ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/કર્પૂરતિલક હાથી અને શિયાળની કથા

Revision as of 17:12, 17 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કર્પૂરતિલક હાથી અને શિયાળની કથા

બ્રહ્મારણ્યમાં કર્પૂરતિલક નામનો એક હાથી હતો. તેને જોઈને બધાં શિયાળ વિચારવા લાગ્યા, જો કોઈ પણ રીતે આ હાથી મરે તો એના આ શરીરમાંથી આપણને ચાર મહિનાનું ભોજન મળે. એક ઘરડા શિયાળે પ્રતિજ્ઞા કરી, હું મારી બુદ્ધિ વડે એનું મોત આણું. પછી તે શિયાળ હાથી પાસે સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો, ‘દેવ, મારા પર કૃપા કરો.’ હાથીએ પૂછ્યું, ‘તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?’ તેણે કહ્યું, ‘હું શિયાળ છું. વનનાં બધાં પ્રાણીઓએ ભેગાં મળીને મને મોકલ્યો છે. રાજા વિના રહેવું યોગ્ય ન ગણાય. તમે સ્વામીના બધા ગુણ ધરાવો છો, એટલે તમારો રાજા તરીકે અભિષેક કરવો છે… રાજા મેળવવો એ સૌથી પહેલી જરૂરિયાત છે. પછી સ્ત્રી અને ધન આવે. રાજા વિના પત્નીનું અને ધનનું રક્ષણ કેમ થાય? વરસાદ જેમ બધાંનો આધાર તેમ રાજા પણ બધાં પ્રાણીઓનો આધાર. વર્ષાઋતુમાં ધારો કે વરસાદ ન પડે તો પણ માણસ જીવી શકે પણ રાજા ક્રોધે ભરાય તો જીવવું મુશ્કેલ થઈ પડે. એટલે તમે મારી પાછળ પાછળ આવો.’ કર્પૂરતિલક હાથી પણ રાજા થવાના લોભે શિયાળની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મોટા ગારામાં દટાઈ ગયો. હાથીએ કહ્યું, ‘હે મિત્ર, હવે શું કરું? હું કીચડના ગારામાં દટાયો છું. પાછું વળીને મારી સામે જો.’ શિયાળે હસીને કહ્યું, ‘દેવ, મારી પૂંછડી પકડી બહાર નીકળો. મારા જેવા તુચ્છ પશુના વચન પર વિશ્વાસ રાખ્યો તો તેનું ફળ તમે ભોગવો.’ એટલે ઊંડા કાદવમાં દટાયેલો હાથી મૃત્યુ પામ્યો અને બધાં શિયાળ તેને ખાઈ ગયા.