યાત્રા/સુધા પીવી?

From Ekatra Wiki
Revision as of 08:56, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સુધા પીવી?|}} <poem> સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી, યયાતિ-શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્રસ મહીં. નહી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુધા પીવી?

સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
યયાતિ-શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્રસ મહીં.

નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે
સદાના બાઝી ર્હૈ મન મનવવું વસ્તુ વિતથે;
અહો, એવી લીલા કૃમિ-શી રચવે લેશ મન ના.

મને દેવા ઇચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં
ભૂંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન સમણાં —
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.

ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.

માર્ચ, ૧૯૪૪