ભારતીયકથાવિશ્વ-૫/ભારતની લોકકથાઓ/બે મિત્રો અને ખજાનો

From Ekatra Wiki
Revision as of 04:43, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બે મિત્રો અને ખજાનો

બે મિત્રોને ક્યાંકથી ખજાનો મળી ગયો. બંનેએ વિચાર્યું, આવતી કાલે શુભ ચોઘડિયામાં લઈ આવશું. પણ એક મિત્ર પહેલાં જ ત્યાં પહોંચી ગયો અને ખજાનો લઈ લીધો, તેની જગ્યાએ કોલસા ભરી દીધા. બીજે દિવસે તેઓ બંનેએ ત્યાં જઈને જોયું તો કોલસા હતા. આ જોઈ પહેલો મિત્ર બોલ્યો, શું કરીએ? આપણું નસીબ વાંકું છે, ખજાનાનો કોલસો થઈ ગયો. બીજામિત્રને બધો ખ્યાલ આવી ગયો પણ તે વખતે કશું બોલ્યો નહીં.

પછી તેણે ધૂર્ત મિત્રની એક મૂર્તિ બનાવી અને ક્યાંકથી બે વાંદરા લઈ આવ્યો. તે મૂર્તિ ઉપર ખાવાનું મૂકી દેતો અને વાંદરા તે મૂર્તિ ઉપર ચઢીને ખાતા. એક દિવસ તેણે ભોજન કરાવ્યું અને પોતાના મિત્રના બે પુત્રોને ઘેર લઈ આવ્યો અને બંનેને સંતાડી દીધા. પૂછ્યું એટલે કહ્યું, પુત્રો વાંદરા બની ગયા છે. ધૂર્તના પુત્રો ઘેર પાછા ન ફર્યા એટલે તે મિત્રના ઘેર પહોંચ્યો. તેના મિત્રે ધૂર્તને દીવાલ પાસે બેસાડીને વાંદરાઓને છૂટા મૂક્યા. વાંદરા તેના માથે ચઢીને કૂદવા લાગ્યા. વાંદરા તરફ જોઈને તેણે મિત્રને કહ્યું, ‘આ તારા પુત્ર છે.’ ધૂર્તે કહ્યું, ‘બાળકો વાંદરા કેવી રીતે બની ગયા?’ મિત્રે ઉત્તર આપ્યો, ‘જેવી રીતે ખજાનાના રૂપિયા કોલસા બની ગયા તેવી રીતે.’