રવીન્દ્રપર્વ/૧૧૩. કે એસે યાય ફિરે ફિરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧૩. કે એસે યાય ફિરે ફિરે

કોણ વ્યાકુળ આંસુ સારીને આવી આવીને પાછું જાય છે? કોણ મિથ્યા આશાથી મારા મુખને જોઈ રહ્યું છે? એ તો મારી જનની. કોની અમૃતમય વાણી અનાદરનું ભાન થતાં વિલાઈ જાય છે? કોની ભાષા બધાં ભૂલવા ઇચ્છે છે? એ તો મારી જનની. ક્ષણેક એનો સ્નેહભર્યો ખોળો છોડ્યા પછી હું એને ઓળખી શકતો નથી, કોનાં પોતાનાં જ સંતાન અપમાન કરે છે? એ તો મારી જનની. પુણ્ય કુટીરમાં વિષાદભરી કોણ થાળ પીરસીને બેઠી છે? એ સ્નેહનો ઉપહાર હવે મોઢામાં રુચતો નથી. એ કોણ? એ તો મારી જનની. (ગીત-પંચશતી)