રચનાવલી/૮૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮૨. સજા (કાન્હુચરણ મહન્તી)


જો પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’માં દુકાળના ભયંકર વાતાવરણ પડછે બે જુદા થઈ ગયેલાં પ્રણયીજનોનું અનેક યાતના પછી મિલન થાય છે, તો કાન્હુચરણ મહાંતિની નવલકથા ‘સજા'માં દુકાળની ભયંકર આપત્તિ પછી એક થતાં રહી ગયેલાં પ્રણયીજનોનો છેવટ સુધી વિરહ જ રહે છે. ‘માનવીની ભવાઈ’માં કુદરતી આફત અને સમાજને સામસામે મૂક્યાં છે, તો ‘સજા'માં પણ કુદરતી આફત અને સમાજને સામસામા ધર્યાં છે. કાન્હુચરણ મહાંતિ ઓડિયા ભાષાના પ્રસિદ્ધ નવલકથાકાર છે. ઓડિયા ભાષામાં નવલકથાકારોની જે બીજી પેઢી આવી એમાં એમનું મહત્ત્વનું સ્થાન છે. એમણે ૫૦ જેટલી નવલકથાઓ લખી છે. એમના મત પ્રમાણે એમની દરેક નવલકથાની કલ્પના એક ઉદ્દેશ પર આધારિત છે. આ ઉદ્દેશ એક કથા દ્વારા મૂર્ત થાય છે. અને કથા સજીવન થાય છે પાત્રો દ્વારા. કોઈ વિચાર અથવા રિવાજનું સમર્થન અથવા એનો વિરોધ જ કથાનો આદર્શ બની જાય છે. એમની નવલકથાઓમાં એક બાજુ માણસની નબળાઈઓ છે અને બીજી બાજુ સમાજની કઠોર રૂઢિઓ છે. અને આ બે વચ્ચે રીબાતો માણસ પોતાના આદર્શને સિદ્ધ કરવા મથે છે. આથી વ્યક્તિ અને સમાજ સતત ઘર્ષણમાં આવ્યાં કરે છે. આ ઘર્ષણમાં સૌથી વધુ અસર પહોંચતી હોય તો તે નારીને પહોંચે છે. કાન્હુચરણ મહાંતિએ પોતાની દરેક નવલકથાને નારીપ્રધાન બનાવી છે. અને નારીના સંદર્ભમાં એમનું સ્પષ્ટ દૃષ્ટિબિન્દુ છે કે બધા સંઘર્ષની વચ્ચે નારી જ ટકી શકે છે અને બીજાને ટકાવી શકે છે. સ્ત્રીનો જન્મ સર્જન માટે છે, ધ્વંસ માટે નથી – એ એમની નવલકથાનો મુખ્ય સૂર હોય છે. નારીના આવા કોઈ પાત્રને અનુલક્ષીને કાન્હચરણ મહાંતિ સમાજની નવરચના ઝંખે છે. જાતિ, ધર્મ, વર્ણ તથા વર્ગ જેવી ભેદ કરનારી રૂઢિઓ જડ બનીને વ્યક્તિના અને સમાજના વિકાસને રુંધે છે; એની પ્રતીતિ તો નવલકથાકારને છે, પણ તેથી પોતાની કૃતિમાં તેઓ સીપી સામાજિક તોડફોડ દાખલ કરતાં નથી. પણ સમસ્ત સામાજિક પરિસ્થિતિ તરફ વાચક સંવેદનશીલ બને અને આપમેળે સક્રિય થાય તેવી સામગ્રી તેઓ જરૂર અખત્યાર કરે છે. કાન્હુચરણ મહાન્તિનાં પાત્રોનો પુરુષાર્થ આથી હંમેશાં માનવતાને હાંસલ કરવાનો રહ્યો છે. એક બાજુ અંગત સ્વાર્થ, જે માણસને કઠોર બનાવે છે, તો બીજી બાજુ એ સ્વાર્થમાંથી છૂટવાની એની ઇચ્છા, જે, એને કોમળ બનાવે છે. આ બે છેડાઓ સંવેદનશીલ છે. અંગત સ્વાર્થમાંથી મુક્તિ એ મહાંતિને મન મોટો પુરુષાર્થ છે. એમની ‘સજા’ નવલકથામાં પણ માનવતાનો આ જ વિષય ધબકતો રહ્યો છે. જે માનવીની સેવા નથી કરતો એ દૈવદ્રોહી થઈ જાય છે' એ એમની આ નવલકથાનો મંત્ર છે. અહીં સમાજ છે, શોષકો છે, ધર્મ, વર્ણ, જાતિ વર્ગના ભેદો છે, કાવતરાં અને પ્રપંચો છે, લોભ અને લાલસા છે, પણ આ બધા વચ્ચે પોતાનામાંથી છૂટી બીજાને માટે વિચારવાની અને કરી છૂટવાની વૃત્તિ વારંવાર ડોકાયા કરે છે. સનિઓ અને ધોબીની કરુણ પ્રેમકથાની આજુબાજુ માનવતાનો થતો વિસ્તાર એ નવલકથાનો મુખ્ય આધાર છે. ભયંકર દુકાળને કારણે વિષ્ણુપુર ગામમાંથી હિજરત કરી ગયેલા બનેઈ પરિડાના પરિવારમાંથી બચે છે. માત્ર સનિયો અને એની બહેન પુની. એમાંથી સનિયો ગામમાં પાછો ફરે છે પણ ભિખારીના ટોળાંઓમાં રખડીને, નાતજાતનો વિચાર કર્યા વગર ગમે તેમ પેટ ભરવા અખાદ્ય ખાઈને પાછાં ફરેલા સનિયાને ગામલોક સ્વીકારવા તૈયાર નથી. હવન કરે, પ્રાયશ્ચિત્તનાં ઘણાં કાર્ય કરે, બ્રાહ્મણ ભોજન કરાવે, નાતજાતના લોકોને જમાડે તો જ એનો સ્વીકાર થાય અને ન કરે તો એ અછૂત ગણાય. બબ્બે દિવસના ભૂખ્યા કંગાલ સનિયાની સામેથી આ કઠોર અને જડ ગામવિચારણાની વચ્ચે એના તરફ મમતા બતાવનાર એક માત્ર ધોબી જ છે. ચિંતેઈ સોઈની દીકરી ધોબી, જે કદાચ સનિયાની પત્ની હોત, પણ સનિયાના બાપ બનેઈ પરિડાએ પોતાના ઊંચા વર્ણના અભિમાનમાં એનો સ્વીકાર નહોતો કર્યો અને એનો બદલો એનો શ્રીમંત બાપ ચિંતેઈ સોઈ આજે વાળી રહ્યો છે. ચિંતેઈ સોઈ ગામનો કર્તાહર્તા છે. સનિયાની ગેરહાજરીમાં એણે પોતાની દીકરી ધોબીને દુર્ગાપુરના શ્રીમંત સાથે પરણાવેલી પણ આજે વિધવા બનીને આવી છે. વિધવા ધોબી સનિયાને હજી ચાહે છે. પોતા તરફથી એ સનિયાને આર્થિક મદદ કરે છે. સનિયો પ્રાયશ્ચિત કરે છે અને સમાજમાં અછૂત મટી જાય છે. પરંતુ ચિંતઈ સોઈની જોહૂકમી અને સનિયાની અડગતા વચ્ચે આગળ વધતી કથામાં સનિયો અને ધોબી એકબીજાને ચાહતાં હોવા છતાં મળી શકતાં નથી. ધોબી પિતાની સ્વાર્થવૃત્તિ પામીને સાસરાનો કારોબાર પોતાના હાથમાં લઈ પોતાની મિલ્કતને ગ્રામજનોના કલ્યાણમાં વાપરવી શરૂ કરે છે, તો સનિયો પણ બનાવટી દુનિયામાંથી નીકળી જવા માટે નાતજાત ધર્મ વર્ણના ભેદભાવ વગર પોતાના ઘરમાં પતિતા કઈને, ચમાર ભરતિયાને, મુસલમાન રહીમને બુટ્ટા જૉનને સાથે રાખે છે અને ફરી ગામની આંખે જો આ અનાચાર હોય તો એ અનાચાર દ્વારા અછૂત થઈ જવા તૈયાર થાય છે. એને માટે માનવજાત એક જ ધર્મ છે. કથાના અંતભાગમાં એકની એક દીકરી ધોબીની વ્યથા અને એના વ્યાધિથી દુઃખી ચિંતેઈ સોઈ પોતાની બધી મિલ્કત સનિયાને આપી દઈને સનિયા સાથે ધોબીને પરણાવવા તૈયાર થાય છે. પરંતુ સનિયો એ બધો અસ્વીકાર કરી આશરો આપેલા પોતાના માણસો સાથે ગામ છોડી ચાલી નીકળે છે. એક રૂઢિવાદી સમાજની રુંધતી અંધ પ્રણાલિઓની વચ્ચે પીસાતા અને મુક્ત થવા મથતા મનુષ્યોના પુરુષાર્થની સાથે આ કથા આપણા ગ્રામજીવનનો અને એની પ્રજાચેતનાનો મોટો અણસાર આપે છે. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલો ગીતાંજલિ પરીખનો ગુજરાતી અનુવાદ ‘સજા’ જોઈ જવા જેવો છે.