ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઉચાવતીની અને અરુન્ધતીની કથા

From Ekatra Wiki
Revision as of 09:44, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉચાવતીની અને અરુન્ધતીની કથા

ભરદ્વાજ મુનિની પુત્રી ઉચાવતી અત્યન્ત સુંદર અને નાનપણથી બ્રહ્મચારિણી હતી. દેવરાજ ઇન્દ્રને પતિ બનાવવાનો નિશ્ચય કરીને તે કઠોર તપ કરી રહી હતી. સ્ત્રીઓ માટે અસામાન્ય કહેવાય, એવા અનેક નિયમોનું પાલન કરતાં કરતાં વર્ષો વીત્યાં. છેવટે તેના તપ, નિયમ, આચરણ, પ્રેમ જોઈને ઇન્દ્ર પ્રસન્ન થયા, તેઓ વસિષ્ઠનું રૂપ લઈને તેના આશ્રમમાં આવ્યા. તે કન્યાએ વિધિ પ્રમાણે તેમની પૂજા કરી. પછી તેણે પૂછ્યું, ‘બોલો, તમારી શી આજ્ઞા છે? જે આજ્ઞા હશે તે યશાશક્તિ પૂરી કરીશ. મારી ભક્તિ ઇન્દ્રમાં વિશેષ છે એટલે હું મારો હાથ તો તમને આપી નહીં શકું. મેં પ્રતિજ્ઞા કરી છે કે વ્રત, નિયમ, તપથી ત્રણે લોકના ઈશ્વર એવા ઇન્દ્રને પ્રસન્ન કરીશ.’

તે કન્યાનું આવું વચન સાંભળી ઇન્દ્ર તેની સામે જોઈને હસ્યા અને તેના વ્રતનિયમ જાણીને તેને સાંત્વન આપતાં બોલ્યા, ‘તું ઘોર તપ કરી રહી છે. દૃઢ સંકલ્પ કરીને તેં આ વ્રત આદર્યું છે. એ પાર પડશે. જગતમાં તપ વડે જ બધું પાર પડે છે, તપમાં જ બધું છે. આમ વિચારીને મનુષ્ય ઘોર તપ કરતાં કરતાં મૃત્યુ પામે છે અને દેવ બને છે. હવે મારી વાત સાંભળ. આ પાંચ બોર તને આપું છું, તેને તું પકવ.’

પછી તેને પૂછીને આશ્રમથી થોડે દૂર આવેલા ઇન્દ્રતીર્થમાં જઈને જપ કરતા બેઠા. તે કન્યાએ પવિત્ર થઈને આગ સળગાવી બોરને પકવવા શરૂ કર્યા: એમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો પણ બોર પાક્યા નહીં. હવે સળગાવવા માટે લાકડાં પણ ન રહ્યાં, ત્યારે તેણે આગમાં પોતાનું શરીર હોમવા માંડ્યું. પછી તેણે પહેલાં તો પોતાના બે પગ સળગાવ્યા. સળગતા પગને ધીરે ધીરે આગમાં ધકેલતી હતી, અને વસિષ્ઠને પ્રસન્ન કરવા આવું ઘોર કર્મ કર્યું અને સળગતા પગ દઝાડતા હતા તેનો વિચાર પણ ન કર્યો.

આ જોઈને ઇન્દ્ર પ્રસન્ન થયા અને તે કન્યા આગળ પ્રગટ થયા, ‘તારી ભક્તિ, તારાં તપ અને નિયમથી હું પ્રસન્ન થયો છું. તારા મનની ઇચ્છા પૂરી થશે. હવે આ શરીર ત્યજીને તું સ્વર્ગમાં મારી સાથે રહીશ. આ તીર્થનું નામ બદરપાચન રહેશે.’

ભૂતકાળમાં આ તીર્થ પર અરુન્ધતીને મૂકીને સપ્તષિર્ હિમાલય જતા રહ્યા હતા. પછી ત્યાં જઈને નિર્વાહ માટે એ મુનિ ફળમૂળ લાવવાં વનમાં ગયા. હિમાલયના વનમાં રહેતા હતા ત્યારે ત્યાં બાર વર્ષ સુધી વરસાદ ન પડ્યો. તે ઋષિઓ ત્યાં આશ્રમ ઊભો કરીને જ રહેતા હતા. અરુંધતી પણ તપ કરતી રહી. તેનું કઠોર તપ જોઈને શંકર ભગવાન પ્રસન્ન થયા, તે બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા અને બોલ્યા, ‘તમે મને ભિક્ષા આપો.’

અરુન્ધતીએ કહ્યું, ‘અમારે ત્યાં અત્યારે અન્ન નથી એટલે આ બોર ખાઓ.’

‘આ બોર શેકી આપ.’

અરુન્ધતી બ્રાહ્મણને પ્રસન્ન કરવા સળગતી આગમાં બોર શેકવા લાગી. ત્યારે તેને દિવ્ય-પવિત્ર કથાઓ સંભળાતી થઈ. બાર વર્ષની ભયાનક અનાવૃષ્ટિ પૂરી થઈ ગઈ. કશું ખાધાપીધા વિના તે કથાઓ સાંભળતી રહી. એ બાર વર્ષ એક દિવસની જેમ વીતી ગયા. પછી સપ્તષિર્ પણ ફળ લઈને પાછા ફર્યા. શંકર ભગવાને પ્રસન્ન થઈને અરુન્ધતીને કહ્યું, ‘તું પહેલાં જેવી રીતે આ મુનિઓની સાથે જતી હતી તેવી જ રીતે જા. તારા તપ-નિયમથી હું પ્રસન્ન છું.’

પછી શંકર ભગવાન પોતાના રૂપમાં ત્યાં પ્રગટ થયા. સપ્તષિર્ઓને અરુન્ધતીની કથા સંભળાવી. ‘તમે હિમાલયમાં જે તપ કર્યું અને અરુન્ધતીએ ઘરમાં રહીને જે તપ કર્યું તે સમાન ન કહેવાય. અરુન્ધતીએ ઘોર તપ કર્યું, બાર વર્ષ સુધી કશું ખાધુંપીધું નહીં અને બોર સેકવામાં સમય વીતાવ્યો.’

પછી ભગવાને અરુન્ધતીને કહ્યું, ‘તારા મનમાં જે ઇચ્છા હોય તે માગ.’

મહાદેવની વાત સાંભળીને તામ્રવર્ણી આંખો ધરાવતી અરુન્ધતી બોલી, ‘જો તમે પ્રસન્ન થયા હો તો વરદાન આપો કે આ તીર્થનું અદ્ભુત ફળ સિદ્ધ થાય. જે ત્રણ રાત પવિત્ર થઈને અહીં રહી ઉપવાસ કરે તેન બાર વરસના ઉપવાસનું ફળ મળે.’

‘ભલે’ કહીને શંકર સ્વર્ગલોકમાં જતા રહ્યા. અરુન્ધતી ભૂખીતરસી હોવા છતાં થાકી ન હતી, ઝાંખી પડી ન હતી. એ જોઈને ઋષિઓ નવાઈ પામ્યા. અહીં પતિવ્રતા અરુન્ધતીને આ તીર્થમાં પરમ સિદ્ધિ સાંપડી હતી તેવી રીતે તેં પણ અહીં વ્રત કર્યું. પણ તેં આ વ્રતમાં વધુ આત્મસમર્પણ કર્યું છે, એટલે તને અરુન્ધતીને આપેલ વરદાન કરતાંય વિશેષ વરદાન આપું છું. જે આ તીર્થમાં એક જ રાત રહીને સ્નાન કરશે તે મૃત્યુ પછી દુર્લભ લોકમાં જશે.’

આમ ઉચાવતીને વરદાન આપીને ઈન્દ્ર સ્વર્ગે ગયા. તેમના જવાની સાથે પવિત્ર, સુવાસિત ફૂલોની વર્ષા થઈ. આકાશમાંથી દુન્દુભિનાદ થયો. પવિત્ર, સુગંધિત પવન વાયો. તે પોતાનું શરીર ત્યજીને ઈન્દ્રની પત્ની બની.

આ સુચાવતીની માતા ઘૃતાચી અપ્સરા હતી, એક દિવસ તેને જોઈને મુનિને વીર્યાવ થયો. ઋષિએ તે વીર્ય હાથમાં લેવા ગયા પણ તે પડિયામાં પડી ગયું, તેમાંથી આ ઉચાવતી પ્રગટી. ઋષિએ તેના બધા સંસ્કાર કર્યા, નામકરણ કર્યું અને પછી આશ્રમમાં મૂકીને હિમાલયમાં તપ કરવા જતા રહ્યા.


(શલ્ય પર્વ, ૪૭)