યાત્રા/સુધા પીવી?

Revision as of 03:15, 20 May 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સુધા પીવી?

સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
યયાતિ શા થૈ વા અણખુટ યુવામાં ગટકવી
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્‌રસમહીં.

નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે
સદાના બાઝી ર્‌હૈ મન મનવવું વસ્તુ વિતથે;
અહો, એવી લીલા કૃમિ શી રચવે લેશ મન ના.

મને દેવા ઈચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ;
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં
ભુંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન શમણાં —
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.

ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.


માર્ચ, ૧૯૪૪