મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પોળોના પ્હાડોમાં (૩)
Jump to navigation
Jump to search
મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો
મને આપો પાછાં રુધિર રમતાં આદિમ વનો.
મને ઘેરી લે છે સરિત, તરુ, પ્હાડો, ગીચ વનો
મને શોધે મારાં હરિતવરણાં ગ્રામીણ જનો.
સંબંધો સન્દર્ભો ઉતરડી અને નાગરજનો
નર્યા સ્વાર્થે શોષે, નગર-રણની સંસ્કૃતિ જુઓ!
મને સ્થાપો મારા અસલ ઘરમાં, આદિમ જન
વહી આવું પાછો ત્યજી દઈ બધાં બંધન ઘન!
સ્તનો શાં શૃંગોમાં તરુવરતટે કે જળતટે
પુરાણી માટીમાં મુજ ઘર ભીનું હોવું જ ઘટે,
બધું ભૂલી જૈને કુસુમવત્ શા વાય પવનો
બધું ભૂલી જૈને તૃણવત્ ભમે આદિમ જનો.
મને આપો મારો તરુસમય પાછો પ્રથમનો
હું આદિવાસી છું અયુત શતકો તે જનમનો.