ભારતીયકથાવિશ્વ−૪/દેવી ભાગવત/મહિષાસુરની કથા

From Ekatra Wiki
Revision as of 14:13, 20 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


Template:Headingમહિષાસુરની કથા

પૃથ્વી પર મહિષાસુર નામે એક રાજા થઈ ગયો. તેણે દસ હજાર વર્ષો સુધી તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કર્યા. હંસ પર બેઠેલા તે બ્રહ્માએ રાજા પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે તેણે અમરત્વનું વરદાન માગ્યું.

બ્રહ્માએ કહ્યું; ‘જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. બધાં પ્રાણીઓ જન્મ અને મૃત્યુને વશ છે. બધાંનો જ નાશ થાય છે. તો મૃત્યુની વાત પડતી મૂકીને બીજું કોઈ વરદાન માગ.’

એટલે મહિષાસુરે કહ્યું, ‘દેવથી, મનુષ્યથી, દૈત્યથી, પુરુષથી મારું મરણ ન થાય. સ્ત્રીના હાથે થાય તો વાંધો નથી. જે અબળા છે તે મને મારશે કેવી રીતે?’

બ્રહ્માએ કહ્યું, ‘ભલે, તારું મૃત્યુ સ્ત્રીથી જ થશે, પુરુષથી નહીં,’ વરદાન આપીને બ્રહ્મા તો ગયા. મહિષાસુર પણ પોતાને ઘેર ગયો. આ મહિષાસુર કોણ હતો?

દનુના રમ્ભ અને કરમ્ભ નામના બે શક્તિશાળી પુત્ર હતા. તેમને કોઈ પુત્ર ન હતો. એટલે બંને પંચનદમાં બેસીને તપ કરવા લાગ્યા. કરંભ પાણીમાં રહીને અને રમ્ભ ઉત્તમ દૂધવાળા વડ નીચે પંચાગ્નિ તપ કરતો હતો. એમના તપથી દુઃખી થઈને ઇન્દ્ર બંને દાનવો પાસે ગયો. પંચનદમાં જઈને ઇન્દ્રે ભૂંડનું રૂપ લઈ કરંભને પગમાં પકડીને મારી નાખ્યો. ભાઈના મૃત્યુના સમાચાર સાંભળી રંભ ખૂબ ક્રોધે ભરાયો. પોતાનું મસ્તક ઇન્દ્રને આપવાની ઇચ્છાથી ડાબા હાથે વાળ પકડી જમણા હાથે પકડેલી તલવારથી તે મસ્તક કાપવા તૈયાર થયો ત્યારે અગ્નિદેવ ત્યાં પ્રગટ થઈને બોલ્યા, ‘અરે મૂર્ખ, આત્મહત્યા ન કરવી જોઈએ. તારી ઇચ્છા પ્રમાણે વરદાન માગ. જીવ હોમી દેવાથી કશું પ્રાપ્ત નહીં થાય.’

અગ્નિની વાત સાંભળીને રંભ બોલ્યો, ‘જો તમે પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો. ત્રિલોકવિજેતા, શત્રુને પીડે એવો પુત્ર આપો. દેવ, દાનવ, મનુષ્યોથી જીતાય નહીં એવો જોઈએ. તે ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે. બધા તેને પગે પડતા થાય.’ અગ્નિદેવે રંભને વરદાન આપ્યું, ‘તારી ઇચ્છા પ્રમાણેનો પુત્ર તને થશે. જે સુંદર સ્ત્રી પર તારું મન રીઝશે તેનાથી તને પરાક્રમી પુત્ર થશે.’

અગ્નિદેવની વંદના કરીને રંભ પોતાના નિવાસસ્થાને ગયો. પશુવૃત્તિ ધરાવતા રંભની દૃષ્ટિ એક ભેંસ પર પડી. તે આસક્ત થયો અને રંભથી ગાભણી થયેલી ભેંસ પર કોઈ કામાતુર પાડો આસક્ત થયો. કામાંધ પાડાને રંભે રોક્યો, તેનાં અણીદાર શિંગડાંના પ્રહારથી રંભને ઘાયલ કર્યો એટલે રંભ મૂર્ચ્છા પામીને ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. પોતાના સ્વામીના મૃત્યુથી ગભરાઈ ગયેલી ભેંસ ભાગી અને વડ નીચે બેઠેલા યક્ષો પાસે આવી. તેની પાછળ પાછળ પેલો પાડો પણ આવ્યો. યક્ષોએ જોયું તો ભેંસ અશ્રુપાત કરી રહી હતી, તેનું રક્ષણ કરવા યક્ષોએ પાડા સાથે ઘોર યુદ્ધ કરવા માંડ્યું અને યક્ષોના બાણથી ઘાયલ થયેલો પાડો મૃત્યુ પામ્યો. પછી યક્ષોએ પોતાના પ્રિય એવા રંભનો અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી. પેલી ભેંસે પણ અગ્નિપ્રવેશનો નિર્ધાર કર્યો. યક્ષોએ તેને રોકી પરંતુ તેણે તો અગ્નિજ્વાળામાં ઝંપલાવ્યું. તે વેળા ભડભડતી ચિતામાંથી મહા શક્તિશાળી મહિષાસુર પ્રગટ્યો અને પુત્ર પર પ્રેમ રાખનારો રંભ પણ રક્તબીજ નામે રાક્ષસ બહાર આવ્યો. આમ મહિષાસુર અને રક્તબીજની ઉત્પત્તિ રંભમાંથી થઈ. દાનવોએ મહિષાસુરનો રાજ્યાભિષેક કર્યો. આ દાનવરાજનો વધ દેવ, દૈત્ય કે મનુષ્યોથી થઈ શકે નહીં એવું વરદાન તેને મળ્યું હતું.

આ વરદાનને કારણે અભિમાની બનેલા મહિષાસુરે સમુદ્ર સુધીના જગત પર શાસન કરવા માંડ્યું. કેટલાય રાજાઓએ તેને કર આપવા માંડ્યો, જેઓએ કર ન આપ્યો તે બધાને મહિષાસુરે મારી નાખ્યા. બ્રાહ્મણોએ તેનું શરણ સ્વીકારી લીધું. આમ ચક્રવર્તી બનીને રાજ કરતા તે રાજાએ ઇન્દ્ર પાસે એક દૂત મોકલવાનો વિચાર કર્યો, ‘સ્વર્ગમાં જઈને ઇન્દ્રને સ્વર્ગ છોડીને બીજે જતા રહેવાનો મારો સંદેશો આપજે. જો સ્વર્ગ ન છોડવું હોય તો મારી સેવા કરો, શરણે આવેલાની તે રક્ષા કરે છે. નહીંતર વજ્ર લઈને સામે આવો. તમારી શક્તિ જાણું છું. તમે ભૂતકાળમાં હારી ગયા છો. એટલે યુદ્ધ કરો કાં તો સ્વર્ગ છોડીને બીજે જતા રહો.’

દૂતની વાત સાંભળીને ઇન્દ્રનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. પણ હસીને તેમણે દૂતને કહ્યું, ‘અરે મૂઢ, તું અભિમાનથી છકી ગયેલો છે. તારા રાજાનો રોગ હું દૂર કરીશ. તું જઈને મારો સંદેશો તારા સ્વામીને આપજે. સજ્જનોએ દૂતનો વધ કરવો ન જોઈએ, એટલે તને જવા દઉં છું. તારા સ્વામીને મારી વાત કહેજે, ‘અરે ભેંસના પુત્ર, યુદ્ધ કરવાની ઇચ્છા હોય તો સામે આવી જજે. તારું બળ જાણું છું. ઘાસ ખાઈને તું જીવે છે. તારાં બંને શિંગડાંનું હું ધનુષ બનાવીશ. તારાં શિંગડાંનું તને અભિમાન છે, તે શિંગડાં વડે જ તું છકી ગયો છે, એટલે હું તારાં શિંગડાંનો નાશ કરી તને બળહીન બનાવીશ. તું યુદ્ધની કળા જાણતો નથી.’

આમ ઇન્દ્ર પાસેથી એ બધી વાત સાંભળીને દૂત ગયો અને તેણે મહિષાસુરને પ્રણામ કરી કહ્યું, ‘દેવોનો સ્વામી તમને લેખામાં લેતો નથી. તેની પાસે દેવસૈન્ય છે. તે પોતાને શક્તિશાળી માને છે. તેની બીજી તો શી વાત કરું? દૂતે તો સ્વામીને પ્રિય અને સત્ય જ કહેવું જોઈએ. શત્રુના મોઢે તો અપ્રિય વાત જ નીકળવાની અને એવી વાત મારા જેવા સેવકથી કેમ નીકળે? ઇન્દ્રે તિરસ્કારપૂર્વક જે કહ્યું છે તે મારાથી કેમ કહી શકાય?’

આ સાંભળીને મહિષાસુર બહુ ક્રોધે ભરાયો. તેણે દૈત્યોને બોલાવીને કહ્યું, ‘દેવરાજ ઇન્દ્ર હવે યુદ્ધ કરવા ઇચ્છે છે. તમે તૈયારી કરો, એ દેવને જીતવો જોઈએ. એવા એક નહીં પણ કરોડ ઇન્દ્ર હોય તો પણ હું પરવા નથી કરતો. હવે હું એને જીવતો રહેવા નહીં દઉં. તે ઇન્દ્ર શાંત માનવીઓ આગળ જ શૂરો છે. તપસ્વીઓ તેને બહુ શક્તિશાળી માને છે. અપ્સરાઓની સહાયથી તે હમેશાં તપસ્વીઓ માટે વિઘ્નો ઊભાં કરે છે. તક જોઈને તે ઘા કરે છે. તે વિશ્વાસઘાતી છે. શરૂઆતમાં તો ગભરાઈ જઈને તે નમુચિ સાથે સંધિ કરવા તૈયાર હતો, પણ પછી કપટ કરીને તેને મારી નાખ્યો. વિષ્ણુ પણ કપટી છે. અનેક રૂપ ધારણ કરી શકે છે. હે દાનવો, તેણે વરાહનું રૂપ લઈને હિરણ્યાક્ષને તથા નરસિંહનું રૂપ લઈને હિરણ્યકશિપુને મારી નાખ્યા હતા. હું તેને વશ થવાનો નથી. દેવતાઓમાં એવો કોઈ છે જે મારી સામે ઊભો રહી શકે? હું ઇન્દ્રને હરાવીને તેની પાસેથી સ્વર્ગ ઝૂંટવી લઈશ. વરુણ, યમ, કુબેર,અગ્નિ, ચન્દ્ર, સૂર્ય — આ બધાને હું હરાવીશ. યજ્ઞોમાં હવે માત્ર દાનવોને જ ભાગ મળશે. આપણે સોમરસ પી શકીશું. દેવોને જીતી લઈશું. વરદાનને લીધે મને મૃત્યુનો ડર નથી.

મનુષ્યો મને મારી શકવાના નથી. કોઈ સ્ત્રી મને શું કરી શકવાની છે? એટલે પાતાળમાંથી, પર્વતોમાંથી, મુખ્યમુખ્ય દાનવોને બોલાવી મારી સેનાના ઉપરી બનાવો. હું એકલો જ દેવોને જીતી શકું છું. છતાં શોભામાં અભિવૃદ્ધિ કરવા હું તમને દેવાસુર સંગ્રામમાં આમંત્રણ આપું છું. હું મારાં શિંગડાંથી અને ખરીઓથી દેવોને મારી નાખીશ. વરદાનને કારણે મને દેવોની બીક નથી. દેવો, દાનવો કે મનુષ્યો મને મારી શકવાના નથી. એટલે હવે સ્વર્ગ પર વિજય મેળવવા તમે તૈયાર થઈ જાઓ. સ્વર્ગ જીતીને નંદનવનમાં આનંદ કરીશું. મારા લીધે તમને પારિજાતનાં પુષ્પો, અપ્સરાઓનું સાન્નિધ્ય, કામધેનુનું દૂધ, ગંધર્વોનાં ગીત-નૃત્ય, ઉર્વશી, મેનકા, રંભા, ઘૃતાચી, તિલોત્તમા, પ્રમદ્વરા, મહાસેના, મિશ્રકેશી, મદોત્કટા, વિપ્રચિત્તિ વગેરે નૃત્યગીતપ્રવીણ અપ્સરાઓ દ્વારા થનાર નૃત્યથી તમે બધા આનંદિત થઈ જશો. બધાનું રક્ષણ કરવા સૌપ્રથમ શુક્રાચાર્ય ગુરુને બોલાવી તેમનું પૂજન કરીએ.’

આમ દાનવોને કહીને પ્રસન્ન વદને મહિષાસુર પોતાના ભવનમાં ચાલ્યો ગયો.

દાનવોના દૂતની વિદાય પછી ઇન્દ્રે યમ, વાયુ, કુબેર,વરુણ, વગેરે દેવતાઓને બોલાવ્યા, ‘દાનવરાજ મહિષાસુર વરદાનને કારણે છકી ગયો છે, માયાવી પણ છે. સ્વર્ગ પડાવી લેવાની ઇચ્છાથી તેણે પોતાનો દૂત મોકલ્યો હતો, તેણે કહેવડાવ્યું હતું, ‘ઇન્દ્ર, આ સ્વર્ગ ખાલી કરો અને બીજે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અથવા મારી સેવા કરવા માંડો. હું દયાળુ છું. એટલે આજીવિકાની ચિંતા ન કરતા. તે પોતાના સેવકો પર ક્રોધે ભરાતા નથી. જો આ વાત સ્વીકાર્ય ન હોય તો યુદ્ધની તૈયારી કરો.’ હવે તેનો દૂત તો ગયો. આપણે આ વિશે શું કરી શકીએ તે વિચારવાનું છે. બળવાને પણ નબળાની ઉપેક્ષા કરવી ન જોઈએ. તો પછી જે બળવાન છે તેની તો ઉપેક્ષા થઈ જ ન શકે. આપણે બુદ્ધિ અને બળનો ઉપયોગ કરવો જોઈએ. જયપરાજય તો નસીબ પર આધાર રાખે છે. તેની સાથે મૈત્રી તો શક્ય જ નથી, તે તો બહુ દુષ્ટ છે. આપણે બરાબર વિચારીને કામ કરવું જોઈએ. તેના પર એકાએક ચડાઈ પણ ન થઈ શકે. પણ ઉતાવળ કરનારા, સરળતાથી દુશ્મનના પ્રદેશમાં જઈ શકનારા, શત્રુની રમતનો બરાબર ખ્યાલ કરનારા, શત્રુઓની સેના વિશે પૂરેપૂરી માહિતી મેળવવામાં નિપુણ ગુપ્તચરો મોકલવા જોઈએ. ત્યાર પછી જ ચડાઈનો વિચાર થાય. બુદ્ધિશાળીએ કાર્ય કરતાં પહેલાં પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ. વગર વિચાર્યે કામ કરવાથી પરિણામ સારું આવતું નથી. દાનવોમાં કુસંપ કરાવી શકાય એમ નથી. યુદ્ધ કરતાં પહેલાં તેમના વિશેની બધી જાણકારી મેળવી લઈએ. જો એમ નહીં કરીએ તો કશું જાણ્યા કર્યા વિના ઔષધ લઈએ તેના જેવું થાય.’

આમ બધા દેવો સાથે મંત્રણા કરીને ઇન્દ્રે ગુપ્તચર મોકલી દીધો અને તે બધી માહિતી મેળવીને ઇન્દ્ર પાસે પાછો આવી ગયો. શત્રુઓને લગતી બધી વિગતો જાણીને ઇન્દ્રને આશ્ચર્ય થયું. તરત જ દેવતાઓને બધી વાત જણાવી. ગુરુ બૃહસ્પતિને બોલાવ્યા. અંગિરાપુત્ર બૃહસ્પતિ ઉત્તમ આસન પર બેઠા એટલે ઇન્દ્રે વાત માંડી, ‘હે દેવગુરુ, આ સંજોગોમાં અમારે શું કરવું તે જણાવો. તમે તો સર્વજ્ઞ છો. અત્યારે તમે જ અમારા તારણહાર છો. મહિષાસુર દાનવોને લઈને અહીં યુદ્ધ કરવા આવી રહ્યો છે, તે બળવાન છે, અભિમાની છે. દાનવોના પક્ષે જેમ શુક્રાચાર્ય તેમ અમારા પક્ષે તમે.’

ઇન્દ્રની વાત સાંભળીને બૃહસ્પતિએ કહ્યું, ‘ધીરજ ધરો. દુઃખના સમયે ધીરજ ગુમાવવી નહીં. જયપરાજય તો વિધાતા પર આધાર રાખે છે. જે થવાનું હોય છે તે થઈને જ રહેવાનું, અને છતાં ઉદ્યમ કરવો જોઈએ…કર્મની સિદ્ધિ પણ દૈવાધીન છે. બળવાન દુઃખ પામે છે અને નિર્બળ સુખી હોય છે, બુદ્ધિશાળીને પેટ ભરીને ખાવાનું મળતું નથી અને બુદ્ધિહીનને અઢળક ભોગ મળે છે, કાયર જય પામે છે, શૂરવીર પરાજય પામે છે. એટલે કર્મ કરવું. દુઃખી હોઈએ ત્યારે આપણાથી વધુ દુઃખી સામે અને સુખી હોઈએ ત્યારે આપણાથી વધુ સુખી સામે જોવું જોઈએ.’

બૃહસ્પતિની એ વાત સાંભળીને ઇન્દ્રે ફરી કહ્યું, ‘મહિષાસુરને મારવા માટે હું પુરુષાર્થ તો કરીશ. એ વિના રાજ્ય, યશ કે સુખ ન મળે. નિરુદ્યમીને તો કાયર જ પ્રશંસે, જ્ઞાન સંન્યાસીઓનું ભૂષણ અને બ્રાહ્મણોનું ભૂષણ સંતોષ. પણ જેમને ઐશ્વર્ય જોઈતું હોય તેમણે તો શત્રુનાશ અને પુરુષાર્થ જ કરવા જોઈએ. પુરુષાર્થ કરીને જ મેં વૃત્રને, નમુચિને માર્યા હતા. મારું બળ તમે છો, વજ્ર છે. ભગવાન વિષ્ણુ અને શંકર મને સહાય કરશે. હું મહિષાસુરને માટે યુદ્ધની તૈયારી કરું છું. તમે મારું હિત થાય એટલા માટે મંત્ર ભણતા રહેજો.’

આ સાંભળી બૃહસ્પતિએ સ્મિત કરીને જણાવ્યું, ‘યુદ્ધનું પરિણામ નિશ્ચિત નથી હોતું એટલે હું અત્યારે તમને યુદ્ધ માટે કશું કહેતો નથી. સુખ કે દુઃખ તો દૈવાધીન છે. તે પહેલેથી નિશ્ચિત હોય છે છતાં તમે પ્રયત્ન તો કરતા રહો.’

બૃહસ્પતિની સત્યપ્રિય વાત સાંભળીને ઇન્દ્ર બ્રહ્મા પાસે ગયા, ‘પિતામહ, મારું સ્વર્ગ પડાવી લેવા મહિષાસુર યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. બીજા રાક્ષસો તેના સૈન્યમાં જોડાઈ ગયા છે. હું ગભરાઈને તમારા શરણે આવ્યો છું. માટે મને સહાય કરો.’

બ્રહ્માએ કહ્યું, ‘આપણે બધા કૈલાસ પર્વત પર જઈએ. ભગવાન શંકર અને વિષ્ણુને મળીને વિચારીને, દેશકાળ જોઈને યુદ્ધ કરીએ.’ પછી ઇન્દ્રે શંકર ભગવાનની સ્તુતિ કરી, તેમને લઈને બધા વિષ્ણુલોકમાં ગયા. ત્યાં ભગવાનની સ્તુતિ કરી. ઇન્દ્રે બધી વાત કરી એટલે વિષ્ણુએ કહ્યું, ‘આપણે બધા યુદ્ધ કરીએ.’

પછી બધા દેવતાઓ પોતપોતાનાં વાહનો પર બેસીને નીકળી પડ્યા અને રાક્ષસો સામે તેમણે યુદ્ધ કરવા માંડ્યું. અનેક શસ્ત્ર-અસ્ત્ર વડે એકબીજાને મારવા લાગ્યા. મહિષાસુરના સેનાપતિ ચિક્ષુરે હાથી પર બેસીને ઇન્દ્રને પાંચ બાણ માર્યાં. ઇન્દ્રે એ બધાં બાણ કાપી નાખ્યાં અને અર્ધચન્દ્રાકાર બાણ વડે ચિક્ષુરની છાતી વીંધી નાખી, તે બેહોશ થઈ ગયો. ઇન્દ્રે હાથી પર વજ્રનો પ્રહાર કર્યો એટલે તે મૃત્યુ પામ્યો. પોતાની સેનાને આવી રીતે વિખરાયેલી જોઈ મહિષાસુરે બિડાલને યુદ્ધ માટે મોકલ્યો. ‘તું વીર છે, અભિમાની ઇન્દ્રનો તું વધ કર. વરુણ જેવા બીજા દેવોને પણ મારીને આવ.’

આ વાત સાંભળીને બળવાન બિડાલ હાથી પર બેસીને યુદ્ધ કરવા આવ્યો, ઇન્દ્રે તેજસ્વી બાણ માર્યાં, બિડાલે એ બાણો કાપીને ઇન્દ્ર પર પચાસ બાણોનો પ્રહાર કર્યો. ઇન્દ્રે બિડાલના હાથી પર ગદા ઉગામી એટલે તેની સૂંઢ કપાઈ ગઈ અને ચીસરાણ મચાવતા તે હાથીએ ભાગતા ભાગતા રાક્ષસોની સેનાને કચડવા માંડી, આ જોઈ બિડાલ રથમાં બેસીને ફરી યુદ્ધ કરવા લાગ્યો. ઇન્દ્ર અને બિડાલ વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. ઇન્દ્રે બળવાન બિડાલ સાથે લડવા પુત્ર જયંતને જોડ્યો. જયંતે બળ વાપરી રાક્ષસની છાતીમાં બાણ માર્યાં એટલે તે પડી ગયો. તેનો સારથિ તેને દૂર લઈ ગયો. દેવોની સેનાએ વિજયઘોષ કર્યો. આ સાંભળી ક્રોધે ભરાયેલા મહિષાસુરે તામ્ર નામના રાક્ષસને મોકલ્યો. તામ્રે પણ પુષ્કળ બાણ ફેંક્યાં અને વરુણ તથા યમ યુદ્ધમાં જોડાયા. અનેક ઘા થવા છતાં તામ્ર ડગ્યો નહીં. પણ દેવોના ભારે પ્રહારથી તામ્ર મૂર્ચ્છા પામ્યો. દાનવો હાહાકાર કરવા લાગ્યા.

હવે ગદા લઈને ક્રોધે ભરાયેલો મહિષાસુર સામે આવ્યો. ‘અરે દેવતાઓ, ઊભા રહો, ઊભા રહો. આજે તમને ગદાથી કચડી નાખીશ. તમે નબળા છો, માત્ર બલિદાનો જ ખાઓ છો.’ એમ કહેતો રાક્ષસ ઇન્દ્ર પાસે પહોંચી ગયો. ગદા વડે ઇન્દ્રના ખભા પર પ્રહાર કર્યો પણ ઇન્દ્રે વજ્ર વડે ગદા તોડી નાખી એટલે મહિષાસુરે તલવાર વડે યુદ્ધ કરવા માંડ્યું. બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. વળી તે રાક્ષસે માયા વડે પોતાના જેવા અસંખ્ય મહિષાસુરો પ્રગટાવ્યા. બધા દેવો પર આક્રમણ કરવા લાગ્યા. ઇન્દ્રને આ જોઈને અચરજ થયું, તે ગભરાઈ ગયા. વરુણ, કુબેર,યમ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર પણ ત્રાસી ગયા અને નાસી જવા તૈયાર થયા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું સ્મરણ કર્યું, એટલે તેઓ પોતાનાં વાહનો પર બેસીને ત્યાં આવી ચડ્યા. ભગવાને તે માયાનો વિનાશ સુદર્શન ચક્ર વડે કર્યો, મહિષાસુર લોખંડી શસ્ત્ર લઈને ધસ્યો. તેની સાથે બીજા રાક્ષસો પણ ધસ્યા. કવચધારી, ધનુર્ધારી તે રાક્ષસો વરુઓ જેમ વાછરડાંને ઘેરી વળે તેમ દેવોને ઘેરી વળ્યા. દેવ અને દાનવો વચ્ચે ફરી યુદ્ધ થયું. આ ઘોર યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા. મહિષાસુરે પાડાનું રૂપ લઈને પોતાનાં શિંગડાં વડે પર્વતોનાં શિખરો ફેંકવા માંડ્યા. ખરી વડે, પૂંછડા વડે ઘણા દેવોનો સંહાર કર્યો. દેવતાઓ, ગંધર્વો ભય પામ્યા. ઇન્દ્ર છેવટે નાઠા અને તેમનું જોઈને બીજા દેવ પણ નાસી ગયા. હવે તે રાક્ષસે ઐરાવત હાથી, ઉચ્ચૈ:શ્વા અશ્વ અને કામધેનુ ગાયને લઈને સ્વર્ગમાં જવા માંડ્યું, ઇન્દ્રના આસન પર તે બેઠો, દેવોનાં આસનો પર દાનવોને બેસાડી દીધા. આમ યુદ્ધ કરીને મહિષાસુરે સ્વર્ગનું રાજ્ય મેળવ્યું અને દેવતાઓ વર્ષો સુધી પહાડોની ગુફાઓમાં ભટકતા રહ્યા. છેવટે થાકીહારીને ફરી તેઓએ બ્રહ્મા પાસે જઈને તેમની સ્તુતિ કરી.

બ્રહ્માએ કહ્યું, ‘શું થાય? તે રાક્ષસને વરદાન છે એટલે સ્ત્રી જ તેનો વધ કરી શકશે. પુરુષ વડે તેનું મૃત્યુ થશે નહીં, એટલે ચાલો આપણે બધા કૈલાસ પર જઈએ, શંકર ભગવાનને લઈને પાછા વિષ્ણુ પાસે જઈએ અને હવે શું થઈ શકે તેનો વિચાર કરીએ.’

બ્રહ્મા દેવતાઓને લઈને કૈલાસ પર્વત પર ગયા. શંકર ભગવાને બધાનું સ્વાગત કર્યું અને કૈલાસમાં આવવાનું કારણ પૂછ્યું.

બ્રહ્મા બોલ્યા, ‘ઇન્દ્ર અને બીજા દેવોને આ મહિષાસુર બહુ પજવી રહ્યો છે. તેનાથી ડરી જઈને દેવતાઓ પર્વતોની ગુફામાં ભરાઈ ગયા છે. અત્યારે યજ્ઞભાગ દાનવોને મળે છે. એટલે બધા તમારે શરણે આવ્યા છે. હવે તમને જે યોગ્ય લાગે તે કરો.’

બ્રહ્માની વાત સાંભળીને શંકર ભગવાને હસીને કહ્યું, ‘તમે જ તેને વરદાન આપ્યું. તો હવે શું થાય? તેનો વધ કરનાર સ્ત્રી જોઈએ. તમારા વરદાનને કારણે જ મહિષાસુર આટલો બધો બળવાન થઈ ગયો છે. એવી કઈ સ્ત્રી આ અભિમાનીનો વધ કરી શકે? તમારી કે મારી સ્ત્રી યુદ્ધ કરી ન શકે. ઇન્દ્રાણી પણ યુદ્ધકળા જાણતી નથી. તો પછી બીજી કઈ સ્ત્રી? એટલે આપણે વિષ્ણુ પાસે જઈએ. તે આપણને માર્ગ બતાવશે. તે કોઈક યુક્તિ બતાવશે.’

શંકર ભગવાનની એવી વાત સાંભળી બધા દેવો એમાં સંમત થયા અને વૈકુંઠ જવા પોતપોતાનાં વાહનો પર બેઠા. તેમને શુભ શુકન થયાં. પક્ષીઓ ટહુકતાં હતાં. આકાશ સ્વચ્છ હતું. દિશાઓ સ્વચ્છ હતી, આમ દેવતાઓની આ યાત્રામાં બધે શુકનો થયાં.

બધા અદ્ભુત સમૃદ્ધિ ધરાવતા સુંદર વૈકુંઠલોકમાં ગયા. ત્યાં જય વિજય દ્વારપાલો ઊભા હતા, તેમને જોઈને દેવોએ કહ્યું, ‘તમારામાંથી એક જણ જણાવો કે ભગવાનનાં દર્શન કરવા બ્રહ્મા, શંકર, ઇન્દ્ર આવ્યા છે.’

વિજયે જઈને વિષ્ણુ ભગવાનને સમાચાર આપ્યા એટલે ભગવાને બહાર આવીને બધાને આવકાર્યા. થાકેલા, હારેલા દેવતાઓને પોતાની પ્રેમાળ દૃષ્ટિ વડે પ્રસન્ન કર્યા. પછી દેવોએ વિષ્ણુને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા માંડી.

વિષ્ણુ ભગવાન પછી બોલ્યા, ‘તમે આસન પર બેસો અને પછી બધી વાત કરો. એક સાથે કેમ આવવું પડ્યું, બ્રહ્મા, શંકર સાથે છે અને છતાં તમે ઉદાસ?’

‘હે ભગવાન, મહિષાસુર વરદાનને કારણે બહુ છકી ગયો છે. બ્રાહ્મણો જે યજ્ઞ કરે છે તેના હવિ પણ તે જ લઈ લે છે. અમે બધા પર્વતોની ગુફાઓમાં ભટકીએ છીએ. બ્રહ્માએ તેને વરદાન આપ્યું છે. તું પુરુષથી નહીં મરે, સ્ત્રીથી મરીશ. તો એનો વધ કરવા પાર્વતી, લક્ષ્મી, ઇન્દ્રાણી, સરસ્વતી સમર્થ છે? હવે તમે જ અમને માર્ગ બતાવો.’

વિષ્ણુએ કહ્યું, ‘પહેલાં પણ તેની સાથે યુદ્ધ કર્યું હતું પણ તે ટકી રહ્યો. હવે દેવતાઓના તેજમાંથી કોઈ સ્ત્રી પ્રગટે તો તે તેનો વધ કરી શકે. તમે બધા તમારી શક્તિઓને પ્રાર્થના કરો, આપણી દેવીઓ પણ જોડાય. એટલે એ બધાના તેજમાંથી એક દેવી પ્રગટ થશે. આપણે આપણાં બધાં અસ્ત્રશસ્ત્ર તેને આપીએ. આમ બધાના તેજમાંથી પ્રગટેલી એ સ્ત્રી મહિષાસુરનો વધ કરી શકશે.’

વિષ્ણુના મોંમાંથી એ શબ્દો નીકળ્યા એટલે તરત જ અત્યન્ત મહાન, દુસ્સહ તેજપુંજ પ્રગટ્યો. તેનો વર્ણ રાતો હતો, આકાર શુભ હતો, પોખરાજ મણિ જેવો તે હતો. કંઈક શીતળ કંઈક ઉષ્ણ એવા તેજપુંજમાંથી અનેક કિરણો પ્રગટી રહ્યાં હતાં. એવી જ રીતે શંકર ભગવાનની કાયામાંથી એક તેજ પ્રગટ્યુંં. તે દૈત્યો માટે ભયાનક હતું, દેવતાઓ માટે સુખદ હતું. તેની આકૃતિ વિકરાળ હતી, પર્વત જેવી વિશાળ હતી. પછી વિષ્ણુની કાયામાંથી પણ તેજ પ્રગટ્યું. તેમાં સત્ત્વગુણ વિશેષ હતો. અને એમ કરતાં કરતાંં ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, અગ્નિના શરીરમાંથી પણ તેજ પ્રગટ્યું અને એ આખો તેજપુંજ સામે આવી ગયો. પછી તે તેજપુંજ એક અદ્ભુત સ્ત્રીમાંં રૂપાંતરિત થઈ ગયો. તે ભગવતી મહાલક્ષ્મીમાંં સત્ત્વ, રજસ્, તમસ્ ત્રણે ગુણ હતા. તેમ અઢાર ભુજા હતી, ત્રણ વર્ણ હતા, હોઠ રાતા હતા, દિવ્ય શણગાર હતા, જાણે અસુરોનો નાશ કરવા તે પ્રગટ્યાં હતાં. અઢાર ભુજા સહ ભુજા પણ થઈ જતી હતી.

વ્યાસ ભગવાને તે દેવીનુંં વર્ણન વિસ્તારથી કરી બતાવ્યું.

એવા શુભ આકાર, સુંદર રૂપવાળા, તેજપુંજમાંથી પ્રગટેલ દેવી જોઈને મહિષાસુરથી ત્રાસેલા બધા દેવ પ્રસન્ન થઈ ગયા. પછી વિષ્ણુ ભગવાને બધા દેવતાઓને તેમનાં શસ્ત્રો અને આભૂષણો આપવા કહ્યું, એટલે બધા દેવો તેમને આભૂષણ અને શસ્ત્રો આપવા માંડ્યા. ક્ષીરસમુદ્રે લાલ રંગનાં અને કદી જર્જરિત ન થાય એવાં બે દિવ્ય વસ્ત્ર અને એક ચમકતો હાર આપ્યા. વિશ્વકર્માએ પ્રસન્ન થઈને મુકુટ, બે કુંડળ, કંકણ આપ્યાં. તે ઉપરાંત મધુર ઝંકારવાળા, રત્નજડિત ઝાંઝર આપ્યાં. વરુણે ક્યારેય ન કરમાય એવી સુગંધિત વૈજયંતીમાળા આપી. મહાસાગરે કંઠમાળા આપી. હિમાલયે રત્નો આપ્યાં અને સુવર્ણની કાંતિવાળો સિંહ વાહન રૂપે આપ્યો. આમ દિવ્ય આભૂષણો અને શસ્ત્રોથી સજ્જ મહામાયા સિંહ પર બિરાજમાન થયાં. વિષ્ણુ ભગવાને હજાર આરાવાળું એક ચક્ર ઉત્પન્ન કરીને આપ્યું, શંકરે પણ પોતાના ત્રિશૂળમાંથી બીજુું ત્રિશૂળ કાઢી આપ્યું. વરુણે પોતાના શંખમાંથી એક મોટો, પ્રકાશિત, ઘોર રવ કરતો શંખ આપ્યો. અગ્નિએ દાનવોની સેનાનો નાશ કરી શકે એવી શક્તિ આપી. વાયુદેવે ધનુષબાણ આપ્યાં. ઇન્દ્રે વજ્ર અને ઘટ આપ્યાં. યમરાજે સંહાર સમયે કામ લાગે તેવો કાલદંડ આપ્યો. બ્રહ્માએ ગંગાજળથી ભરેલું કમંડળ આપ્યું, વરુણે પાશ આપ્યો, કાળે ઢાલ-તલવાર આપ્યાં. વિશ્વકર્માએ તીક્ષ્ણ ધારવાળું પરશુ આપ્યું, કુબેરે મેઘભરેલું સુવર્ણપાત્ર આપ્યું, ત્વષ્ટાએ રાક્ષસોનો વિનાશ કરનારી, ઘંટડીઓવાળી કૌમોદકી ગદા આનંદપૂર્વક આપી, અભેદ્ય કવચ આપ્યું, સૂર્યે પોતાનાં કિરણ આપ્યા. આમ હાથમાં આયુધ ધરીને, શરીરે આભૂષણો ધારણ કરીને ત્રિલોકને મુગ્ધ કરનારાં દેવી સિંહ પર બેઠાં ત્યારે દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. ‘શિવા, કલ્યાણી, શાંતિ, પુષ્ટિ, રુદ્રાણી નામોથી પ્રસિદ્ધ એવાં જગદંબાને અમારાં પ્રણામ. કાલરાત્રિ, ઇન્દ્રાણી, સિદ્ધિ, બુદ્ધિ, વૃદ્ધિ, વૈષ્ણવી નામે પણ તમે પ્રસિદ્ધ છો. તમે અમારા શત્રુ મહિષાસુરનો વધ કરો. તેનું મૃત્યુ સ્ત્રી વડે જ થનારું છે. તે દાનવ માયા રચીને અમને ત્રાસ આપી રહ્યો છે, અમારી રક્ષા કરો.’

દેવીએ કહ્યું, ‘હવે તમે નિર્ભય થઈ જાઓ. હું આ અભિમાની દાનવને મારી નાખીશ.’ એમ કહીને દેવી હસી પડ્યાં.

‘કેવું વિચિત્ર કહેવાય! આજે બધા જ દેવતાઓ ડરી ગયા છે. દૈવનું બળ જિરવવું અઘરું છે.’ અને પછી તેમણે મોટું અટ્ટહાસ્ય કર્યું. તેના ઘોર અવાજથી દાનવો ગભરાઈ ગયા. પૃથ્વી ધૂ્રજી ઊઠી, પર્વતો ડોલ્યા, સમુદ્ર ઊછળવા લાગ્યો. સુમેરુ પોતાના સ્થાનથી વિચલિત થયો. દિશાઓમાં ઘોર થયો અને એ અવાજ સાંભળીને દાનવો ફફડી ઊઠ્યા, દેવતાઓ પ્રસન્ન થયા.

મહિષાસુરે પણ આ ગર્જના સાંભળી, તે ક્રોધે ભરાયો, તેણે દાનવોને પૂછ્યું, ‘આ શાનો અવાજ છે તે જાણવા દૂતોને મોકલો. આવી ગર્જના કરનારા દેવ હોય કે દાનવ — મારી સામે લાવો. જે અભિમાની હોય તે જ આવી ગર્જના કરે. હું તેને યમદ્વારે પહોંચાડીશ, દેવતાઓ તો ક્યારના હારી ગયા છે. તેઓ આવી ગર્જના કરી શકે એમ નથી તો કોણે આવું દુસ્સાહસ કર્યું છે, હું એ દુરાચારીનો તરત જ વધ કરીશ.’

મહિષાસુરની આજ્ઞાથી તે દૂતો ભગવતી પાસે ગયા. તેમણે દેવીનાં સર્વાંગ મનોહર જોયાં, અઢાર ભુજાઓ જોઈ, આભૂષણો જોયાં. તેમના હાથમાં શ્રેષ્ઠ આયુધો હતાં. તેઓ મદિરાપાન કરી રહ્યાં હતાં. તેમને જોઈ દૂતો ડરી ગયા અને મહિષાસુર પાસે પહોંચીને રાક્ષસરાજને જે જોયું હતું તે બધું કહ્યું.

‘અમે એક સુંદર સ્ત્રી જોઈ, બધાં અંગે સુંદર આભૂષણો છે, મનુષ્ય નથી, અસુર નથી; તે સ્ત્રીની અઢાર ભુજા છે, સિંહ પર બેઠી હતી, મદિરાપાન કરતી એ સ્ત્રીની સ્તુતિ દેવો કરી રહ્યા છે. અમારી રક્ષા કરો, રક્ષા કરો એમ તેઓ બોલે છે. તે શ્રેષ્ઠ સ્ત્રી કોણ છે તે અમે જાણી શક્યા નથી, તેનું લગ્ન થયું છે કે નહીં તેની અમને જાણ નથી. તેની કાયામાંથી પ્રગટ થતા તેજ સામે અમે આંખ માંડી શકતા નથી. શૃંગાર, વીર, હાસ્ય, રૌદ્ર, અદ્ભુત રસ ધરાવતી સ્ત્રી સાથે કશી વાત કર્યા વિના જ અમે અહીં આવ્યા છીએ. કહો, હવે અમારે શું કરવાનું છે?’

મહિષાસુરે પોતાના મંત્રીને કહ્યું, ‘વીર, તમે સેના લઈને ત્યાં જાઓ. સામ, દામ વડે તેને લઈ આવો, પણ તેને ઇજા કર્યા વિના અહીં લઈ આવો. એ બંકિમ ભ્રમરવાળીને હું પટરાણી બનાવીશ. કદાચ પ્રેમવશ થઈને તે અહીં આવે પણ ખરી. હું તેનું વર્ણન સાંભળીને જ મોહવશ થઈ ગયો છું.’

મહિષાસુરની વાત સાંભળીને પ્રધાનમંત્રી સેના સાથે ભગવતી પાસે ગયો અને દૂર રહીને જ તેણે મધુરવાણી ઉચ્ચારી,

‘હે મહાભાગ્યશાળી, મારા સ્વામી વિશ્વવિજેતા છે, દેવતાઓ પણ તેમને હરાવી શક્યા નથી. તેમણે પુછાવ્યું છે કે આપ કોણ છો? અહીં શા કારણે પધાર્યાં છો? અમારા મહારાજને બ્રહ્માએ વરદાન આપ્યું છે, તેનું તેમને અભિમાન છે. તે ઇચ્છાનુસાર રૂપ બદલી શકે છે, તમને જોવાની ઇચ્છાથી તેઓ અહીં આવશે. તમારી ઇચ્છા પ્રમાણે તમે કરો. એ રાજા પાસે તમે ચાલો, કાં તો એ અહીં આવે. તમે કહો તે રીતે. તમારા રૂપની પ્રશંસા સાંભળી તેઓ મુગ્ધ થઈ ગયા છે. હે સુંદર સાથળવાળી દેવી, તરત મને આજ્ઞા આપો.’

તેની વાત સાંભળીને ભગવતી સ્મિતપૂર્વક બોલ્યાં, ‘હે મંત્રીવર્ય, હું મહાલક્ષ્મી દેવતાઓની માતા છું. દૈત્યોનો નાશ કરવા માટે પ્રગટી છું. મહિષાસુરનો વધ કરવા દેવતાઓએ મને પ્રાર્થના કરી છે. દેવો અત્યારે દુઃખી છે. હું એકલી છું, મારી પાસે કોઈ સેના નથી. તમારી મીઠી વાણીથી મને સંતોષ છે. નહીંતર તો મારી દૃષ્ટિ પ્રલયાગ્નિ જેવી છે, તમારા પ્રાણ તરત જ લઈ લે. હવે મારો સંદેશો તમારા રાજાને આપજો.

‘જો તને જીવવાની ઇચ્છા હોય તો તું પાતાળમાં ચાલ્યો જા. નહીંતર રણભૂમિમાં હું તને મારી નાખીશ. મારાં બાણથી તારું શરીર ચૂરચૂર થઈ જશે. મારી દયા જાણીને તું પાતાળમાં ચાલ્યો જા. તું મરીશ એટલે દેવતાઓને એમનું સ્વર્ગ પાછું મળશે. મારાં બાણ વાગે નહીં ત્યાં સુધી સમુદ્ર સુધીની પૃથ્વી ત્યજીને તું જતો રહે. જો યુદ્ધ કરવાની ઇચ્છા હોય તો તારા વીર સૈનિકો સાથે આવી પહોંચ. મેં યુગેયુગે તારા જેવા દાનવોનો વધ કર્યો છે, તને પણ મારી નાખીશ. તને બ્રહ્મા પાસેથી વરદાન મળ્યું છે તેનું અભિમાન ન કર. તું સ્ત્રીથી જ મૃત્યુુ પામનાર છે. એટલે તેં દેવતાઓને દુઃખી કરી મૂક્યા છે. બ્રહ્માનું વરદાન હવે સાચું પાડવું જોઈએ. એટલે જ અનુપમ સૌંદર્ય ધારણ કરીને હું અહીં પ્રગટી છું. જો જીવવું હોય તો સ્વર્ગ છોડી દે અને સર્પોની ભૂમિ એવા પાતાળમાં જતો રહે.’

શૂરવીર પ્રધાનમંત્રી બોલ્યો, ‘દેવી, તમે અભિમાની સ્ત્રીની જેમ બોલો છો, ક્યાં તમે અને ક્યાં મહિષાસુર? તમારી સાથે યુદ્ધ થઈ જ ન શકે. તમે તો સ્ત્રી છો, હજુ યુવાનીમાં પ્રવેશ્યાં છો. તમે નાજુક છો, નમણાં છો, તેની પાસે તો હાથીઘોડાવાળી મોટી સેના છે. હે સુંદર સાથળોવાળી દેવી, માલતીના પુષ્પને મસળી નાખવા હાથીને શી મહેનત કરવી પડે? એ જ રીતે યુદ્ધમાં મહિષાસુર તમને સહેજવારમાં કચડી નાખશે. અમારા રાજા દેવોના શત્રુ છે, પણ તમારા માટે તો ભક્તિ છે. એટલે સામદામવાળું જ વાક્ય હું બોલું છું. નહીંતર તમારી આ મિથ્યા વાણી, અભિમાન, ચતુરાઈ, રૂપ, યૌવન જોતાં આજે જ મારાં બાણ વડે તમને મોતને ઘાટ ઉતારી દેત. મારા રાજા તમારું અલૌકિક રૂપ સાંભળીને મોહ પામ્યા છે. તેનું પ્રિય કરવા તમારા માટે મધુર શબ્દો નીકળ્યા છે. મહિષાસુરના સમગ્ર રાજ્ય અને કોશ ઉપર તમારો અધિકાર, મહિષાસુર પોતે તમારો સેવક, તમે મૃત્યુ નોતરનાર ક્રોધ ત્યજીને તેના પર ભાવ કેળવો. તમને ભક્તિથી મારાં પ્રણામ. તમે અમારા રાજાની પટરાણી થાઓ. તેમ થવાથી ત્રિલોકની બધી સમૃદ્ધિ તમારા ચરણોમાં.’

દેવીએ આ સાંભળી કહ્યું, ‘મને ખ્યાલ આવી ગયો છે કે તમે મહિષાસુરના પ્રધાન છો. તમારી વાતો પરથી લાગે છે કે તમે પશુબુદ્ધિના છો. તમારા જેવા જેને પ્રધાન હોય તે બુદ્ધિશાળી કેવી રીતે હોઈ શકે? તમે બંને સરખા છો, જુગતે જોડી જામી છે. તમે મને કહ્યું કે તમે સ્ત્રી સ્વભાવવાળાં છો, તો શું હું પુરુષ નથી? મેં જાણીજોઈને સ્ત્રીરૂપ લીધું છે, તમારા રાજાએ સ્ત્રીથી જ મરું એવું વરદાન માગ્યું હતું. તમારો રાજા સાવ મૂરખ છે, સ્ત્રીના હાથે મરવું તે કાયર માટે સુખદ હશે પણ શૂરવીર માટે તો ખૂબ જ દુઃખદ, ઘૃણાસ્પદ ગણાય. એટલે જ સ્ત્રીનું રૂપ લઈને અહીં આવી છું. તમારો અભિગમ ધર્મવિરુદ્ધ છે, એનાથી હું શા માટે દુઃખી થઉં? દૈવ જ્યારે અનુકૂળ હોય ત્યારે વજ્ર પણ સાવ હલકું થઈ જાય. જે સામે ચાલીને મોતના મોઢામાં જઈ રહ્યો હોય તેને સૈન્ય કે આયુધો શી મદદ કરશે? શરીર જન્મે તેની સાથે જ મૃત્યુ લખાઈ ગયું હોય છે. દૈવે નિર્ધારિત કર્યા પ્રમાણે જ તેનું મૃત્યુ થાય છે. એમાં બ્રહ્મા પણ કશું કરી ન શકે. જેઓ એમ માને છે કે મારું મૃત્યુ નહીં થાય તે મૂરખ છે. તમે તમારા રાજા પાસે જાઓ અને પછી તેમની આજ્ઞા પ્રમાણે જે કરવું હોય તે કરજો. તમને જો જીવ વહાલો હોય તો રસાતલમાં જતા રહો અને સ્વર્ગનું રાજ ભલે ઇન્દ્ર કરે. જો મહિષાસુરની બુદ્ધિ વિપરીત હોય તો મારી સાથે યુદ્ધ કરે. બધા દેવ યુદ્ધમાં પરાજિત થઈ ગયા છે એવી તમારી માન્યતા ખોટી છે. બ્રહ્માના વરદાનને કારણે દેવતાઓ આવી સ્થિતિના ભોગ બન્યા છે.’

ભગવતીની વાત સાંભળીને મંત્રી વિચાર કરવા લાગ્યો કે મારે હવે શું કરવું? યુદ્ધ કરવું કે રાજા પાસે જવું? હું તો અહીં કામવશ થયેલા રાજા માટે આવ્યો હતો, તો તેમની લાગણીનો ભંગ કરીને કેવી રીતે જઉં? એટલે સારી વાત તો એ છે કે હું યુદ્ધ કર્યા વિના જ જઉં. અને પછી જોઈએ. રાજા પાસે તો અનેક બુદ્ધિમાન મંત્રીઓ છે. તેમની સાથે બેસીને વિચાર કરશે અને પછી નિર્ણય કરશે. એકાએક આ સ્ત્રી સાથે યુદ્ધ ન થાય. હારું કે જીતું — બંનેમાં મહારાજ તો ક્રોધે જ ભરાવાના. આ સ્ત્રી મને મારી પણ નાખે, હું એને મારી નાખું તો પણ મહારાજના ક્રોધનો ભોગ તો મારે બનવું જ પડે. મારે માટે એક જ રસ્તો છે કે દેવીની બધી વાત રાજાને કહી દેવી. પછી તેમને જે યોગ્ય લાગશે તે કરશે.’

આમ વિચારીને મંત્રીએ આવીને મહિષાસુરને બધી વાત કરી.

‘સિંહ પર બેઠેલી તે સ્ત્રી બહુ સુંદર છે, તેની અઢાર ભુજાઓને લીધે તે સ્ત્રી મોહક છે. આયુધો ધારણ કર્યાં છે. મેં તેને કહ્યું, ‘તમે મહિષાસુરને વરો, તમે પટરાણી બનશો. તમારા વશમાં રહીને તે તમારી આજ્ઞા પાળશે. દીર્ઘકાળ સુધી ત્રિલોકની સમૃદ્ધિ ભોગવો.’ મારી વાત સાંભળીને તે ગર્વીલી, વિશાળ નેત્રોવાળી સ્ત્રીએ મને હસતાં હસતાં કહ્યું, ‘ભેંસના પેટે જન્મેલો મહિષાસુર પશુઓમાં પણ અધમ છે. હું દેવોનું હિત કરવાની ઇચ્છાથી તેનો બલિ ચઢાવીશ! જગતમાં કોઈ મૂર્ખ સ્ત્રી પણ પાડાને પતિ ન બનાવે. શિંગડાંવાળી ભેંસ જ શિંગડાંવાળાને પતિ બનાવે. હું તેના જેવી નથી. હું તેની સાથે યુદ્ધ કરીશ. દેવોના શત્રુને હું મારા હાથે મારી નાખીશ. જો જીવવાની ઇચ્છા હોય તો તે પાતાળમાં જતો રહે.’

રાજન્, એ સ્ત્રીએ મને બહુ કઠોર વાતો સંભળાવી છે. ત્યાંથી હું સીધો અહીં આવ્યો છું. રસભંગ ન થાય એટલે મેં તેની સાથે યુદ્ધ નથી કર્યું. તમારી આજ્ઞા વિના મારાથી એવું કેમ થાય? તે સુંદરી અપાર બળથી અભિમાની થયેલી છે. ભવિષ્યમાં શું થશે તેની મને જાણ નથી. તમને જે યોગ્ય લાગે તે કરો. યુદ્ધ કરવું કે અહીંથી નાસી જવું તેનો નિર્ણય હું કરી શકતો નથી.’

આ સાંભળી અભિમાની મહિષાસુરે વૃદ્ધ મંત્રીઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરી. ‘હવે આ બાબતમાં આપણે શું કરવું જોઈએ? તમારો મત મને જણાવો. શંબરાસુરની માયાની જેમ જ આ કોઈ માયા છે? આનો નિર્ણય કરવામાં તમે હોશિયાર છો. સામ દામ ઉપાયોમાંથી શું કરવું તે કહો.’

મંત્રીએ કહ્યું, ‘મહારાજ, હમેશા સત્ય અને પ્રિય બોલવું જોઈએ, કેટલીક વાત પ્રિય છતાં હિતકર નથી હોતી. દવા તો કડવી હોય છે પણ તે આપણું હિત કરે છે. સત્ય સાંભળનારા અને બોલનારા દુર્લભ છે. મીઠું બોલનારા તો ઘણા હોય છે. આ ગંભીર બાબતે અમે શું કહીએ? શું કરવાથી શુભ થશે અને અશુભ થશે એ તો ત્રણે લોકમાં કોણ જાણે છે?’

મહિષાસુરે કહ્યું, ‘તમે બધા તમારી મતિ પ્રમાણે હમણાં કહો. બધાની વાત સાંભળીને નિર્ણય કરીશ. બુદ્ધિશાળીએ અનેકના અભિપ્રાય જાણ્યા પછી જ નિર્ણય કરવો જોઈએ.’

તેની વાત સાંભળીને મહાબળવાન વિરૂપાક્ષ બોલ્યા, ‘આ સ્ત્રી સાવ સામાન્ય છે, અભિમાની છે. એટલે આવી વાત કરે છે તે માત્ર ભય બતાવવા આમ બોલે છે. સ્ત્રીઓ વાતો વધારીને કહેતી હોય છે. જેથી યુદ્ધમાં કોઈ રીતે તે પરાજિત ન થાય. પરંતુ તેની અસત્ય વાતથી કોણ બી જશે? ત્રણે જગતને તમે જીતી લીધાં છે, એક સામાન્ય સ્ત્રીથી ડરી જાઓ તો જગતમાં અપકીર્તિ જ થાય. હું એકલો એ ચંડિકા સાથે લડવા જઈશ. તેને મારી નાખીશ અથવા બાંધીને તમારી પાસે લાવીશ. તમે નિર્ભય થઈ જાઓ. તે તમને અધીન થઈને રહેશે.’

વિરૂપાક્ષની વાતને દુર્ઘષે ટેકો આપી કહ્યું, ‘વિરૂપાક્ષની વાત પૂરેપૂરી સાચી છે. તમે તો બુદ્ધિશાળી છો. એવું લાગે છે કે તે સ્ત્રી પણ કામાતુર છે. રૂપગર્વિતાઓ આવી જ હોય છે. તમને બીવડાવીને વશ કરવા માગે છે. અભિમાની સ્ત્રીઓ આવી જ હોય છે. તેઓ પોતાના પ્રિય પતિ માટે આવી જ વાતો કરે.’ આમ અનેક રીતે રાજાને તેણે સમજાવ્યો.

આ બધી વાતો સાંભળીને તામ્રદૈત્ય બોલ્યો, ‘મારી વાત ધ્યાનથી સાંભળો. હું નીતિ અને ધર્મયુક્ત વાત કરીશ. તે સ્ત્રી કામાતુર નથી, તમારા પર તેને કશો પ્રેમ નથી. તેના શબ્દોમાં કોઈ વ્યંગ નથી. કોઈને પણ સાથે રાખ્યા વિના તે એકલી આવી છે. તે સુંદર, અદ્ભુત રંગરૂપવાળી સ્ત્રીને અઢાર હાથ છે, આવી કોઈ સ્ત્રી ત્રિલોકમાં કોઈએ જોઈ છે ખરી? તેનાં આયુધો જુઓ. આ કાળની જ લીલા છે. મેં પરોઢે સ્વપ્નમાં કાળાં વસ્ત્ર પહેરેલી કોઈ સ્ત્રીને રડતી જોઈ છે, આ મૃત્યુસૂચક સ્વપ્ન છે. રાતે ભયંકર પક્ષીઓ કકળે છે. યુદ્ધ માટે તે સ્ત્રી તમને લલકારી રહી છે, આ સ્ત્રી નથી માનવી, નથી ગંધર્વી કે નથી અસુર. દેવોની જ આ માયા છે. આપણે કાયરતા દાખવવી ન જોઈએ અને યુદ્ધ જ કરવું જોઈએ. જે થવાનું હશે તે થશે. શુભ અશુભ તો કોને ખબર છે? સમજુ લોકોએ ધીરજ રાખવી જોઈએ. આપણું જીવન દૈવાધીન છે. ભાવિને કોણ મિથ્યા કરી શકશે?’

આ સાંભળી મહિષાસુરે કહ્યું, ‘તામ્ર, તમે યુદ્ધ કરવા જાઓ ને તે અભિમાનીને ધર્મથી જીતીને લઈ આવો. તમારે વશ ન થાય તો પણ તેને મારી ન નાખતા. બીજી કોઈ રીતે તેને વશમાં આણજો. તમે તો વીર છો, કામશાસ્ત્ર પણ સારી રીતે જાણો છો. ગમે તે રીતે તમે એને જીતીને લઈ આવો. મોટી સેના લઈને જાઓ. તે શા માટે અહીં આવી છે તે પણ જાણી લાવો. કાયરતા પણ નહીં અને નિર્દયતા પણ નહીં. તેના મનને અનુકૂળ થઈને જે તે કરજો.’

મહિષાસુરની વાત સાંભળીને કાળનો ભોગ બનનાર તામ્ર સેના સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યો. રસ્તામાં તેને ઘણાં અપશુકન થયાં. તે ભયભીત અને ચિંતાતુર થયો. સિંહ પર બેઠેલા ભગવતીને તેણે જોયાં. બધાં આયુધોથી શોભતા તે દેવીની સ્તુતિ દેવતાઓ કરી રહ્યા હતા. વિનયનમ્ર બનીને તેણે દેવીને કહ્યું, ‘દૈત્યોનો રાજા મહિષાસુર તમારા પર મોહ પામીને તમને પત્ની બનાવવા માગે છે. વિશાળ નેત્રોવાળી સુંદરી, તમે તેની અભિલાષા પૂરી કરો. આવી સુંદર કાયા સુખભોગ માટે છે, તમારા કમળ જેવા હાથમાં આયુધ ન શોભે, તમારી ભ્રમરો જ ધનુષ છે તો પછી ધનુષબાણ શા માટે? સંસારમાં દુઃખદાયક યુદ્ધ ન જ કરવું જોઈએ. લોભી લોકો જ યુદ્ધ કરે છે. પુષ્પોથી પણ યુદ્ધ ન કરવું જોઈએ. પછી તીક્ષ્ણ બાણોથી તો યુદ્ધ કરવું જ શા માટે? તમે દાનવોથી પૂજાતા અમારા સ્વામીને પતિ તરીકે સ્વીકારી લો, તમારા મનોરથ પૂરા થશે. યુદ્ધમાં વિજય મળશે કે પરાજય તે નક્કી નથી. તમે રાજનીતિ તો જાણો છો. તો પછી તમે નિરાંતે રાજ ભોગવો, તમારો પુત્ર પણ રાજનો વારસ થશે. યુવાવસ્થામાં આનંદ મનાવી વૃદ્ધાસ્થામાં પણ આનંદ પામશો.’

તામ્રની વાત સાંભળીને ગંભીર વાણીમાં દેવી બોલ્યાં, ‘મરવા માગતો તે મૂરખ રાજા કામદેવનાં બાણોથી ઘાયલ થયો છે. તમે એને કહેજો કે તારી મા ભેંસ છે, ઘાસ પાંદડાં ખાય છે, પેટ મોટું છે, માથા પર શંગિડાં છે. હું તેના જેવી નથી. હું વિષ્ણુને, શંકરને, કુબેરને, ઇન્દ્રને, અગ્નિને પણ પતિ બનાવવા માગતી નથી. આ બધા દેવતાઓને બાજુ પર મૂકીને હું શા માટે રાક્ષસને પતિ બનાવું? હું પતિની પસંદગી કરનારી સ્ત્રી નથી. મારો પતિ તો સર્વકર્તા, સાક્ષી, અકર્તા, નિઃસ્પૃહ છે; નિર્ગુણ, નિર્મમ, અનંત, નિરાલંબ, નિરાશ્રય, સર્વજ્ઞ, સર્વગામી છે; તે સર્વવ્યાપી છે. આવા ઉત્તમ પતિને ત્યજીને હું મૂર્ખ મહિષાસુરને પતિ બનાવું? યુદ્ધ કરો. હમણાં જ તેને યમરાજનો પાડો બનાવીશ, તારી પીઠ પર પાણીની મશક લાદીને લોકોને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરીશ. જો જીવ વહાલો હોય તો દાનવોને લઈને પાતાળમાં જતો રહે. યુદ્ધમાં મારા હાથે તો મૃત્યુ જ પામીશ. સંસારમાં બે સમાન વચ્ચેનો સંબંધ જ ઉત્તમ, અસમાન વચ્ચેનો સંબંધ દુઃખદ જ થાય. તું તો મૂર્ખ છે એટલે મને કહે છે કે મારી સાથે લગ્ન કર. હું ક્યાં અને શિંગડાંવાળો તું કયાં? યુદ્ધ કર અથવા જતો રહે. યુદ્ધ ન કરવું હોય તો યજ્ઞભાગ અને સ્વર્ગ મૂકીને તું જતો રહે.’

આમ કહી દેવીએ ભયાનક ગર્જના કરી, તેનાથી દાનવો બહુ ભયભીત થયા. પૃથ્વી કાંપી, પર્વતો ડોલ્યા, દૈત્યપત્નીઓના ગર્ભ પડી ગયા. તામ્રદૈત્ય પણ એ સાંભળીને ડરી ગયો અને નાસીને મહિષાસુર પાસે જતો રહ્યો. નગરમાં રહેતા બધા દૈત્યો પણ ડરી ગયા. તેમના કાન બહેરા થઈ ગયા. એટલે ત્યાંથી ભાગી જવા તૈયાર થયા. દેવીના વાહને પણ ગર્જના કરી, એટલે દૈત્યોના રૂંવે રૂંવે ભય વ્યાપ્યો.

તામ્રને પાછો આવેલો જોઈ મહિષાસુરની મતિ મુંઝાઈ ગઈ. હવે શું કરવું તેવો વિચાર કરતા તેણે દાનવોને કહ્યું, ‘હવે આપણે દુર્ગમાં ભરાઈ રહેવું કે યુદ્ધ કરવું? નાસી જવાથી આપણું કલ્યાણ થશે? તમે બધા બુદ્ધિશાળી છો, યુદ્ધમાં પીછેહઠ કરનારા નથી. કાર્યસિદ્ધિ માટે અત્યંત ગુપ્ત વિચાર તમારે કરવો જોઈએ. રાજ્યના મૂળમાં ગુપ્ત મંત્રણા હોય છે. પણ તે ગુપ્ત જ રહેવી જોઈએ. ભેદ ખૂલી જાય તો રાજા અને રાજ્ય બંનેનું અહિત થાય છે. કલ્યાણ ઇચ્છનારાઓએ યુદ્ધ સમયની મંત્રણાઓ ગુપ્ત રાખવી જોઈએ. એટલે મંત્રીઓ દેશકાળનો વિચાર કરીને બધું જણાવે. અહીં દેવોએ સર્જેલી એક સ્ત્રી એકલી, કોઈના આશરા વિના આવી છે. આવી અતુલ બળવાળી સ્ત્રીના મનમાં શું છે? વારેવારે તે યુદ્ધ માટે લલકારી રહી છે, એ કેવા મોટા અચરજની વાત છે. આનું પરિણામ સારું આવશે કે નહીં તે કોણ કહી શકે? યુદ્ધમાં જય પરાજય તો દૈવાધીન છે. કેટલાક કહેશે કે દૈવને કોણે જોયું છે. કાયરો જ દૈવની વાત કરે છે. એટલે જગતમાં પુરુષાર્થ અને દૈવ — એવા બે પક્ષ છે. આમ બુદ્ધિપૂર્વક વિચારીને કાર્ય કરવું જોઈએ.’

રાજાની આ વાત સાંભળીને મહાયશસ્વી બિડાલે હાથ જોડીને કહ્યું, ‘આ વિશાલાક્ષીને સારી રીતે ઓળખવી જોઈએ. તે શા માટે આવી છે? ક્યાંથી આવી છે? તે કોની સ્ત્રી છે? સ્ત્રીના હાથે તમારું મૃત્યુ થશે એ વાત દેવતાઓ જાણે છે. એટલે દેવતાઓએ સામૂહિક તેજ વડે આ સ્ત્રી જન્માવી છે. તે બધા યુદ્ધ જોવાની ઇચ્છાથી આકાશમાં ઊભા છે. તેઓ એ સ્ત્રીની સહાય પણ કરશે. વિષ્ણુ વગેરે દેવો આ સ્ત્રીને આગળ કરીને અમને બધાને મારી નાખશે. અને આ સ્ત્રી તમારો વધ કરશે. મારી દૃષ્ટિએ દેવતાઓનો આ આશય છે. ભવિષ્યમાં શું થશે તેની મને જાણ નથી. હમણાં યુદ્ધ નહીં કરવું એવું હું કહેવા માગતો નથી. તમારા માટે મરી જવા અમે તૈયાર છીએ. પણ પ્રશ્ન એ છે કે સાવ નિરાધાર એવી આ સ્ત્રી આપણી સાથે યુદ્ધ કરવા મક્કમ છે. આપણી પાસે મોટી સેના છે, બળવાન સૈનિકો છે તો તેની પણ દરકાર તે કરતી નથી.’

દુર્મુખે કહ્યું, ‘આ યુદ્ધમાં આપણો વિજય થશે એમાં કશી શંકા નથી. આપણે કાયર બનીને પલાયન તો નથી જ થવું. આપણી કીર્તિ ઝાંખી થાય. ઇન્દ્ર સામેના યુદ્ધમાં પણ આપણે ભાગ્યા નથી તો એકલી સ્ત્રીથી શા માટે ભાગી જવું? યુદ્ધ કરવું જ જોઈએ. રણમાં મરણ થાય કે વિજય મળે એમાં એટલી બધી ચિંતા શા માટે કરવી? મરણ થશે તો કીર્તિ મળશે, અને જીવીશું તો સુખ, એટલે યુદ્ધ કરવું જ. ભાગી જઈશું તો જગત નિંદા કરશે. આયુષ્યના અંતે મરણ તો આવે જ છે ને! એટલે જીવન કે મૃત્યુની ચિંતા નહીં કરવી.’

દુર્મુખની વાત સાંભળીને વાક્ચતુર બાષ્કલે બે હાથ જોડીને કહ્યું, ‘આ કાર્ય કાયરો માટે અપ્રિય છે. તમે આ વિશે જરાય ચિંતા ન કરતા. હું એકલે હાથે તે ચંચલાક્ષીને મારી નાખીશ. ઉત્સાહ ધરો. મારા પ્રયત્નથી તે સ્ત્રી મૃત્યુ પામશે. હું ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ, વાયુ, અગ્નિ, વિષ્ણુ કે શંકરથી, સૂર્ય ચંદ્રથી ડરતો નથી. તો તે અભિમાની એકલી સ્ત્રીની શાની બીક? મારાં ચમકતાં બાણથી તેને મારી નાખીશ. મારું બાહુબળ જોજો. તમારે આ સ્ત્રી સાથે યુદ્ધ કરવા જવું જ નહીં પડે.’

આમ અભિમાનથી છકી ગયેલા બાષ્કલને સાંભળીને દુર્ઘષ પ્રણામ કરીને બોલ્યો, ‘દેવતાઓએ સર્જેલી એ સ્ત્રીને હું હરાવીશ. અઢાર ભુજાવાળી તે સ્ત્રી કોઈ ચોક્કસ કારણથી અહીં આવી છે. તમને બીવડાવવા માટે દેવોએ રચેલી આ માયા છે. તમે મૂંઝાઓ નહીં. હવે મંત્રીઓના સંદર્ભે થોડી વાત કરું. મંત્રીઓ ત્રણ પ્રકારના, સાત્ત્વિક્ — રાજસિક અને તામસિક. સાત્ત્વિક મંત્રી પોતાની બધી શક્તિઓ વડે સ્વામીનું કાર્ય કરે છે, તેના મનમાં એને લગતી કશી ચિંતા નથી હોતી. તેઓ એક ચિત્તવાળા, ધર્મપરાયણ, નીતિજ્ઞ હોય છે. જુદા ચિત્તવાળા રાજસ મંત્રીએ પોતાનું કાર્ય કરવામાં તત્પર રહે છે. સ્વામીનું કાર્ય બગાડીને પોતાનું કાર્ય સિદ્ધ કરે છે. કેટલીક વાર તેઓ શત્રુ સાથે ભળી જાય છે. રાજના પક્ષમાં રહીને રાજાની નબળાઈ શત્રુને કહી દે છે. આવા મંત્રીઓ પર કદી વિશ્વાસ નહીં કરવો. ગુપ્ત મંત્રણાઓ જાહેર થઈ જાય છે. લોભવશ થઈને તેઓ બધું જ કરી શકે છે. તામસિક મંત્રીઓ તો આનાથી પણ ખરાબ હોય છે. તેઓ અધમ હોય છે, નિત્ય પાપકર્મ કર્યા કરે છે. હું રણમોરચે જઈને તમારું કાર્ય કરીશ. તમારે ચિંતા નહીં કરવી. તે દુષ્ટ સ્ત્રીને લઈને અહીં આવીશ. મારી પૂરી શક્તિથી આ કાર્ય કરીશ.’

પછી શાસ્ત્ર અને શસ્ત્રમાં કુશળ એવા બાષ્કલ અને દુર્મુખ અભિમાની થઈને યુદ્ધ કરવા નીકળી પડ્યા. મેઘ જેવા ગંભીર અવાજે તેમણે દેવીને કહ્યું, ‘મહિષાસુરે દેવો પર વિજય મેળવ્યો છે. એટલે તમે તેની સાથે લગ્ન કરો. સર્વગુણસંપન્ન, સુંદર મનુષ્યવેશે તે તમારી પાસે આવશે અને તમને એકાંતમાં મળશે. તમને ત્રિલોકનો વૈભવ મળશે. મહિષાસુરને સ્વીકારો અને સંસારનાં સુખ ભોગવજો.’

આ સાંભળી દેવી બોલ્યાં, ‘તમે મને શું માની બેઠા છો? આ કોઈ કામાંધ સ્ત્રી છે? હું દુષ્ટ મહિષાસુરની પત્ની થઉં? કુળવાન સ્ત્રીઓ કુળ, શીલ અને ગુણમાં સમાન હોય એવા પુરુષ સાથે લગ્ન કરે છે એટલું જ નહીં. રૂપ, ચતુરાઈ, બુદ્ધિ, શીલમાં ચઢિયાતા પતિને વરે છે. આ મહિષાસુર તો પશુના રૂપવાળા, પશુઓમાં પણ સાવ હલકટ છે, તેને કોણ વરે? તમે હમણાં ને હમણાં તમારા રાજા પાસે પહોંચી જાઓ. બાષ્કલ અને દુર્મુખ, તમે બંને શિંગડાંવાળા હાથી જેવા એ દૈત્યને કહો કે તું પાતાળમાં જતો રહે, નહીંતર મારી સથે યુદ્ધ કર. યુદ્ધ થશે તો દેવરાજ ઇન્દ્ર નિર્ભય થશે. હું તારો નાશ કરીશ ને કરીશ જ. તને માર્યા વિના અહીંથી જવાની નથી. આ વાત પર વિચાર કરીને જે કરવું હોય તે કર, ચાર પગવાળા રાક્ષસ, મને જીત્યા વિના પૃથ્વીના કોઈ પણ ભાગમાં, સ્વર્ગમાં કે પર્વતોની ગુફામાં સુધ્ધાં તને સ્થાન નહીં મળે.’

ભગવતીની વાત સાંભળીને બંને ક્રોધથી રાતી આંખ કરીને હાથમાં ધનુષબાણ લઈને સજ્જ થયા. ભગવતી પણ ગંભીર ગર્જના કરીને ત્યાં ઊભાં રહ્યાં. દાનવો પોતાની શક્તિ પ્રમાણે બાણ મારવા લાગ્યા. ભગવતી પણ દેવોનું કાર્ય સિદ્ધ કરવા ઘોર શબ્દ કરીને બંને દાનવો પર બાણ મારવાં લાગ્યાં. બંનેમાં ખૂબ જ ચંચળ બાષ્કલ દેવી સામે ઊભો રહી ગયો. દુર્મુખ પ્રેક્ષક બનીને દેવીને જોતો રહ્યો. પછી દેવી અને બાષ્કલનું ઘોર યુદ્ધ શરૂ થયું. તેને જોઈને ભગવતી ક્રોધે ભરાયાં અને તીક્ષ્ણ ધારવાળાં પાંચ બાણ ફેંક્યાં. બાષ્કલ પાસે પણ એવાં જ બાણ હતાં. દસ બાણ મારી તેણે અટ્ટહાસ્ય કર્યું. ભગવતી પાસે અર્ધચંદ્ર નામનું બાણ હતું. તેના વડે બાષ્કલના ધનુષના ટુકડા કરી નાખ્યા. એટલે તે દૈત્ય ગદા લઈને દેવી પર ટૂટી પડ્યો. ચંડિકાએ પોતાની ગદા વડે બાષ્કલને ધરતી પર ઢાળી દીધો. પરાક્રમી બાષ્કલે થોડી વારે જમીન પરથી ઊભા થઈને દેવી પર ગદા ઉગામી. તેને આવતો જોઈ ક્રોધે ભરાયેલાં દેવીએ ત્રિશૂળ વડે તેની છાતીમાં ઘા કર્યો અને જમીન પર પડી ગયેલો તે રાક્ષસ મૃત્યુ પામ્યો. એટલે તેની સેના ભાગી ગઈ. બાષ્કલનું મૃત્યુ થકહ્યું એટલે ક્રોધે રાતી આંખો કરીને દુર્મુખ દેવી સામે લડવા લાગ્યો, ‘અરે અબળા, ઊભી રહે, ઊભી રહે.’ એમ બોલતો ધનુષબાણ અને બખ્તર સાથે તે રથમાં બેઠો. દાનવને ક્રોધિત કરવા દેવીએ શંખ વગાડ્યો, ધનુષટંકાર કર્યો. દુર્મુખે ફ્ેંકેલાં બાણ સાપ જેવાં ભયંકર હતાં. મહામાયાએ ગર્જના કરીને આવતાં બાણોને કાપી નાખ્યાં. બંને વચ્ચે થયેલા ભયંકર યુદ્ધમાં અનેક શસ્ત્રોનો ઉપયોગ થયો. યુદ્ધભૂમિ પર લોહીની નદી વહેવા લાગી. નદીકિનારા પર પડેલાં મસ્તક તરવાનું શીખવા યમદૂતોએ ભેગાં કરેલાં તૂંબડાં જેવાં લાગતાં હતાં. પૃથ્વી પરનાં શબ ખાવા ભેગા થયેલાં વરુ અને બીજાં જનાવરોને કારણે રણભૂમિ ભીષણ લાગતી હતી. શિયાળ, કૂતરાં, કાગડા, ગીધ, બાજ રાક્ષસોનાં શબને ખાવા લાગ્યાં. તેમનાં શરીરમાંથી આવતી દુર્ગંધ અસહ્ય હતી. માંસાહારી જીવોનો અવાજ થતો હતો. તે વખતે કાળપ્રેરિત દુર્મુખ હાથ ઊંચા કરીને કહેવા લાગ્યો, ‘ચંડિકા, હજુ માની જાઓ, મદવાળા મહિષાસુરને પતિ તરીકે સ્વીકારી લો. નહીંતર હું હમણાં જ તમને મારી નાખીશ.’

દેવીએ કહ્યું, ‘આજે તું મોહવશ થઈને ગમે તેમ બકવાસ કરી રહ્યો છે. હવે તારું મૃત્યુ આવશે. બાષ્કલની જેમ તને મારી નાખીશ. જતો રહે, નહીંતર ઊભો રહે. તને માર્યા પછી મહિષાસુરને મારીશ.’

દેવીની વાત સાંભળીને દુર્મુખે ભયંકર બાણવર્ષા શરૂ કરી. દેવીએ તેનાં બાણ કાપી નાખ્યાં. ઇન્દ્રે જેવી રીતે વૃત્રાસુર પર આક્રમણ કર્યું હતું તેવી રીતે દુર્મુખ પર હુમલો કર્યો. બંને વચ્ચે ઘોર યુદ્ધ શરૂ થયું. કાયરો બીતા હતા અને શૂરવીરો રાજી થતા હતા. દેવીએ તેનું ધનુષ કાપી નાખ્યું અને પાંચ બાણ વડે તેનો રથ ભાંગી નાખ્યો. તે રાક્ષસ હાથમાં ગદા લઈને દેવી સામે ધસી ગયો. સિંહના માથામાં ગદા વાગી છતાં સિંહ અડગ રહ્યો. સામે ઊભેલા ગદાધારી દુર્મુખનું મસ્તક તલવાર વડે કાપી નાખ્યું, એટલે મરણ પામેલો તે ધરતી પર પડી ગયો. દેવોએ જયઘોષ કર્યો અને દેવીની સ્તુતિ કરવા માંડી. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવર્ષા કરી. યુદ્ધમાં તેના મૃત્યુના સમાચાર સાંભળી ઋષિઓ, ગંધર્વો, કિન્નરો, વિદ્યાધરો આનંદ પામ્યા.

દાનવોના મૃત્યુના સમાચાર સાંભળી મહિષાસુર ભારે ક્રોધે ભરાયો, ‘આ શું થઈ ગયું?’ એમ બોલતો દાનવોને કહેવા લાગ્યો, ‘મહાશૂરવીર બાષ્કલ અને દુર્મુખને એક કુમારિકાએ મારી નાખ્યા. એ કેવું અચરજ! કાળ બળવાન છે તો હવે આ બંને વિખ્યાત દાનવોના મરણ પછી આપણે શું કરવું જોઈએ તે વિચારી મને સલાહ આપો.’

મહિષાસુરની આ વાત સાંભળીને ચિક્ષુર સેનાપતિએ કહ્યું, ‘એક સ્ત્રીને મારવી એમાં શું? હું તેને મારી નાખીશ.’ એમ બોલતો તે સેનાપતિ સૈન્ય લઈને નીકળી ગયો.મહા બળવાન તામ્રને પોતાનો રક્ષક બનાવ્યો. તેના સૈન્યના ઘોર રવથી આકાશ અને દિશાઓ ભરાઈ ગઈ. તેને આવતો જોઈ દેવીએ શંખધ્વનિ, ઘંટનાદ અને ધનુષટંકાર કર્યા. તેને કારણે રાક્ષસો ખૂબ જ ડરી ગયા. ‘આ શું છે?’ એમ બોલતા તેઓ ભાગવા લાગ્યા. તેમને જોઈને ચિક્ષુર ક્રોધે ભરાયો અને બોલ્યો, ‘તમારી સામે કયો મોટો ભય આવી ચઢ્યો છે. આ અભિમાની નારીને હું બાણ વડે યમસદન મોકલી આપીશ. તમે નિર્ભય બનીને અહીં ઊભા રહો.’ પછી તે દેવીને કહેવા લાગ્યો, ‘અરે વિશાલાક્ષી, બીજા પુરુષોને ડરાવતી શાની ગર્જના કર્યા કરે છે? તારી ગર્જનાથી હું બીતો નથી. સ્ત્રીનો વધ કરવાથી અપકીર્તિ થાય છે, એટલે તારો વધ કરતાં હું અચકાઉં છું. તારા જેવી સ્ત્રી સાથે તો કટાક્ષ અને હાવભાવ વડે જ યુદ્ધ થાય, શસ્ત્રોથી કદી એ યુદ્ધ થતું નથી. પુષ્પોથી પણ યુદ્ધ ન થાય તો પછી શસ્ત્રો વડે તો થાય જ કેવી રીતે? અનેક સુખભોગોને છોડીને તું યુદ્ધ કરવા માગે છે! યુદ્ધમાં તને કયો ગુણ દેખાય છે? અહીં તો તલવારો ચાલે છે, ગદાપ્રહારો થાય છે, તીક્ષ્ણ બાણો વડે શરીરના ફુરચા ઊડે છે. પછી શિયાળ શબને ચૂંથે છે. ધૂર્ત કવિઓએ મૃત્યુની પ્રશંસા બહુ કરી છે. રણમાં મૃત્યુ પામનારાઓને સ્વર્ગ મળે છે એ કેવળ સ્તુતિવાક્ય છે, એટલે તારું મન જ્યાં આનંદ પામે ત્યાં ચાલી જા, કાં તો મહિષાસુરને પતિ તરીકે સ્વીકારી લે.’

દેવી ભગવતીએ આમ કહી રહેલા રાક્ષસને કહ્યું, ‘અરે મૂર્ખ, બુદ્ધિશાળી વિદ્વાનની જેમ તું આ બકવાસ કરી રહ્યો છે? તને નીતિશાસ્ત્રનું કે ન્યાયશાસ્ત્રનું જ્ઞાન નથી. તેં વૃદ્ધોનું સેવન કર્યું નથી, ધર્મને જાણતો નથી. તું મૂર્ખની સેવા કરતો હતો. રાજધર્મને જાણ્યા વિના મારી સામે બકવાસ કરી રહ્યો છે! હું મહિષાસુરનો વધ કરીશ જ. યુદ્ધભૂમિમાં લોહી-માંસનો કીચડ થશે. સ્થિર કીર્તિનો સ્તંભ ઊભો કરી હું અહીંથી જઈશ. દેવતાઓને યાતના આપનારો આ રાક્ષસ બહુ ગર્વીલો થઈ ગયો છે, તેનો વધ કરવો એ મારું કર્તવ્ય છે. તું હવે યુદ્ધ કર.’

દેવીની વાત સાંભળીને અભિમાની દાનવે બાણોની ઝડીઓ વરસાવી. ભગવતીએ એ બધાં બાણ કાપી નાખ્યાં અને સાપ જેવાં ઝેરીલાં બાણોથી રાક્ષસને વીંધવા લાગ્યા. આ ભયંકર યુદ્ધ ચાલતું હતું ત્યારે ભગવતીએ ગદા ઝીંકી, ગદાનો પ્રહાર ઝીલી ન શકવાથી ચિક્ષુર થોડી વાર તો મૂર્છિત રહ્યો. તેને એવો જોઈ તામ્ર દૈત્ય દેવી સામે યુદ્ધ કરવા આવ્યો. તેને આવતો જોઈ ભગવતી હસતાં હસતાં બોલ્યાં, ‘આવ, આવ, તને હમણાં જ પ્રેતલોકમાં પહોંચાડું છું. તમે બધા નિર્બળ છો અને તમારું આયુષ્ય આવી રહ્યું છે, મૂર્ખ મહિષાસુર ઘેર બેસીને શું કરે છે? તમે મૃત્યુ પામો તેથી શું? દેવશત્રુ, દુષ્ટ મહિષાસુર મૃત્યુ પામ્યો નથી એટલે તમે ઘેર જઈ તેને મોકલી આપો. તે પણ મને અહીં જોઈ લે.’

આ સાંભળીને ક્રોધે ભરાયેલા તામ્ર દૈત્યે ધનુષની પણછ ખેંચી બાણવર્ષા કરી. ભગવતીએ પણ બાણ ફેંક્યાં. એ દરમિયાન ચિક્ષુર મૂર્ચ્છામાંથી જાગ્યો. ફરી ધનુષબાણ લઈને તે ઊભો રહી ગયો. પછી બંને મહાવીરો, દેવી સામે લડવા લાગ્યા. દેવીએ બાણો ચલાવીને બધા દાનવોને બખ્તર વિહોણા કરી મૂક્યા. બધા ઘવાયેલા રાક્ષસો વસંતે ખીલેલા કેસૂડા જેવા દેખાતા હતા. તામ્રદૈત્યે લોખંડના મજબૂત મુસળ વડે સિંહના માથે ઘા કર્યો. દેવીએ ગાજતા તામ્રનું મસ્તક તીણી ધારવાળી તલવારથી છેદી નાખ્યું. થોડી વાર તો મુસળ લઈને તે ભમ્યો પણ પછી તે પડી ગયો. તામ્રના મૃત્યુ પછી ચિક્ષુર તલવાર લઈને દોડ્યો, તેને જોઈને દેવીએ પાંચ બાણ માર્યાં, એક બાણ વડે તેની તલવાર પડી ગઈ. બીજા બાણથી તેનો હાથ કપાઈ ગયો, અને બીજાં બાણોથી તેનું મસ્તક કપાઈ ગયું.

આ બંને અજેય અને મહાદુષ્ટ રાક્ષસોના મૃત્યુથી દાનવસેના ચારે દિશાઓમાં ભાગી ગઈ. બધા દેવતાઓ આનંદ પામ્યા. તેમણે પુષ્પવૃષ્ટિ કરી, ભગવતીનો જયજયકાર કર્યો. ઋષિઓ, દેવો, ગંધર્વો, વેતાલો, સિદ્ધ, ચારણો વારંવાર ચંડિકાનો જયઘોષ કરવા લાગ્યા.

આ બંને રાક્ષસોના વધના સમાચાર સાંભળી મહિષાસુરને ભારે નવાઈ લાગી. તેણે અસિલોમા અને વિડાલાક્ષ જેવા બળવાન દૈત્યોને સૈન્ય, આયુધો અને યુદ્ધસામગ્રી સાથે મોકલ્યા. કવચધારી, અજેય આ દૈત્યોએ અઢાર ભુજાવાળાં, સિંહ પર બેઠેલાં અને શસ્ત્રો ધારણ કરેલાં ભગવતીને જોયાં. અસિલોમા વિનય, નમ્રતા દાખવતો, હાસ્યનો ડોળ કરતો તે બોલ્યો, ‘દેવી, સાચું કહો, તમે શા માટે અહીં આવ્યાં છો? આ નિર્દોષ દૈત્યોનો સંહાર કેમ કરો છો? હમણાં જ હું સંધિ કરવા તૈયાર છું. હે નિતંબિની, તમારે જે કંઈ સોનું, રત્નો, મણિ, ઉત્તમ પાત્રો જોઈતાં હોય તો લઈને જતાં રહો. યુદ્ધ શા માટે કરવા માગો છો? યુદ્ધ તો દુઃખ અને સંતાપ આણે છે. ધર્માત્માઓ કહે છે, યુદ્ધથી સુખ નાશ પામે છે. તમારું શરીર તો પુષ્પનો પ્રહાર પણ ઝીલી ન શકે. તમે શા માટે આ યુદ્ધ કરી રહ્યાં છો?…’

અને એમ ઘણી બધી રીતે મહાદેવીને સમજાવ્યાં.

પછી દેવીએ કહ્યું, ‘તેં મને એવું પૂછ્યું કે હું અહીં શા માટે આવી છું અને દૈત્યોનો વિનાશ કરવા પાછળ કારણ શું છે? સાંભળ. હું બધા લોકમાં ભ્રમણ કરું છું. બધાં પ્રાણીઓનાં યોગ્ય-અયોગ્ય કાર્યો જોતી રહું છું. મને કોઈ લોભ નથી, ભોગની ઇચ્છા નથી. કોઈના પ્રત્યે દ્વેષ નથી. ધર્મ માટે જ સંસારમાં ભમું છું. સજ્જનોની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. એ પાળું છું. દુર્જનોનો વધ કરવા અનેક અવતાર લેવા એ મારું કાર્ય છે. મહિષાસુર દુષ્ટ છે, તે દેવતાઓનો દુશ્મન છે. તારે જવું હોય તો જા, ઊભા રહેવું હોય તો ઊભો રહે. હવે જઈને તારા રાજાને કહેજે કે બીજા દૈત્યોને મોકલવાને બદલે જાતે લડે. જો સંધિ કરવી હોય તો વેરભાવ ત્યજીને તમે બધા પાતાળમાં જતા રહો. દેવતાઓને જીતીને જે કંઈ દ્રવ્ય લીધું હોય તે પાછું આપીને પ્રહ્લાદ જ્યાં રહે છે ત્યાં જતા રહો.’

દેવીની વાત સાંભળીને અસિલોમાએ ભગવતીના દેખતાં જ વિડાલાક્ષને પૂછ્યું, ‘ભવાની દેવીએ જે કહ્યું તે તેં સાંભળ્યું ને? હવે શું કરવું છે? યુદ્ધ કે શાંતિ?’

વિડાલાક્ષ બોલ્યો, ‘યુદ્ધમાં મૃત્યુ થવાનું છે એ જાણવા છતાં અભિમાની રાજા સંધિ કરવા તૈયાર નથી. યુદ્ધમાં અનેક રાક્ષસો મૃત્યુ પામ્યા એટલે તેમણે આપણને મોકલ્યા. દૈવને કોણ બદલી શકે? મહિષાસુર કોઈ રીતે બદલાવાના નથી. સેવકધર્મ બહુ કઠિન છે. વિધિનું આવું જ વિધાન છે. સેવકે સ્વામીની આજ્ઞા પાળવી જ પડે છે. આપણે કેવી રીતે કહીએ કે દેવોનું ધન પાછું આપીને પાતાળમાં જતા રહો. પ્રિય બોલવાનું અસત્ય ન હોવું જોઈએ.

સત્ય જો અપ્રિય હોય તો બુદ્ધિમાનોએ મૌન પાળવું જોઈએ. વીર પુરુષોએ અસત્ય બોલીને કપટ કરવું ન જોઈએ. માત્ર હિતવચન કહેવા કે આદરથી કશું પૂછવા પણ રાજા પાસે જવું ન જોઈએ. જો જઈશું તો રાજા ક્રોધે ભરાશે, એટલે મૃત્યુને તુચ્છ ગણીને સ્વામીનું કાર્ય ઉત્તમ ગણીને આપણે યુદ્ધ કરવું.’

આવો વિચાર કરીને અસિલોમા અને વિડાલાક્ષ યુદ્ધ કરવા તૈયાર થયા. રથમાં બેઠેલા તેમના હાથમાં ધનુષબાણ તો હતાં જ. સૌપ્રથમ તો વિડાલાક્ષે દેવી પર સાત બાણ ફેંક્યાં. અસ્ત્રોનો જાણકાર અસિલોમા દૂર ઊભો રહ્યો. ભગવતીએ વિડાલાક્ષનાં બાણ કાપી નાખ્યાં અને ત્રણ બાણ માર્યાં. એનાથી તેને મૂર્ચ્છા આવી ગઈ, અને દૈવવશાત્ તેનું મૃત્યુ થયું. વિડાલાક્ષને મરેલો જોઈ અસિલોમા આગળ આવ્યો. ડાબો હાથ ઊંચો કરી તેણે દેવીને કહ્યું, ‘દુરાચારી દાનવોનું મૃત્યુ હાથવેંતમાં છે તે હું જાણું છું. પરંતુ અમે પરાધીન છીએ એટલે યુદ્ધ કરવું જ પડે. મૂર્ખ મહિષાસુરને શુભ-અશુભનું ભાન નથી. તેમની આગળ અપ્રિય હિતવચન કહેવાનો અર્થ નથી. શુભ કે અશુભ જે થવાનું હશે તે થાઓ, મારે તો વીરને યોગ્ય એવું મૃત્યુ જોઈએ છે. માનું છું કે પ્રારબ્ધ બળવાન છે. પુરુષાર્થથી કશું થતું નથી. એટલે તો તમારાં બાણોથી દૈત્યોનું મરણ થાય છે.’

આમ કહી અસિલોમાએ બાણવર્ષા કરી, ભગવતીએ અધવચ્ચે જ તે બાણ કાપી નાખ્યાં. બીજાં બાણ વડે અસિલોમાને વીંધી નાખ્યો. તે વેળા દેવી ખૂબ કોપ્યાં હતાં. અસિલોમાનું આખું શરીર બાણોથી વીંધાઈ ગયું હતું, તેના શરીરમાંથી લોહીની ધારાઓ વહી રહી હતી. તે દાનવ કેસૂડાનાં વૃક્ષ જેવો દેખાતો હતો. પછી અસિલોમા ગદા ઉપાડી દેવી સામે ધસી ગયો અને સિંહના માથે ગદા ઝીંકી. સિંહે તેની પરવા કર્યા વિના પોતાના નહોર વડે અસિલોમાની છાતી ચીરી નાખી. પછી તે દૈત્ય હાથમાં ગદા લઈને ભગવતી પર ધસ્યો. પણ ભગવતીએ તેને અટકાવીને પોતાની તલવાર વડે તેનું મસ્તક છેદી નાખ્યું, તે દૈત્ય કાયમ માટે ધરતી પર પોઢી ગયો. દાનવસેનામાં હાહાકાર અને દેવોમાં જયઘોષ થયા. નગારાં વાગ્યાં, કિન્નરો યશોગાન ગાવા લાગ્યા. રણમેદાન પર તે બંને દાનવોને મૃત્યુ પામેલા જોઈ સિંહે સર્વ યોદ્ધાઓને મારી નાખ્યા અને તે કેટલાકને તો ખાઈ ગયો. કેટલાક દુઃખી દૈત્યો નાસીને મહિષાસુર પાસે ગયા અને રુદન કરી મૃત્યુના સમાચાર આપ્યા. તે સાંભળી રાજા ઉદાસ થઈ ગયો અને ચિંતાતુર થયો.

હવે ક્રોધે ભરાયેલા મહિષાસુરે સારથિ પાસે હજારો ખચ્ચર જોડેલો ધજાપતાકાવાળો આયુધોવાળો, પ્રકાશિત રથ મંગાવ્યો. સારથિ તરત જ રથ લઈ આવ્યો, અને તેણે કહ્યું,‘સુશોભિત રથ આણ્યો છે અને દરવાજે ઊભો રાખ્યો છે. બધાં આયુધ અને સુંદર બિછાનાં પણ છે.’ રથ આવ્યો એ જાણીને દાનવરાજ મનુષ્ય રૂપે યુદ્ધભૂમિ પર જવા તૈયાર થયો. તેણે વિચાર્યું, ‘હું પાડાના રૂપે છું, મોં કુરૂપ છે, માથે શિંગડાં છે, તે જોઈને દેવી વ્યાકુળ થઈ જશે. સ્ત્રીઓને પ્રસન્ન કરવા રૂપ અને ચતુરાઈ જોઈએ. એટલે એવી રીતે હું તેની પાસે જઉં. મને જોતાંવેંત તેના મનમાં પ્રેમ ઊભરાશે. મારા માટે પણ સુખી થવાનો એ જ રસ્તો છે.’ એમ વિચારી દાનવરાજે પાડાનું રૂપ ત્યજી સુંદર પુરુષનું રૂપ ધારણ કર્યું. સુંદર આયુધો, દિવ્ય વસ્ત્રોવાળો તે બીજા કામદેવ જેવો લાગતો હતો. રથમાં બેસીને, બાજુબંધ, ધનુષબાણવાળો તે સેનાથી વીંટળાયેલો હતો, અભિમાની સ્ત્રીઓ પણ મોહી પડે એવા રૂપવાળો તે અભિમાની જગદંબા સામે ઊભો રહી ગયો,

તેને આવેલો જોઈ દેવીએ શંખનાદ વગાડ્યો. સૌને આશ્ચર્ય પમાડનાર શંખધ્વનિ સાંભળીને મહિષાસુર હસતાં હસતાં બોલ્યો,‘આ સંસારમાં સ્ત્રી કે પુરુષને સુખ જોઈએ છે. મનુષ્યોને સંયોગમાં સુખ મળે છે, વિયોગમાં નહીં, સંયોગના ઘણા પ્રકાર છે, હવે તે મારી પાસેથી તમે સાંભળો. માતા-પિતાનો પુત્ર સાથેનો સંયોગ ઉત્તમ, ભાઈ-ભાઈ વચ્ચેનો સંયોગ મધ્યમ, જે સંયોગ સર્વોત્તમ સુખ આપે તે ઉત્તમ, તેનાથી ઓછું સુખ આપે તે મધ્યમ, નાવમાં બેઠેલા લોકો સ્વાભાવિક રીતે એકબીજાના પરિચયમાં આવે છે પણ તે બહુ ઓછા સમય માટે હોય છે. એટલે એ સંયોગ કનિષ્ટ. ચતુરાઈ, રૂપ, વેશ, કુળ, શીલ, અને ગુણ — આ બધા સમાન હોય તો દિવ્ય સુખ સાંપડે. હું વીર છું, મારી સાથે સંયોગ કરશો તો સર્વોત્તમ સુખ મળશે. હું ઇચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકું છું. દેવતાઓ હારી ગયા છે. અત્યારે મારા મહેલમાં જેટલાં રત્ન છે તે બધાં તમારે માટે છે. તમે તેનું દાન પણ કરી શકો. તમે મારી પટરાણી બનો. હું તમારો દાસ. તમારી દરેક આજ્ઞાનું હું પાલન કરીશ. તમે કહેશો તો દેવતાઓ સાથેનું વેર ત્યજી દઈશ. તમે જે રીતે સુખી થાઓ તે મને સ્વીકાર્ય. તમે મને મોહિત કર્યો છે. તમારી શરણે આવ્યો છું. હું તમારા ચરણે નમું છું. મારા પર દયા કરો. બ્રહ્મા જેવા બ્રહ્મા આગળ પણ હું ઝૂક્યો નથી. બધા દેવો મારું ચરિત્ર જાણે છે. હું તમારો દાસ છું, મારી સામે જુઓ.’

દૈત્યની વાત સાંભળી ભગવતી હસીને બોલ્યાં, ‘પરમ પુરુષ પરમાત્મા સિવાય મારે કોઈ પુરુષ નથી જોઈતો. હું તેમની ઇચ્છા પ્રમાણે જગતનું સર્જન કરું છું. મારા પર તેમની દૃષ્ટિ સદા રહે છે, હું તેમની પ્રકૃતિ છું. તેમને કારણે જ મારામાં નિત્ય ચૈતન્ય રહે છે. મને વિષયવાસના કદી થતી નથી. તું મૂર્ખ છે એટલે જ સ્ત્રીસંગ ઇચ્છે છે. પુરુષને બાંધનારી સાંકળ સ્ત્રી છે. લોખંડથી બંધાયેલો તો છૂટી શકે પણ સ્ત્રીથી બંધાયેલો કદી છૂટી ન શકે. અરે મૂર્ખ, જેમાં માત્ર મૂત્ર જ જ ભરેલું હોય તેને માટે આટલી બધી આસક્તિ શાને? સુખી થવું હોય તો શાંતિ રાખો. સ્ત્રીથી તો દુઃખી થવાય. દેવતાઓ સાથેનું વેર બંધ કરીને સંસારમાં ફરો, જીવવાની ઇચ્છા હોય તો પાતાળમાં જતા રહો. મારામાં ખૂબ જ શક્તિ છે. તારો વધ કરવા માટે જ દેવતાઓએ મને અહીં મોકલી છે. તું જો જીવવા ન જ માગતો હોય તો યુદ્ધ કર.’

જગદંબાની વાત સાંભળીને ફરી મહિષાસુરે તેમને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને પછી મંદોદરીનું દૃષ્ટાંત આપ્યું. ભગવતીએ મંદોદરી વિશે વિગતવાર સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી, મંદોદરીએ કોને ત્યજીને કોનો સ્વીકાર કર્યો હતો? પછી તેને ક્ેવાં દુઃખ પડ્યાં તે બધી વાત મને કહે.’

પૃથ્વી ઉપર અનેક વૃક્ષોથી શોભતો, ધનધાન્યથી સંપન્ન સિંહલ ગામના પ્રખ્યાત દેશમાં ચંદ્રસેન નામનો રાજા હતો. તે અત્યંત ધાર્મિક, ન્યાયી અને શાંત પ્રકૃતિનો હતો. તે પ્રજાપાલનમાં તત્પર, શૂરવીર, સત્યવાદી, કોમળ હતો. નીતિજ્ઞ, શાસ્ત્રનિપુણ, સર્વધર્મનો જાણકાર, ધનુર્વેદમાં પ્રવીણ એવા તે રાજાની પત્ની ગુણવતી સુંદર, સર્વગુણસંપન્ન, પતિભક્ત, સુલક્ષણા હતી. તેને પહેલે ખોળે સુંદર કન્યા જન્મી. મનને રોમાંચ કરાવનારી તે કન્યાથી પિતાને સંતોષ થયો, આનંદિત થઈને તેણે કન્યાનું નામ પાડ્યું મંદોદરી. તે રાતે ન વધે એટલે દિવસે અને દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. લગ્નવયે પહોંચી ત્યારે તેના પિતાએ પુત્રી માટે વર શોધવા માંડ્યો. મદ્રદેશમાં શૂરવીર અને પ્રખ્યાત સુધન્વા રાજાને એક કમ્બુગ્રીવ નામનો પુત્ર હતો. બ્રાહ્મણોએ મંદોદરીના પતિ માટે તે રાજકુમારની ભલામણ કરી. રાજાએ રાણીને પૂછ્યું, રાણીએ મંદોદરીને પૂછ્યું પણ તેણે તો લગ્નની જ ના પાડી. તે સ્વતંત્રપણે જીવન ગાળવા માગતી હતી, પરતંત્ર વ્યક્તિને ઘણાં દુઃખ સહેવાં પડે છે, વિદ્વાનો માને છે કે મોક્ષનું સાધન સ્વતંત્રતા છે, મારે પતિ જોઈતો નથી. લગ્ન વખતે અગ્નિની સાખે કહેવામાં આવે છે કે પતિદેવ, હું બધી રીતે તમારે અધીન થઈ ગઈ છું. પછી સાસરે બધાને અનુકૂળ થઈને રહેવું પડે છે. પતિની હામાં હા કરવી પડે છે. જો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે તો શોક્યનું દુઃખ વેઠવાનું, પછી ઈર્ષ્યા, કલેશ, સ્ત્રીઓ માટે તો આ સંસારમાં સુખ ક્યાં છે?’

એટલે રાણીએ રાજાને કહ્યું, ‘મંદોદરી લગ્ન કરવા માગતી નથી. તે જપતપમાં જોડાઈ સંસારથી વિરક્ત રહેવા માગે છે. લગ્નજીવનની મુશ્કેલીઓ જાણે છે, એટલે પતિ જોઈતો જ નથી.’

રાણીની વાત પછી રાજાએ મંદોદરીના લગ્નનો વિચાર જતો કર્યો. માતાપિતાના રક્ષણ હેઠળ તે રહેવા લાગી. સ્ત્રીની કાયામાં જ્યારે યુવાની આવે છે ત્યારે કામ જાગે છે. જ્ઞાનની વાતો અવારનવાર કરનારી રાજકુમારી એક દિવસ ગાઢ વૃક્ષોવાળા ઉદ્યાનમાં ગઈ. લતા પર ફૂલ મ્હોર્યાં હતાં, ત્યારે ત્યાં કોશલદેશનો વીરસેન રાજા આવી ચઢ્યો. તેની સાથે સૈનિકો હતા પણ ત્યારે એકલો જ રથમાં બેસીને આવ્યો. કોઈ યુવતીએ તે રાજાને જોઈ મંદોદરીને કહ્યું,‘આ રસ્તા પર રથમાં બેસીને કોઈ સુંદર પુરુષ આવી રહ્યો છે. મને લાગે છે કે કોઈ રાજા છે.’ આ વાત ચાલતી હતી અને ત્યાં વીરસેને પાસે આવીને દાસીને પૂછ્યું, ‘આ વિશાલાક્ષી કોણ છે, કોની પુત્રી છે?’ દાસીએ હસતાં હસતાં કહ્યું, ‘પહેલાં તમારો તો પરિચય આપો. અહીં આવવાનું કારણ શું?’ પછી વીરસેને પોતાનો પરિચય આપ્યો, ‘હું કોશલ દેશનો રાજા છું, મારી સેના પાછળ આવે છે, હું રસ્તો ભૂલી ગયો છું.’

દાસીએ કહ્યું, ‘આ ચંદ્રસેન રાજાની પુત્રી મંદોદરી ઉદ્યાનમાં વિહાર કરવા આવી છે.’

વીરસેને દાસીને કહ્યું, ‘તું મારી ભલામણ રાજકુમારીને કર. મારું લગ્ન થયું નથી. હું એને ચાહું છું. એના પિતા વિધિપૂર્વક મારું લગ્ન તેની સાથે કરાવી શકે.’

રાજાનો આ સંદેશો દાસીએ મંદોદરીને મધુર વાણીમાં આપ્યો. ‘આ સૂર્યવંશના રાજા છે, સુંદર છે, શક્તિશાળી છે. તમારી ઉંમરના જ છે. તમને જોતાંવેંત ચાહતા થયા છે. તમે લગ્નયોગ્ય છો. પણ સંસારથી વિરક્ત રહો છો એટલે પિતા દુઃખી છે. તેમણે અમને તમને સમજાવવા કહ્યું છે. છતાં અમે કહીશું સ્ત્રીઓ માટે પતિસેવા પરમધર્મ છે. પતિસેવાથી સ્વર્ગ મળે. તમે લગ્ન કરી લો.’

મંદોદરીએ કહ્યું, ‘મારે પતિ જોઈતો જ નથી. હું તપ કરીશ, આ રાજા નફફટ થઈને મારી સામે શા માટે જુએ છે?’

દાસીએ કહ્યું, ‘કામદેવ પર વિજય મેળવવો અઘરો છે. કાળની ગતિ પણ ટાળી શકાતી નથી. તમે મારી વાસ્તવિક વાત સ્વીકારો, નહીંતર દુઃખી થશો.’

રાજકુમારીએ કહ્યું,‘ભાગ્યમાં જે લખાયું હશે તે થશે. મને એની ચિંતા નથી. મારો નિર્ણય છે — હું લગ્ન નહીં કરું.’

મંદોદરીનો આ અડગ નિર્ણય જાણીને દાસીએ વીરસેનને કહ્યું, ‘તમે જ્યાં જવું હોય તો જાઓ. તમારા જેવા સાથે લગ્ન કરવાની પણ આ રાજકુમારી ના પાડે છે.’

દાસીની વાત સાંભળીને હતાશ થયેલો વીરસેન સેના સાથે પોતાના દેશ જવા નીકળ્યો. રાજકુમારી માટે હવે તેના મનમાં કશી ઇચ્છા ન રહી.

મંદોદરીની નાની બહેન ઇન્દુમતિ હતી. તે જ્યારે મોટી થઈ ત્યારે રાજાએ તેના માટે સ્વયંવર કર્યો અને તેમાં દેશદેશના રાજા આવ્યા. ઇન્દુમતિએ એક શક્તિશાળી રાજાને પતિ તરીકે પસંદ કરી લીધો. તે સમયે મંદોદરી કામવશ બની. તે લગ્ન કરવા આતુર બની. તેની નજર કોઈ ચતુર દેખાતા પણ વાસ્તવમાં દુષ્ટ એવા કોઈ શૂદ્ર રાજા પર પડી, અને રાજકુમારીએ પિતાને પોતાની ઇચ્છા જણાવી એટલે ચંદ્રસેને હસીને મંદોદરીના લગ્નની તૈયારી કરવા માંડી. મદ્ર દેશના રાજાને બોલાવી મંદોદરી સોંપી. રાજા રાણી આનંદ પામ્યાં. મંદોદરી સાથે શરૂઆતમાં તો રાજાએ આનંદ મનાવ્યો પણ તે ચારિત્ર્યહીન રાજાનાં નિંદનીય વર્તાવો જોઈ લીધાં એટલે તે દુઃખી થઈ ગઈ, ‘સ્વયંવરમાં જ્યારે આ રાજાને જોયો ત્યારે તેનો મને પરિચય ન હતો. આ ધૂર્તે મને ઠગી લીધી. હવે શું થાય? આ નિર્લજ્જ, ધુતારો છે. આવાને કેવી રીતે ચાહી શકાય? અત્યાર સુધી હું વિરક્ત રહી હતી. મારે જે લગ્ન નહોતું કરવાનું તે મેં કરી નાખ્યું. એટલે હવે દુઃખી છું. આત્મહત્યા તો અસહ્ય, પિતાને ત્યાં પણ સુખી નહીં થઉં, અહીં વિરક્ત રહીને જ જીવું.’ આમ મંદોદરી દુરાચારી પતિને ત્યાં જ રહીને સંતાપ વેઠતી રહી. સાંસારિક સુખ ન મળ્યું.’

મહિષાસુરે આ કથા કહીને દેવીને પૂછ્યું, ‘શું તમે પણ મને ના પાડીને કોઈ નિંદ્ય, મૂર્ખને પામવા માગો છો? મારી વાત માની જાઓ, જો એમ નહીં કરો તો દુઃખી દુઃખી થઈ જશો.’

આ સાંભળી દેવીએ કહ્યું, ‘મૂર્ખ, હવે તું પાતાળમાં જા, નહીંતર યુદ્ધ કર. તારો વધ કર્યા પછી બધા અસુરોનો વધ કરીશ. જ્યારે જ્યારે સંતો દુઃખી થાય છે ત્યારે ત્યારે હું દેહધારણ કરીને પ્રગટું છું. તું જાણી લે, હું અરૂપા છું, અજન્મા છું. દેવતાઓની રક્ષા કરવા મેં રૂપ લીધું, જન્મ લીધો. મારી વાણી અડગ છે. દેવતાઓની પ્રાર્થનાને કારણે જ હું પ્રગટી છું. તને મારી નાખ્યા પછી હું અંતર્ધાન થઈ જઈશ. એટલે તું યુદ્ધ કર, અથવા પાતાળમાં જતો રહે. હવે મારે તને મારી જ નાખવો છે.’

જગદંબા આ પ્રમાણે બોલ્યાં એટલે ધનુર્ધારી મહિષાસુર યુદ્ધ કરવા આવ્યો. તેણે બાણો ફ્ેંકવા માંડ્યાં. એ બધાં બાણ દેવીએ કાપી નાખ્યાં.

બંને વચ્ચે ઘોર યુદ્ધ આરંભાયું. દેવો-દાનવો પોતપોતાના વિજયની આશા રાખતા હતા. એટલામાં ત્યાં દુર્ઘષ દૈત્ય આવીને ઝેરી બાણ ફેંકવા લાગ્યો. ભગવતીનાં બાણોથી તે મૃત્યુ પામી ધરતી પર પછડાયો. એટલે હવે ત્રિનેત્રે આવીને સાત બાણ છોડ્યાં. ભગવતીએ તે બાણ કાપીને સામે ત્રિશૂળ ફેંકી ત્રિનેત્રનો વધ કર્યો. હવે લોખંડની ગદા લઈને અંધકે આવીને સિંહના માથે વીંઝી. પણ સિંહે બળવાન અંધકને ચીરી નાખી તેનું માંસ ખાધું.

આ દૈત્યોનું મૃત્યુ જોઈને મહિષાસુર આશ્ચર્ય પામ્યો. શિલા પર સજેલાં બાણ છોડ્યાં ખરાં પણ ભગવતીએ તેમને કાપી નાખ્યાં, અને તેની છાતીમાં ગદા મારી. દેવોને પીડનારો રાક્ષસ મૂર્છા પામ્યો. પણ ફરી તેણે સિંહ પર ગદા ઉગામી. તે સિંહે નખ વડે મહિષાસુરને ચીર્યો. પછી તે રાક્ષસ મનુષ્ય મટીને સિંહ થયો. દેવીના સિંહને નખ વડે ચીરવાનો પ્રયત્ન કર્યો, તે જોઈ દેવી ક્રોધે ભરાયાં. ઝેરી બાણ તેમણે રાક્ષસ ઉપર ફેંક્યાં. હવે તે રાક્ષસ સિંહ મટીને હાથી થયો. પછી મનુષ્ય બની પર્વત શિખર ઉઠાવી દેવી પર ફેંકવા ગયો. દેવીએ તે શિખરના ટુકડેટુકડા કરી નાખ્યા અને અટ્ટહાસ્ય કરવાં લાગ્યાં. પછી એકાએક સિંહ ઊછળીને હાથી બનેલા રાક્ષસ પર કૂદ્યો, એટલે રાક્ષસ શરભ બનીને દેવીના સિંહને મારવા ગયો. દેવીએ શરભ પર તલવારનો ઘા કર્યો, દાનવે પણ દેવી પર ઘા કર્યો, બંને વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયું. રાક્ષસે હવે પાડાનું રૂપ લઈ શિંગડાંથી દેવી પર ઘા કરવા ગયો. તેનું રૂપ ભયાનક હતું. શિંગડાંથી અને પૂંછડાથી દેવીને ઇજા કરવા લાગ્યો. તે દુષ્ટ શિંગડાંથી અને પૂંછડાથી હસતાં હસતાં પથ્થરો ફેંકતો હતો. અભિમાની દૈત્યે દેવીને કહ્યું, ‘હવે તું ઊભી રહે. અત્યારે હું તને મારી નાખીશ. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે એટલે મારી સાથે યુદ્ધ કરવા આવી છે. તું મોહ પામી છે એટલે તારું બળ ઓસરી ગયું છે. તારો વધ કર્યા પછી દેવતાઓનો વધ કરીશ. એ કપટી દેવો સ્ત્રીને આગળ કરીને વિજયનાં સ્વપ્ન જુએ છે.’

દેવીએ કહ્યું, ‘મૂર્ખ, અભિમાન ન કર. યુદ્ધભૂમિમાં ઊભો રહે, ઊભો રહે. તને મારીને દેવતાઓને નિર્ભય કરીશ.’

આમ બોલી દેવી ત્રિશૂળ લઈને ધસ્યાં, આકાશમાંથી પુષ્પવર્ષા થઈ. બધાં યુદ્ધ નિહાળી રહ્યાં હતાં. મહિષાસુર તો માયાવી હતો એટલે ભગવતી પર અનેક રૂપ લઈ ઘા કરી રહ્યો હતો. ચંડિકાએ તેની છાતીમાં ત્રિશૂળ માર્યું. દેવીની આંખો રાતીચોળ હતી. ત્રિશૂળના ઘાથી દૈત્ય ભૂમિ પર પડી ગયો. ઘડીભર મૂર્ચ્છા પામીને તે પાછો ઊભો થયો અને પગ વડે પ્રહાર કરવા લાગ્યો. આમ કરતી વખતે તે ખૂબ હસીને ગર્જના કરતો હતો. એટલે દેવતાઓ બી ગયા. હવે જગદંબાએ હજાર આરાવાળું ચક્ર લીધું, રાક્ષસ સામે જ ઊભો હતો. ગર્જના કરીને તેમણે કહ્યું, ‘અરે અભિમાની, આ ચક્ર જો. તારું ગળું કાપી નાખશે. પછી તું યમલોક જઈશ.’ આમ કહી ભગવતીએ ચક્ર ફેંક્યું એટલે મહિષાસુરનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. તેના ગળામાંથી ગરમ લોહીનો પ્રવાહ નીકળ્યો તે પર્વતમાંથી વેગથી વહેતા ઝરણા જેવો હતો. મસ્તક કપાયા પછી ધડ ચકરાતું જમીન પર પડ્યું. પછી બળવાન સિંહ નાસી જતા દાનવોનું ભક્ષણ કરવા લાગ્યો. બચી ગયેલા દાનવોએ પાતાળનો રસ્તો લીધો. દાનવના મૃત્યુ પછી બધાને આનંદ આનંદ થયો. ચંડિકા પણ યુદ્ધભૂમિની બહાર જઈ એક પવિત્ર જગાએ બેઠાં. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા.

‘જગતની ઉત્પતિ, સ્થિતિ અને વિનાશ તમારા કારણે જ છે. તમારાં નામ કેટલાં બધા છે. — કીર્તિ, મતિ, સ્મૃતિ, ગતિ, કરુણા, દયા, શ્રદ્ધા, ધૃતિ, વસુધા, કમલા, અજપા, પુષ્ટિ, કલા, વિજયા, ગિરિજા, જયા, તૃષ્ટિ, પ્રભા, બુદ્ધિ, ઉમા, રમા, વિદ્યા, ક્ષમા, કાન્તિ, મેધા……

દેવતાઓની વિશેષ સ્તુતિ સાંભળીને દેવીએ કહ્યું, ‘આ સિવાય પણ બીજું કોઈ કાર્ય હો તો કહો. સંકટ સમયે મને યાદ કરજો.’ એમ કહી દેવી અંતર્ધાન થઈ ગયાં.