પ્રતિપદા/૧૫. સંજુ વાળા

Revision as of 09:25, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૧૫. સંજુ વાળા

કાવ્યસંગ્રહોઃ

કૈંક /કશુંક /અથવા તો, કિલ્લેબંધી, રાગાધીનમ્ અને કવિતા નામે સંજીવની

પરિચય:

ગુજરાત સરકારના રેવન્યુ વિભાગમાં સેવારત, અનુ-આધુનિક કવિઓની બીજી પેઢીના ઉલ્લેખનીય કવિ. ગીત, ગઝલ અને અછાંદસ એમ ત્રિવિધ કાવ્યરીતિઓમાં રમતા કવિ. ગીતોમાં પણ નર્યા ગળચટ સ્વાદ ને કેફી લયની પરેજી પાળે છે ને અરૂઢ શૈલીથી ભાષાને લગાર તૂરી ને લયને જરા અગેય બનાવે છે. ગઝલોમાં પણ સ્થાપિત રીતિઓથી ઊફરા જવાની પેરવીઓ કરતા રહે છે. પારંપરિક ભજનસંસ્કારોથી અંજાયેલી-મંજાયેલી કાવ્યસિસૃક્ષા. એક રસનિષ્ઠ ભાવકની રૂઈએ ભાવન વિવેચન પણ કરતા રહે છે. ‘અતિક્રમી તે ગઝલ’ અને ‘કિંશુકલય’ અને રમેશ પારેખની સમગ્ર કાવ્યરિદ્ધિના ગ્રંથોના સંપાદક/ સહસંપાદક. સાહિત્યપ્રીતિવશ સાહિત્યની સંસ્થાઓમાં સક્રિય.

કાવ્યો:

૧. જડ્યું નહિ કંઈ –

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા;
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ