ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/અગ્નિ અને સહદેવ

Revision as of 16:47, 24 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અગ્નિ અને સહદેવ

(રાજસૂય યજ્ઞ કરતાં પૂર્વે પાંડવો દિગ્વિજય કરવા નીકળી પડે છે, સહદેવ નીલ રાજા સાથે યુદ્ધ કરે છે ત્યારે સહદેવની સેના ભડકે બળવા માંડે છે ત્યારે તેનું રહસ્ય એક કથા દ્વારા પ્રગટ થાય છે.) માહિષ્મતી નગરીમાં રહેતા અગ્નિદેવ નીલ રાજાની પુત્રી સુદર્શના પ્રત્યે મોહ પામ્યા. રાજા નીલની આ કન્યા અતિ સુંદર હતી, તે હંમેશાં પિતાના અગ્નિહોત્રગૃહમાં અગ્નિ પ્રગટાવવા માટે ઉપસ્થિત રહેતી હતી. હવા નાખવા છતાં અગ્નિ પ્રગટતો ન હતો, તે કન્યા જ્યારે પોતાના હોઠ વડે હવા ફૂંકે તો જ અગ્નિ પ્રગટતો હતો. ત્યાર પછી અગ્નિદેવ સુદર્શના પ્રત્યે આકર્ષણ અનુભવતા થયા. આ વાતની જાણ રાજાને તથા પ્રજાને થઈ. એક દિવસ અગ્નિદેવે બ્રાહ્મણનું રૂપ લઈને સ્વચ્છંદે ઘૂમતાં ઘૂમતાં તે કન્યા પાસે આવીને પોતાની કામેચ્છા પ્રગટ કરી. ધર્માત્મા નીલે શાસ્ત્ર પ્રમાણે તે બ્રાહ્મણ પર અંકુશ જમાવી દીધો. એટલે અગ્નિ પોતાના મૂળ રૂપમાં આવીને છંછેડાઈ ઊઠ્યા. રાજા એ જોઈને અચરજ પામ્યા અને પૃથ્વી પર મસ્તક ટેકવી પ્રણામ કર્યા. પછી વિવાહકાળ આવ્યો ત્યારે પોતાની કન્યા અગ્નિને આપી, અને આને કારણે અગ્નિ રાજા પર પ્રસન્ન થયા. રાજાને અગ્નિદેવે વરદાન માગવા કહ્યું. રાજાએ પોતાની સેના માટે અભયદાન માગ્યું, ત્યાર પછી જે કોઈ રાજા નીલ રાજાની નગરી પર આક્રમણ કરે તો અગ્નિદેવ તે રાજાની સેનાને સળગાવી દેતા હતા. તે સમયે માહિષ્મતી નગરીમાં પુરુષો સ્ત્રીની પસંદગી કરી શકતા ન હતા, સ્ત્રીઓ જાતે જ પોતાનો સાથી પસંદ કરી લેતી હતી. અગ્નિદેવે પણ ત્યાંની સ્ત્રીઓને વરદાન આપીને તેમને પસંદગી કરી લેવાની સ્વતંત્રતા બક્ષી. ત્યાર પછી કોઈ રાજા માહિષ્મતી નગરી પર અગ્નિના ભયને કારણે આક્રમણ કરતા ન હતા. (સભાપર્વ, ૨૮)