ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/ગીધ અને બિલાડાની કથા

From Ekatra Wiki
Revision as of 17:10, 17 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગીધ અને બિલાડાની કથા

ભાગીરથીના કાંઠે ગૃધ્રકુટ નામનો પર્વત. તેના પર એક મસમોટો પીપળો. તેની બખોલમાં એક જરદ્ગવ નામનો ગીધ રહેતો હતો. તેના નખ અને આંખ દૈવયોગે બળી ગયા હતા. તેના ભરણપોષણ માટે ઝાડ પર રહેતાં બધાં પક્ષીઓ જીવદયાથી પ્રેરાઈને થોડો થોડો ભાગ આપતાં હતાં. આમ ગીધનો જીવનનિર્વાહ ચાલતો હતો અને તે પંખીઓનાં બચ્ચાંને સાચવતો હતો. એક વખત દીર્ઘકર્ણ નામનો બિલાડો પંખીઓનાં બચ્ચાંને ખાવાની ઇચ્છાથી ત્યાં આવ્યો. તેને જોઈને બચ્ચાં ચીસાચીસ કરવાં લાગ્યાં. એટલે ગીધે પૂછ્યું, ‘કોણ આવ્યું છે?’ ગીધને જોઈને બિલાડો ગભરાઈ ગયો, મનમાં બોલ્યો, ‘હવે મારું આવી બન્યું.’ જ્યાં સુધી ભય આવ્યો ન હોય ત્યાં સુધી એનાથી ગભરાવું, પણ ભય જોયા પછી એ દૂર કરવાનો ઉપાય કરવો. હવે નાસી જવાની મારામાં શક્તિ નથી. જે થવાનું હોય તે થાઓ. પહેલાં તો હું એનો વિશ્વાસ સંપાદિત કરું. પછી તેની પાસે જઉં.’ આમ વિચારી તે બોલ્યો, ‘આર્ય, તમને વંદન.’ ગીધે પૂછ્યું, ‘તું કોણ છે?’ ‘હું બિલાડો છું.’ ગીધે કહ્યું, ‘તું અહીંથી જતો રહે. નહીંતર હું તને મારી નાખીશ.’ બિલાડાએ કહ્યું, ‘પહેલાં મારી વાત તો સાંભળો. પછી મારી નાખવો હોય તો મારી નાખજો. શું કોઈ જાતિને કારણે પૂજાય છે? તેની ગતિવિધિ જાણ્યા પછી જ તે વધ્ય બને અથવા તેની પૂજા થાય.’ ગીધે પૂછ્યું, ‘તું અહીં શા માટે આવ્યો છે?’ બિલાડાએ કહ્યું, ‘હું ગંગાતીરે દરરોજ સ્નાન કરું છું, બ્રહ્મચારી છું. ચાંદ્રાયણ વ્રત કરું છું. તમે ધામિર્ક છો, વિશ્વાસપાત્ર છો, એમ બધાં પંખીઓ તમારાં વખાણ કરે છે. તમે વિદ્યાવાન છો, વડીલ છો એટલે તમારી પાસે જ્ઞાન મેળવવા હું આવ્યો છું. પણ તમે તો મને મારવા તૈયાર થયા છો. એવા ધર્મના જાણકાર? શત્રુ પણ આપણે ત્યાં અતિથિ થઈને આવે તો તેનો સત્કાર કરવો. વૃક્ષ પણ તેનો ધ્વંસ કરવા આવનાર પરથી પોતાની છાયા કાઢી લેતું નથી. ધનના અભાવે મીઠાં વચનથી પણ અતિથિનું પૂજન કરવું. બેસવા માટે સાદડી, વિશ્રામ માટે જમીન, પીવા માટે પાણી, મધુર વાણી — સજ્જનને ત્યાં આટલું તો હોવાનું. સાધુઓ નિર્ગુણ પ્રાણીઓ પર દયા કરે છે, ચંદ્ર ચાંડાલના ઘર ઉપરથી ચાંદની દૂર કરતો નથી. બ્રાહ્મણોનો ગુરુ અગ્નિ, અન્ય વર્ણોનો ગુરુ બ્રાહ્મણ, સ્ત્રીનો ગુુરુ એક જ પતિ, અને અભ્યાગત તો બધે જ ગુુરુ. જે ઘેરથી અતિથિ નિરાશ થઈને પાછો ફરે તે અતિથિ પોતાનું પાપ આપીને તેનું પુણ્ય લઈ જાય છે. ઉત્તમ જાતિને ત્યાં નીચ જાતિની વ્યક્તિ આવે તો પણ તેનો સત્કાર કરવો, કારણ કે અતિથિ દેવ છે.’ આ સાંભળી ગીધે કહ્યું, ‘બિલાડાઓને માંસ બહુ ભાવે છે. અહીં પંખીઓનાં બચ્ચાં રહે છે એટલે હું આમ કહું છું.’ આ સાંભળી બિલાડાએ કાને હાથ દઈ દીધા, જમીનને જમણો પગ અડકાડ્યો, ‘મેં ધર્મપ્રવચનો સાંભળી વૈરાગ્ય લીધો છે. ચાંદ્રાયણ વ્રત લીધું છે. પરસ્પર વિવાદ કરતાં ધર્મશાસ્ત્રો પણ એકી અવાજે અહિંસા પરમ ધર્મ છે એમ માને છે. જેઓ બધા પ્રકારની હિંસા ત્યજી દે છે, જે બધાં દુઃખ સહી લે છે, જે બધાને આશ્રય આપે છે તે સ્વર્ગે જાય છે. મરણ પછી તો આપણી સાથે ધર્મ જ આવે છે, બીજા બધા તો શરીર નાશ પામે એટલે નાશ પામે છે. જે બીજાનું માંસ ખાય છે તેનું શું થાય છે? ખાનારને ક્ષણિક આનંદ મળે છે અને બીજો જીવ ગુમાવે છે. હું મારીશ એવા વિચારથી માનવીને જે દુઃખ થાય છે તે કોઈ અનુમાન કરીને પણ કહી નહીં શકે. વનમાં ઊગેલા શાકભાજીથી પણ પેટ તો ભરાય છે તો પછી આ પાપી પેટ માટે વધારે મોટું પાપ શા માટે કરવું?’ આમ ગીધનો વિશ્વાસ જીતી લઈ તે ઝાડની બખોલમાં રહેતો થયો. આ દરમિયાન બિલાડો પંખીઓનાં બચ્ચાંને દરરોજ પકડતો અને ખાઈ જતો. જેમનાં બચ્ચાં નાશ પામ્યાં હતાં તે બધાં પંખીઓએ એ ઘટનાનું કારણ જાણવા પ્રયત્ન કર્યા. આની ખબર જેવી બિલાડાને પડી તેવો તે નાસી ગયો. પંખીઓને પેલી બખોલમાં બચ્ચાનાં હાડકાં મળ્યાં, એટલે તેમણે માની લીધું કે આ ગીધ જ આપણાં બચ્ચાંને ખાઈ ગયું છે. એટલે બધાં પક્ષીઓએ ભેગા મળીને તે ગીધને મારી નાખ્યું.’ આ સાંભળી શિયાળ ખીજાઈ ગયું, ‘મૃગ સાથે તારી પહેલી મુલાકાત થઈ ત્યારે તેને તારા વિશે પણ કશી માહિતી ન હતી. અને છતાં તમારો પ્રેમ દિવસે દિવસે વધતો કેમ ગયો? જ્યાં વિદ્વાન નથી ત્યાં થોડો બુદ્ધિશાળી પણ પૂજાય છે. જ્યાં વૃક્ષો ન હોય ત્યાં એરંડો પણ વૃક્ષ ગણાય. આ પોતાનો- આ પારકો એવો વિચાર તો મંદ બુદ્ધિવાળા ઠરે, ઉદાર લોકો તો આખી પૃથ્વીને પોતાનું કુટુંબ માને. જેમ આ મૃગ મારો મિત્ર છે તેવો તું પણ મિત્ર.’ આ સાંભળી મૃગે કહ્યું, ‘આમ સામસામી વાતો કરવાથી શું? બધા એકઠા મળીને સુખદુઃખની વાતો કરીશું. કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી, પ્રસંગ પડ્યે જ મિત્રો થાય, શત્રુ થાય.’ કાગડાએ કહ્યું, ‘ભલે ત્યારે.’ પછી બધાં પોતપોતાનાં સ્થાને ગયાં. એક દિવસ જ્યારે કાગડો ન હતો ત્યારે શિયાળે મૃગને કહ્યું, ‘મિત્ર, આ વનની બાજુમાં એક પાકેલા અનાજનું ખેતર છે. હું તને લઈ જઈને બતાવીશ.’ પછી શિયાળે મૃગને ખેતર બતાવ્કહ્યું. હવે મૃગ દરરોજ ત્યાં જઈને અનાજ ખાવા લાગ્યો. હવે ખેતરના માલિકે એક દિવસ અનાજ ખાઈ જતા મૃગને જોયો એટલે તેણે જાળ પાથરી. મૃગ જેવો ત્યાં અનાજ ખાવા આવ્યો કે તે જાળમાં ફસાઈ ગયો. મૃગ મનમાં બોલ્યો, ‘પારધીની આ જાળમાંથી મને મિત્ર સિવાય બીજું તો કોણ છોડાવી શકે?’ હવે શિયાળ તેની પાસે જઈને વિચારવા લાગ્યું, ‘ચાલો, મારી લુચ્ચાઈથી ઇચ્છા તો પાર પડી. આ મૃગનું ચામડું ઉતારી લેશે ત્યારે મને તેનાં માંસ અને લોહીભીનાં હાડકાં ખાવા મળશે. ઘણા દિવસ સુધી મને ઉજાણી કરવા મળશે.’ શિયાળને પાસે આવેલો જોઈ મૃગ આનંદમાં આવી જઈને બોલ્યો, ‘મિત્ર, પહેલાં તો આ જાળ કાપી નાખ અને મને બચાવ. આપત્તિમાં મિત્ર, યુદ્ધમાં શૂરવીર, દેવામાં શુદ્ધ દાનતવાળો, દ્રવ્ય ખલાસ થાય ત્યારે સ્ત્રી અને મુશ્કેલીમાં બંધુ- આ બધાંની કસોટી થાય. ઉત્સવમાં, સંકટમાં, દુકાળમાં, રાજ્યક્રાંતિમાં, રાજદ્વારે, સ્મશાને — જે પડખે ઊભો રહે તે જ સાચો બંધુ.’ પરંતુ આ શિયાળ જાળ જોતાં જોતાં વિચારે ચઢ્યો, ‘આ જાળ બહુ મજબૂત છે.’ પછી તેણે મૃગને કહ્યું, ‘આ જાળ આંતરડાંમાંથી બનાવી છે. આજે પવિત્ર દિવસ છે, તો મારા દાંત વડે એને સ્પર્શું કેવી રીતે? મારા વિશે કશી ગેરસમજ ન થતી હોય તો હું કાલે સવારે આ જાળ કાપીશ.’ એમ કહી ત્યાં જ તે લપાઈ રહ્યો. હવે કાગડાએ જોયું, સાંજ પડી ગઈ છે તો પણ મૃગ કેમ ન આવ્યો, આમતેમ તેની શોધ કરવા લાગ્યો, એમ કરતાં કરતાં તે જાળમાં સપડાયેલા મૃગ પાસે આવી ચડ્યો, ‘આ શું થયું?’ ‘મિત્રની શિખામણ ન માની તેનું આ પરિણામ. જે હિતેચ્છુ મિત્રનું હિતવચન સાંભળતો નથી તેને દુઃખી જ થવું પડે છે. તે માનવી શત્રુને આનંદ આપનાર જ થાય છે.’ કાગડાએ પૂછ્યું, ‘તે લુચ્ચો ક્યાં છે?’ મૃગે કહ્યું, ‘મારા માંસની ઇચ્છા કરતો આટલામાં જ ક્યાંક છુપાઈ ગયો હશે.’ કાગડાએ કહ્યું, ‘મેં પહેલાં જ તને કહ્યું હતું. મેં કોઈ અપરાધ કર્યો નથી એમ બોલનાર પર વિશ્વાસ ન કરાય. ગુણવાન લોકો પણ ઠગાઈ જતા હોય છે. જેમનું આયુષ્ય પૂરું થયું હોય તેઓ દીવો ઓલવાતાં આવતી દુર્ગંધ પારખી શકતા નથી, તેઓ મિત્રનું વચન સાંભળતાં નથી. અરુન્ધતીનો તારો જોઈ શકતા નથી. કોઈ ઘડામાં ઉપર અમૃત હોય અને અંદર ઝેર હોય એવાનો ત્યાગ કરવો જોઈએ.’ પછી નિસાસો નાખીને કાગડાએ કહ્યું, ‘અરે લુચ્ચા, આ પાપીએ શું કરી નાખ્યું? મધુર મધુર વાતો કરીને, ખોટા ખોટા ઉપચારો કરીને જેમને વશ કર્યા હોય એવા શ્રદ્ધાળુ અને આશાવાળા નિર્દોષોને ઠગવામાં શી મહત્તા? જે શુદ્ધ હૃદયવાળો છે, જે વિશ્વાસુ છે, જે ઉપકાર કરે છે તેની સાથે પાપાચરણ કરનારને હે ભગવતી પૃથ્વી, તું કેમ ધારણ કરે છે? દુર્જન સાથે મૈત્રી કેવી? તેને પ્રેમ ન કરાય. દુર્જન તો અંગારા જેવો છે. તે સળગતો હોય તો હાથ બાળે અને ઓલવાઈ ગયો હોય તો હાથ કાળા કરે. મચ્છર દુર્જનની જેમ પહેલાં પગે પડશે, પછી પીઠે ડંખ. દુર્જન મીઠું મીઠું બોલે તો પણ વિશ્વાસ ન કરવો, તેના જિહ્વાગ્રે મધ પણ હૃદયમાં હળાહળ ઝેર. સવારે કાગડાએ ખેતરના માલિકને ત્યાં આવતાં જોયો. તેના હાથમાં ધોકો હતો. જોઈને તરત જ કાગડાએ કહ્યું, ‘જો મૃગ, હવે તું જરાય હાલ્યાચાલ્યા વિના પડી રહેજે, જાણે તું મરી જ ગયો છે. હું જેવું કશુંક બોલું ત્યારે ઊઠીને તરત જ નાસી જજે.’ કાગડાએ જેવું કહ્યું તે પ્રમાણે મૃગે કર્યું. ખેડૂત મૃગને જોઈ હરખાયો, તેણે મરેલા મૃગને જોયો. ‘અરે, આ તો તેની જાતે જ મરી ગયો.’ એટલે તેણે તરત જ જાળમાંથી તેને બહાર કાઢી જાળ સમેટવા લાગ્યો. ત્યાં તરત જ કાગડો બોલ્યો એટલે મૃગ નાસી ગયો. તેને નાસતો જોઈ ખેડૂતે ધોકો ફેંક્યો પણ ધોકો હરણને ન વાગ્યો પણ શિયાળને જ વાગ્યો અને તે મરી ગયું.