વસુધા/પુણ્યાત્મા

Revision as of 05:48, 10 October 2022 by MeghaBhavsar (talk | contribs)
પુણ્યાત્મા

દીપજ્યોતિ લહી, તજી કુસુમની કૂંળી પથારી ધસ્યું
ઉગ્રૌત્સુક્યભર્યું સૂવા ઝળકતી જ્યોતિ તણી ઝાળમાં,
આવ્યું, પાંખ પછાડતું પણ રહ્યું! ને જ્યોતને આંતરી
ભાવિ જેમ અદૃશ્ય કાચ જ પડ્યો! એ ભેદને પામવા
માથું મુગ્ધ અફાળતું, હૃદયની ઊર્મિથી ભીંજાવતું
ધોળી કાચ સપાટીને નિજ સમાં કૈં સાથીસંગાથમાં
ઝૂરંતું: ‘અયિ તેજમૂર્તિ! લઈ લે, લે લેઈ તારે ઉરે!’

ત્યાં એ મુગ્ધ ઉરોની હાર ચુપકીથી આવી ભક્ષી લઈ –
ખૂણામાં જઈને લપાતી – ધવલા – સુંવાળી ને ઠાવકી –
ગાંભીર્યે લસતી – અને ઉદરના ઔદાર્યથી ઓપતી –
સૃષ્ટિની સઘળી પ્રવૃત્તિ થકી જે સ્વાર્થાસવ સ્રાવતી –
પુણ્યાત્મા લપકી ગરોળી તરપી, લીધું ગ્રસી બાપડું
ભોળું મૂઢ પતંગ, – દૂર સરકી જાણે બન્યું ના કંઈ!
૧, ઓગસ્ટ, ૧૯૩૬