મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કદી સાંભરે ભાઈ

કદી સાંભરે ભાઈ

         કદી સાંભરે ભાઈ
નદી જોઉં ને વહેવા લાગે ભીતર એક સગાઈ

પડુંઆખડું રડું હું ત્યારે પળમાં લેતા તેડી
ઝાડ-ઝાંખરાંની વચ્ચે પણ એ જ ચીંધતા કેડી

એકલસૂરો જુએ જરી તો કોણ ઊઠે અકળાઈ?

બાની વાણી ફાગણ ને બાપુ ચૈતર-વૈશાખ
ભાઈ એટલે આંબાડાળે લચી પડેલી સાખ

ઘરમાં એ બોલાશ હતી કે કલરવની વનરાઈ?

આજે મારા ઘરના ફળિયે હું અભ્યાગત હોઉં
સૌની વચ્ચે વસું છતાં યે હું જ મને ના જોઉં

કાળે ખેંચી કિયા કારણે જોજન લગી જુદાઈ?