ત થાઉં છું. મારી ગતિ મેરેથનના સંગ્રામમાં સેનાનીપદે નિમાયલા સ્પાર્ટાના અગતિક શિક્ષાગુરુના જેવી છે. આથેન્સનો અભ્યુદય ઇચ્છનારા રણવીરના અપ્રતિમ ઉત્સાહથી તે દુર્બળ શિક્ષાગુરુ વિજયશાળી થયો, તેવો આજ હું પણ ગુર્જર-સાહિત્યની અભિવૃદ્ધિ ઉપર પ્રેમ રાખનારા ને તેના ઉત્કર્ષમાં આનંદ માનનારા અનેક સાહિત્યવીરોના ઉત્સાહથી યથસ્વી થવાનો લોભ રાખું છું.

પહેલી પરિષદના પ્રમુખ

સાહિત્ય પરિષદનું આ બીજી વારનું મળવું થાય છે. પ્રથમ મેળાવડામાં એક વિશાળ હૃદયના, ઊંડી લાગણીવાળા, પ્રખર તર્કશીલ, ઉજ્જવળ પ્રતિભાશાળી, કર્તવ્યનિષ્ઠ અગ્રગણ્ય સાક્ષરે પ્રમુખપદ શોભાવ્યું હતું. એ સાક્ષરે જે નિવૃત્તિની પ્રતિથી ધનપ્રદ પ્રવૃત્તિનો પરિત્યાગ કરી નડિયાદમાં નિવાસ સ્વીકાર્યો હતો, તે નિવૃત્તિ એમનો અમર આત્મા અત્યારે અક્ષર ધામમાં ભોગવે છે! ભાવના ભૂતાવળને ધુણાવનાર ને બોલાવનાર, નવીન વિદ્યાના મનોરાજ્યનું પ્રતિબિંબ પાડનાર ને સત્પુત્રીના અલ્પજીવનનું ઉજ્જવળ ચિત્ર આલેખનાર એ અગ્રેસર લેખકને કોણ સ્મરતું નહિ હોય? સદ્ગત શ્રી. ગોવર્ધનરામનો ઠામ તો અહીં ખાલી જ છે.

પરિષદ મળવાનાં સ્થાન

પરિષદનો પ્રથમ મેળાવડો બે વર્ષ ઉપર તેને જન્મ આપનારી સાહિત્યસભાના નિવાસસ્થાન અમદાવાદમાં મળ્યો હતો. પનોતા પ્રેમે ઉછેરેલા બાળકને તેની માતા આજે આ રત્નાકરની પુત્રી મુંબઈના ખોળે મૂકે છે. અહીં એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા કરે છે, સદાગતિ કોઈ સમયે વાંસળીના તો કોઈ સમયે ભેરીના સૂર કાઢતો વહી જાય છે ને ઋતુઓ પ્રકૃતિનો રાસ રમ્યા કરે છે. અહીં સ્પર્ધામાં ધૂઆંપૂઆં થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ઘાઈધેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહે છે ને વ્યાપારનાં શેતરંજનાં મહોરાંઓ સર્વત્ર ફેલાઈ જઈ, અનેકાનેક દાવ ખેલતા ચોપટનું ધાંધલ મચાવી રહ્યાં છે. એવા પ્રવૃત્તિના ધામમાં પરિષદનાં પગલાં વળવાં ઉચિત જ છે. મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનોને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રૈમાસિક ને અન્ય સામયિક પત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યાં કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડો કર્યે જાય છે. સંગીત, શિલ્પ, ચિત્ર, સ્થાપત્ય આદિ કળા, કોઈ વ્યક્તિના તો કોઈ સંયુક્ત મંડળના પ્રયત્નથી, વિકાસ પામવાનું કરે છે. આ પશ્ચિમ હિંદુસ્તાનનું પાટનગર દક્ષિણમાં આવ્યું છતાં આપણા દાક્ષિણાત્ય બંધુનું જ કંઈ નથી; આપણું પણ છે. ગુજરાતના પ્રબોધના ઇતિહાસમાં સ્થાન પામવા યોગ્ય બુદ્ધિવર્ધક સભાનું આ મુંબઈ જ કાર્યાલય હતું. ફાર્બસ સભાની સંચિત શક્તિના ભાવી વ્યાપારનું ક્ષેત્ર તે આ જ છે. મરાઠી ને કાનડીની સાથે ગુજરાતી સાહિત્યને એમ.એ. માં આવકાર આપનાર શારદાપીઠનું આ ધામ છે. પેશવાઈનું પૂના ભલે દક્ષિણીનું જ કહેવાઓ, સલ્તનતનું અમદાવાદ ભલે ગુજરાતીનું જ ગવાઓ અને અમીરાતનું હૈદ્રાબાદ સિંધી બાંધવોનું જ ભલે લેખાઓ. મુંબઈ તો સર્વનું જ છે ને આપણું તો છે જ. પારસી અને મુસલમાન બંધુઓ સાથે ગુજરાતી હિંદુઓએ જ મુંબઈને સોનાની મુંબઈ બનાવી છે. તેમના મધ્યમાં એટલે સ્વજનના મધ્યમાં – આપ્ત મંડળમાં – પરિષદ સાહિત્યની અભિવૃદ્ધિની ચર્ચા ચાલુ રાખવાને મળેલ છે.