ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઊંટની દૃષ્ટાંતકથા


ઊંટની દૃષ્ટાંતકથા

પ્રાજાપાત્ય યુગમાં એક મહાન ઊંટ હતું, તેને પૂર્વજન્મની સ્મૃતિ હતી; અરણ્યમાં તેણે વ્રત આદરી મોટું તપ કર્યું. તપ પૂરું થયું એટલે પિતામહ બ્રહ્મા પ્રસન્ન થયા; તેને વરદાન માગવા તેમણે કહ્યું, ઊંટે કહ્યું, ‘હે ભગવન્, તમારી કૃપાથી મારી ગરદન લાંબી થાય. હું ચરવા જઉં તો સો યોજન આગળની ખાદ્ય વસ્તુઓ ગ્રહણ કરી શકું.’ વરદાતા બ્રહ્માએ ‘તથાસ્તુ’ કહ્યું. ઊંટ પણ ઉત્તમ વર પામી પોતાના વનમાં ગયો. તે દુર્મતિ ઊંટે તે સમયે વરદાનના પ્રભાવથી આવવા જવામાં આળસ કરી. તે દુરાત્મા કાળથી મોહ પામીને ચરવા જવા માગતો ન હતો. એક સમયે તે સો યોજન લાંબી ગ્રીવા પ્રસારી નિ:શંક ચિત્તે ચરી રહ્યો હતો. તે સમયે ભારે પવન ફુંકાયો. તે ઊંટે માથું અને ગરદનને કંદરાની વચ્ચે નાખ્યાં. તે જ વેળા કોઈ શિયાળ ભીંજાયું અને ભૂખ્યું થયું. તે કષ્ટમાં આવી પડ્યું. પોતાની માદા સાથે તે ગુફામાં પ્રવેશ્યું. તે માંસજીવી શિયાળ થાક અને ભૂખે પીડાઈને ઊંટની ગરદન જોઈ તેનું ભક્ષણ કરવા લાગ્યું. ઊંટે જ્યારે આ જોયું ત્યારે ભારે દુઃખી થઈને ગરદન સમેટવા લાગ્યું, પોતાની ગરદનને ઉપર નીચે કરી રહ્યું હતું ત્યાં સુધીમાં તો શિયાળે અને તેની માદાએ તેનું ભક્ષણ કરી લીધું. આમ તે શિયાળ ઊંટને મારી નાખીને વર્ષા અને પવન શમ્યાં ત્યારે ગુફામાંથી બહાર નીકળ્યું.


(શાન્તિપર્વ, ૧૧૩)