ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વિદ્યુન્મતી-વિદ્યુલ્લતા - પાણિગ્રહણ


વિદ્યુન્મતી-વિદ્યુલ્લતા અને બીજી સોળ કન્યાઓનું પાણિગ્રહણ
એક વાર ધમ્મિલ્લ આનંદપૂર્વક અગાશીમાં બેઠો હતો ત્યારે એક વિદ્યાધરકન્યા આકાશમાર્ગે ઊડતી આવી. રૂપ અને તેજને કારણે વીજળીની જેમ તે ધમ્મિલ્લની આગળ ઊભી રહી. તેણે કહ્યું, ‘હે આર્યપુત્ર! મારા જાણવામાં આવ્યું છે કે વિદ્યાસાધન કરતા મારા નિરપરાધ ભાઈ કામોન્મત્ત વિદ્યાધરને તમે મારી નાખ્યો છે. દયાવાન અને સ્વભાવથી કોમળ હૃદયવાળા તમારે માટે નિરપરાધીનો વધ કરવાનું કાર્ય શું યોગ્ય છે?’ ધમ્મિલ્લે કહ્યું, ‘હે સુન્દરિ! વધ કરવાના ઇરાદા સિવાય, અજાણપણે જ મેં તે વાંસનું જાળું કાપી નાખ્યું. તેમાં તારો ભાઈ મરણ પામ્યો, એમાં મારો દોષ નથી. કર્મોની ભવિતવ્યતાથી તેનું અવસાન થયું.’ એટલે તે બોલી, ‘આર્યપુત્ર! એમ જ છે. મને પેલી કન્યા મિત્રસેનાએ બધી હકીકત જણાવી. અમે તે મિત્રસેનાને કહ્યું કે, ‘સુન્દરિ! એ પુરુષને અહીં તેડાવ.’ એટલે હર્ષથી અત્યંત ત્વરા કરતી તેણે તમારી સાથે પ્રથમ કરેલા સંકેત અનુસાર ભૂલથી શ્વેત પતાકા ચડાવી. એ જોઈને તમે ચાલ્યા ગયા. તમને આવતાં કેમ મોડું થયું? એમ વિચારીને અમે સર્વેએ સંભ્રમપૂર્વક તમને શોધ્યા, પરન્તુ ક્યાંય તમે જોવામાં ન આવ્યા. એટલે તે બધીઓએ મને મોકલી કે, ‘જા, તે પુરુષની તપાસ કર.’ એટલે ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ અને મંડબો (તુચ્છ ગામો)માં ઊડતી અને તમારી શોધ કરતી આ ચંપાપુરીમાં હું આવી. પૂર્વે કરેલાં રહ્યાંસહ્યાં સત્કર્મોને પરિણામે મેં તમને જોયા. મારી બહેન સહિત હું તથા તે સોળે કન્યાઓ તમારી આજ્ઞાકારી છીએ. એમ કહીને નીલકમળના જેવી કાન્તિવાળા આકાશમાં તે ઊડી. જઈને થોડી જ વારમાં તે સર્વે કન્યાઓની સાથે પાછી આવી. તે સર્વેની સાથે ધમ્મિલ્લનો વિવાહ થયો. લગ્ન થઈ રહેતાં તે સર્વ કન્યાઓની સાથે પ્રીતિસુખ અનુભવતો તે રહેવા લાગ્યો.