રચનાવલી/૧૫૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૫૯. ગ્રેપ્સ ઑવ રોથ (જ્હૉન સ્ટેનબેક)


૧૯૬૨માં નૉબેલ ઈનામ મેળવનાર અમેરિકન નવલકથાકાર જ્હૉન સ્ટેનબેકે જાહેર કરેલું કે લેખકે પોતાની સૌથી નજીકના સમયનો ઉપયોગ કરવો જોઈએ જેને એ બરાબર સમજી શકે છે. એ દ્વારા એ સમાજના ચોકિયાતનું કામ કરે છે. સમાજની જડતાની એ ઠેકડી ઉડાવે છે, એના અન્યાયો પર એ પ્રહાર કરે છે અને એના દોષને એ ડામવા મથે છે. એની બહુ જાણીતી નવલકથા ‘ગ્રેપ્સ ઑવ રોથ’ (‘કોપની દ્રાક્ષ’)માં એણે આ બધું કરી બતાવ્યું છે. સ્ટેનબેકની આ નવલકથા ૧૯૩૯માં જ્યારે બહાર આવી ત્યારે અમેરિકામાં અને અમેરિકાની બહાર એને તરખાટ મચાવી દીધો હતો. સ્થળાન્તર કરતા ખેતમજૂરોનાં સંકટોની હકીકત આપતી આ નવલકથાને નવલક્થા માનવાને બદલે સામાજિક દસ્તાવેજ માની લેવામાં આવ્યો, અને લેખકને સામાજિક ઇતિહાસકાર ગણવામાં આવ્યો. કેટલાકે એમાં મૂડીવાદની ટીકા પણ જોઈ. એક રીતે જાઈએ તો સ્ટેનબેકની આ નવલકથાને ઘણીવાર ન્યાય આપ્યા વગર વખોડવામાં આવી છે તો ઘણીવાર વિવેક વગર વખાણવામાં આવી છે. ખરેખર તો ભયંકર સામાજિક પરિસ્થિતિના આ આક્રમક હેવાલ નીચે એક સુંદર રીતે ગુંથાયેલી કથા પડેલી છે, જે કથા કોઈ એક સમયને કે કોઈ એક પ્રજાને લાગુ પડતી નથી, પણ જગતની કોઈ પણ પ્રજાને લાગુ પડે તેવી છે. ઉપર ઉપરથી આ કથા કોઈ એક પરિવારના સ્થળાંતરની કથા લાગે છે અને એ આર્થિક સલામતીની શોધમાં નીકળી પડ્યું હોય એવું લાગે છે પણ એ સ્થળાંતર દરમ્યાન આ પરિવારને જે શિક્ષણ મળે છે, પોતાના સંકુચિત સ્વાર્થમાંથી ઊંચે ચઢી સમસ્ત માનવ પરિવાર સાથેનો જે નાતો અનુભવે છે, એ મહત્ત્વનું છે - એટલે કે વ્યક્તિનો વ્યક્તિ મટી સમૂહમાનવ તરીકેનો થતો વિકાસ નવલકથાનો કેન્દ્રસ્થ વિષય છે. પોતાના બચાવમાં એક માણસની હત્યા કરવાથી જેલમાં ગયેલ ટૉમ છૂટીને ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે ધૂળવંટોળભર્યા અને દુકાળગ્રસ્ત રસ્તામાં પૂર્વે પાદરી રહી ચૂકેલા જિમી કેસી સાથે એનો પરિચય થાય છે. બંને ટૉમના ઘરે પહોંચે છે તો ખબર પડે છે કે ટૉમનો ખેડૂત પરિવાર કેલિફોર્નિયા જવાની તૈયારી કરી રહ્યો છે. ખરાબ મોસમને કારણે અને યાંત્રિક ખેતીને કારણે ખેતમજૂરોને જીવવું કપરું બની રહ્યું છે અને ટૉમના પરિવાર સાથે બીજા હજારો પરિવારો ઓકલાહામથી ફળદ્રુપ કેલિફોર્નિયા તરફ પશ્ચિમમાં જઈ રહ્યા છે. ટૉમના પરિવારમાં એનાં દાદા-દાદી, માતાપિતા, માનસિક અપંગ ભાઈ નોહ, નાનો ભાઈ, બહેન શૅરોન અને બનેવી કોની છે. નાનો ભાઈ એક ખખડી ગયેલી ટૂક લાવે છે અને કેસી પણ એમની સાથે જોડાય છે. જાહેરાતો દ્વારા જાણેલું કે કેલિફૉર્નિયામાં ખેતમજૂરોની ખાસ જરૂર છે તેથી હજારોની સંખ્યામાં જઈ રહેલા ખેતમજૂરો સાથે આ પરિવાર પણ અનેક વિટંબણા સહન કરતું આગળ વધે છે. ખબર તો એવી છે કે કેલિફોર્નિયામાં કોઈ કામધંધો મળતો નથી અને પરિસ્થિતિ ઓકલાહામા કરતાં પણ બદતર છે તેમ છતાં હજારો એમની સ્વપ્નભૂમિ કેલિફોર્નિયા તરફ દોડી રહ્યા છે. રસ્તામાં દાદાદાદીનું અવસાન થાય છે, રણની કપરી મુસાફરી પછી પરિવાર સ્થળાંતર થયેલ ખેતમજૂરોના કેમ્પમાં આવે છે. કૉન્ટ્રેક્ટર એમનું શોષણ કરે છે એની સામે થતા કેસી પકડાય છે અને ટૉમ ઘવાય છે. શેરોનનો વર છોડીને ચાલ્યો જાય છે. પરિવાર તૂટવા લાગે છે, અને તૂટતો અટકાવવા મા પ્રયત્ન કરે છે. આ પછી પરિવાર ખેતમજૂરોના કેમ્પમાંથી સ્થળાંતરિત ખેતમજૂરોના સરકારી કેમ્પમાં આવે છે. પહેલીવાર પરિવારને લાગે છે કે એમની સાથે માણસ તરીકે વ્યવહાર કરવામાં આવ્યો છે પણ કેમ્પમાં મજૂરીના અભાવે ઝાઝુ રહી શકાતું નથી પરિવાર મોટા ખેતરમાં પહોંચે છે, જ્યાં આંદોલનકારો ઓછી મજૂરી માટે લડી રહ્યા હોય છે. ઓછી મજૂરીએ પણ કામ પર ચઢી પરિવાર એક દિવસનો રોટલો રળી લે છે. પણ આંદોલનકારોના નેતા તરીકે ટૉમ જિમને ઓળખી કાઢે છે. પોલીસ સાથેની ઝપાઝપીમાં જિમની હત્યા થતાં ટૉમ અધૂરું કામ પૂરું કરવાનો નિર્ધાર કરે છે. માને ખબર પડી જાય છે કે ટૉમની જિંદગી જોખમમાં છે, તેથી એને દૂર મોકલી આપે છે. વરસાદ શરૂ થતાં નદીને કાંઠે ખેતમજૂરોના કૅમ્પમાં પાણી ઘૂસી જાય છે. આવી અસા પરિસ્થિતિમાં જીવવું મુશ્કેલ છે એ વખતે શેરોન મરેલા બાળકને જન્મ આપે છે. પાણી વધતું જાય છે છેવટે એ લોકો કોઈ એક કોઠારની નાની જગામાં સમાવા પ્રયત્ન કરે છે. ત્યાં એક છોકરો અને એનો ભૂખે મરતો બાપ પણ છે. છોકરો બાપને માટે ક્યાંકથી પાઉં ચોરી લાવે છે પણ એનો બાપ પ્રવાહીના અભાવે મરણતોલ છે. છોકરો સૂપ કે દૂધની માંગણી કરે છે અને છેવટે શેરોન મરતા માણસને જીવાડવા પોતાની દૂઝતી છાતીએ લગાડે છે. આ નવલકથા વિશે કહેવાય છે કે સ્ટેનબૅકે વ્હિટમનની જેમ અહીં દરેક માણસ માટેના પ્રેમનો અને શારીરિક શ્રમનો મહિમા કર્યો છે. જેફરસનની જેમ ભૂમિની સાથેનો જીવંત નાતો ધરાવતા કૃષિ સમાજનો ઘણો મહિમા કર્યો છે. ઇમરસનની જેમ સામાન્ય માણસ અને સ્વાવલંબનનો મહિમા કર્યો છે. પરંતુ આ બધું છતાં નવલકથાની શક્તિ એના સામાજિક પૃથક્કરણમાં નથી પણ એની અદ્ભુત રજુઆતમાં છે. સ્થળાંતર દરમ્યાન આવતાં વર્ણનો, કથા વચ્ચે કથાનો આવતો વણાટ, જીવંત પાત્રો, ક્યારેક દસ્તાવેજી તો કયારેક કાવ્યમય ગદ્ય, ચલચિત્રના કેમેરાની જેમ રજૂ થતી નાની નાની વિગતો વગેરેથી આ નવલકથા આકર્ષક બની છે. સૌથી મોટી વાત તો એ છે કે આ નવલકથામાં આવતા પ્રસંગોને જુદી જુદી રીતે ઘટાવવામાં આવ્યા છે. બાઈબલમાં યહુદીઓએ ઇજિપ્તમાંથી પોતાની ઇઝરાયેલની ભૂમિમાં સ્થળાંતર કરેલું એનો મેળ પણ અહીં બેસાડવામાં આવ્યો છે. ૧થી ૧૦ પ્રકરણો ઇજિપ્તમાં યહુદીઓની ગુલામીની યાદ આપે છે, પછીના ૧૧થી ૧૯ પ્રકરણો સ્થળાંતર વર્ણવે છે અને છેવટે ૧૯થી ૩૮ પ્રકરણો ઇઝરાયેલ પહોંચતા યહુદીઓની જેમ કાફલો પોતાની સ્વપ્નભૂમિ કેલિફોર્નિયામાં પહોંચે છે. સ્થળાંતર નિમિત્તે મનુષ્યને મનુષ્યોના સંપર્કમાં મૂકી મનુષ્યની ઉદારતાને બિરદાવતી આ નવલકથા કોઈ પણ યુગમાં ટકી રહે એવી સશક્ત છે.