મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એક રે ભરોસો

એક રે ભરોસો

એક રે ભરોસો મારા રામનો
ભોંયને ભરોસે જેવાં નીર
સતીને ભરોસો એનાં આંસુનો
નવ સેં નવાણુ દીઠાં ચીર
અવસર આવ્યો જ્યાં એના નામનો...

ગાયુંને મળે રે એનો ગોંદર્યો
ઝાડવાંઓ ધરે મીઠી છાંય
પંખીને દીધાં રે રૂડાં બેસણાં
ફળફૂલ આપી રાજી થાય
જલમારો બીજા તે કિયા કામનો...

કેડીયું જોતી રે ડુંગર-ટોચને
વન વીંધી ચડે ઊંચા ઢાળ
થડકારો ચૂકે ના છાતી કૂમળી
ઊઠે નહીં ક્યાંએ રૂંવે ફાળ
સથવારો એને રે એની હામનો...

ઘેરશે અંધારાં સમી સાંજનાં
વિજનમાં સંભળાશે શ્વાસ
તારી સાથે ચાલે તારું આભલું
આછો આછો દેશે રે અજવાસ
દીવો ત્યાં દેખાશે ઈ મુકામનો...
એક રે ભરોસો મારા રામનો...