મનીષા જોષીની કવિતા/ઉદાસી

From Ekatra Wiki
Revision as of 01:04, 2 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઉદાસી

ઉદાસીનું જન્મસ્થાન
પેલું દૂર દેખાઈ રહ્યું છે,
એ મંદિર જ છે.
ભાવિકોની બંધ આંખો તળેથી
અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે.
ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે.
આરતીનો એકધારો અવાજ
મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા
ઉંદરને બેબાકળો બનાવી દે છે.
રાત્રે પૂજારી મંદિરને તાળું મારી સૂઈ જાય
એટલે વ્યગ્ર ઉંદર દેવીનાં વસ્ત્રો કાતરી ખાય છે.
લજ્જાની મારી દેવીએ
આત્મહત્યા કરી લીધી છે.
ઉંદર પણ પાંજરામાં મૃત પડ્યો છે,
પૂજારીએ મૂકેલો ઝેર ભેળવેલો પ્રસાદ ખાઈને.
સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી
ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ
શોધી રહ્યા છે,
કોઈ નવી દેવીને.