ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/અગસ્ત્ય ઋષિનો યજ્ઞ


અગસ્ત્ય ઋષિનો યજ્ઞ

(વૈશમ્પાયન જનમેજયને દાનનો મહિમા સમજાવતી વખતે આ કથા કહે છે)

ભૂતકાળમાં બધાં પ્રાણીઓ પ્રત્યે અનુકંપા ધરાવતા અગસ્ત્ય મુનિએ બાર વર્ષ ચાલે એવા યજ્ઞની દીક્ષા લીધી. તે મહાયજ્ઞમાં અનેક પ્રકારના તેજસ્વી ઋષિઓએ ભાગ લીધો હતો. સાથે સાથે ત્યાં યાચકો પણ હતા. એ યજ્ઞ માટે અગસ્ત્ય ઋષિએ યથાશક્તિ અન્ન ભેગું કરી રાખ્યું હતું, વિધિ પ્રમાણે બધું થઈ રહ્યું હતું. કશું જ અયોગ્ય ન હતું, અને છતાં ઇન્દ્રે વર્ષા ન કરી. યજ્ઞમાં વચ્ચે વચ્ચે મુનિગણ ચર્ચા કરવા લાગ્યા, ‘આ આપણા યજમાન નિરભિમાની બનીને અન્નદાન તો કરે જ છે, પરંતુ વરસાદ પડતો નથી, તો ખેતરોમાં અનાજ પાકશે કેવી રીતે? આ ઋષિનો યજ્ઞ તો બાર વરસ ચાલવાનો, તો બાર વરસ સુધી ઇન્દ્ર વરસાદ નહીં મોકલો તો માત્ર હું માનસ યજ્ઞ કરીશ, યજ્ઞનો સનાતન વિધિ એવો જ છે. જો ઇન્દ્ર બાર વરસ સુધી વરસાદ નહીં મોકલે એટલે તમે બધા વિચાર કરીને આ દિશામાં કશુંક કરો.’ આ સાંભળી અગસ્ત્ય ઋષિએ બધાને પ્રણામ કરીને કહ્યું, ‘જો ઇન્દ્ર બાર વરસ સુધી વરસાદ નહીં મોકલે તો હું નિયમોનું પાલન કરીને બીજા યજ્ઞ કરીશ. મેં કેટલાંય વરસોથી આ બીજયજ્ઞ ભેગું કર્યું છે, તે બીજ વડે યજ્ઞ પૂરો કરીશ. આમાં કોઈ વિઘ્ન નહીં નડે આ યજ્ઞને નિષ્ફ્ળ કરવાની શક્તિ કોઈનામાં નથી. ઇન્દ્ર વર્ષા કરે તો ઠીક છે, નહીં તો તેમને દેવતાઓની વચ્ચે સ્થાન નહીં આપીએ. અને આ બધું કરવા છતાં પણ જો ઇન્દ્ર પ્રસન્ન નહીં થાય તો હું પોતે ઇન્દ્ર બનીને પ્રજાને જીવતી રાખીશ. દરેકને પૂરતો આહાર મળી રહેશે. ત્રણે લોકમાં જે કંઈ સુવર્ણ કે બીજું ધન હોય તો બધાં ધન અહીં આવી ચઢે. દિવ્ય અપ્સરાઓ, ગંધર્વ, કિન્નર, વિશ્વાવસુ તથા બીજા ગંધર્વો અહીં આવી ચઢશે. ઉત્તર કુરુક્ષેત્રમાં જે કંઈ ધન છે તે બધું અહીં મળશે. સ્વર્ગ, સ્વર્ગવાસી દેવતા, ધર્મ પોતે અહીં આવશે.

અગસ્ત્યે જેવું કહ્યું હતું તેવું બધું થયું. તે મુનિનું તપોબળ જોઈને ઋષિઓ પ્રસન્ન થયા, આશ્ચર્યચકિત થયા અને તે બોલ્યા, ‘હે મુનિ, તમારી વાતોથી અમને ખૂબ જ પ્રસન્નતા થઈ છે, પરંતુ અમે તમારા તપનો વિનાશ કરવા માગતા નથી. તમારા આ યજ્ઞથી અમે સંતુષ્ટ છીએ અને ન્યાયી અન્નથી જ ઇચ્છા રાખીએ છીએ. અમે યજ્ઞ, દીક્ષા, હોમ અને બીજાં જે કાર્ય કરવા માગીએ છીએ તે બધું અહીં છે. અમે તો ન્યાયથી મેળવેલાં અન્નથી થતો યજ્ઞ ઇચ્છીએ છીએ. બીજા કશાની અપેક્ષા નથી. ન્યાયથી મેળવેલું અન્ન જ અમારું ભોજન છે. આ કાર્યમાં જોડાયેલા રહીશું. બ્રહ્મચર્યનું પાલન કરીને ન્યાય પ્રમાણે વેદ પ્રાપ્ત કરીશું. અમે નિયમ પ્રમાણે જ ઘરબાર છોડીને આવ્યા છીએ, ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ તપ કરીશું. તમને અહિંસક બુુદ્ધિ જ પ્રિય છે. એટલે અમે તમારા પર પ્રસન્ન થઈશું. તમારો યજ્ઞ પૂરો થાય ત્યારે તમે અમને વિદાય આપશો અને અહીંથી નીકળીને પોતપોતાને ઘેર જઈશું.’

ઋષિમુનિઓ આમ વાતો કરી રહ્યા હતા ત્યારે દેવરાજ પુરન્દરે મહર્ષિનું તપોબળ જોઈને વરસાદ મોકલ્યો. અને અગસ્ત્ય ઋષિનો યજ્ઞ પૂરો થયો ત્યાં સુધી ઇન્દ્ર વરસાદ મોકલતા રહ્યા. ઇન્દ્રે બૃહસ્પતિને આગળ રાખીને અગસ્ત્ય ઋષિ પાસે આવી તેમને પ્રસન્ન કર્યા. યજ્ઞ પૂરો થયા પછી અગસ્ત્ય મુનિએ પ્રસન્ન થઈને ઋષિમુનિઓને વિધિવત્ વિદાય કર્યા.

(આશ્વમેધિક પર્વ, અધ્યાય ૯૫)