ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/પદ્માવતીનું પાણિગ્રહણ

Revision as of 17:08, 13 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્માવતીનું પાણિગ્રહણ
એટલે ‘તે કન્યાઓ મારામાં અનુરક્ત નથી’ એમ સમજીને ધમ્મિલ્લ ત્યાંથી નીકળ્યો, અને કનકવાલુકા નદીના કિનારે કિનારે ચાલતો સંવાહ નામે જંગલી કર્બટ (પહાડી ગામ)માં આવી પહોંચ્યો. ત્યાં ચંપાનગરીના રાજાનો ભાઈ અને કપિલા નામે રાણીના પેટે જન્મેલો સુદત્ત નામે રાજા હતો. તેની રાણી વસુમતી અને પુત્રી પદ્માવતી નામે હતી. ધમ્મિલ્લ એ કર્બટમાં પ્રવેશ્યો, અને જોયું તો, એક સ્ત્રી શૂળના રોગથી કંપતી બેઠી હતી. તેને જોઈને અનુકંપા પામેલા ધમ્મિલ્લે તેની વાતપિત્તાદિક પ્રકૃતિ જાણીને અનુકૂળ ઔષધ આપ્યું. એથી તે સ્વસ્થ થઈ ગઈ. પછી ધમ્મિલ્લ નગરમાં પ્રવેશ્યો. તેણે કરેલા આ ઉત્તમ કાર્યની વાત રાજાએ સાંભળી. પછી રાજાએ તેને પોતાના ભવનમાં બોલાવ્યો, અને ત્વચાના રોગથી કુરૂપ બનેલી પોતાની પુત્રી પદ્માવતી તેને સોંપીને કહ્યું, ‘આર્યપુત્ર! આને સાજી કરો.’ શુભ તિથિ, કરણ અને મુહૂર્તમાં ધમ્મિલ્લે તેના ઉપચારનો પ્રારંભ કર્યો. પોતાનાં કર્મોના ઉપશમથી તથા ઔષધોના પ્રભાવથી રાજકન્યાનું શરીર પહેલાંના જેવું થયું, અને તે લક્ષ્મી સમાન રૂપવાળી બની. સન્તુષ્ટ થયેલા રાજાએ તે કન્યા ધમ્મિલ્લને આપી, અને શુભ દિવસે તેમનું લગ્ન થયું. તેની સાથે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધી પાંચ પ્રકારના માનુષી કામભોગો ભોગવતો ધમ્મિલ્લ રહેવા લાગ્યો.