ભારતીયકથાવિશ્વ−૪/ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા

Revision as of 15:51, 6 December 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા | }} {{Poem2Open}} === કુવલયચંદ્રના જન્મન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા

કુવલયચંદ્રના જન્મની કથા

મધ્યદેશમાં વિનીતા નામની નગરી, ત્યાં ઘણા લોકોને કારણે સમુદ્ર જેવા ધ્વનિ સંભળાય છે. ઊંચા ઊંચાં ભવનોને કારણે સૂર્યના અશ્વની ગતિ રોકાઈ ગઈ છે. સમુદ્ર જેવી ગંભીર, મહારત્નોથી સમૃદ્ધ, સ્વર્ગ જેવી રમ્ય, ચારે બાજુ સેતુબંધ જેવા કિલ્લાવાળી આ નગરીમાં દૃઢવર્મ નામનો રાજા. પોતાની સ્ત્રીઓમાં સંતોષી પણ કીર્તિમાં નહીં, ગુણોની બાબતમાં લોભી પણ ધનમાં નહીં; કળા સારી રીતે શીખેલો પણ કપટકળા ન જાણે. આ રાજાની પ્રિયંગુશ્યાના નામે રાણીએ દેવાંગનાઓના રૂપને પણ હસી કાઢ્યું છે. ઇન્દ્ર-ઇન્દ્રાણીની જેમ બંને સુખી. એક દિવસ સભામંડપમાં તે રાણી સાથે બેઠો હતો ત્યારે એક પ્રતિહારીએ આવીને ભીલ સેનાપતિના પુત્ર સુષેણના આગમનની વાત કરી. તે રાજાના કહેવાથી માલવ દેશને જીતવા ગયો હતો. રાજાએ તેને અંદર બોલાવ્યો અને તેનું સન્માન કર્યું. પછી માલવ દેશની વાત પૂછી એટલે સુષેણે ત્યાં જઈને રાજાની સેનાએ જે રીતે યુદ્ધ કર્યું હતું તેની વાત કરી. એ યુદ્ધમાં શત્રુ રાજાનું છત્ર નમી ગયું, તેની ધજા પડી ગઈ, રથ ભાંગી ગયા અને તેનું સૈન્ય ભાગી ગયું. પછી નગરમાં રાજાની સેનાએ લૂંટફાટ ચલાવી. રાજાના પાંચ વર્ષના પુત્રને પણ કબજે કર્યો. પછી સુષેણે તે બાળકને સભાખંડમાં હાજર કર્યો. રાજાએ સ્નેહપૂર્વક તે બાળકને પોતાના ખોળામાં બેસાડ્યો. થોડી વારે તે બાળકુમાર રુદન કરવા લાગ્યો. રાજારાણી પણ તેને જોઈને ગળગળા થઈ ગયા. રાજાએ બાળકનાં આંસુ લૂછી તેને આશ્વાસન આપ્યું અને મંત્રીઓને તેના રુદનનું કારણ પૂછ્યું તો જાતજાતના ઉત્તર મળ્યા. છેવટે રાજાએ બાળકને જ પૂછ્યું તો ઉત્તર મળ્યો, ‘જુઓ, દૈવની ગતિ કેવી છે. વાસુદેવ અને ઇન્દ્ર સરખા મારા પિતા અને આજે હું શત્રુના ખોળામાં બેઠો છું.’ બાળકના નિખાલસ, નિર્ભય, બુદ્ધિપૂર્ણ ઉત્તરથી રાજા પ્રસન્ન થઈ ગયો. તેણે બાળકને કહ્યું, ‘હું તમારો શત્રુ છું એ વાત ભૂલી જજે. ભૂતકાળની એ વાત હતી. હવે તો તું જાણે મારો પુત્ર છે.’ પછી બાળકને હાર, પાન આપ્યાં અને મંત્રીઓને રાજાએ કહ્યું કે ‘એને પિતાના ઘરની યાદ ન આવે એ રીતે રાખજો.’ એક વખત રાજા બહારના સભામંડપમાં બેઠો હતો ત્યારે ત્યાં બીજા રાજાઓ પણ બેઠા હતા. ત્યાં ઉજ્જ્વળ વસ્ત્ર પહેરેલી સુમંગલા દાસીએ રાજાના કાનમાં કશું કહ્યું એટલે થોડી વાર બેસીને રાણી પાસે ગયો. રાજા વિચાર કરવા લાગ્યો કે આજે રાણીએ અલંકાર ઉતારી દીધા છે, ભોજન કર્કહ્યું નથી, અત્યંત ચિંતાતુર છે તો દેવીની આ હાલત કેમ થઈ. મારો પ્રેમ ઓછો નથી થયો, ગોત્રની કોઈએ નિંદા કરી નથી, નોકરચાકર તરફથી કોઈ અવિનય થયો નથી, શોકનો કોઈ સંતાપ નથી, સાસુ તો જીવતાં જ નથી એટલે એવો પણ કોઈ પ્રશ્ન નથી. રાજાએ કોપભવનમાં જઈને જોયું તો કરમાઈ ગયેલી અવસ્થામાં તે હતી. રાજાએ એને ઘણી બધી રીતે પૂછ્યું, શા માટે આટલો બધો કોપ કર્યો છે. ત્યારે રાણીએ કહ્યું, ‘મને પુત્ર નથી એનું બહુ દુઃખ છે.’ રાજાએ તેને સમજાવી કે એ તો ભાગ્યની વાત છે. રાણીએ રાજાને દેવની આરાધના કરીને પુત્ર માગવા કહ્યું. પછી રાજાએ કુલદેવતાની આરાધના કરવાનો નિર્ણય કર્યો. ઇન્દ્રની આરાધના કરીને પણ પુત્રપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનું વચન રાણીને આપ્યું એટલે રાણી આનંદ પામી. મંત્રીઓએ પણ પુત્રમહિમા સમજાવી કુલદેવીની આરાધના કરવા કહ્યું, અને રાજા દેવીની સ્તુતિ કરવા લાગ્યો, છેવટે કમળપૂજા કરવાની તૈયારી બતાવી. ત્યારે મસ્તક કાપી નાખવા તૈયાર થયેલા રાજાના હાથને કોઈએ અટકાવ્યો, જોયું તો તેજસ્વી લક્ષ્મી દેવી હતાં. દેવીએ પ્રસન્ન થઈને રૂપે કામદેવ, દાનધર્મે કુબેર, યુદ્ધે ઇન્દ્ર જેવા પુત્રનું વરદાન આપ્યું. બધાને ભેટસોગાદથી ખુશ કરી મંત્રીઓને દેવીના વરદાનની વાત કરી. પછી રાણીએ સ્વપ્નમાં ચંદ્રને જોયો, ભમરાઓની કુવલયમાળાએ ચંદ્રને આલિંગન કર્યું તે જોયું. રાણીએ પોતાના સ્વપ્નની વાર્તા રાજાને કહી એટલે રાજાએ કહ્યું, ‘દેવીએ તને પુત્રનું વરદાન આપ્યું છે એટલે એ પુત્ર તારા ઉદરમાં આવ્યો. રાજાએ મંત્રીઓને રાણીના સ્વપ્નની વાત કરી અને મંત્રીઓએ સ્વપ્નના ફળની વાત કરી. રાણી પણ દિવસે દિવસે વધુ સુંદર દેખાવા લાગી. તે બધા આશ્રિતોને વિપુલ દાન કરવા લાગી. રાજપુત્રના જન્મ વખતે અંત:પુરની સ્ત્રીઓ જાતજાતની વાતો ઉત્સાહપૂર્વક કરવા લાગી અને એક સ્ત્રીએ રાજાને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તે સ્ત્રીને પહેરેલાં આભૂષણો આપી દીધાં. પછી તો ત્યાં ઉત્સવ ઉત્સવ થઈ ગયો. રાજમંદિરની શોભા અનેકગણી વધી ગઈ. નગરજનો પણ આનંદમાં આવી ગયાં. જ્યોતિષીઓએ બાળકના જન્માક્ષર બનાવીને તે ચક્રવર્તી જેવો થશે એમ જણાવ્યું અને રાજાએ જ્યોતિષીઓને રાશિઓ વિશે માહિતી પૂછી એટલે તેમણે બારે બાર રાશિઓની માહિતી આપી. કુમારના નામકરણ અંગે રાજાએ કહ્યું, ‘દેવીને કુવલયમાલા અને ચંદ્ર બંને દેખાયાં છે એટલે તેનું નામ કુવલયચંદ્ર પાડીએ. દેવીએ આ પુત્ર જલદીથી અપાવ્યો છે એટલે તેનું બીજું નામ શ્રીદત્ત રાખીએ.’ એમ કરતાં કરતાં જ્યારે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે તેને વિદ્યાગુરુ પાસે લઈ ગયા અને સકળ વિદ્યામાં નિષ્ણાત થઈ તે પિતૃગૃહે જવા નીકળ્યો. આચાર્યે કુમારે શીખેલી બધી બોતેર કળાઓની માહિતી આપી. જે તે કળાનું શિક્ષણ કુમાર તરત જ ગ્રહી લેતો હતો, તે નિષ્ણાત બનતો હતો. તે દાક્ષિણ્ય શીખ્યો, દાનધર્મ શીખ્યો, શત્રુને પણ અપ્રિય, કોપીલું વચન ન કહેવાનું શીખ્યો. મોટા થયેલા કુમારને એક અશ્વ આપવામાં આવ્યો. રાજાએ કુમારને ઘોડાઓ વિશે જાણકારી પૂછી તો કુમારે લક્ષણો કહી બતાવ્યાં. પછી સૈન્યની સાથે કુમાર અશ્વારૂઢ થઈને નીકળ્યો. નગરની સ્ત્રીઓ કુમારને જોવા અટારીઓમાં ઊભી રહી. જાતજાતની ચેષ્ટાઓ કરતી એ સ્ત્રીઓ કુમારને જોઈ જ રહી. અને કુમાર કોના જેવો દેખાય છે તેની જાતજાતની વાતો કરતી રહી. કુમારનાં રૂપ, વિલાસ, યૌવનથી પ્રભાવિત થયેલી કેટલીક સ્ત્રીઓ વાજિંત્રો વગાડવા લાગી, કેટલીક વાતો કરવા લાગી, એ બધી સ્ત્રીઓનો સમૂહ મદનમોહનવાળો બની ગયો. કુમારનો અશ્વ જોતજોતાંમાં આગળ દોડવા લાગ્યો અને આકાશ તરફ ઊડવા લાગ્યો. નગરજનો તે જોઈને ઘોેંઘાટ કરવા લાગ્યા. પર્વતો કોડિયો જેવા દેખાયા, નગરો ગામડાં જેવાં, માણસો કીડીઓ જેવા, સરોવરો અરીસા જેવા દેખાયા, મહાનદીઓ વાસુકિની કાંચળીઓ જેવી દેખાઈ. કુવલયચંદ્ર હવે વિચારે ચઢ્યો, આ અશ્વ આકાશમાં ઊડ્યો કેવી રીતે? દેવ હોવો જોઈએ. હું એને ઘાયલ કરી જોઉં. જો તે અશ્વ જ હશે તો ધરતી પર પડશે અને જો કોઈ બીજો હશે તો પોતાનું રૂપ પ્રગટ કરશે. એમ વિચારીને છરી પડે ઘોડાના પેટમાં ઘા કર્યા એટલે તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું અને આકાશમાંથી નીચે પડવા માંડ્યો, એમ કરતાં ધરતી પર પડીને તેણે પોતાના જીવનનો ત્યાગ કર્યો. હવે આ જોઈ કુમારને વિચાર આવ્યો કે જો આ અશ્વ જ હોય તો આકાશમાં ઊડ્યો કેવી રીતે? અને જો અશ્વ ન હોય તો છરીના ઘાથી એ મરણ કેવી રીતે પામ્યો? તે વખતે કોઈના શબ્દો કાને પડ્યા, ‘અરે કુમાર કુવલયચંદ્ર, સાંભળ. હજુ તારે દક્ષિણ દિશામાં જવાનું છે અને ક્યારેય ન જોયું હોય એવું દૃશ્ય જોવાનું છે.’ એ સાંભળી આશ્ચર્ય પામતો કુમાર દક્ષિણ દિશામાં ચાલવા માંડ્યો. ત્યાં અનેક પર્વત, વૃક્ષો, લતાવાળી અટવી જોઈ. જાતજાતની ઘટનાઓ જોઈ, જાતજાતના અવાજો સાંભળ્યા. જંગલી લોકોનાં બાળકો જોયાં, અનેક વૃક્ષો જોયાં, અનેક પ્રાણીઓ, અનેક નદીઓ જોયાં. ત્યાં તેણે આશ્ચર્ય વચ્ચે પરસ્પર વેરવાળાં પ્રાણીઓ સાથે સાથે જોયાં. તેણે એક વડ નીચે તેજસ્વી, ધર્મપરાયણ, શાંત મુનિને જોયા. મુનિ પાસે એક શાંત સિંહને પણ જોયો. મુનિએ કુમારને આવકાર આપ્યો; અને પછી ઉપદેશ આપ્યો; ઘોડાએ કરેલા કુમારના અપહરણ પાછળનું રહસ્ય પણ કહ્યું. સુવર્ણમય, રત્નોથી શોભતો, પૃથ્વીના કુંડળ જેવો દમિલાણ નામનો દેશ અને તેમાં કિલ્લો ધરાવતી કંચી નામની નગરી. એ નગરીની અગ્નિ દિશામાં ત્રણ ગાઉ દૂર એક વિસ્તાર. વિંધ્યાટવી જેવો, મહાદેવના મંદિર જેવો, મલયપર્વત જેવો, સેંકડો વૃક્ષો ધરાવતો એ વિસ્તાર હતો. ધનધાન્ય, શાંતિવાળો, ઉદ્યાનો ધરાવતા, સેંકડો ગોકુળવાળા એ વિસ્તારમાં જન્મથી દરિદ્ર, કજિયા કંકાસ કરનારો સુશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેનો મોટો પુત્ર ભદ્રશર્મા બાળપણથી જ ચંડ. તેની ચપલ, પ્રકૃતિ જોઈને બાળકોએ તેનું બીજું નામ ચંડસોમ પાડ્યંુુ હતું. તેના માતાપિતાએ યોગ્ય ગુણ, કુલ, શીલ, માન, વૈભવ, વિદ્યાવાળી બ્રાહ્મણબાલિકા સાથે વિવાહ કર્યા. પછી તેના માતાપિતા દરિદ્રતાથી કંટાળી કુટુંબનો ભાર તેમના પર નાખી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યા. ધીમે ધીમે ચંડસોમ યુવાન થયો, તેની પત્ની નંદિનીને ખોરાકપાણી, કપડાંલત્તાં પૂરતાં ન હોવા છતાં, વિવિધ વિલાસો માણવા ન મળવા છતાં યૌવનની સાથે સાથે તેનું લાવણ્ય પણ શોભી ઊઠ્યું. તે જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં બધા તેની સામે જોયા જ કરતા. આવી કુલશીલવાળી પત્નીની ચંડસોમને બહુ ઈર્ષ્યા થતી હતી. એમ કરતાં કરતાં શરદ ઋતુ આવી પહોેંચી. ચંદ્રની ચાંદની વડે સરોવરો શોભી ઊઠ્યાં, ડાંગરની લણણી થઈ ગઈ હતી, દરિદ્ર ખેડૂતો ઘેર અનાજ આવવાની આશાથી સંતુષ્ટ થયા. આખી પૃથ્વી હરખઘેલી બની ગઈ. આવી ધરતીને જોઈને ભવાઈ કરનારા, મુષ્ટીયુદ્ધ કરનારા, ચારણો ગામડે ગામડે ફરવા લાગ્યા. તે ગામમાં નટ લોકોની એક ટોળી આવી ચઢી. ત્યાં હરદત્ત નામના ગામના મુખીએ નાટકનું આયોજન કરીને આખા ગામને નિમંત્રણ આપ્યું. ગામડામાં તો દિવસે ખેતર ખેડવાનું હોય, બળદ જોડવાના હોય, ગાયભેંસ ચરાવવાનાં હોય, એટલે દિવસે તો લોકોને સમય ન મળે એમ માનીને નાટક રાતના પહેલા પહોરે બતાવવાનું નક્કી કર્યું. તે વખતે દિવસનો કોલાહલ શાંત થઈ ગયો હતો, ગાયભેેેંસોને ખીલે બાંધી દીધાં હતાં. વાછરડાં, બાળકો સૂઈ ગયા હતાં. લોકો ઘરકામમાંથી નવરા થઈ ગયા હતા. ઢોલ, નગારા અને ગીતના અવાજ સાંભળીને ગામલોકો જોવા નીકળ્યાં. કેટલાક લોકોએ હાથમાં દીવા લીધા, કોઈએ હાથમાં માંચડો લીધો, કોઈએ જોડા પહેર્યા, કોઈના હાથમાં ડાંગ હતી. આ ચંડસોમ પોતાની પત્નીની રક્ષા કરતો વિચારવા લાગ્યો, ‘હું જો નાટક જોવા જઉં તો મારી પત્નીને કોણ સાચવે? એટલે જોવા નથી જવું, એને સાથે લઈને પણ ન જવાય, કારણ કે નાટક જોવા આવેલા બધા યુવાનોની નજર તેના પર પડે. મારો ભાઈ પણ નટ જોવા ગયો છે એટલે હવે હું મારી બહેન શ્રીસોમાને સોેંપીને હું જઉં.’ એટલે ચંડસોમ નાટક જોવા ગયો. શ્રીસોમાએ નંદિનીને કહ્યું, ‘કોઈ ચતુર નટ આવ્યો છે તો નાટક જોવા કેમ ના જઈએ?’ નંદિનીએ કહ્યું, ‘અરે શ્રીસોમા, તું તારા ભાઈનો સ્વભાવ જાણતી નથી એટલે આમ બોલે છે, હું હજુ મારા જીવનથી કંટાળી ગઈ નથી, તને જેમ ઠીક લાગે તેમ કર.’ આમ કહીને તે મૂંગી થઈ ગઈ. શ્રીસોમા નાટક જોવા ગઈ. હવે ચંડસોમ જ્યાં નાટક જોવા બેઠો હતો ત્યાં એક યુવાન દંપતી વાતો કરતાં હતાં. યુવાને કહ્યું કે ‘સુંદરી, તું સ્વપ્નમાં દેખાય છે, મારા હૈયામાં તારો વાસ છે, ચારે દિશાઓમાં તું દેખાય છે. મારા મનોરથ પ્રમાણે મેં તને આજે પ્રત્યક્ષ જોઈ, તારા સૌભાગ્યગુણથી મારો કામાગ્નિ વધ્યો છે તો તું મને તારા સમાગમનો લાભ આપ.’ પાસે બેઠેલા ચંડસોમે આ વાતો સાંભળી એટલામાં પેલી યુવતીએ કહ્યું કે ‘હું માનું છું કે તું ચતુર છે ત્યાગી છે, પ્રિય બોલનાર છે સશક્ત છે પણ મારો પતિ ચંડ છે.’ આ ચંડ શબ્દ સાંભળી ચંડસોમને શંકા થઈ. તેણે માન્યું કે આ મારી દુષ્ટ પત્ની છે મને અહીં આવેલો જાણીને તે કોઈની સાથે શી વાત કરે છે તે સાંભળું. પેલો યુવાન બોલ્યો, ‘હે સુંદરી, તારો પતિ ચંડ હોય કે શાંત હોય, ઇન્દ્ર હોય કે યમ હોય, આજે તારે મને મળવું જ પડશે. નહીંતર મારું મૃત્યુ નક્કી છે.’ એ સાંભળી યુવતીએ કહ્યું, ‘જો તારો આવો જ નિર્ધાર હોય તો સાંભળ. મારો પતિ અહીં ક્યાંક બેસીને નાટક જુએ છે, હું ઘેર જઉં છું. ત્યાં તારે મારી પાછળ પાછળ આવવું.’ આ વાત ચંડસોમે સાંભળી અને તે મનોમન બોલ્યો, તે બોલી કે મારો પતિ ચંડ છે. વળી તેણે એમ પણ કહ્યું કે તે અહીં જ ક્યાંક બેસીને નાટક જોઈ રહ્યો છે. તેણે મને જોયો જ નથી. અહીં હવે મારે શું કરવું? તે આમ વિચારતો હતો ત્યાં નટીએ ગીત ગાયું, ‘પ્રિયા સાથે બીજો કોઈ કેલિ કરે તો તે તેને મારી નાખે.’ આ ગીત સાંભળીને ચંડસોમના કપાળે કરચલીઓ પડી, ભવાં ચડી ગયાં. રોષથી તેના હોઠ ફફડવા માંડ્યા. તે વિચારવા લાગ્યો, ‘આ દુરાચારીઓ જશે ક્યાં. હું તેમનાં માથાં વાઢી નાખીશ.’ એમ વિચારીને હાથમાં શસ્ત્ર લઈને ઊભો થયો. તેનું હૃદય ધમપછાડા કરતું હતું. ઘર પાસે આવીને તે ભીંતના પાછલા ભાગમાં હથિયારનો ઘા કરવા ઊભો થઈ ગયો. આ બાજુ નાટક પૂરું થયું એટલે ચંડસોમના ભાઈબહેનને ઘરની ખડકીમાંથી અંદર પ્રવેશતાં ચંડસોમે જોયાં. જોતાંની સાથે લોક પરલોકનો વિચાર કર્યા વગર, ઉત્તમ જીવનની પરવા કર્યા વગર, ક્રોધમાં આંધળો થઈને તેણે ભાઈબહેનને હણી નાંખ્યાં. ‘નક્કી આ જ પેલો યુવાન અને આ જ મારી પત્ની. હવે તમારું મસ્તક છેદું.’ એમ કહીને હથિયાર ઉગામી દોડ્યો તેટલામાં ચંડસોમની પત્ની નંદિની જાગી ગઈ. ગભરાઈને તે બોલી ઊઠી,‘અરે દુરાચારી, આ શું કર્કહ્યું? તમારા ભાઈબહેનને મારી નાખ્યાં?’ હવે ભાઈબહેનને ઓળખીને તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો.’ ‘અરે નિરપરાધી પ્રિયા માટે ખોટા ખોટા વિચારો કર્યા. ગુસ્સામાં આવીને મેં આ શું કરી નાખ્કહ્યું? માતાપિતાએ મને સોેંપેલી નાની બહેન- અરે ભાઈ થઈને મેં કેવો અનર્થ કર્યો? ‘હું મરી ગયો.’ એમ બોલતો તે મૂચ્છિર્ત થઈને ધરતી પર પડી ગયો. નંદિની પણ રડવા લાગી, ‘અરે મારા દિયર, અરે મારી નણંદ, તું ક્યાં ગઈ. હે દેવ, હવે મને છોડી, તેં મને પાપ આપ્યું.’ ચંડસોમ મૂર્ચ્છામાંથી જાગ્યો એટલે વિચાર કરવા લાગ્યો, ‘હે મારી બહેન, હે મારા ભાઈ, મેં સાનભાન ગુમાવીને તમને બંનેને મારી નાખ્યા. તમને ઊંચકી ઊંચકીને ફરતો હતો. આ બહેન પિતાની એકેએક વાત માનતી હતી. તેઓ જ્યારે તીર્થયાત્રા કરવા ગયા ત્યારે મને સોેંપી હતી. મને માતાએ કહ્યું હતું, મારા જીવથીય વધુ વહાલા આ પુત્રની તું સારી રીતે સંભાળ રાખજે. આ બંનેના વિવાહની હું ગોઠવણ કરી રહ્યો હતો અને હવે? નાના ભાઈના લગ્ન વખતે રંગેલા વસ્ત્રની કસબી પાઘડી પહેરીને હું હર્ષથી નૃત્ય કરીશ એવું વિચારતો હતો અને ત્યાં આ શું થઈ ગયું! વિચાર્યું શું અને થયું શું? હું સમુદ્રમાં પડું, પહાડ પરથી ખીણમાં ગબડી પડું, અગ્નિમાં પ્રવેશું તો પણ મારી શુદ્ધિ નથી. ભાઈ બહેનનો હું હત્યારો-હવે સવારના પહોરમાં કયા ખેડૂતને મારું મેં બતાવીશ?’ આમ વિલાપ કરતો હતો ત્યાં તારા અસ્ત થવા લાગ્યા, સૂરજ ઊગ્યો. કમળવનનો પ્રિય બંધુ, ચક્રવાકીના હૈયામાં હર્ષ પ્રગટાવનાર સૂર્ય ઉદય પામ્યો ત્યાં ચંડસોમ થોડો સ્વસ્થ થયો એટલે લોકોએ તેને કહ્યું, ‘હવે મરનાર તો મરી ગયાં. તું શોક ત્યજી દે.’ તો પણ ભારે પસ્તાવો કરી, અગ્નિમાં પ્રવેશવાનો નિશ્ચય કરી બેઠેલો તે ગામબહાર જઈ સ્મશાનભૂમિમાં પ્રવેશ્યો. લાકડાની ચિતા તૈયાર કરી. તલ, ઘી, કપાસ, કુસુંભ પુષ્પોનો ઢગલો કરી ચિતામાં આગ ચાંપી અને તે અગ્નિમાં પ્રવેશવા દોડ્યો. એટલામાં ‘અરે રોકો, રોકો.’ એમ લોકોની બૂમ સાંભળી શક્તિશાળી યુવકોએ તેને ઝાલી રાખ્યો. ચંડસોમે તેમને કહ્યું, ‘અરે ભાઈઓ, હવે મારા જેવા પાપીએ શા માટે જીવવું જોઈએ? ધર્મ-અર્થ-કામ રહિત, પંડિતોએ નિંદા કરેલા, નિર્ગુણ પુરુષો જીવતા છતાં મરેલા જેવા છે. ભાઈબહેનનો હત્યારો- હું હવે આત્માહીન થયો છું. તો જીવવાનું શું પ્રયોજન?’ મનુ, વ્યાસ, વાલ્મીકિ, માર્કંર્ંડ, ભારત, પુરાણ, ગીતા, વૃત્ત વગેરેના પિતા-પિતામહની પરંપરાથી ચાલ્યા આવતા વેરવિખેર ખંડોને એકત્રિત કરનાર ગોકુળ, હળ, ખેતર વડે ગુજરાન ચલાવનારા ગ્રામપંડિતોએ કહ્યું, ‘આનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોમાં જણાવ્યું છે તો તે પ્રમાણે આચરણ કરીને પાપરહિત થા.’ ચંડસોમે કહ્યું, ‘જો એવું હોય તો મને પ્રાયશ્ચિત્ત બતાવો.’ બધાએ જાતજાતનાં પ્રાયશ્ચિત બતાવ્યાં. પણ સ્થૂળ રીતે તીર્થાટન કરવાથી શું? પણ વાસ્તવમાં બાહ્ય જળ વડે કશી શુદ્ધિ થતી નથી. કુંભારની સ્ત્રીને પ્રસૂતિ હોય અને લુહારની સ્ત્રી ઘી પીએ તેથી શું? શરીરનો મેલ તીર્થજળ દૂર કરે પણ પાપમળ કેવી રીતે શુદ્ધ થાય? જો અંગસ્પર્શથી પાપ દૂર થતું હોય તો પાણીમાં રહેતાં મત્સ્ય, કાચબા, માછીમારો અનંત સ્વર્ગમાં સૌથી પહેલાં જવા જોઈએ. જો માત્ર ચિંતન કરવાથી પાપ દૂર થતું હોય તો છેક દક્ષિણમાં રહેતા લોકો અહીં શા માટે આવે? જળ પવિત્ર કરે પણ સાથે વિશેષ પ્રકારની બુદ્ધિ હોવી જોઈએ. …એટલું જ નહીં, મરેલાના અવશેષો-હાડકાં ગંગાજળમાં નખાય છે. એમ માનીને કે તેથી મરનારને પુણ્ય મળશે. આવી સમજને શું કહેવું? અજાણ્યા, મુગ્ધ લોકોને મંદ બુદ્ધિના લોકો ભરમાવે છે.’ પછી ચંડસોમ વૈરાગ્ય સેવવા લાગ્યો. ગુરુએ તેને દીક્ષા આપી.

માનભટ્ટની કથા

ભરત ભૂમિમાં પ્રખ્યાત એવો અવંતી દેશ છે. આ દેશમાં કસોટીના કાળા પથ્થરની પાળ કરીને બાંધ્યા ન હોય એવાં એક કે બે જ તળાવો હશે, જેનાં રસવાળાં, બહુ મોટાં પાકેલાં ફળ ન હોય એવા બે ત્રણ વૃક્ષો જ હશે, જ્યાં બહુ થોડી ડાંગર થતી ન હોય એવાં ત્રણ ચાર ગામ જ હશે; સુંદર વિલાસિની સ્ત્રીઓ એકઠી મળીને સંગીત સાથે ગીતો ગાતી ન હોય એવા ચાર પાંચ દેવકુલ હશે; મોરપીંછનું ઉજ્જ્વળ છત્ર કે ચામર ન હોય એવી પાંચ છ વિલાસિની સ્ત્રીઓ હશે. તથા રત્નોથી સમૃદ્ધ, દક્ષિણાવર્તી શંખોવાળા તથા નિર્મળ મોતીવાળા સમુદ્ર જેવો મલ્લવ દેશ છે. તે મલ્લવ દેશમાં નિર્મળ આકાશ, શરદઋતુની ગગનલક્ષ્મી જેવી ઉજ્જયિની નગરી છે; અહીં યુવાન દંપતીઓ આભૂષણો પહેરતી નથી કારણ કે તેમને ભય છે કે અમારા સ્વાભાવિક લાવણ્યથી જન્મતી કાંતિથી ચંદ્ર કલંકિત થઈ જશે. આ નગરીમાં કામિનીઓ વિવિધ આસવ પીતી નથી સંભોગ વિલાસના રંગમાં પડી જવાના ભયથી; વિપરીત ક્રીડા કરનારી વિલાસિની સ્ત્રીઓ ઘૂઘરીવાળા કંદોરા પહેરતી નથી કારણ કે કામી વર્ગ સ્વભાવથી મધુર કંઠ ધરાવતી સ્ત્રીઓના કોપભર્યા શબ્દ સાંભળવા ઇચ્છતા હોય છે. તે નગરીમાં ઊંચાં ઊંચાં ભવન નગર જેવા દેખાતાં હતાં. ત્યાં નગરીની ઈશાન દિશામાં એક યોજનના અંતરે અનેક ધનધાન્યથી સમૃદ્ધિવાળા હોવાથી ગર્વભર્યા ખેડૂતો છે, મહાનગરીના અનુકરણ રૂપ કૂપવૃન્દ નામનું ગામ છે. ત્યાં જૂના જમાનાના કોઈ રાજવંશમાં જન્મેલા પણ અત્યારે ભાગ્યહીન, સ્વજનસંપત્તિ વિનાનો એક ઠાકોર રહેતો હતો. તેને જીવથીય વહાલો એવો વીરભટ્ટ નામનો એક જ પુત્ર હતો. તે ઠાકોર પુત્રની સાથે ઉજ્જયિની નગરીના રાજાની સેવા કરતો હતો. આ ઠાકોરને રાજાએ કૂપવૃન્દ ગામ બક્ષિસ કર્યું. અનેક યુદ્ધોમાં ઘવાયેલો, જીર્ણ શરીરવાળો ઠાકોર હવે વીરભટ્ટને રાજાની સેવામાં સોેંપી તે ઘેર રહેવા લાગ્યો. રાજકુલમાં તેનો પુત્ર રહેવા લાગ્યો. તેને શક્તિભટ્ટ નામનો પુત્ર હતો તે સ્વભાવથી જડ, અભિમાની, ક્રોધી, ઉન્મત્ત, યૌવનગવિર્ત, રૂપના અભિમાનવાળો, આવા સ્વભાવને કારણે લોકો તેને શક્તિભટ્ટ કહેવાને બદલે માનભટ્ટ કહેતા હતા. કોઈ દિવસે મહારાજની મંડળી પોતપોતાને સ્થાને બેઠી હતી. તે વેળા માનભટ્ટ ત્યાં આવી ચડ્યો. રાજાને નમન કરીને જોયું તો પોતાના આસન પર ભીલ્લરાજપુત્રને બેઠેલો જોયો. તેણે કહ્યું, ‘આ આસન મારું છે માટે ઊભો થઈ જા.’ પુલિંદ બોલ્યો, ‘મને ખબર ન હતી એટલે બેઠો. હવે નહીં બેસું.’ કોઈએ કહ્યું, ‘આનું આમ અપમાન કરાય છે.’ એટલે માનભટ્ટે વિચાર્યું; ‘આ પુલિંદે મારું અપમાન કર્યું, હું જીવતેજીવ આનો પરાભવ કેવી રીતે વેઠું?’ અને ત્યાં બીજો કશો વિચાર કર્યા વિના પુલિંદની છાતીમાં છરી હલાવી તેને મારી નાખ્યો અને બહાર દોડી ગયો. માનભટ્ટ પોતાના ગામે જઈ ઘેર પિતાને કહ્યું, ‘મારાથી આમ બની ગયું છે. તમે કહો તે કરું. હવે હું જીવતો નહીં રહું.’ પિતાએ કહ્યું, ‘જે બનવાનું હતું તે બની ગકહ્યું. ઉતાવળે કાર્ય કરવા જવું તેને રોકવું નહીં અને પાછળથી પસ્તાવો કરવાનો અર્થ નથી.’ એટલે તેને વિદેશગમનની સલાહ આપી વાહન તૈયાર કરી તેમાં ઘણી સામગ્રી ભરી, પછી તેઓ નર્મદા કિનારાના કોઈ જંગલમાં જઈ પહોેંચ્યા. ત્યાં એના પિતાએ ના પાડી છતાં તે શત્રુસૈન્યે પડાવ નાખેલા ગામમાં ગયો. એટલામાં તો ભીલ રાજાનું સૈન્ય આવી પહોેંચ્યું. ‘આ એ જ ખૂની છે. તેણે આપણા નિરપરાધી સ્વામીને મારી નાખ્યા છે.’ એ સૈનિકો સાથે માનભટ્ટ તલવાર કાઢી લડવા લાગ્યો. લડતા લડતા તેને જે ઘા થયા તે સહન ન થયા ત્યારે તે ધરતી પર પડી ગયો. તેનો પરિવાર તેને તેના પિતા પાસે લઈ ગયા, અને પછી તેઓ નાસતાં નાસતાં કોઈ ગામના કિલ્લાનો આશ્રય લઈ રહેવા લાગ્યા. માનભટ્ટનો ઘા કેટલેક કાળે રુઝાઈ ગયો અને ત્યાં ઘણાં પુષ્પોથી શોભતી વસંત ઋતુ આવી ગઈ. કેસૂડાંનું વન શોભવા લાગ્યું, કોકિલ ગાન શરૂ થયાં, પતિ સાથે આનંદ મનાવતી સ્ત્રીઓ છે, તો પરદેશ ગયેલા પતિઓનો વિરહ ભોગવતી સ્ત્રીઓ છે, બાળકો મોટે મોટેથી બૂમો પાડે છે, મંડળીઓ રાસ રમે છે, ચારે બાજુ મદનોત્સવ ઉજવાય છે. આવી વસંત ઋતુમાં યુવાનો વૃક્ષોની ડાળીએ બાંધેલા દોરડા પર હીંચકા ખાતા હતા. માનભટ્ટ પણ હીંચકા ખાવા લાગ્યો. પછી એક યુવાને પોતાના ગોત્રનાં જ ગીત ગાવા કહ્યું અને બધાએ તેની વાત સ્વીકારી, બધા એ પ્રકારે ગાવા લાગ્યા. ત્યારે માનભટ્ટે પણ ગીત ગાયું, એ સાંભળીને કેટલીક તરુણીઓએ માન ભટ્ટની પત્નીની મશ્કરી કરી- તારા જેવીનો ત્યાગ કરી તે બીજી કોઈ સ્ત્રીને ગાઈ રહ્યો છે. આ સાંભળી માનભટ્ટની પત્ની દુઃખી થઈ. ‘અરે મારા પતિએ મારી સખીઓ આગળ મારું અપમાન કર્યું, મને હલકી પાડી. હવે જીવવાનું શું પ્રયોજન?’ એમ વિચારી ત્યાંથી તે જતી રહેવા માગતી હતી પણ નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નહીં. એટલામાં સૂર્યાસ્ત પછી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. આવા અંધકારમાં માનભટ્ટની પત્ની દુઃખી થઈને આત્મહત્યાનો વિચાર કરવા લાગી. અહીં તો ઘણા બધા છે, એટલે ઘેર જઈને મરી જઈશ.’ તેની સાસુએ પૂછ્યું, ‘તારો વર ક્યાં છે?’ ‘તે પાછળ આવે છે.’ શયનગૃહમાં આવીને ફાંસો તૈયાર કર્યો, ‘અરે લોકપાલો, મેં મારા પતિ સિવાય બીજા કોઈનો પણ વિચાર મારા મનમાં કર્યો નથી, અને આ સાહસ કરું છું.’ અને તેણે ફાંસો ખાઈ લીધો. યુવતીઓના વૃંદમાં પત્નીને ન જોઈ એટલે માનભટ્ટ ઘેર આવ્યો, માતાએ તેની પત્ની વિશે પૂછ્યું, અને તેણે દીવાના તેજમાં લટકતી જોઈ, તરત જ છરી વડે ફાંસો કાપી નાખ્યો. પાણી છાંટ્યું, પવન નાખ્યો, શરીર પંપાળ્યું એટલે થોડો જીવ આવ્યો અને તે પ્રિયાને રીઝવવા લાગ્યો, ત્યારે તેની પત્નીએ કહ્યું, ‘અરે, નિર્લજ્જ, કમળપત્ર જેવી આંખો ધરાવતી, શ્યામાંગી જ્યાં વસતી હોય ત્યાં જા.’ ‘આ શ્યામા ક્યાં છે? કોણ છે? તને આવી વાત કોણે કરી?’ ‘હીંડોળા પર હીંચકા ખાતી વખતે તું જેનું ગીત ગાતો હતો તેને નથી જાણતો? એમ કહીને તેણે મૌન પાળ્યું. છેવટે તે માનભટ્ટે તેના પગે પડીને ક્ષમા કરવા કહ્યું, ‘આ માથું કોઈની આગળ નમ્યું નથી, તે તારી આગળ નમાવું છું, તું કહે તેના પગે પડું.’ ‘અરે આટલું આટલું કરવા છતાં પણ તે રીઝતી નથી. એટલે તે ઘરની બહાર નીકળી ગયો. તેના પિતાએ પૂછ્યું, ‘હે પુત્ર, શું જવાબ ન મળ્યો?’ માનભટ્ટ જ્યારે બહાર નીકળ્યો ત્યારે તેની પ્રિયાએ મનોમન કહ્યું, ‘હું એટલી બધી કઠોર કે તે પગે પડ્યો છતાં મારી હઠ મેં મૂકી નહીં.’ એમ વિચારી તે પતિની પાછળ પાછળ નીકળી. સાસુએ પૂછ્યું, ‘તું ક્યાં જાય છે?’ ‘આ તમારો પુત્ર ગુસ્સે થઈને ક્યાંક જાય છે.’ અને તે ઉતાવળે દોડી. એટલે તેની પાછળ પાછળ સાસુ આવી. માનભટ્ટના પિતાએ જોયું કે આ આખું કુટુંબ ક્યાંક જાય છે. એટલે હું પણ જઉં. માનભટ્ટને તેની પ્રિયાએ જોઈ લીધો, બહુ વૃક્ષોવાળા એક કૂવે તે જઈ પહોેંચ્યો, પાછળ પોતાની પત્ની આવે છે તેનો ખ્યાલ તેને આવી ગયો. હવે તેને મારા પર કેટલો પ્રેમ છે તે જોઉં. એમ વિચારી એક શિલા ઊંચકીને કૂવામાં ફેંકી. પોતે તમાલવૃક્ષ પાછળ સંતાઈ ગયો. તેટલામાં તેની પત્ની ત્યાં આવી. કૂવામાં શિલા પડી તેનો અવાજ આવ્યો. કૂવામાં નજર કરી તો પાણી ઊછળતું હતું. વૃક્ષની પાછળ સંતાયેલો પતિ ન દેખાયો. તેણે માની લીધું કે મારો પતિ કૂવામાં પડ્યો છે. હવે શું કરવું? અને તેણે કૂવામાં પડતું મૂક્યું, તેને પડતી સાસુએ જોઈ, મારા પુત્રની પાછળ વહુ કૂવામાં પડી હશે. તેણે પણ કૂવામાં પડતું નાખ્યું. વૃદ્ધ વીરભટ્ટે આ જોયું, આ મારો પુત્ર, મારી પુત્રવધૂ, મારી પત્ની બધા જ કૂવામાં પડ્યાં, હવે શું કરું? અને તેણે પણ કૂવામાં પડતું નાખ્યું. આ આખી ઘટના માનભટ્ટે જોઈ પણ માનને કારણે તેણે કોઈને અટકાવ્યા નહીં. લોકપરલોકનો વિચાર ન કર્યો, ધર્મ યાદ ન કર્યો અને પછી વિલાપ કરવા લાગ્યો. અને છેવટે તીર્થે તીર્થે ભ્રમણ કરતો તે મથુરા પહોેંચ્યો. ત્યાં લોકો વારાણસીની વાત કરવા લાગ્યા. એટલે માનભટ્ટે ગંગાસંગમ જવાનો વિચાર કર્યો અને છેવટે દીક્ષા લીધી.

માયાદિત્યની કથા

કાશીની આસપાસ નાનાં નાનાં ગામ, વચ્ચે વચ્ચે વનોને કારણે તે પ્રદેશ સુંદર લાગતો હતો. ઉજ્જ્વળ તળાવોવાળાં દેવમંદિરો પણ પુષ્કળ હતા. તે દેશમાં વારાણસી નામની નગરી. ત્યાં લોકો અર્થસંગ્રહ કરીને દાનધર્મ કરતા. વિશ્વાસિની સ્ત્રીઓ શરીરશોભા કરતી, પણ અહંકારનો વિકાર ન થાય તેવાં આભૂષણ-વસ્ત્રો પહેરતી, વડીલોની સેવાભક્તિ પરિવારને શીખવવામાં આવતી. તે મહાનગરીની નૈર્ઋત્ય દિશામાં શાલિગ્રામ નામનું ગામ. તેમાં ગંગાદિત્ય નામનો એક દરિદ્ર રહેતો હતો. બીજા બધા રૂપાળા પણ આ એકલો જ કુરૂપ હતો. બીજા મધુર વચનો બોલે છતાં આ એકલો ઝેરી વચનો બોલે, તેને એકલાને જ જોવાથી ઉદ્વેગ થતો. સાવ ક્ષુદ્ર ઉપકાર કરનારા પર જીવ આપનારા લોકો ત્યાં હોવા છતાં આ એકલો નર્યો કૃતઘ્ન હતો. કપટી સ્વભાવ, ઠગનારી વાણીવાળા આ માણસનું નામ લોકોએ ગંગાદિત્યને બદલે માયાદિત્ય રાખ્યું. એ જ ગામમાં થાણુ નામનો વણિક હતો. તેનો જૂનો વૈભવ હવે ક્ષીણ થઈ ગયો હતો. કોઈક રીતે માયાદિત્ય સાથે તેને સ્નેહ થયો. તે તો સરળ, નમ્ર, દયાળુ, કૃતજ્ઞ હતો. ઘણા લોકોએ તેને માયાદિત્ય સાથે સંબંધ ન રાખવાની સલાહ આપી છતાં તેણે પોતાના સરળ સ્વભાવને કારણે માયાદિત્ય સાથે મૈત્રી કરી. સજ્જનો દુર્જનોના વિષમ હૈયાને નથી જાણતા, જ્યારે તેની દુર્જનતાની જાણ થાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એક વખત બંને મિત્રો વિશ્વાસથી એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે થાણુએ તેને કહ્યું, ‘ધર્મ, અર્થ, કામ પુરુષાર્થો લોકે ઠરાવ્યા પણ આપણી પાસે તો કશુ નથી. તો આપણે અર્થોપાર્જન કરીને બીજા પુરુષાર્થો પણ મેળવીએ.’ માયાદિત્યે તેને વારાણસી જવાની વાત કરી, ‘ત્યાં જઈને જુગાર રમીશું, ચોરી કરીશું, મુસાફરોને લૂંટીશું, લોકોને ઠગીશું.’ પણ થાણુએ એ વાત સાંભળીને ના પાડી, ‘આવો વિચાર પણ ન થાય.’ એટલે માયાદિત્યે પોતાની વાત ફેરવી નાંખી, આ તો મજાક કરતો હતો તેમ કહી થાણુને રીઝવ્યો. થાણુએ તેને ભવિષ્યમાં આવી વાત કદી નહીં કરવા કહ્યું અને અર્થોપાર્જનના ઉપાયો જણાવ્યા. પછી નક્કી કર્યું કે દક્ષિણાપથ જઈએ, ત્યાં જઈને જે કંઈ થઈ શકશે તે કરીશું.’ અને એમ સ્વજનો-સ્નેહીઓની મંજૂરી લઈ, ભાથું લઈ નીકળી પડ્યા અને પેઠાણ નગરમાં જઈ પહોંચ્યા. તે ધનસમૃદ્ધ નગરમાં જાતજાતના વેપાર-મજૂરી કરીને પાંચ પાંચ હજાર સોનામહોરો કમાયા. પછી ‘રસ્તામાં ચોરીચપાટીનો ભય હોય એટલે આપણે આ સોનામહોરો વડે કિંમતી રત્ન ખરીદીએ. દેશમાં જઈને તે વેચીશું.’ એમ વિચારી પાંચપાંચ રત્ન ખરીદ્યાં અને ધૂળવાળાં, મેલાં ચીંથરાંમાં વીંટ્યાં. બંનેએ વેશપરિવર્તન કર્યું. માથું મુંડાવી નાખ્યું, છત્રી લીધી, ગેરુથી ભગવાં વસ્ત્ર રંગીને પહેર્યાં, કાવડ બનાવી અને જાણે તીર્થયાત્રાએ નીકળ્યા હોય તેવો દેખાવ કર્યો. ક્યાંક ખર્ચ કરીને ભોજન કર્યું, ક્યાંક સદાવ્રતમાંથી ભોજન કર્યું, પછી ધર્મશાળાવાળા એક નાના ગામમાં પહોંચ્યા. ત્યાં થાણુએ કહ્યું, ‘મિત્ર, બહુ થાક્યો છું. એટલે રોટલા કરાવીને ભોજન કરીએ.’ માયાદિત્યે આ સાંભળીને કહ્યું, ‘તો તું જ નગરમાં જા. મને માલ લેવાની, ભાવતાલ કરવાની સમજ નહીં પડે. તું તો હોશિયાર છે એટલે જલદી પાછો આવી જજે.’ થાણુએ હા પાડી. ‘ઠીક, પણ રત્નની પોટલીનું શું કરીશું?’ ‘પારકા નગરનો તો ખ્યાલ કેવી રીતે આવે? રસ્તામાં જોખમ ન રખાય. એના કરતાં ભલે મારી પાસે રહી.’ એટલે થાણુએ રત્નની પોટલી માયાદિત્યને આપી અને તે નગરમાં ગયો. માયાદિત્યની પાસે બધાં રત્નો આવી ગયાં એટલે તેણે વિચાર્યું, ‘આ દસ રત્નોમાં પાંચ તો મારાં છે. હું જો તેને ઠગી લઉં તો દસે દસ મારા થઈ જાય.’ એ પોટલી લઈને નાસી જવાનો વિચાર પણ કર્યો. પણ એ આવી ચઢે તો! એને ખબર ન પડે એવી રીતે જતો રહું તો! પછી તેણે ધૂળમાં રગદોળાયેલો કપડાનો ટુકડો લીધો, પેલાં રત્નો તેમાં બાંધ્યાં. જૂના કપડામાં તેવડા જ ગોળ દસ પથ્થર બાંધ્યા. તે આ કપટ કરી રહ્યો હતો તેવામાં જ થાણુ આવી પહોેંચ્યો. આ ઉતાવળમાં માયાદિત્યને ખ્યાલ ન રહ્યો કે રત્નોવાળી પોટલી કઈ અને પથરાવાળી પોટલી કઈ? થાણુએ તેને પૂછ્યું પણ ખરું કે ‘મને જોઈને તું આટલો બધો ગભરાયેલો કેમ દેખાય છે?’ ‘અરે મિત્ર, તને જોઈને મને થયું કે આ કોઈ ચોર આવે છે એટલે ગભરાઈ ગયો.’ થાણુએ કહ્યું, ‘ગભરાઈશ નહીં.’ ‘આ રત્નની પોટલી પકડ. મને તો બીક લાગે છે એટલે હું નહીં રાખું.’ એમ કહી સાચાં રત્નોની પોટલી પથ્થરવાળી છે એમ માનીને તેણે થાણુને આપી. પેલાએ પણ સરળ રીતે તે લઈ લીધી. ‘હે મિત્ર, હું આંબલી માગીને પાછો આવું છું.’ એમ કહીને માયાદિત્ય ત્યાંથી જતો રહ્યો, પાછો ન જ ફર્યો. રાતદિવસ ચાલ ચાલ જ કર્યું. એમ કરીને બાર જોજન વટાવી દીધાં. પછી રત્નપોટલી ખોલીને જોયું તો તેમાં નર્યા પથરા જ હતા. ‘હું ઠગાયો, લૂંટાયો, હણાયો.’ એમ કરીને તે મૂર્ચ્છા પામ્યો. થોડી વારે તે સ્વસ્થ થયો. ‘મેં વિચાર્યું કે હું એને ઠગું, પણ હું જ ઠગાયો.’ એમ વિચારી તેણે ફરી પેલા મિત્રને ઠગવાનો વિચાર કર્યો. પાછો રસ્તામાં ક્યાંક મળી જશે, એમ વિચારી તેને શોધવા લાગ્યો. થાણુ પણ હમણાં આવશે, હમણાં આવશે એમ વિચારતો બધે તેને શોધવા નીકળ્યો. ચારે બાજુ શોધ્યા પછી પણ તે ન મળ્યો એટલે વિલાપ કરવા લાગ્યો. ‘અરે, મારામિત્રને જોયો છે?’ એમ કરતાં કરતાં રાત વીતી, દિવસ વીત્યો. અને તે એક દેવકુલિકામાં જગા મેળવી સૂઈ ગયો. પછી તે જીવતો હશે તો ઘેર આવશે, જો જીવતો નહીં હોય તો એનાં સ્વજનોને તેનાં રત્ન આપી દઈશ એમ વિચારતાં વિચારતાં તે નર્મદાકાંઠે આવી ચઢ્યો. એવામાં માયાદિત્ય આવી ચઢ્યો. તેને ભેટીને થાણુ રડવે ચઢ્યો, ‘અરે મિત્ર, તું મને મૂકીને ક્યાં જતો રહ્યો હતો? તું ક્યાં હતો તે મને કહે જોઈએ.’ ‘અરે મિત્ર, મારી વાત સાંભળ. ઘેર ઘેર ભટકતો હું એક મોટા મહેલમાં પેઠો. ત્યાંથી મને કંઈ ન મળ્યું. એટલે બહાર નીકળવા ગયો. એટલામાં યમદૂતો જેવા લાગતા લોકોએ મારા પર ભારે પ્રહારો કરવા માંડ્યા. હું બોલ્યે ગયો, ‘શું છે? મેં તમારો શો અપરાધ કર્યો છે? અરે મિત્ર, તું ક્યાં ગયો અને મારી આવી સ્થિતિ થઈ.’ એ લોકો મને ચોર ધારી તેમના શેઠ પાસે લઈ ગયા. ‘સારું કર્યું, આણે જ આપણું કુંડળ ચોર્યું છે. હું રાજાને ફરિયાદ ન કરું ત્યાં સુધી તેને ઉપલા માળે પૂરી રાખો.’ આમ ચોરનું કલંક લાગ્યું તેનાથી મારું હૃદય જેટલું દાઝયું તેનાથી વધારે તો તારા વિરહથી દાઝયું.- ‘હું ચોર નથી, ચોર નથી.’ એમ કકળતો હોવા છતાં તેમણે મને એક ઓરડામાં પૂરી દીધો. મને એમ જ લાગ્યું કે મારું મરણ નજીક છે તો યમ આટલું મોડું કેમ કરે છે? મિત્રવિયોગ થયો તો પછી મૃત્યુ પણ મને વહાલું લાગશે. એમ વિચારતાં રાત પડી, તે પણ વીતી ગઈ. બીજા દિવસે બપોરે ભોજન લઈને એક વેશ્યા આવી. મારું રૂપ જોઈને તેને દયા આવી. મેં તેને પૂછ્યું, ‘સુંદરી, સાચો ઉત્તર આપે તો એક વાત પૂછું.’ તેણે કહ્યું, ‘વિશ્વાસ રાખી પૂછો.’ ‘હું નિરપરાધી છું તો પછી મને પકડ્યો શા માટે?’ ‘આ નવમી તિથિએ દેવતા આરાધના થશે. તેમાં તમારો બલિ અપાશે. ચોરીનો ખોટો આરોપ મૂકીને પકડાયા છો.’ પછી મેં ભયભીત થઈને પૂછ્યું,‘હવે મારા જીવવાનો કોઈ ઉપાય?’ ‘હવે જીવવાની આશા ન રાખવી. હું સ્વામીનો દ્રોહ નહીં કરું. તો પણ તારા ઉપર મને સ્નેહ છે. એટલે એક વાત સાંભળ. જો તું એ ઉપાય કરે તો, આવતી નોમના દિવસે બધો પરિવાર સ્નાન કરી સ્વામી સાથે જશે. તે વખતે એકલો રખેવાળ હશે. તું જો બારણાં તોડીને નીકળી જાય તો બચે. જો તે દિવસ ચૂકી ગયો તો પછી કોઈ રીતે બચી નહીં શકાય.’ એટલે હું તે દિવસે એવી રીતે નીકળી ગયો, પછી હું તને ખોળવા લાગ્યો. કોઈએ મને કહ્યું કે તારા દેશનો એક માણસ આ રસ્તે ગયો છે એટલે હું તારી પાછળ પાછળ નીકળ્યો, અને તને આ નર્મદાકાંઠે જોયો. હવે તને જોઈને મને ટાઢક વળી.’ થાણુએ અશ્રુભીની આંખે કહ્યું, ‘નવજીવન મળ્કહ્યું. રત્નો મળી ગયાં. બધા સુખનું મૂળ તો તું જીવતો મળ્યો તે છે.’ એમ કહી તેમણે ભોજનવિધિ પૂરો કર્યો. અને નર્મદા ઓળંગી અટવીમાં અટવાઈ ગયાં. ભ્રમર, હરણ, વાઘ, હાથી, જંગલી ભેંસો, સિંહો, જંગલી પ્રાણીઓ, કાગડા, વાનરોવાળા એ વનમાં તેઓ ગ્રીષ્મ કાળે ભમી રહ્યા હતા. અંગારા વરસાવતો સૂરજ, લૂવાળો પવન ત્યાં અનુભવવા મળ્યા. આવા વિષમ વાતાવરણમાં રેતીથી દાઝતા, ભૂખેતરસે રીબાતા, થાકેલા, દૂબળા મિત્રોને રસ્તાની કશી સમજ પડતી ન હતી. લૂંટારાનો ભય, જંગલી પ્રાણીઓનો ભય, ઝાંઝવા પાછળ દોટ મૂકતા, પાણીનો ભાસ થતાં દોડતા આ મિત્રોને સમજ પડતી ન હતી કે તેઓ ક્યાં ચાલી રહ્યા છે. થાણુએ તેને કહ્યું, ‘મિત્ર, ભૂખથી પેટમાં ખાડો પડ્યો છે, કેડેથી સખત બાંધેલું વસ્ત્ર સરી જાય છે, એટલે આ રત્નપોટલી તું સાચવ. મારાથી રસ્તે પડી પણ જાય. તો હું નિરાંતે ચાલી શકું.’ માયાદિત્યને તો એ જ જોઈતું હતું. ‘સામે ચાલીને જ તેણે મને આ આપ્યું. હવે શું કરવું તે વિચારું.’ એમ વિચારી ચારે બાજુ નજર કરી, એક મોટો વડ જોયો, ત્યાં પાણી હોવું જોઈએ એમ માનીને પાસે જઈને જોયું તો એક કૂવો જણાયો. પણ પાણી કાઢવા માટે કશું મળ્યું નહીં. એટલે દુષ્ટ માયાદિત્યે વિચાર્યું, ‘આ સારો મોકો છે. અત્યારે એનો ઘડોલાડવો કરી નાખું. એને કૂવામાં ધકેલી દઉં તો? બધા રત્નો મારા થઈ જાય.’ એટલે તેણે થાણુને કહ્યું, ‘હે મિત્ર, જરા નજર કર, આ કૂવામાં પાણી કેટલું છે? પછી હું એક દોરડું બનાવું.’ એટલે સરળ મનનો થાણુ જીર્ણ કૂવામાં ડોકિયું કરવા તૈયાર થયો. પછી પાપી હૃદયવાળા માયાદિત્યે લાજશરમ મૂકીને, પ્રેમને ભૂલી જઈને, કૃતજ્ઞતાને ઓળખ્યા વિના, સજ્જનતાના માર્ગનો લોપ કરીને થાણુને કૂવામાં ધક્કો માર્યો. જૂનાં પાંદડાં, ડાળીઓ, કાદવવાળા એ કૂવામાં પાણી ઓછું હતું પણ તેને કશી ઈજા ન થઈ. થાણુ વિચારે ચઢ્યો, ‘દરિદ્રતા, પરદેશભ્રમણ, અટવી અને પ્રિય મિત્રનો વિયોગ-આટલું ઓછું હતું તેમાં આ ઘટના બની. કોઈ નિર્દય માનવીએ મને ધક્કો માર્યો. તો કોણે માર્યો હશે? માયાદિત્ય તો પાસે જ હતો. બીજું તો કોઈ હતું નહીં; તો શું માયાદિત્યે આ કામ કર્યું હશે? ના,ના, મારા પાપી હૃદયે આવો વિચાર જ કેમ કર્યો? મેરુ હાલે, સમુદ્ર નિર્જળ થાય, સૂર્ય પશ્ચિમમાં ઊગે તો પણ મારો મિત્ર આવું તો ન જ કર. મારા પાપી હૃદયને ધિક્કાર હજો કે તેણે આવો વિચાર કર્યો. કોઈ રાક્ષસે, ભૂતપલીતે કે દૈવે જ મને અહીં ફેંક્યો હશે.’…અરેમિત્ર, તું આપત્તિમાં મુકાઈ ગયો. તારું શું થશે? હું મિત્રવિયોગથી મૃત્યુ જ પામ્યો છું.’ માયાદિત્ય તો હવે ધાર્યું હતું એટલે આનંદમાં આવી ગયો. હવે આ રત્નોનો માલિક હું જ એકલો.’ આમ વિચારતો હતો એવામાં જ ત્યાં ભીલ લૂંટારાઓ ત્યાં આવી ચઢ્યા. તેમને જોઈને તે નાસી જવા ગયો પણ તેને બાણ મારીને ઘાયલ કર્યો અને પકડ્યો. શરીર, કપડાં તપાસ્યાં તો તેમને રત્નની પોટલી મળી, તે સેનાપતિ પાસે ગઈ. તેણે જોયું તો તેમાં દસ રત્ન હતાં. ‘અરે આણે તો આપણને ન્યાલ કરી દીધાં. એને મારતા નહીં પણ એક વાંસની જાળીમાં પૂરી રાખો.’ એટલે લૂંટારાઓએ તેને કેદ કર્યો. ચોર સેનાપતિએ પોતાની પલ્લીમાં જતાં જતાં તરસ લાગી. એટલે પાણીની તપાસ કરવા કહ્યું, એક લૂંટારાએ કહ્યું,‘અહીં એક જૂનો કૂવો છે. કેટલું પાણી છે તેની ખબર નથી.’ એટલે બધા સેનાપતિના કહેવાથી એ દિશામાં ચાલ્યા. વડ નીચે બેસીને સેનાપતિએ પાણી કાઢવા કહ્યું. એટલે તેમણે ખાખરાનાં પાંદડાં સીવી મોટો પડિયો બનાવ્યો. લાંબી મજબૂત લતા એકઠી કરીને દોરડું તૈયાર કર્યું. પડિયામાં પથ્થર મૂકી કૂવામાં ઉતાર્યો એટલે થાણુએ તે જોઈને કહ્યું, ‘આ કોણે ઉતાર્યું? હું અહીં પડી ગયો છું, મને બહાર કાઢો.’ એટલે સેનાપતિએ એની જાણ કરી. એટલે તેણે પાણી કાઢવાને બદલે કૂવામાં પડી ગયેલાને કાઢવા કહ્યું. ભીલોએ થાણુને બહાર કાઢ્યો. ‘અરે તું ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો છે?’ એટલે થાણુએ માંડીને બધી વાત કરી. ‘પૂર્વ દેશથી અમે બે મિત્રો દક્ષિણ દેશમાં ગયા. ત્યાં સામે પાંચ પાંચ રત્ન કમાયાં. આવતાં આવતાં આ અટવીમાં ભૂલા પડ્યા. ભૂખતરસ બહુ વેઠ્યાં. અને આ કૂવો જોયો. અંદર કેટલું પાણી છે તે જોવા હું ગયો ત્યાં મને કોઈ ભૂતપલીતે, રાક્ષસે ધક્કો માર્યો અને અત્યારે તમે મને બહાર કાઢ્યો.’ સેનાપતિએ કહ્યું, ‘સાથેવાળાએ જ એને કૂવામાં ફેંક્યો હશે.’ આ સાંભળી થાણુ બોલ્યો, ‘શાન્તં પાપં, શાન્તં પાપં. જીવથીયે વહાલો મિત્ર આવું કરે ખરો? સેનાપતિએ પૂછ્યું, ‘અત્યારે એ મિત્ર ક્યાં હશે?’ થાણુ બોલ્યો, ‘ખબર નથી. તે પણ ક્યાંક ભૂલો પડ્યો હશે.’ આ સાંભળી ચોરપરિવાર હસવા લાગ્યો, ‘આ બિચારો ગરીબ, ભોળો બ્રાહ્મણ, દુર્જનની દુષ્ટતાને ઓળખતો જ નથી. તે પોતાના જેવા જ બીજાને સરળ માને છે.’ સેનાપતિએ કહ્યું, ‘આપણે જેનાં રત્નો પડાવી લીધાં છે તે જ આનો મિત્ર હોવો જોઈએ.’ બીજાઓએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો. પછી થાણુને પૂછ્યું, ‘તારોમિત્ર કેવો છે?’ ‘શ્યામ વર્ણ, માંજરી આંખો, રૂપવાન, ઠીંગણો, દાઢીમૂછ વિનાનો…’ બધા તેની વાત સાંભળીને હસવા લાગ્યા. સેનાપતિએ કહ્યું, ‘ભાઈ, તેં બહુ સારોમિત્ર મેળવ્યો. આવો જ મિત્ર હોવો જોઈએ. અરે ભાઈ, તેણે જ તને કૂવામાં ફેંક્યો છે. તારાં રત્નોને જુએ તો ઓળખી શકે ખરો?’ ‘હા, હા. બરાબર ઓળખી શકું.’ સેનાપતિએ તે બતાવ્યાં, એને ઓળખીને થાણુએ કહ્યું, ‘આ પાંચ રત્ન મારાં છે. તમને ક્યાંથી મળ્યાં? કોની પાસેથી મળ્યાં?’ ‘અમે એની પાસેથી ઝૂંટવી લીધાં છે. તેને એક જાળીમાં પૂરી દીધો છે. હવે તું આ તારાં રત્ન લઈ લે. પેલા દુષ્ટનાં પાંચ રત્ન તને નહીં આપીએ. એક વાત ધ્યાનમાં રાખજે. આના જેવો જો કોઈ મિત્ર થવા આવે તો તેનાથી દૂર જ રહેજે.’ પછી થાણુ મિત્રને ઝૂંપડે ઝૂંપડે શોધવા લાગ્યો. વાંસની જાળીમાં હાથ બંધાયેલી હાલતમાં જોયો. બંને પગ પણ બાંધેલા હતા.‘અરે મિત્ર, તારી આવી હાલત?’ પછી તેના બંધન ઢીલાં કર્યાં. શરીરે હાથ ફેરવ્યો. ઉઝરડા અને ઘા પર જૂનાં ચીંથરાં બાંધ્યાં, પોતાની હકીકત જણાવી. ‘મિત્ર, મને મારાં પાંચ રત્ન મળી ગયાં. હવે અઢી તારાં અને અઢી મારાં. તેટલાંય મને તો બસ છે.’ પછી તેને કોઈ ગામમાં લઈ જઈ તેની સારવાર કરાવી, ઘા રુઝાઈ ગયા. માયાદિત્ય મનમાં વિચારવા લાગ્યો, ‘સજ્જન પુરુષ ગમે તે હાલતમાં પોતાનો સ્નેહતંતુ તોડતો નથી. આવા સજ્જન સાથે મેં કેવો ખરાબ વર્તાવ કર્યો. મારે જીવીને પણ શું કામ છે? અગ્નિમાં પ્રવેશું?’ પછી ગામના મુખીઓને એકઠા કર્યા અને પહેલેથી છેલ્લે સુધીની વારતા કહી. પછી ગામલોકોને કહ્યું, ‘અરે આગેવાનો, મિત્રદ્રોહનું મોટું પાપ મેં કર્યું છે. તો હું સળગતા અગ્નિમાં પ્રવેશીશ.’ લોકોએ એક ઉપાય કહ્યો, બીજો કહ્યો. છેવટે ગંગાસ્નાનનો માર્ગ બતાવ્યો. તેણે આખરે જૈન ગુરુ પાસે દીક્ષા લીધી.

કોશલ દેશના તોસલની કથા

કોશલા નગરીમાં કોશલ નામનો રાજા હતો. તેનો પુત્ર તોસલ વિદ્યાવિજ્ઞાનવાળો, દાનવીર, યુવાન, વિલાસી હતો. નગરીમાં તે જ્યાં ઇચ્છા થાય ફરતો હતો. એક વાર તે મોટા નગરશેઠના ઘર આગળથી પસાર થયો અને ત્યાં ગોખની જાળીમાંથી કોઈ કન્યાનું મુખ દેખાયું, બાલિકાએ પણ તોસલને જોયો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. હવે તે કન્યાને કેવી રીતે મળવું તેનો વિચાર તે કરવા લાગ્યો. રાત પડી એટલે તે શસ્ત્રસજ્જ થઈને શેઠના મહેલમાં ગયો. કન્યાને મળ્યો અને કન્યાએ પોતાના શીલની વાત કરી. તોસલ ત્યાંથી જતો રહેવા તૈયાર થયો પણ તેણે તેને જવા ન દીધો, તેણે પોતાનો પરિચય આપ્યો. ‘નંદ ગામના શેઠ મારા પિતા, મારી માતા રત્નરેખા. મારું નામ સુવર્ણદેવા. તેમને મારો વિવાહ હરિદત્ત નામના યુવાન સાથે કર્યો હતો, પણ તે લંકા ગયો અને બાર વર્ષથી તે હજુ ત્યાં જ છે. આ વેદનામાં હું આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી અને એવામાં મેેેં તમને જોયા. મારા ઉત્તમ કુળમાં હું દુ:શીલ છું એવી અપકીર્તિ ન થાય તે જોજો. અને જો એવા કોઈ અપરાધથી રાજા તમારો ત્યાગ કરે, તમારી નિંદા લોકોમાં થાય તો તમારી પાછળ હું મરણને વધુ વહાલું કરીશ.’ અને તે બંનેનાં તનમન મળ્યાં. રાત પૂરી થવા આવી ચક્રવાક યુગલોનાં હૃદય એક થવા લાગ્યા. રાજપુત્ર જેવો આવ્યો હતો તેવો ગયો. આમ આઠ મહિના તેઓ નિયમિત રીતે મળતા રહ્યા. દૈવયોગે તે કન્યાને ગર્ભ રહ્યો. સખીઓમાં અને કુટુંબમાં આ વાત પ્રસરી ગઈ. નંદશેઠને પણ આની જાણ થઈ. ક્રોધે ભરાઈને તેણે રાજાને પોતાની પુત્રીને આવી સ્થિતિમાં મૂકનાર અપરાધીને શોધી કાઢવા કહ્યું. રાજાએ મંત્રીને આ કામ સોેંપ્યું અને તોસલનો અપરાધ જાણી રાજાએ તાબડતોબ તેના વધનો હુકમ આવ્યો. મંત્રી તેને સ્મશાનભૂમિમાં લઈ ગયો અને સારાનરસાનો વિચાર કરીને મંત્રીએ કહ્યું, ‘તારા પર રાજા ક્રોધે ભરાયા છે. તારા વધની આજ્ઞા કરી છે. પણ તું એક કામ કર. તારી કોઈને જાણ ન થાય એવી જગાએ તું જતો રહે. તારે કોઈને તારો પરિચય પણ આપવો નહીં.’ રાજપુત્ર પણ મરણની બીકે ત્યાંથી નાસી ગયો અને પાટલીપુત્ર નામના નગરમાં ગયો, ત્યાં જયવર્મ રાજા હતો. તોસલ સામાન્ય માનવીની જેમ જીવન જીવતો થયો. ચારે બાજુથી તિરસ્કારપાત્ર બનેલી સુવર્ણદેવાને જાણ થઈ કે રાજપુત્રનો વધ થઈ ગયો છે. તે કોઈક રીતે ઘરની, નગરની બહાર નીકળી ગઈ. પાછલી રાતે પાટલીપુત્ર જનારો કાફલો મળ્યો એટલે તેની સાથે તે નીકળી પડી. પણ ગર્ભભારને કારણે ધીમે ધીમે ચાલતી તે એકલી પડી ગઈ અને ગાઢ જંગલમાં જઈ પહોેંચી. કઈ દિશામાં જવું તેની કશી સમજ પડી નહીં, રસ્તો ભૂલી ગઈ. ભૂખેતરસે તે હેરાન થઈ ગઈ. વાઘસિંહની ગર્જનાઓથી તે ગભરાતી હતી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલી રેતી પર ચાલતી હતી. નબળા હૃદયવાળીને જાતજાતની શંકાઓ થતી હતી. કૂંડાને ચોર માનતી, વૃક્ષને હાથી, હરણને વાઘ, સસલાને સિંહ, મોર-કૂકડાને દીપડો માનતી. ઘાસનું તણખલું હાલે તો પણ તે બી મરતી. આ સ્થિતિમાં માતાપિતાને યાદ કરીને તે વિલાપ કરવા લાગી. ‘અરે માતા, અરે પિતા, જીવથી વધુ વહાલી હું હતી. તમે કેમ મારો ત્યાગ કર્યો? અરે પ્રિયતમ, ક્યાં છો તમે?’ એમ કરતાં કરતાં દિવસો વીત્યા. નવમો મહિનો પૂરો થયો. ઉપર આઠ દિવસ થયા અને તેને વેણ ઊપડી. આખરે તેણે જોડિયાં બાળકોને જન્મ આપ્યો, એક પુત્ર અને એક પુત્રી.’ ‘અરે પુત્ર, હવે શું કરું? કુમારી હોય ત્યારે પિતા, યુવાનીમાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સ્ત્રીનું રક્ષણ કરે છે. બધાનો વિયોગ- એટલે તું જ મારું સર્વસ્વ.’ આવો વિલાપ કરતી હતી તે વખતે તેણે વિચાર્યુંં, હવે શું કરું? અહીં મરવું નથી, પુત્રનું પાલનપોષણ કરવું પડશે. તોસલ રાજપુત્રના નામની મુદ્રા પુત્રના કંઠમાં પહેરાવી અને પુત્રીના કંઠમાં પોતાના નામવાળી મુદ્રા પહેરાવી. પોતાના વસ્ત્રના અડધા ભાગમાં પુત્રને બાંધ્યો અને અડધામાં પુત્રીને બાંધી. પર્વતના ઝરણામાં શરીરને સ્વચ્છ કરી આગળ ચાલું એમ વિચારી બાળકોને એક જગ્યાએ મૂકી તે ઝરણામાં નહાવા ગઈ. તે જ વખતે તરત વિયાયેલી, ભૂખી, ભમીભમીને વ્યાકુળ બનેલી એક વાઘણ બાળકોના આ પોટલા પાસે આવી અને પોટલી મેંમાં ભરાવી તે ચાલતી થઈ. હવે ઉજ્જયિની અને પાટલીપુત્રના માર્ગ પરથી જતાં જતાં એક પોટલીની ગાંઠ ઢીલી પડી ગઈ એટલે કન્યા નીચે પડી ગઈ. વાઘણને ખબર ન પડી. તે જ રસ્તેથી જયવર્મ નામનો દૂત આવતો હતો. તેણે રસ્તામાં પડેલી બાલિકાને ઉપાડી લીધી અને પોતાની પત્નીને આપી. તે પોતાના જ બાળકની જેમ તેને ઉછેરવા લાગી. તેનું નામ વનદત્તા પાડ્યું. આ બાજુ વાઘણ તેની ગુફા પાસે પહોેંચાડવામાં જ હતી, ત્યાં જયવર્મ રાજાના પુત્ર સબરસિંહે વાઘણને મારી નાખી. રસ્તામાં પડેલી પોટલી જોઈ તો તેમાં સુંદર બાળક જોયું. કમળ જેવો કોમળ દેહ, રક્તકમળ જેવા હાથપગ અને નીલકમળ જેવી આંખોવાળા એ બાળકને ઘેર જઈ પત્નીને આપ્યો. પછી સમાચાર ફેલાયા કે દેવીને પુત્ર જન્મ્યો છે. બાર દિવસે તેનું નામ વ્યાઘ્રદત્ત પાડ્યું. તેનામાં મોહ વધુ હતો એટલે તેનું બીજું નામ પાડ્યું — મોહદત્ત. આ બાજુ ઝરણામાં સ્નાન કરીને આવેલી સુવર્ણદેવાએ બાળકોને ન જોયાં. એટલે મૂર્ચ્છા પામીને ધરતી પર ઢળી પડી અને પછી વિલાપ કરવા લાગી. ‘અરે મારાં બાળકો, તમે ક્યાં ગયા? દૈવે પહેલાં મહાનિધિ બતાવ્યો અને પછી આંખો લઈ લીધી. પ્રિયતમ જતો રહ્યો. હવે પુત્ર નથી, પુત્રી નથી.’ ત્યાં તેણે વાઘણના પગલાં જોયાં. એટલે માની લીધું કે વાઘણ લઈ ગઈ હશે. એમ કરતાં કરતાં તેણે કોઈ ભરવાડણના ઘેર આશરો લીધો. ભરવાડણે તેને પુત્રીની જેમ આવકારી. એમ કરતાં કરતાં તે પાટલીપુત્ર નગરમાં જઈ પહોેંચી. એમ દૈવયોગે તે જ્યાં પોતાની પુત્રી હતી ત્યાં જ ગઈ અને પુત્રી યૌવનમાં આવી ત્યાં સુધી તે ત્યાં રહી પડી. આવી વનદત્તાએ વસંતઋતુમાં મોહદત્તને જોયો. બંને એકબીજાને જોઈને પ્રસન્ન થયાં. એકબીજાને કામબાણ વાગ્યાં. સુવર્ણદેવા અનુભવી હોવાને કારણે બંનેનો પ્રેમ સમજી ગઈ. તેણે કહ્યું, ‘હવે આપણે ઘેર જઈએ. જોવાનું બાકી રહ્યું હોય તો મદનોત્સવ પૂરો થાય, ઉદ્યાન નિર્જન થાય ત્યારે ફરી આવીશું.’ મોહદત્તે વિચાર્યું, ‘આ કન્યાને પણ મારા માટે પ્રેમ છે. એટલે તેની ધાવમાતાએ પણ સંકેત કર્યો છે કે ઉત્સવ પૂરો થાય ત્યારે મળાશે. વનદત્તા ઘેર તો પહોેેેંચી પણ તે ગાંડીઘેલી થઈ ગઈ. માંડમાંડ મદનોત્સવ વીતાવ્યો. ઉદ્યાને પહોેંચવા તે નીકળી. થોડી વારે તોસલે તેને જોઈ. દેશાંતરને કારણે, રૂપ-લાવણ્ય બદલાઈ જવાને કારણે સુવર્ણદેવાએ તેને ન ઓળખ્યો. તેણે માત્ર વનદત્તાને જ જોયા કરી અને તેને પામવા માટે અનેક વિચારો કરવા લાગ્યો. તે એને વશ કરવા એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે વનદત્તા પણ ઉદ્યાનમાં આવી ગઈ. તે વેળા લાજશરમ બાજુ પર મૂકીને તોસલ તલવાર હાથમાં લઈ દોડ્યો, ‘આ તરવાર તારા કંઠે પડી નથી ત્યાં સુધી તું મારી સાથે ક્રીડા કર અથવા જીવવું હોય તો મારું શરણ સ્વીકાર.’ તેનું આવું વર્તન જોઈ સુવર્ણદેવા અને સખીઓ ત્યાં દોડી આવ્યાં અને બૂમો પાડવા લાગ્યાં, ‘દોડો-દોડો, આ કોઈ મારી પુત્રીને મારી નાખે છે.’ તે જ વખતે વ્યાઘ્રદત્ત કેળના મંડપમાંથી તલવાર ખેંચીને ધસ્યો. ‘અરે ભાગે છે ક્યાં? આ ગભરુ કન્યા પર તું પ્રહાર કરવા તૈયાર થયો છે.’ આ સાંભળી તોસલ પાછો વળ્યો અને બંને વચ્ચે કાપાકાપી ચાલી. વ્યાઘ્રદત્તે ગળા પર પ્રહાર કરી તેને મારી નાખ્યો. પછી વનદત્તા તરફ જોયું. વનદત્તાએ પણ પોતાના પ્રાણદાતાને પ્રિયતમ માન્યો. સખીઓને શાંતિ થઈ, વ્યાઘ્રદત્ત તેને કેળગૃહમાં લઈ ગયો અને મોહવશ થઈ તેણે તેને આલિંગન આપ્યું. ત્યારે અવાજ સંભળાયો, ‘અરે પિતાને મારી નાખી, જનની સમક્ષ બહેન સાથે ક્રીડા કરવા માગે છે?’ તેણે ચારે બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. એટલે ફરી તે કેલિ કરવા ગયો, અને ફરી અવાજ સંભળાયો, ‘અરે પિતૃહત્યા કરી માતા સામે તારી જ બહેન સાથે આવું ન કર.’ ફરી તેને એ પ્રલાપ અસંબદ્ધ લાગ્યો. ફરી વનદત્તાને વળગ્યો. ત્યાં ફરી સંભળાયો અવાજ, ‘અરે નિર્લજ્જ, પિતાને માર્યા, હવે બહેન સાથે ભોગ ભોગવવા ઇચ્છે છે?’ વ્યાઘ્રદત્ત હાથમાં તલવાર લઈ આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં અશોકવૃક્ષ નીચે તેણે એક મુનિ જોયા. આ ઉદ્યાનમાં બીજું કોઈ નથી એટલે આ મુનિ જ બોલ્યા હોવા જોઈએ એમ માની તે મુનિવર પાસે ગયો. ત્યાં સુવર્ણદેવા, વનદત્તા અને સખીઓ પણ આવી પહોેંચ્યા. મોહદત્તે પૂછ્યું, ‘આપે કહ્યું કે પિતાને મારી નાખી, માતાની સમક્ષ બહેન સાથે ક્રીડા ન કર. એટલે શું?’ એટલે મુનિએ તેમનો આખો ઇતિહાસ કહી સંભળાવ્યો. ‘તારી પાસે તોસલના નામવાળી મુદ્રા છે અને સુવર્ણદેવા નામવાળી મુદ્રા વનદત્તા પાસે છે.’ આ સાંભળી તેને વૈરાગ્ય આવ્યો. એટલે છેવટે મુનિએ તેને દીક્ષા માટે ધર્મનંદન નામના મુનિ પાસે જવા કહ્યું.