રવીન્દ્રપર્વ/૧૪૦. અપરાહ્ને

૧૪૦. અપરાહ્ને

પ્રભાતે જે વેળા શંખ ઊઠ્યો હતો બજી તમારા પ્રાંગણતલે, ફૂલછાબ ભરી નીકળ્યાં’તાં નરનારી ત્યજી દઈ ઘર નવીન શિશિરસિક્ત ગુંજનમુખર સ્નિગ્ધ વનપથે થઈ. હું જ અન્યમને સઘન પલ્લપુંજ છાયાકુંજવને સૂતી હતી તૃણાસ્તીર્ણ તરંગિણી તીરે વિહંગના કલગીતે સુમન્દ સમીરે.

હું જ નહીં ગઈ દેવ, તમારી પૂજાએ કે ના ભાળ રાખી કોણ ચાલ્યાં જાય પથે; આજે લાગે ઠીક થયું જે મેં કરી ભૂલ ત્યારે તો કુસુમ મારાં હતાં સૌ મુકુલ.

જુઓ, એ સૌ દિન વીત્યે ખીલી ઊઠ્યાં આજે અપરાહ્ને એથી ભરી ફૂલછાબ સાજે. (ગીત-પંચશતી)