રચનાવલી/૧૭૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૭૬. જ્વાળામુખીની ભીતર (મેલ્કમ લાઉરી)


પીવું અને ઢીંચવું - ગુજરાતીમાં આ બે અલગ ક્રિયાઓ છે. પહેલી સાધારણ ક્રિયા છે, બીજી અસાધારણ ક્રિયા છે. બીજી ક્રિયા રોગ છે. આ રોગનો ભોગ બનેલ મેલ્કમ લાઉરીએ આવી માનસિક પરિસ્થિતિનો લેખનમાં ઉપયોગ કર્યો. મેલ્કમની આ માનસિક સ્થિતિ સાથે ડર, દહેશત, આતંક, વિહ્વળતા અને ખાસ તો ત્રસ્તતા સંકળાયેલાં રહ્યાં છે. ડર એ મેલ્કમના લેખનનો મુખ્ય સૂર છે. ૨૯ વર્ષની વયે પિતા પર પત્ર લખતા મેલ્કમ જણાવે છે કે, ‘મુખ્ય સૂર ડર છે. મારા ઘેરા બાળપણમાં વવાયેલા કોઈ ભયાનક ડરમાંથી આજે ઝેરીલા અંકુરો ફૂટી રહ્યા છે.’ આમ તો મેલ્કમના જીવનની શરૂઆત સુઘડ હતી. ૧૯૦૯માં ઈંગ્લૅન્ડના લીવરપુલ ખાતે જન્મેલા મેલ્કમના પિતા આર્થર લાઉરીની કપાસની દલાલી હતી અને કુટુંબ સદ્ધર હતું. પણ સત્તર વર્ષની વયે મેલ્કમ ખંડ કરીને એશિયા તરફ જતાં કોઈ માલવાહક જહાજ પર ચઢી જાય છે અને ચાર મહિનાની સફર કરી આવે છે. એનાં પછીનાં વર્ષો પણ કૅમ્બ્રિજમાં તોફાની અને બરબાદીનાં હતાં. એ મોટે ભાગે ઇંગ્લૅન્ડ બહાર અમેરિકા, મેક્સિકો, કેનેડામાં ભમતો રહ્યો. મેલ્કમે સતત પીધા તો કર્યું જ. ઉપરાંત અપ્રમાણિકતાઓ પણ પુષ્કળ પ્રમાણમાં આચરી. પત્નીઓ અને સ્ત્રીમિત્રો પર શારીરિક હુમલાઓ કર્યા. મિત્રોને દગા દીધા. ત્યાં સુધી નોંધાયું છે કે મેલ્કમના ભાઈ ભાભી મેલ્કમ રહેવા આવશે તો એ ભયે બારણા નજીક હંમેશાં સૂટકેસ તૈયાર રાખતાં જેથી માલ્કમ આવે તો કહી શકાય કે અરેરે, હમણાં જ અમે હોલી-ડે પ્રવાસ પર નીકળી છીએ, મેક્લમના આવા અસુઘડ જીવનની જેમ એણે લખેલાં કાવ્યોના પણ અસુઘડ ગંજ ઉપર ગંજ ખડકાયે ગયા. આયુષ્યભર કોઈ કાવ્ય સંગ્રહ બહાર ન આવ્યો, પણ એ પ્રતિભાવાન કવિ હતો એમાં કોઈ શંકા નથી. મરણોત્તર એનાં કાવ્યોનું ચયન અને કાવ્યોનો સંચય બહાર પડ્યાં છે. મેલ્કમના લેખનમાં પોતાની જાત સાથેનો અનહદ પ્રેમ ડોકાય છે. એ ક્યારેય પોતાની બહાર આવ્યો નહીં. પોતાની જાતથી જ હંમેશાં એ ઘેરાયેલો રહ્યો. કદાચ એટલે જ એક જાણીતા સૉનેટની શરૂઆતમાં એ કહે છે, ‘પીવા સાથે મુક્તિના ખ્યાલો સંકળાયેલા છે, અને પછી સૉનેટના અંતમાં એ એવા કોઈ વેદનામુક્ત મુસાફરખાનાની શોધમાં રહે છે, જેના દરવાજા ખુલ્લા હોય, પવન વાયા કરતો હોય અને જ્યાં કોઈપણ દેવું કર્યા વગર એ હંમેશા માટે પીધા કરે - મેલ્કમની મુક્તિના આ ખ્યાલો એના ઘેરાયેલા બંધિયાર મગજની છલાંગો છે. આ બંધિયારપણાથી ગભરાઈને મેલ્કમે વારંવાર આપઘાતના પ્રયત્નો કર્યા છે. લગભગ આખી જિંદગી એ આવી ખતરનાક માનસિક હાલતમાં જીવ્યો છે, પણ આશ્ચર્યની વાત એ છે કે પોતાની ભીતરના આ ઊંડા નર્કને ચાહતા ચાહતા એ નર્કાગ્નિ વિષે એણે કશુંક નવું તાક્યું છે. પોતાની ભીતરની ભયાનકતાને અનુસરીને એણે એક કાવ્યમાં પોતાની લઘુ-છબી ઉપસાવી છે : ‘એણે ક્યારેય પ્રેમ ભાવ્યો નથી | બધી જ માનવ લાગણીઓની ઉપરવટ એણે માત્ર ભયને જાણ્યો છે / એને મરેલાઓને ગમતા / ઘાસ લીલું નહોતું / ઘાસ એને માટે ઘાસ નહોતું/ સૂર્ય સૂર્ય નહોતો, ગુલાબ ગુલાબ નહોતું / ધૂમાડો ધૂમાડો નહોતો, અંગ અંગ નહોતાં.’ આ બધાં વચ્ચે મેલ્કમની સમર્થ ગણાયેલી કૃતિ તો એની નવલકથા ‘જ્વાલામુખીની ભીતર’ (અંડર ધ વલ્કેનો) છે. આ કૃતિએ એને જગમશહુર કર્યો. મેલ્કમે પોતાની આત્મશોધ અને પોતાના આત્મવિનાશ માટે જેમ પીવા સંદર્ભે જાતને સમર્પી દીધેલી, બરાબર એ જ સમર્પણભાવથી તેણે આ નવલકથા પર કામ કર્યું છે. આ નવલકથાનો પ્રદેશ મેક્સિકો છે અને મેક્સિકો નર્કનું પ્રતીક છે એનો નાયક જ્યોફ્રી ફર્મિન મેક્સિકોમાં બે જ્વાલામુખી વચ્ચેના કોઈ નગરમાં રહેતો બ્રિટિશ વાણિજ્યદ્ભૂત છે. એ મિત્રો સાથે વાતચીત કરે છે, પ્રેમ કરે છે કે ટોળામાં રહે છે. પણ પોતાને સાવ એકલો અનુભવે છે અને પોતે સમાજથી કંઈ જુદો માણસ છે અને પાછો પીનારો છે તેથી તે વધારે વિચિત્ર ભાસે છે. આત્મવિનાશ તરફ લઈ જતી નાયકની પીવાની આદત એને જો સ્વર્ગ બતાવે છે તો સાથે સાથે એને જગતથી કાપી પણ નાંખે છે. એની છૂટાછેડા લીધેલી પત્ની વૉન તરફ એને હજી યે પ્રેમ છે પણ એ પૂરો વ્યક્ત કરી શકતો નથી. તો, પોતાના ભાઈ સાથે પત્નીનો સંબંધ છે એ અંગે મનમાં ભડભડતો રોષ પણ પ્રગટ કરી શકતો નથી. એકવાર તો જ્યોફ્રી પ્રાર્થ છે કે કોઈ એના ભીતરની આ ભયંકર યંત્રણામાંથી મુક્ત કરે. છેવટે એની પીધેલી હાલતમાં એ પૂરેપૂરો જવાબ કે પૂરી સમજૂતી ન આપી શકવાને કારણે જુલ્મી પોલિસોને હાથે મોત પામે છે. ટૂંકમાં, મેલ્કમ પોતાની મર્યાદાનું લેખનમાં રૂપાંતર કરીને અહીં એક અહંવાદી માનસના બંધિયારપણાના જગતની જોરદાર કથા રચી આપે છે. ભારેલા અગ્નિથી ઘૂંઘવાતી ટોચો અને એને અડીને વણદટાયેલા મડદાંઓની દુર્ગંધ ભરી ઊંડી ખાઈ– આવી બે ધમકીઓભર્યું આ નવલકથાનું કથાનક સપાટી પરની સરળતાથી વધુ કંઈક સૂચવે છે.