ભારતીયકથાવિશ્વ-૫/ભારતની લોકકથાઓ/વણકરકન્યા અને રાજકુમારી


વણકરકન્યા અને રાજકુમારી

કોઈ નગરમાં એક વણકર રહેતો હતો. તેને ત્યાં કેટલાક ધૂર્ત કાપડ વણતા હતા. એક ધૂર્ત બહુ મધુર અવાજે ગીત ગાયા કરતો હતો. વણકરની દીકરી તેનું ગાયન સાંભળીને તેના પર મોહી પડી. ધૂર્તે કહ્યું, ‘ચાલો, ક્યાંક ભાગી જઈએ. નહીંતર કોઈને ખબર પડી જશે.’

વણકરકન્યાએ કહ્યું, ‘મારી સખી એક રાજકુમારી છે. અમે બંનેએ એવું નક્કી કર્યું છે કે આપણે બંને એક જ યુવાન સાથે પરણીશું. એના વિના મારાથી કેવી રીતે નીકળાય?’

ધૂર્તે કહ્યું, ‘તો એને પણ બોલાવ.’

વણકરકન્યાએ પોતાની એક સખી દ્વારા રાજકુમારીને સંદેશો મોકલ્યો. તે પણ આવી ગઈ. ત્રણે વહેલી સવારે સવારે ભાગી નીકળ્યા. તે વખતે કોઈએ ગાથા સંભળાવી. ‘અરે આમ્ર વૃક્ષ, જો કણેરનાં વૃક્ષ ખીલી ઊઠ્યાં છે તો તું અત્યારે ખીલવા લાયક નથી. હલકા લોકો જે કાર્ય કરે તેવું કાર્ય તું પણ કરીશ?’

આ સાંભળી રાજકુમારી વિચારવા લાગી, ‘આંબાને વસંત ઋતુ ઠપકો આપે છે. બધાં વૃક્ષોમાં નિમ્ન કક્ષાનું કનેર પણ ખીલી ઊઠે તો તારા જેવા ઉત્તમ વૃક્ષને પુષ્પિત થવાથી શો લાભ? શું આ વસંતનો સાદ મેં નથી સાંભળ્યો? વણકરકન્યા જે કામ કરે છે તેનું અનુકરણ મારે શા માટે કરવું?’ એમ વિચારી રત્નો લેવાનું બહાનું કાઢી તે રાજમહેલમાં પાછી પહોંચી ગઈ.