મણિલાલ હ. પટેલનાં કાવ્યો/સારણેશ્વરમાં સાંજે

સારણેશ્વરમાં સાંજે


વનવટો પામેલાં
પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે
સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં.

ભીને પગલે વહી જતી ઓસરતી નદી
ઊભી રહી જાય કદીકકદી
વૃક્ષોની જાંબુડી છાયાઓ તરે જળમાં
એકલા ધડ જેવાં ધૂળિયાં ખંડેરો પર
ચૂંદડીના પાલવની ઝળહળતી કથ્થઈ ભાતનું તોરણ,
સુકાયેલાં અશ્રુ જેવાં તોળાઈ રહેલાં શિલ્પો
મૈથુનમગ્ન શિલ્પયુગલ પર
સુક્કાખંખ સમયની હવડ જીભ ફુગાયેલી
તડકાનો કાચિંડો રંગો બદલે

ઢગલો થઈ પડેલો રાતા સમયનો કર્બૂર રથ
જીર્ણ મંદિરના પ્રાંગણમાં,
કબૂતરિયા રંગો રઝળે હવામાં
ટહુકતાં પુષ્પો સલામ સરખું ખરી પડ્યાં છે
થોડીક કીડીઓ તડકાના શબને દરમાં લઈ જવા મથે.

વાદ્ય જેવું જંગલ
રસ્તા વચ્ચે આંધળી ચાકણ થૈને સૂતું છે
લક્કડખોદ મને ખોદ્યા કરે
ક્યાંક કૂંપળમાં કષ્ટાતી હશે મારી કવિતા?
કાલે કદાચ
પુષ્પોને લઈને પતંગિયાં
છવાઈ જશે જંગલ ઉપર...
...!