ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/નંદક અને સંજીવક


નંદક અને સંજીવક

દક્ષિણ દેશમાં સુવર્ણવતી નામે નગરી. ત્યાં વર્ધમાન નામે વણિક રહેતો હતો. તે ધનવાન હતો છતાં બીજા જ્ઞાતિજનોને વધુ સમૃદ્ધ જોઈને મારે પણ વધુ પૈસો મેળવવો જોઈએ એવો વિચાર કર્યો. આમ વિચારી તે વણિક નંદક અને સંજીવક નામના બે બળદને ગાડે જોડી, અનેક પ્રકારની ચીજવસ્તુઓને લઈને નીકળી પડ્યો. પછી રસ્તામાં સંજીવક નામના બળદનો ઘૂંટણ ભાંગ્યો એટલે તે જમીન પર પડી ગયો. એટલે સંજીવકને ત્યાં જ વનમાં પડતો મૂકી બીજા નગરમાં જઈ એક હૃષ્ટપુષ્ટ બળદને લઈ આવી આગળ ચાલી નીકળ્યો. તેના ગયા પછી થોડા દિવસે સંજીવક બળદ ત્રણ પગ પર ભાર આપીને ઊઠતો થયો. ત્યાં નિરાંતે આહારવિહાર કરી વનમાં તંદુરસ્ત થયો અને આનંદમાં રહેવા લાગ્યો. તે વનમાં પિંગલક નામનો સિંહ રહેતો હતો. તે એક દિવસ ખૂબ તરસ્યો થઈ પાણી પીવા યમુના નદીના કાંઠે ગયો. ત્યાં એ પહેલાં કદી ન સાંભળેલો એવો સંજીવકનો અવાજ સાંભળ્યો. તે ગભરાઈ ગયો અને પાણી પણ ન પીતાં તે પોતાના સ્થાને જતો રહ્યો. તેને આવી ચકિત અવસ્થામાં કરટક અને દમનક નામના બે શિયાળે જોયો. દમનક કરટકને કહેવા લાગ્યો, ‘અરે, આ આપણો રાજા તરસ્યો હોવા છતાં પાણી પીધા વિના અહીં આવીને મૂગોમંતર કેમ બેઠો છે?’ કરટકે કહ્યું, ‘આપણને તો એની સેવા કરવી ગમતી જ નથી, તો પછી તે શું કરે છે તેની ચિંતા આપણે શા માટે કરવી? આપણો કોઈ પણ વાંકગુનો નહીં અને છતાં આપણું અપમાન કર્યું છે અને આપણે બહુ દુઃખ ભોગવ્યું છે.’ આ સાંભળી દમનકે તેને સમજાવ્યો. ‘મનમાં આવો વિચાર પણ નહીં આણવો. એમ કહી તેણે ખીલો ખેંચનાર વાનરની કથા કહી. એ પછી એક ગધેડાની કથા કહી.